Monday, 6 September 2021

More than three fold jump in demate account, Big role of small investor by use of app technology.

ડીમેટ ખાતામાં ત્રણ ગણાથી વધુનો ઉછાળો

એપ ટેકનોલોજીનો ઉપયોગ; નાના રોકાણકારોની મોટી ભૂમિકા


શેરબજારમાં લગભગ છેલ્લા છ મહિનાથી નાના-મોટા ઝટકા સિવાય તેજીનો પવન ફૂંકાયેલો છે, એક પછી એક નવા લક્ષ્ય આવે છે અને તે પાર પણ થાય છે.  શુક્રવારે મુંબઈ એક્સચેન્જનો ૩૦ શેરોનો આંક ૮૦૦૦ની સપાટી પાર કરીને ૫૮,૧૨૯ પર બંધ રહ્યો.  વિદેશી સંસ્થાકીય રોકાણકારો નાણાં ફાળવે તો તેજી આવે, અને અચાનક ભારે વેચવાલી કરે તો બજાર ગડે એ મહત્વનું પરિબળ મનાય છે પરંતુ કોરોના કા પછીની છેલ્લા એકાદ વર્ષથી તેજીમાં માત્ર સ્થાનિક જ નહીં છૂટક-વ્યક્તિગત રોકાણકારોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.  વિદેશી રોકાણકારો રોકાણ પાછું ખેંચી છે તો પણ બજાર ટકો નથી ખાતું, સ્થાનિક છૂટક (રિટેલ) રોકાણકારો જંપર બનીને ઝટકો તો ખમી જ જાય છે, વધુમાં બજારને ઊંચે પણ લઈ જાય છે.  આ બધું શક્ય બન્યું છે બજારમાં નવા પ્રવેશેલા યુવાન રોકાણકારોને કારણે.  કોરોના પછી એટલે કે છેલ્લા દોઢ વર્ષમાં નવા ડિમેટ એકાઉન્ટ ખોલવાનું પ્રમાણ સતત અને વિક્રમી રીતે વધી રહ્યું છે.  આ યુવા રોકાણકારો તેજીના ઘોડા બન્યા છે.

પહેલા એવું હતું કે બજારમાં લે-વેચ કરવી હોય તો બ્રોકરને ફોન કરવો પડે, તેની સલાહ લેવાની, પછી નિર્ણય આવે. આ પછી ઇન્ટરનેટ બેન્કિંગ આવ્યું અને જાતે ટ્રેડિંગ શરૂ થયું.  જોકે બધાને તે ફાવ્યું નહીં.  પરંતુ, હવે સરળ એપ્લિકેશનો આવી ગઈ છે. એમાં પણ ડીમેટ ખાતું ખોલવા એકવાર ફીઝીલ પ્રક્રિયા કરવી પડતી હતી એય હવે નથી. માત્ર ડિજિટલ એપ્લિકેશન, આધારકાર્ડ ને ઇ – સાઇન. મોબાઈલ એપ હવે બ્રોકર છે.  આ ટેક્નોલોજીના બદલાવે શેરબજારમાં છૂટક રોકાણકારોની સંખ્યા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.  ઉપરાંત સતત તેજી, કોરોનાનાં સમયમાં ઘરમાં બેસી રહેવું,  બેરોજગારી જેવા પરિબળો ઉમેરાતાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ટેકનોલોજીએ દેશમાં છૂટક રોકાણકારોનો ચહેરો બદલી નાખ્યો છે સંખ્યા વધારી દીધી છે.

લગભગ બે વર્ષ પહેલાની જ વાત કરવામાં આવે તો ભારતમાં વસ્તીની સરખામણીએ બે ટકાથી પણ ઓછા લોકો પાસે ડિમેટ એકાઉન્ટ હતું.  કોરોના કાળ પછી સંખ્યા સતત વધી રહી છે અને આ આંકડો અઢી કરોડમાથી ચાલુ વર્ષના આરંભે જાન્યુઆરી-૨૦૨૦માં પાંચ કરોડનો થયો અને અત્યારે લગભગ  કરોડ નજીક પહોંચ્યો છે. આ પ્રવાહ હજુ ચાલુ છે.  હવે એવું નથી કે સમૃદ્ધ વર્ગ રોકાણ માટે શેરબજારમાં આવે, યુવાન, અભ્યાસ ચાલુ હોય તેવા છોકરાઓ અને નવા-નવા નોકરિયાતો પણ તેમના હાથમાં રહેલા મોબાઈલ દ્વારા સરળતાથી અને ઝડપી જોડાઈ રહ્યા છે.  આ પરિબળ તેજીના ઘોડામાં સૌથી વધુ મહત્ત્વનું મનાય છે.  ભલે, કોરોનાની બંને હેરનો ગંભીર સમયગાળો વીતી ગયો અને મોદી સરકારની વ્યાપારિક નીતિ તેજીમાં ભાગ ભજવે છે, પરંતુ વિદેશી રોકાણકારોનો ભારે પ્રવાહથી નથી આવતો ત્યારે તેજી એ આ નવા છૂટક રોકાણકારોને આભારી છે અને આંકડા તેની ગવાહી આપે છે.

કોવિડ–૧૯ વાયરસ ફેલાયો અને દેશવ્યાપી લોક ડાઉન  આવ્યું, પછી પહેલા વેવ દરમ્યાન બજાર લગભગ ૩૫ ટકા ઘટી ગયું હતું, એ સપાટીથી અત્યાર સુધીમાં લગભગ બજારમાં ૧૦૦ ટકાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. શેરબજારમાં સીધું શેર ખરીદીને અથવા તો બોન્ડમાં રોકાણ કરવું હોય તો ડિમેટ એકાઉન્ટ જોઈએ અને એ ' ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ'  દ્વારા ખુલે છે. અલગ-અલગ સિક્યુરિટી બ્રોકર કંપનીઓ આ પાર્ટિસિપન્ટ સાથે ડીમેટ ખોલી આપે છે. જેમાં શેર ડિજિટલ સ્વરૂપમાં તમારી પાસે રહે છે. દેશમાં બે ડિપોઝિટરી છે, જેમાં સૌથી મોટી છે ' સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસી લિમિટેડ' (સીડીએસએલ ) અને બીજી છે, ' નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ' ( એનએસડીએલ ). ચાલુ વર્ષના જાન્યુઆરીમાં જ સીડીએસએલમાં ખાતાધારકોની સંખ્યા ત્રણ કરોડને પાર થઈ તો એનએસડીએલમાં ૨.૨ કરોડ થઇ. આમ, આંક આઠ કરોડને પાર થયો.  જેમાં લગભગ ૯૭ ટકા નાના-છૂટક રોકાણકારોનો હિસ્સો છે.

એપ્રિલ ૨૦૨૦ એટલે કે લોકડાઉન  પછી ડિમેટ ખાતામાં ઉછાળો વધવા માંડ્યો, કામ ધંધા બંધ થવા અને ઘરમાં બેસી રહેવું, વ્યાજ દર ઓછા અને અન્ય વિકલ્પના અભાવ વચ્ચે બધાને શેરબજાર ગમવા લાગ્યું હતું. બીજું, મહિલાઓની સંખ્યા પણ વધે છે.  આમ કોરોના પણ ડિમેટ સંખ્યા વધારવા મહત્વનું કારણ બન્યું.

સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી )ના આંક મુજબ,  જૂન-૨૦૨૦માં દસ લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા હતા, તેની સામે ચાલુ વર્ષે એપ્રિલથી જૂનના અંત સુધીના ત્રિમાસિક ગાળામાં જ ૭૨ લાખ નવા ખાતા ખુલ્યા છે.  જ્યારે ગત વર્ષે માત્ર મે મહિનામાં જ ૭૦,૦૦૦૦ નવા ખાતાની સરખામણીએ જબરજસ્ત ઉછાળો નોંધાવતાં માત્ર મે-જૂનમાં જ ૨૬  લાખ નવા ખાતા ખુલ્યા છે.

બીજું, નેશનલ સ્ટોક એક્સચેન્જનો દાખલો લેવામાં આવે તો નાના-છૂટક રોકાણકારોનો હિસ્સો અત્યારે સૌથી વધુ છે. એનએસ લિસ્ટેડ કંપનીઓમાં વર્તમાનમાં છૂટક રોકાણકારોની ટકાવારી ૭.૧૮ ટકા (જૂન તા. 30) છે. આગલા વર્ષે જૂન–૨૦માં તે ૬.૭૪  ટકા હતી, જ્યારે માર્ચ-૨૦૧૯માં તે ૬. ટકા હતી.  કોરોનાનો સેકન્ડ વેવ વધુ પૂર્ણ ખતમ નથી થયો તાં છૂટક રોકાણકારોની ભાગીદારી વધી છે અને બજારને ઊંચે લઈ જાય છે.  

આ નવા રોકાણકારોમાં યુવાનો વધુ છે, જે બહુ સમૃદ્ધ નથી પણ એમની પાસે ટેકનોલોજીના ઉપયોગનું ગ્નાન છે એટલું શેરબજારનું નથી. માત્ર બે દિવસમાં ડિમેટ ખુલી જાય છે અને પછી નવી નવી બિઝનેસ ટીવી ચેનલો, મોબાઇલમાં પણ એસએમએસ દ્વારા મળતી ટિપ્સ અને સોશિયલ મીડિયા થકી મળતી માહિતીને આધારે રોકાણ વધારતા જાય છે, જે ચિંતાજનક પાસુ છે.

આંકડા પરથી છેલ્લા એક વર્ષથી દેખાય છે કે જેમ બજાર વધે છે, તેમ નવા રોકાણકારોના પ્રવેશનું પ્રમાણ પણ સાથે સાથે વધે છે. આ નવા રોકાણકાર માત્ર શેર જ નહી, મ્યુચ્યુઅલ ફંડ, આઇપીઓ, ગોલ્ડમાં પણ આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રોકાણ કરે છે. ફ્યુચર-ઓપ્શનનું પણ જોખમ લે છે. હાલમાં ઝોમેટોનો આઇપીઓ ૫૦ ગણો ભરાયો, તેમાં નવા યુવાન રોકાણકારોનો હિસ્સો હતો, પછી તે ૬૦ ટકાના ઉછાળા સાથે લિસ્ટેડ થયો. આવી ઘટનાથી બજારનું આકર્ષણ વધતું જાય છે. પરંતુ રોકાણ અને જુગાર વચ્ચેની રેખા બહુ પાતળી છે. અમેરિકાએ થોડા સમય પહેલાં જ ચિંતા દર્શાવી હતી કે, માત્ર એપ્લિકેશન આધારરીત ટ્રેડિંગ જોખમી છે અને નિયંત્રિત કરવું જોઈએ. નવો રોકાણકાર ક્યારેક ટૂંકા સમયમાં ઘણું કમાય, અને વધુ જોખમ લઈ લે છે. બીજીબાજુ, શરૂઆતમાં જેના હાથ દાઝ્યા હોય એ બીજીવાર બજારનું નામ નથી લેતો.  આ બંને ખોટું છે.

ભલે, એ વાત સાચી છે કે જેમ વધુને વધુ ભારતીય શેરબજારમાં ધૈર્યથી  રોકાણ કરશે તો અંતે એ કંપનીઓના માધ્યમથી દેશની અને પોતાની સમૃદ્ધિમાં વધારો કરશે. પરંતુ જોખમી પરિબળ ' ટિપ્સ'  છે.  જેના ઝાસામાં નવા રોકાણકાર જલ્દી આવી જાય છે.  બીજુ, મોબાઈલને લીધે માત્ર હવે શહેરોમાં અને સાક્ષર લોકો જ બજારમાં નથી આવ્યા, પણ ગામડાના લોકો અને મહિલાઓ પણ ઘરેથી ટ્રેડીંગ કરે છે. આ બધું ભલે બજારનો વ્યાપ વધારે પણ સાવચેતી જરૂરી છે

No comments:

Post a Comment