Friday, 19 November 2021

The mining industry of Kutch is in crisis....

લીઝ મંજૂરીમાં વિલંબ; 
ઇંધણ ભાવવધારાનાં દુષ્ચક્રમાં ખાણઉદ્યોગ 


-જીડીપીમાં મોટો હિસ્સો પણ નવી હરરાજી નીતિથી અવરોધ 
-ઙ ઝડપી લીઝ ન મળવાથી સમગ્ર ખાણઉદ્યોગની કમર તૂટી 
- નવી નીતિ પછી ઝડપી મંજૂરી મળત તો કોલ કટોકટી ન થાત 
-હંસરાજ ધોળુ 

- ખાણકામથી ડિસ્પેચ સુધીમાં ડીઝલને ભાવવધારાનો પડયો માર 
-ઉત્પાદિત માલની પડતરમાં ટનદીઠ રૂા. 250નો બોજ 
- કચ્છનો 80 ટકા માઇનિંગ ઉદ્યોગ ઠપ જેવી સ્થિતિમાં 
-દીપક પંડયા 

 -લીઝ મામલે ઘણી રજૂઆતો પણ, હજી પ્રશ્નનો અંત નહીં 
 -ખાનગી માલિકીની જમીનમાં તાત્કાલિક કેપ્ટિવ લીઝ આપી શકાય 
- પ્રક્રિયામાં વિલંબથી ખુદ સરકાર જ રોયલ્ટીની આવક ગુમાવે છે 
-ઇશ્વર ભાવાણી 


ભુજ, તા. 17 : કચ્છમાં ખનિજ ભંડાર છે, વિકાસની ઘણી સંભાવના છે, સરકાર `િબઝનેસ ફ્રેન્ડલી' અને `િસંગલ વિન્ડો' પદ્ધતિથી ઉદ્યોગોને પ્રોત્સાહનની વાત કરે છે. અત્યારે વાયબ્રન્ટ ઉત્સવની તૈયારી ચાલે છે, પરંતુ ખનિજ હબ કચ્છમાં ખનિજ ક્ષેત્રમાં ઉત્પાદનની સંભાવનાની સામે માંડ 20થી 25 ટકા જ ઉત્પાદન થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે `વહેલા તે પહેલા'ને બદલે `હરાજી' નીતિ લાગુ કરી ત્યારથી કાયદેસરની લીઝમાં મંજૂરી નથી મળતી, એ ફરિયાદ તો જૂની છે જ, પરંતુ હવે દોઢ વર્ષમાં ઇંધણ ભાવવધારાએ તેમાં પડયા પર પાટુ માર્યું છે. આ બધા વચ્ચે બેફામ ખનિજચોરીને ઉત્તેજન મળે છે. કારણ કે ઓટોમોબાઇલ, વીજળી, ખાતર, સિરામિક, બાંધકામ ક્ષેત્રને કાચો માલ તો જોઇએ જ છીએ. આ કાયદેસરની લીઝ મંજૂરીમાં ઝડપ નહીં થાય તો રાજકીય કે માથાંભારે લોકોની ઓથ વિના, પ્રામાણિક રીતે ખાણ ઉત્પાદન ચલાવવા માગતા લોકોને નાસીપાસ થવું પડશે અને આ ક્ષેત્રનો કચ્છમાં વિકાસ રુંધાઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. 
માઇનિંગ ક્ષેત્રના વરિષ્ઠ ઉદ્યોગપતિ હંસરાજભાઇ ધોળુનું કહેવું છે કે, કોલસાની નવી ખાણોને મંજૂર કરવામાં હરાજી (ઓકશન)ની વિલંબની નીતિથી કોલસાની અછત થઇ અને તાજેતરમાં દેશમાં વીજ કટોકટી તો જોવા મળી જ હતી, પણ આ હરાજી અને  ઢીલાશે માત્ર કોલ  નહીં, સમગ્ર માઇનિંગ ક્ષેત્રની કમર ભાંગી નાખી છે. જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી એમ દરેક સ્તરે ફેમી (ફેડરેશન ઓફ ઇન્ડિયન માઇનિંગ એસોસિયેશન)ના હોદ્દેદારોનાં નાતે ત્રણેક વર્ષથી રજૂઆતો કરી રહ્યા છીએ, પણ સંતોષજનક પરિણામ નથી. માઇન ઉત્પાદનનો ભારતનાં જીડીપીમાં મોટો હિસ્સો છે. 2015થી ઓકશન ફરજિયાત તો થયું, પણ નવી લીઝ પણ મંજૂર નથી થતી. આમ જ ચાલ્યું તો ઉદ્યોગનો વિકાસ રુંધાઇ જશે. 
દેશનાં ટોચના માઇન કોન્ટ્રાકટર હંસરાજભાઇએ કહ્યું કે, ખાનગી જમીનોમાં  માઇનિંગ ઝડપી મંજૂર થાય કારણ કે, જિલ્લાનું મુખ્ય ખનિજ ચાઇનાક્લે ખાનગી ક્ષેત્રમાં છે. ઉદ્યોગ તરફી નીતિની જાહેરાત થાય છે, પરંતુ મંજૂરી માટેની બેંક ગેરન્ટી, પરફોર્મન્સ ગેરંટી જેવી પ્રક્રિયાથી ખર્ચ વધે છે. વધારામાં રોયલ્ટીય વધે છે. પ્રોજેકટ શરૂ થતાં જ લાંબો સમય નીકળી જાયછે, આમાં સાચા ઉદ્યોગપતિઓને ટકવું અઘરું થઇ પડયું છે. બેન્ટોનાઇટ તો એવી ચીજ છે, જેમાં 35 ટકા ભેજ હોય, ખરેખર ઉત્પાદિત માલ ઓછો નીકળે. આ બધી સ્થિતિમાં ઉલટું ખનિજચોરીને ઉત્તેજન મળે છે. કારણ કે, જે સિરામીક, પાવર, સ્ટીલ જેવા ઉદ્યોગોને ખનિજની જરૂરિયાતો તો સતત રહે જ છે. 
દેશનાં કોલ ક્ષેત્રની વાત કરતાં તેમનું કહેવું છે કે, 228 કોલ બ્લોકનું ઓકશન જાહેર થયું. ભારતમાં કોલ ભંડાર છે, પણ અગાઉની `વહેલા તે પહેલા'ની નીતિ રદ્દ કરી ને હવે મંજૂરીમાં વિલંબ, ડીઝલ મોઘું, બ્લાસ્ટિંગ મટિરિયલ મોંઘું થવાથી વીજ પ્લાન્ટમાં ભારે માંગ છતાં કોલસો આયાત થાય છે. 
માઈનિંગની તમામ પ્રક્રિયા મશીન આધારિત થઈ ગઈ છે, ખાણકામથી માલ મોકલવા-ડિસ્પેચ સુધીમાં ડીઝલની ભૂમિકા છે અને છેલ્લા લગભગ દોઢ વર્ષમાં આવેલા અસહ્ય ભાવવધારાએ કોરોના પછી પડયા પર પાટુ જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે. ઉત્પાદિત ચીજની પડતર કિંમતમાં લગભગ રૂા. 225થી 250નો વધારો આવ્યો છે. કોરોના પછી ઔદ્યોગિક સંચાલન મંદ હતું, ત્યાં આ ડીઝલના ભાવવધારાએ અર્થતંત્રનાં ચક્રમાં અવરોધ ઊભો કર્યો છે. અત્યારે માંગ જ ઘટી ગઈ છે અને કચ્છની વાત કરવામાં આવે તો કોરોનાકાળ પછી ડીઝલ ભાવવધારો અને લાંબા સમયથી પડતર સરકારી લીઝ મંજૂરીમાં વિલંબથી જિલ્લાના ખાણ ઉદ્યોગના લગભગ 80 ટકા એકમો અત્યારે બંધ છે કે ઉત્પાદન બંધ કરવાની સ્થિતિએ આવી પહોંચ્યા છે. કારણ કે, ખોટ ખાઈને લાંબો સમય ચાલુ રાખવું કોઈને પરવડે એમ નથી એવી સ્પષ્ટ વાત મૂકે છે કચ્છ જિલ્લા મિનરલ્સ એસો.ના પ્રમુખ દીપકભાઈ પંડયા. 
માંડવી સ્થિત ઉદ્યોગ એકમના પ્રોપ્રાઈટર અને વર્ષોથી માઈન્સ સંગઠનના પ્રશ્નો ઊઠાવતા રહેલા શ્રી પંડયાએ ડીઝલના પ્રશ્ન પર વધુમાં એમ કહ્યું કે, કાચો માલ કાઢવાથી લઈને સંપૂર્ણ પ્રક્રિયા સુધીમાં જેસીબી, ફોકલેન્ડ, હોવર, ટ્રેક્ટરનો વપરાશ થાય છે. છેલ્લે તૈયાર માલ પણ ટ્રક દ્વારા પરિવહન થાય છે. ખાણ દૂર હોય અને મોટા ભાગના પ્લાન્ટ શહેર નજીક છે, એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો છે. કોરોના પાછી ચાલ્યા ગયેલા શ્રમજીવીઓ બધા પરત નથી આવ્યા. લેબર ખર્ચ અને ડીઝલને કારણે મશીનરી-પરિવહન ખર્ચ વધી ગયો. બેન્ટોનાઇટનો દાખલો લેવામાં આવે તો એ લો કોસ્ટ-ઓછી કિંમતનું સસ્તું મિનરલ ગણાય છે, પરંતુ અત્યારે પડતર ઊંચી થઇ ગઇ છે. કન્ટેનરથી માલ મોકલવાનો ખર્ચ કન્ટેનર દીઠ 20,000 રૂા. વધી ગયો છે. ડીઝલ ભાવવધારાએ આખું ઔદ્યોગિક ચક્ર બગાડી નાખ્યું છે. પોષણક્ષમ ભાવ ન મળતાં ત્રણ શિફ્ટમાં ચાલતું કામ માત્ર એક શિફ્ટમાં આવી ગયું છે. નાના પ્લાન્ટ તો બંધ થઇ ગયા છે. 
શ્રી પંડયાએ કહ્યું કે, જૂનો લીઝ મંજૂરીવાળો પ્રશ્ન તો હજુ એમ જ છે. નવી લીઝ મંજૂરી નથી અપાતી. સરકારનાં છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 14 વખત નિયમો બદલ્યા છે. ક્યારેક જિલ્લા સ્તરે તો, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે અલગ અલગ મંજૂરીઓમાં સત્તાની ફેરબદલી થતી રહી છે. બેંક ગેરંટી હોય કે સ્ટેમ્પ ડયૂટી ભરવાની હોય, માઇનિંગ પ્લાન રજૂ કરવાનો હોય કે પર્યાવરણ મંજૂરીની પ્રક્રિયા હોય, તમામ અધૂરાશો પૂર્ણ કરવા છતાં પણ માઇનિંગ એકમો પૂર્ણ લીઝ મંજૂરી નથી મેળવી શકતા. ઓક્શન પદ્ધતિ જટિલ છે અને બ્લોક નક્કી કરવા, ભાવ નક્કી કરવા સહિત લાંબી પ્રક્રિયા છે, પણ સરકારી તંત્ર તરફથી ઝડપ નથી થતી. પર્યાવરણ મંજૂરી માટે જાહેર સુનાવણી આવશ્યક બની છે, પરંતુ 300 અરજીઓ પડતર છે એ સામે માંડ 7થી 8 સુનાવણી થઇ ચૂકી છે. આમ, કોરોનાકાળમાં બંધ ઉત્પાદન વચ્ચે કર્મચારીઓને પગાર આપીને માંડ ટકી રહેલા ખાણકામ ક્ષેત્ર પર નવા આવેલા ઇંધણ ભાવ અને લીઝ મંજૂરીના પ્રશ્નએ અસ્તિત્વનો સવાલ ઊભો કરી દીધો છે. જો કે, સરકારે હવે એજન્સીઓ નીમીને પ્રક્રિયામાં ઝડપનો પ્રયાસ કર્યો છે. એની સફળતા પર હજારોની રોજીરોટીનો અને કચ્છના માઇનિંગ ક્ષેત્રના વિકાસનો આધાર છે. 
`ડીઝલનો તો પ્રશ્ન છે જ, પણ માઈનિંગ સેક્ટરનો મુખ્ય પ્રશ્ન અત્યારે લીઝની મંજૂરીમાં અસહ્ય વિલંબનો છે અને લાંબા સમયથી પડતર છે. સરકારમાં વારંવાર રજૂઆતોનું કોઈ પરિણામ નથી મળતું' એમ કહેવું છે કચ્છ જિલ્લા ચાઈનાક્લે ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવાણીનું. તેમણે કહ્યંy કે, લીઝ માટે ઓક્શન (હરાજી) પદ્ધતિ અમલમાં આવી ત્યારથી મુશ્કેલીઓ શરૂ થઈ છે, જેનો અંત નથી આવ્યો. અમારી માગણી છે કે, કમસેકમ પ હેક્ટરથી ઓછી જમીન હોય અને ખાનગી માલિકીની હોય, તો સરકારે મૂળ માલિકને પ્રાથમિકતા આપી મંજૂરી આપી દેવી જોઈએ. બીજું, જે લોકો મોટી મૂડી રોકીને પ્રોસેસિંગ પ્રોજેક્ટ લગાડી ચૂક્યા છે, તેમને કાચા માલમાં પડતી મુશ્કેલી દૂર કરવા માલિકીની જમીન ઉપલબ્ધ હોય તો તાત્કાલિક આવા પ્લાન્ટ માટે કેપ્ટિવ લીઝ મંજૂરી આપી દેવી જોઈએ. 
શ્રી ભાવાણીએ ઉમેર્યું કે ઓક્શન પદ્ધતિમાં ગોકળગાયની ગતિ છે. પ્રોસેસ કરવા માટે જે ગુણવત્તાયુક્ત કાચો માલ જોઈએ તેની અછત છે. નવી લીઝ ઝડપથી મંજૂર કરવામાં આવે તો નવી પેઢીને રોજી-રોટી મળે અને સરકારને આવક થાય. અત્યારે સરકાર ખુદ રોયલ્ટી, જીએસટીની આવક ગુમાવે છે. કચ્છનો દાખલો લેવામાં આવે તો ચાઈનાક્લેમાં જ 250થી 300 જેટલા એકમ છે અને અડધાથી વધુ બંધ જેવી સ્થિતિમાં પડયા છે. લીઝ માટે પર્યાવરણ સહિતની મંજૂરીમાં ઝડપ કરાય તો કચ્છમાં માઈનિંગ ઉદ્યોગના વિકાસની ઘણી સંભાવાના હોવાની-ભૂતળમાં ભંડારની વાત જાણીતી છે. ડીઝલના ભાવને કારણે મુશ્કેલીની સ્થિતિ આવી જ છે, પરંતુ અત્યારે ભાવ ઓછા થયા અને વધુ ઓછા થવા જોઈએ, પણ અંતે ભાવવધારાથી ખરીદનારા પર ભારી થશે, પરંતુ અત્યારે મુખ્ય પ્રશ્ન ખાણકામ સાવ જ ઠપ થઈ ગયુંનો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે કચ્છમાં ચાઈનાક્લેની એવી એકાદ લીઝ માંડ મંજૂર કરી છે, જેની પર્યાવરણીય મંજૂરી સાથે કરાર પણ થઈ ચૂક્યા હોય. 

No comments:

Post a Comment