Tuesday, 31 May 2022

Inflation in medicine also, government in try to control, but it's important to be realty.

દવામાં પણ મોંઘવારી

 સસ્તી કરવા સરકારનો વ્યાયામ 

વાસ્તવિકતા બને તો કામનું

 ઙ કેન્દ્ર સરકાર દ્વારા દવાની કિંમતો ઘટાડવા નફાના માર્જિનને નિયંત્રિત કરવાનો પ્રયાસ

ઙ બ્રાન્ડેડ દવાઓમાં વધુ ડિસ્કાઉન્ટ-કમિશનની લાલચ દર્દીઓને મોંઘી દવા માટે મજબૂર કરે છે

 

તમે તબીબ પાસે જાવ, કન્સલ્ટેશન ફી 100થી 500 રૂા. થાય અને દવા, ક્રીમ વિગેરે 500થી 1000 રૂા. વચ્ચે થાય. તો આ તો સામાન્ય બીમારીની વાત છે. મોટી બીમારીની વાત તો જવા જ દ્યો. હજારોમાં દવાનાં બિલ આવે છે. કમિશનખોરીયે હવે તો જાણીતી વાત બની ગઈ છે. મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કે દવાના હોલસેલર - રિટેલર મિત્રો છાનેછપને કબૂલેય છે. એમ કહેવાય છે કે દવાના ધંધામાં માર્જિન (નફાનો ગાળો) સૌથી સારો જ નહીં, નિરંકુશ છે. કોઈ દવામાં માત્ર દસ ટકા તો કયાંક 500 ટકાનો નફો છે. એની પાછળ બ્રાન્ડેડ દવા કંપની દ્વારા અપાતી લાલચ જવાબદાર છે, પણ ગત અઠવાડિયામાં એવા પ્રયાસ થયા છે કે દવા સસ્તી બનવાની આશા બંધાઈ છે. આમ તો, સરકાર લાંબા સમયથી પ્રયાસો કરે છે, પરંતુ તાજેતરની બેઠકમાં બધાં સંબંધિત સંગઠન હાજર રહ્યાં અને હકારાત્મક વાત કરી છે. વ્યાયામ ઘણો થયો છે, પરંતુ એ વાસ્તવિકતામાં પરિણમે તેવી આશા છે.

ફાર્મા સેક્ટરના અલગ અલગ પક્ષકારો સાથે મળીને દવાઓની કિંમત ઘટાડવાની કોઈ યોગ્ય યોજના ઘડી કાઢવાનો સરકારનો ઉદ્દેશ છે અને આ સંદર્ભે ગત અઠવાડિયે બેઠક મળી હતી. કેન્દ્ર સરકાર દવાઓની કિંમત ઘટાડવા ટ્રેડ માર્જિન રેશનલાઈઝેશન (ટીએમઆર-નફાનો ગાળો તર્કસંગત)ની પદ્ધતિ ઘડવા માગે છે. અનુસૂચિત-નિશ્ચિત યાદીવાળી દવાઓ પર ભાવનિયંત્રણ ધરાવતી અને બાકીની દવાઓનાં ભાવ પર નજર રાખતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ્સ એલાયન્સ, દેશના 9.4 લાખ કેમિસ્ટનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (એઆઈઓસીડી) ઓફ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્ક, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ ફાર્માસ્યુટિકલ પ્રોડયુસર્સ ઓફ ઈન્ડિયા જોડાયા હતા, જેમાં એઆઈઓસીડીએએ નેશનલ પ્રાઈસિંગ ઓથોરિટીને એવું સૂચન કર્યું કે, હોલસેલ વ્યાપારી માટે પ્રાઈસ ટુ રિટેલર (પીટીઆર)માં દસ ટકા અને છૂટક વેપારીઓ માટે દવાની એમઆરપીમાં 20 ટકા ટ્રેડ માર્જિન રાખવામાં આવે. કેન્સરની 42 દવા અત્યારે પ્રાઈસિંગ ઓથોરિટીનાં નિયંત્રણમાં છે અને તેમાં વધુમાં વધુ 30 ટકા માર્જિનનું નિયંત્રણ છે. આવી જ રીતે યાદીમાં સમાવિષ્ટ અને ન સમાવાયેલી દવાઓ પર પણ નફાનો ગાળો નિયંત્રિત શા માટે ન થાય? દરેક દવા લેનારી વ્યક્તિ આવશ્યક ધારા હેઠળ જ ગણાવી જોઈએ. એમાં પાછું કેન્દ્ર સરકાર પાંચથી 25 ટકા સુધીમાં જીએસટીના નાણાં વસૂલે છે.

અત્યારે પેટ્રોલ-ડીઝલ, તેલ, અને અન્ય ચીજોના વધેલા ભાવ દેખાય છે અને તેની ચર્ચા બહુ થાય છે, પરંતુ રોજબરોજ વપરાતી જીવનાવશ્યક બીપી અને ડાયાબિટીસ જેવી દવાઓના ભાવમાં પણ કેટલો વધારો થયો છે એ જોવાની જરૂર છે. 27 ટકા સુધીની કિંમત વધી છે અને ચીન અને સિંગાપુરથી કાચો માલ ન મળતો હોવાનું કારણ દવા ઉત્પાદકોએ આગળ ધર્યું છે.

જેનેરિક દવાઓ ભલે સસ્તી હોય, પણ નફા માર્જિન તો એનાં પણ અનિયંત્રિત છે. ખુદ ઓર્ગેનાઈઝેશને આ બેઠકમાં કહ્યંy હતું કે, જેનેરિક દવાઓ માટે સ્પષ્ટ વ્યાખ્યા થવી જોઈએ, જેમાં જથ્થાબંધ વિક્રેતા માટે એનઆરપીના 15 ટકા અને છૂટક દુકાનદાર માટે 35 ટકા નક્કી થાય. જો નફાનો ગાળો નિશ્ચિત  હોય તો કંપનીઓ દ્વારા વધુ નફો-કમિશન આપવાની લાલચ આપીને કોઈનેય દવા વેચવા મજબૂર ન કરે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે, કંપનીનાં વેચાણનાં લક્ષ્ય પૂરાં કરવા માટે બધા લાલચમાં આવીને દર્દીઓને મોંઘી દવા માટે મજબૂર કરે છે. એ માંદગી સમયે હંમેશાં દર્દીનાં સગાં એવી સ્થિતિમાં હોય છે કે, આવી બાબતોમાં સમજતા હોવા છતાં કોઈ દલીલ કરી શકતા નથી. 

ખુદ એઆઈઓસીડીના મહામંત્રી રાજીવ સિંઘલે કહ્યું હતું કે, `તર્કસંગત વ્યાપાર ગાળામાં સ્ટોક્સ્ટિનું માર્જિન પણ આવે છે, પરંતુ ડ્રગ્સ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં સત્તાવાર સ્ટોકિસ્ટની વ્યાખ્યા નબળી કરવામાં આવી છે, જે ફરીથી નક્કી થવી જોઈએ.' અત્યારે ખાસ કરીને બ્રાન્ડેડ દવાઓમાં વધુ ડિસ્કાઉન્ટ-કમિશનની લાલચે અનૈતિક હરીફાઈ થઈ ગઈ છે, જે આ ક્ષેત્રમાં તો ન ચાલે. આનો ઉપાય સરકાર દવા ભાવના નિયંત્રણમાં કરે એ જ એક માર્ગ છે. સરકાર અત્યારે જ જાગૃત બની એવું નથી. લાંબા સમયથી પ્રયાસ ચાલુ છે. અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસિટયુકલ્સે નીતિ આયોગને સૂચિત યાદી વિનાની દવાઓના પણ મહત્તમ 43 ટકા માર્જિન રાખવાનું સૂચન કર્યું હતું, પણ તે હજુ કેન્સરની દવાઓ પર જ લાગુ પડી શક્યું છે. ભલે, 2થી 5 રૂપિયાની કિંમતની એક ગોળી પર ટ્રેડમાર્જિન નિશ્ચિત ન કરાય, પણ અતિ મોંઘી દવાઓના તો નિરંકુશ ભાવો અટકવા જ જોઈએ.

બીજું, ધન્વંતરિ સ્ટોર, જન ઔષધિ કેન્દ્ર વિગેરેની સરકાર જાહેરાતો અને પ્રચાર-પ્રસાર કરે છે, પરંતુ સરકારી તબીબો દ્વારા બ્રાન્ડેડ દવાઓ લખવાની ફરિયાદ તો આવે જ છે. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે, ખાસ કિસ્સા સિવાય કે જવલ્લે જ  સરકારી કેન્દ્ર સિવાય બહારથી ખરીદવી પડતી બ્રાન્ડેડ દવા લખવી, પણ સરકારી હોસ્પિટલની આસપાસ ખાનગી દુકાનોમાં તો દર્દીઓને જવું જ પડે છે.

સમગ્રતયા સરકારની કોશિશ સારી છે. બધા હિતધારકોને સાથે રાખીને દવા સસ્તી કરવી. દવા સસ્તી થશે તો સારવાર સસ્તી થશે. સામાન્ય માનવીને કંઈક રાહત થશે, પરંતુ આ પ્રયાસ સફળ થવો જોઈએ. 

Tuesday, 17 May 2022

Tax evasion will be curbed on the basis of Aadhaar card and PAN card...

બે કાર્ડના `આધારે' કાળાં નાણાં 

પર હવે આઈટીની `પૈની' નજર

 26 મેથી અમલી બનતા એક વર્ષમાં 20 લાખના વ્યવહાર પર 
પાન - આધાર કાર્ડના નવા નિયમથી કરચોરો સરળતાથી પકડાઈ શકશે


અર્થતંત્રમાં ફરતાં કાળાં નાણાંને અંકુશમાં લેવાનો કેન્દ્ર સરકાર લાંબા સમયથી સજ્જડ પ્રયાસ કરી જ રહી છે અને એક પછી એક કડક પગલાંની જાહેરાત થાય છે, પરંતુ ઘણા ટેક્સચોરો નીતનવા નુસખા કરીને હજુ છટકી જવામાં સફળ જ રહે છે. નોટબંધીનું પગલું એ કાળાં નાણાં પર અને આતંકીઓ દ્વારા ત્રાસવાદ ફેલાવવા માટે વપરાતી નકલી નોટ અને કાળાં નાણાં પર અંકુશ માટે જ હતું અને એમાં કાળાં નાણાંવાળા ધારકોએ નાનાવર્ગને લાઈનોમાં ઊભાડી કે બીજા નુસખાથી મોટે ભાગે રોકડ કરી લીધી, પરંતુ સિસ્ટમની નજરમાં રોકડ આવી ગઈ, એ લાભ થયો. અત્યારે રોકડમાં 50,000 કે તેથી વધુ રકમ બેંકમાં જમા કરવા માટે પાન કાર્ડ મગાય છે, પરંતુ ગત મંગળવારે સીબીડીટી (કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ)એ નવું જાહેરનામું બહાર પાડીને ટેક્સચોરો અને કાળાં નાણાં પર `બાજ'નજર રાખવા માટે એક નવું કડક પગલું લીધું છે. જે હાલની ખામીઓ અને છટકબારીઓને દૂર કરશે તેમજ આવકવેરા તંત્રને આવા કરચોરોને પકડવામાં સરળતા કરશે. આવકથી વધુ કમાતા અને રોકડમાં વ્યવહાર કરનારાઓને ચેતવતો આ બદલાવ આવ્યો છે.

આમ તો, બેંક ખાતું ખોલવામાં પાન કાર્ડ માગવામાં આવે છે અને ધીરેધીરે મોટાભાગના ખાતાધારકોના પાન કાર્ડ - આધાર કાર્ડ લિન્ક પણ થઈ ચુક્યા છે, પરંતુ હવે કો-ઓપરેટિવ - સહકારી બેંકો અને પોસ્ટ ઓફિસમાં ખાતાં ખોલવાં કે બેંકોમાં ચાલુ ખાતું કે કેશ ક્રેડિટ ખાતું ખોલવામાં પાન કાર્ડ, આધાર કાર્ડ ફરજિયાત બનાવી દેવાયા છે ને વળી હવે તમારી રોકડ કોઈ પણ સ્થાને હોય આ કાર્ડના આધારે પકડી શકાશે.

સીબીડીટીનો નવો નિયમ આગામી 26મી મે, 2022થી જ અમલી બની જશે. એમાં મહત્ત્વના સુધારા મુજબ કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખથી વધુની રોકડ કે ચેક દ્વારા બેંક, સહકારી બેંક કે પોસ્ટ ઓફિસ ક્યાંય પણ, જમા કે ઉપાડ કે થાપણ કરશે તો એ માટે આવકવેરા  તંત્ર દ્વારા અપાતો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન કાર્ડ) ફરજિયાત બનશે.

અત્યારે એક દિવસમાં એક જ બેંકમાં 50,000 જમા કરવાની મર્યાદા છે, વધુ જમા કરવા હોય તો પાન નંબર આપવો ફરજિયાત છે, ઉપાડમાં કોઈ રકમ મર્યાદા નહોતી. એમાં જો દૈનિક 40,000ની રકમ જમા કરવામાં આવે તોય વર્ષ પૂરું થાય તે પહેલાં જ 1 કરોડથી ઉપરની રકમ બેંકમાં નાખી દેવાનું શક્ય હતું. વળી, કોઈ પાન કાર્ડ કઢાવે નહીં, એવુંય બને કે, પાન કાર્ડ વિનાના સગાંસંબંધીનાં ખાતાંનો ગેરઉપયોગ પણ થાય, હવે કોઈ પણ સ્થાનનું ખાતું હોય, બધા મળીને કુલ વ્યવહાર 20 લાખથી વધુ થયો તો સીધો રિપોર્ટ થશે. બેંક પણ અહીં જવાબદાર ગણવામાં આવી છે. હવે માત્ર જમા નહીં, 20 લાખથી વધુનો ઉપાડ થયો તોય પાન કાર્ડ કે આધાર કાર્ડ રજૂ કરવો પડશે. જેમણે અગાઉ બેંકમાં કાર્ડ?રજૂ કરેલા છે, છતાં પણ મર્યાદાથી વધુના વ્યવહાર પર આ કાર્ડ?આપવા પડશે. નવા નિયમમાં બેંકો, પોસ્ટ ઓફિસને બાધ્ય કરવામાં આવી છે. સહકારી બેંકો પણ હવે ઢીલું નહીં ચલાવી શકે. તેઓએ ખાતરી આપવી પડશે કે, પેન - આધાર કાર્ડ લીધા છે કે નહીં, અત્યાર સુધી ક્યાંક ખાનગી બેંકોમાં ચાલતું કે, `પછી કાર્ડ આપશો તો ચાલશે' પણ હવે નહીં ચાલે. વધુ વ્યવહારવાળાં ખાતાંનો આવકવેરા તંત્રને રિપોર્ટ થઈ જશે. રજૂ કરાયેલા કાર્ડ?પણ ઉચ્ચ અધિકારીઓ અધિકૃત કરશે.

આ ઉપરાંત નવા ડેબિટ, ક્રેડિટ કાર્ડ, મર્યાદાથી વધુ મ્યુચ્યુઅલ ફંડમાં ચૂકવણી, બેંક ડ્રાફ્ટ, બેંક ડિપોઝિટ, વીમો, વાહન લે - વેચમાં પાન કે આધાર (બાયોમેટ્રિક ઓળખ) ફરજિયાત કરી દેવાયા છે. પાન કાર્ડ?નહીં હોય અને 20 લાખથી વ્યવહાર ઉપર થઈ ગયા તો, એવા વ્યવહારથી 7 દિવસ પહેલાં પાન કાર્ડની અરજી કરવી પડશે. અત્યાર સુધી પાન કાર્ડ નથી એમ કહીને છૂટી જવાતું હતું, હવે આધાર કાર્ડ તો આપવો જ પડશે. ટૂંકમાં, ગેરફાયદો ઉઠાવાતો હોવાનું સરકારની જાણમાં છે અને અમર્યાદિત રોકડ પર અંકુશ લગાડવા માગે છે. જેની પગાર કે વેપારની આવક નથી કે આવકવેરા રિટર્ન પણ ભરતા નથી એવા લોકોના લાખોના વ્યવહાર કેમ થાય છે ? આ બાબતને પકડવામાં આ મહત્ત્વનો નિર્ણય છે. આ પગલાંથી પારદર્શિતા વધશે. સરકારને રોકડ લેવડદેવડ પર નજર રાખવામાં મદદ થશે. વધુને વધુ લોકો ટેક્સની જાળમાં આવશે. આવકથી વધુ સંપત્તિવાળા નહીં બચે એવી નવી અપેક્ષા ઊભી થઈ છે. 

 

હવે નવા નિયમ શું ?

0 એક નાણાકીય વર્ષમાં એક કે તેથી વધુ બેંક ખાતાં કે પોસ્ટ ઓફિસમાં કુલ 20 લાખથી વધુના રોકડની ઉપાડ કે જમાનો વ્યવહારમાં પેન કે આધાર કાર્ડ ફરજિયાત, જેમાં તમામ બેંક ખાતાં, સહકારી બેંકો, પોસ્ટ ઓફિસનાં ખાતાંના તમામ વ્યવહારની કુલ ગણતરી થશે, ડિપોઝિટ પર પણ લાગુ.

0 રજૂ કરાયેલા આધાર -પાનની જાણકારી નિર્દિષ્ટ ઉચ્ચ અધિકારી દ્વારા અધિકૃત વ્યક્તિ સમક્ષ રજૂ થશે. અધિકૃત અધિકારીઓ તેને પ્રમાણિત કરશે.

0 જે દિવસે મર્યાદાથી વધુ નાણાં વ્યવહાર કરવો હોય તે પહેલાંના 7 દિવસ અગાઉ પાન કાર્ડ માટે અરજી કરેલી હોવી જોઈએ.

0 એક દિવસમાં રૂા. 50,000થી વધુની રકમ જમા કરવા પર પેન કાર્ડની આવશ્યકતા યથાવત. ચાલુ ખાતું કે કેસ ક્રેડિટ ખાતું ખોલવામાં પણ પાન કાર્ડ ફરજિયાત છે. 

Main Article in special Education supplement of KUTCHMITRA.