કેન્દ્રીય બજેટ -૨૦૨૧ની ૨૧ અપેક્ષાઓ.
કેન્દ્રીય બજેટને
હવે માત્ર અઠવાડિયાનો સમય રહ્યો છે. મહામારીનું વર્ષ છે, અર્થતંત્રમાં પડકાર છે
લાંબા સમયથી ચર્ચા છે એમ આ વખતના બજેટમાં બહુ 'મેળવવાની' લેવાની અપેક્ષા નહીં રહે,
કંઈક 'આપવું' પડશે. કોરોનાનાં લીધે જે ક્ષેત્ર પર સૌથી વધુ અસર પહોંચી છે, દેખીતી
રીતે તેના પર જ બજેટનું ધ્યાન કેન્દ્રિત રહેશે. નાણામંત્રીએ થોડા સમય પહેલાં જ
અપેક્ષા વ્યક્ત કરી હતી તેમ બજેટ સો વર્ષમાં ન આવ્યું તેવું અભૂતપૂર્વ રહેશે.
પડકારજનક સ્થિતિમાં તેવો તેમના ઈરાદામાં કેટલા ખરા ઉતરે છે એ તો આવનારો સમય જ
કહેશે. પણ એટલું નક્કી છે કે, મુશ્કેલીમાં મુકાયેલા અર્થતંત્રની ગતિ આપવાની છે ને
એના માટે નાણાંની જરૂર છે, માંગ વધારવાના ઉપાયની જરૂર છે. મહદ્અંશે આ બજેટમાં
ઈન્ફ્રાસ્ટ્રક્ચર-પાયાની માળખાગત સુવિધા, આરોગ્ય, રોજગાર, નોકરી ગુમાવનારા
યુવાનોને ફરી કેમ આજીવિકા મળે, વ્યવસાયિક તાલીમ, સંરક્ષણ ક્ષેત્રે વધુ ખર્ચ, નવી
હોસ્પિટલ સહીત તબીબી ક્ષેત્ર અને તેમાં નવા સંશોધનમાં રોકાણ કેમ વધે તેના પર ભાર
મુકાય તેવી શક્યતા છે. સમગ્રતયા અર્થતંત્રને કેમ ઉત્તેજન મળે તેવા પ્રયાસો થશે. આ
સિવાય સામાજિક ક્ષેત્રમાં ખર્ચ વધારવા અને ભવિષ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ
કરવાની નવી દરખાસ્તો પણ જાહેર થઇ શકે છે. ૧લી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે, તે પહેલા ૨૦૨૧ના
આ બજેટની મહત્વની ૨૧ અપેક્ષાઓની અહીં ચર્ચા કરી છે.
૧. આવકવેરો-ઉત્સુકતા
ઘણી શક્યતા ઓછી: દર વર્ષે આવકવેરા ક્ષેત્રે શું ફેરફારો આવે છે તેની સૌથી વધુ
આતુરતા રહે છે. પણ આ વર્ષે અર્થતંત્ર પર ખરાબ અસરને જોતા વધુ પડતી અપેક્ષા નથી. અત્યારે ટેક્સ માળખાના
પહેલા સ્લેબની કરીએ તો ૨.૫ થી ૫ લાખ સુધીની આવક પર પાંચ ટકા વેરો છે.
સીધા અને આડકતરા વેરાથી થનારી સરકારની આવક ઘટી છે, એટલે આવકવેરાની છૂટની મર્યાદા
તો વધે એવું લાગતું નથી. પણ ૮૦-સી અંતર્ગત રોકાણની જે મર્યાદા છે એ વધી શકે છે કે હોમલોનમાં
વ્યાજ અને મુદલ બંને પર કરકપાતની મર્યાદા વધી શકે છે.
૨. એમ.એસ.એમ.ઈ.ને
વધુ રાહતની અપેક્ષા: કોરોના મહામારી પછી સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
માટે ક્રેડિટ ગેરંટી યોજના લાવી હતી. ભારતમાં છ કરોડ નાના-મોટા ઉદ્યોગો છે, જેમાં ૯૨
ટકા સૂક્ષ્મ છે અને આ ઉદ્યોગોનું રોજગારીમાં મોટું યોગદાન છે. મહામારી પછી રોજગારી
એ મોટું લક્ષ્ય છે, આવા ઉદ્યોગો માટે આવેલી લોન યોજના બેંકો હજુ બે કરોડ જ મંજૂર
કરી શકી છે, તેથી એમ.એસ.એમ.ઈ માટે નવા કે વધુ રાજકોષીય પ્રોત્સાહન પેકેજની અપેક્ષા
છે.
૩.રેલવેમાં ખાનગી
રોકાણ વધશે : આમ તો, લાંબા સમયથી રેલવેમાં ખાનગી ભાગીદારીની શરૂઆત થઇ ચૂકી છે. આ
વખતે બજેટમાં રોકાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. નવી
સુપરફાસ્ટ ટ્રેનની જાહેરાત થશે, સાથે સાથે યાત્રી સુરક્ષા સંબંધી નવા પગલા લેવાય એવી
અપેક્ષા છે.
૪. ટેક્સ ફ્રી
બોન્ડની જાહેરાતની સંભાવના: બજેટમાં અપેક્ષા રખાય છે એ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અને રોજગારમાં રોકાણ વધારવા પર ધ્યાન અપાશે. પણ એ માટે નાણાં ઉભા કરવા વર્તમાન
ઉપરાંત નવા સ્રોત જોઇશે. લાંબા ગાળાના ઇન્ફ્રા બોન્ડ કે નવા પેન્ડેમિક(મહામારી)
બોન્ડનું એલાન થઈ શકે છે. આ કરમુક્ત બોન્ડમાં ચોક્કસ સમયમર્યાદા માટે રોકાણ પર કરમુક્તિ
મળી શકે. જે કરમુક્તિ ૮૦સી અંતર્ગત મળતી છૂટથી વધારાની અપાય તેવી સંભાવના છે. જોકે
આવા બોન્ડમાં લગભગ ૫ વર્ષનો લોન ઇન સમય રહી શકે છે.
૫. ૮૦સી અંતર્ગત રોકાણની
મર્યાદામાં ફેરફારની આશા : અંદાજપત્રમાં આવકવેરાના સ્લેબમાં સીધી રાહત આપી ફેરફાર થાય
એવી સંભાવના ઓછી મૂકવામાં આવે છે, પણ કરમુક્તિ માટે રોકાણની મર્યાદાને વધારીને,
મોંઘવારીમાં લોકોને રાહત અપાય એવી અપેક્ષા વધુ છે. અત્યારે ૮૦સીસી અંતર્ગત મળતી
કલમ ૮૦સીસી, ૮૦સીસીઇ, અને ૮૦સીસીઈ ડી (૧) હેઠળ એક વર્ષમાં રૂપિયા દોઢ લાખની રકમ
રોકવા સાથે આવકવેરામાથી છૂટ મેળવવાની મર્યાદા છે તેને વધારીને હવે અઢી લાખ કે ત્રણ
લાખ સુધીની કરવામાં આવે તે સંભવ છે.
૬.સિનિયર
સિટીઝનને રાહતની અપેક્ષા : અત્યારે નેશનલ પેન્શન સ્કીમ સહિતની અનેકવિધ યોજનાઓ
દ્વારા વરિષ્ઠ નાગરિકોને એન્યુઇટી એટલે કે નિયમિત પેન્શન મળે છે. હવે આ એન્યુઇટી આવક
પર આવકવેરામાંથી પૂર્ણ છૂટની આશા છે. અત્યારે એકાઉન્ટ બંધ કરવા પર રકમ ઉપાડની ૬૦
ટકા રકમ પર જ ટેક્સ છૂટ છે, બાકીમાં એનપીએસધારક એન્યુઇટી ખરીદે તો એ કરપાત્ર બને
છે. આવા ઉપાડ સમયે સંપૂર્ણ મુક્તિની માગણી હવે સંતોષાઈ શકે છે. એકબાજુ વ્યાજ દર
ઘટી રહ્યા છે, વરિષ્ઠ નાગરિકોની મર્યાદાથી વધારાની પણ વ્યાજ આવક પર કર લગાડવાથી
તેમની પાસે ઘરેલું જરૂરતો માટે રકમ ઓછી બચે છે. હવે આ માંગ સ્વીકારાય કે કોઈ નવી
યોજનાની પણ રાહત આપવામાં આવી તેવી અપેક્ષા છે.
૭. આત્મનિર્ભરતાનું
લક્ષ્ય ; નિકાસને પ્રોત્સાહન-આયાત ડ્યૂટી વધશે: ભારત હવે મેઇક ઇન ઇન્ડિયાના
સૂત્ર સાથે આગળ વધે છે ત્યારે ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે નિકાસ વધારી
આયાત ઘટાડતા પગલાનો આ વર્ષનાં બજેટમાં પડઘો પડશે. ખાસ કરીને સસ્તા શ્રમવાળા ક્ષેત્રોમાં
રોકાણ વધારવામાં આવી શકે છે. નાના ક્ષેત્રોને કરમુક્તિ, રિફંડ કે સબસીડી જાહેર થઈ
શકે. નિકાસ બજાર તેમજ ગ્લોબલ વેલ્યુ ચેઈન ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવી શકે છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહનની યોજનાઓનો પણ સમાવેશ થાય. બીજીબાજુ, આયાતને
ઘટાડવાના પ્રયાસ થશે. ઈમ્પોર્ટ ટેરીફ
સ્ટ્રકચરમાં મોટો બદલાવ જોવા મળે તો નવાઈ નહીં. જેનાં પાર્ટસ આયાત કરી ભારતમાં ચીજ
ઉત્પાદન કરીને નિકાસ કરવામાં આવે છે એવી ચીજો પર ડ્યુટી ઘટાડવામાં આવી શકે પણ જે ફીનીશ્ડ
ગુડ્ઝ-તૈયાર ચીજોની આયાત થાય છે, તેમાં કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. આવું
થશે તો એરકન્ડિશન, ટીવી, ફ્રીજ, સ્માર્ટફોન, ટાયરના ભાવ વધી શકે છે.
૮.આરોગ્ય ક્ષેત્ર બજેટના કેન્દ્રમાં રહેશે: કોરોના મહામારી પછી સ્વાસ્થ્ય વીમાની
અનિવાર્યતા વધી ગઈ છે. આરોગ્ય વીમા પોલિસી પર જીએસટી ઘટે એવી અપેક્ષા છે. બીજું,
કલમ ૮૦સી અંતર્ગત એસી(ડી)ની આવકવેરાની રોકાણ મુક્તિમર્યાદાને સામાન્ય વ્યક્તિ માટે
વધારીને રૂ. ૭૫ હજાર તથા સિનિયર સિટીઝન માટે રૂ. એક લાખ કરવાની આશા છે. બીજીતરફ,
આરોગ્ય આરોગ્ય માળખું સુદ્રઢ કરવા માટે નવી હોસ્પિટલના નિર્માણ માટે કોઈ
પ્રોત્સાહક યોજનાની પણ જાહેરાત થઇ શકે.
૯. ડિસઈન્વેસ્ટમેન્ટ
યોજના : દેખીતું છે કે
કોરોના મહામારીના સમયમાં સરકારનો
ખાસ કરીને આરોગ્ય જેવા ક્ષેત્રમાં ખર્ચ વધ્યો છે. વ્યાપક નાણા ભંડોળની જરૂર વધી છે.
આમ તો, અનેક જાહેર સાહસોમાં ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ૨૦૧૬થી શરૂ કરવામાં આવી
ચુકી છે. પણ છેલ્લા બે વર્ષથી લક્ષ્ય મુજબ સરકાર આગળ નથી વધી શકી. હવે આ પ્રક્રિયા
કેમ ઝડપી કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સંપતિ વેચાશે તો જ નાણા એકત્ર
થઈ શકે. અત્યારે એર ઇન્ડિયા, બીપીસીએલ, શીપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના
ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ છે. હવે તેને ગતિ આપવા આપવા માટે બજેટમાં કોઈ નક્કર
પ્લાન જાહેર થઈ શકે.
૧૦. કિસાન સન્માન
ભંડોળ વધી શકે : લાંબા સમયથી દેશમાં ખેડૂત આંદોલન ચાલે છે, જે હજુ નક્કર સમાધાન સુધી
નથી પહોચ્યું. ખેડૂતો નારાજ છે ત્યારે બજેટમાં એનો પડઘો પડી શકે. અત્યારે ખેડૂતોને
દર ચાર મહિને ૨૦૦૦ રૂપિયા મળે છે, તેને વધારવામાં આવે ને હવે રૂપિયા ૩૦૦૦ મળે તેવી
જાહેરાત થઇ શકે છે. એટલે કે વાર્ષિક ૬૦૦૦થી વધીને ૯૦૦૦ મળી શકે. આ સિવાય ઓછા
વ્યાજની લોનની કોઈ જાહેરાત થાય અથવા દેશમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા
સ્વદેશી કૃષિ સંશોધન, જૈવિક ખેતી માટે વધુ નાણાં અને પ્રોત્સાહન જેવી યોજનાઓની જાહેરાતો
પણ સંભવ છે.
૧૧. 'વિવાદથી
વિશ્વાસ' યોજનાને નવું રૂપ મળી શકે: ટેક્સ વિવાદથી જોડાયેલી લગભગ ૯.૫ લાખ કરોડની રકમ છે.
સરકારને અત્યારે નાના સ્રોત નાણા ઉભા કરવા છે અને આ રકમ મળી જાય તો ઘણે અંશે
સમસ્યા ઉકેલાઈ જાય એમ છે. વિવાદથી વિશ્વાસ યોજના ચાલુ નાણાકીય વર્ષમાં જ લાગુ પડી
પરંતુ તેની પ્રતિક્રિયા નબળી આવી એટલે હવે તેને નવા સ્વરૂપમાં લાવવામાં આવી શકે.
૨૦૧૮-૧૯ના અંતે કુલ વિવાદની રકમ ૯.૫ લાખ કરોડ હતી. એમાં ૪.5 લાખ કરોડ કોર્પોરેટ
ટેક્સના અને ૩.૯૫ લાખ કરોડ આવકવેરા સંબંધી હતા. જોકે ગત નવેમ્બર સુધીમાં આ યોજનાથી
માત્ર ૭૨,૫૦૦ કરોડ જ સરકારને મળી શક્યા. કુલ ૪.૮૯ લાખ કેસ આ યોજના સાથે જોડાયેલા
છે અને રકમ જમા કરવાની અંતિમ તા. ૩૧મી માર્ચ-૨૧ છે. હવે સરકાર કંઈ ફેરફાર કરે તો વધુ પ્રતિભાવ મળે એમ છે.
૧૨.વેપારી વર્ગને
જીએસટીથી આશા: ગુડ એન્ડ સર્વિસ ટેક્સમાં કાપ મુકાય તો કોરોના
મહામારીથી પીડિત વેપારીઓને લાભ મળે એમ છે. વધારામાં ઓછા વ્યાજે લોનની નવી યોજનાઓ
જાહેર થાય એવી વેપારી વર્ગને અપેક્ષા છે. જીએસટી રિફંડની સુવિધા પણ વધુ સરળ
કરવામાં આવે એમ પણ મનાય છે.
૧૩. વધુ બેંકોનાં
સંયોજન: દેશમાં પહેલાં ૨૭ સરકારી બેન્ક હતી, જેનું સંયોજન કરીને અત્યારે ૧૨ કરી
દેવામાં આવી છે. હવે હજુ વધુ ઘટાડવામાં આવે અને આવી જાહેરાત બજેટમાં સમાવાય તો
નવાઈ નહી. સરકારના સંકેત છે એ મુજબ હવે દેશમાં સંખ્યા ઘટાડીને માત્ર ચાર જ બેંકો
સરકારી રાખવામાં આવશે.
૧૪. કોરોના સેસ
આવી શકે: દેશમાં વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. જેના જંગી ખર્ચને કારણે સરકાર નવો સેસ
કે સરચાર્જ લગાડી શકે છે. આર્થિક નબળી આ સ્થિતિમાં સરકાર વધારાનો નવો કોઈ કરવેરો
લગાડે એવી સંભાવના ઓછી છે એટલે શક્યતા છે કે અડધા ટકાનો સરચાર્જ લગાડી દે. થોડા
સમય પહેલા રાજ્યોનાં નાણા મંત્રીઓ સાથેની બેઠક થઈ. એમાં જોકે આવા સેસની વિરુદ્ધમાં
અવાજ ઉઠયો. એટલે એ જોવું મહત્વનું રહેશે કે જીએસટીને વધારી દેવામાં આવે છે કે સેસ.
પણ, શ્રેષ્ઠ અને સરળ વિકલ્પ સેસની વિશેષ સંભાવના છે.
૧૫. સરક્ષણ ખર્ચ
વધશે : એકબાજુ ચીન તેની વિસ્તારવાદી નીતિથી ભારત માટે પડકાર ઊભો કરે છે, તો
બીજીબાજુ પડોશી પાકિસ્તાન ઘૂસણખોરીને સતત ઉત્તેજન આપે છે. સરહદ પરના આ પ્રશ્નોને
લઈને સરકાર સંરક્ષણ ખર્ચમાં ચાલુ વર્ષે ૨ થી ૩ ટકાનો વધારો કરે તો નવાઈ નહિ. આ
સિવાય સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખુ વધુ સુદ્રઢ કરવા માટે વિશિષ્ટ જાહેરાતો
તેમજ સંરક્ષાનમાં ટેકનોલોજી વધારતી જોગવાઈઓ
પણ થઈ શકે છે.
૧૬. રિયલ
એસ્ટેટને ઉત્તેજન આપતા પગલાં: આ ક્ષેત્ર કોરોનાની ગંભીર અસરમાંથી બાકાત નથી.
અત્યારે વ્યાજને કરમુક્તિ તેમજ સસ્તા મકાનોને સબસિડીની યોજના ચાલુ જ છે. પણ તેમાં
વધુ છૂટ મળે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રને માટે બજેટમાં અલગ ફંડ ફાળવી શકે છે કે રીયલ
એસ્ટેટને એક સ્વતંત્ર ઉદ્યોગનો દરજ્જો પણ આપવામાં આવી શકે. ઇન્ટરેસ્ટ સબવેનશન
સ્કીમમાં આવકવેરામાં વધુ છૂટ મળી શકે છે. વ્યાજમાં કપાત મર્યાદા અત્યારની બે લાખથી
વધી શકે તેમજ સીધો ખરીદનારને ફાયદો થાય તેવા સુધારા પણ જાહેર થઈ શકે. એફોર્ડેબલ
હાઉસિંગ ક્ષેત્રમાં મકાનની કિંમતની મર્યાદા વધારીને ૭૫ લાખ સુધીની કરી દેવામાં આવી
શકે છે.
૧૭. વ્હીકલ
સ્ક્રેચ પોલીસી : જૂના વાહનો રોડ પરથી હટી જાય અને પ્રદૂષણનો ફેલાવો પણ અટકે તેવા ઉદ્દેશથી
નવી નીતિ જાહેર થઈ શકે છે. બીજું, અત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ખરીદીથી માંગ
વધારવાનું લક્ષ્ય છે. જુના વાહનો પર પ્રતિબંધની નીતિ છે પણ એ અટકેલી છે અને તેના
પર હવે નક્કર અમલની દિશામાં પગલાં જાહેર થઇ શકે.
૧૮. કોર્પોરેટ
ટેક્સ : ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ સહીત સમગ્ર કોર્પોરેટ ક્ષેત્રની આશા છે કે
તેમનો ટેક્સ વધુ ઘટાડવામાં આવે. કોર્પોરેટ ટેક્સ અગાઉ બજેટમાં ૧૦ ટકા ઘટાડવામાં
આવી ચૂકયો છે. કંપનીના નફામાં કોરોના મહામારી પછીના લોકડાઉનનાં કારણે ઘટાડો થયો છે ત્યારે તેમને વિશેષ રાહતની અપેક્ષા
છે.
૧૯. ડિવિડન્ડ
ડિસ્ટ્રિબ્યુશન ટેકસ અને સોવેર્જીન ગોલ્ડ બોન્ડ યોજના : ડીડી ટેક્સમાં અનેક સુધારા
કરવાની જરૂર છે. કલમ ૨૪૩ અંતર્ગત કોઈ કરદાતા એડવાન્સ ટેક્સ ભરવાનું ચૂકી જાય છે કે
કરપાત્ર રકમથી ઓછી ચૂકવણી કરે છે. તો તેના પર વ્યાજનું ભારણ લગાડવામાં આવે છે. આ
લાંબા સમયની સુધારાની માગણી છે. ઉપરાંત સોવેર્જીન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત
કેપિટલ ગેઇન્સને કરમુક્તિ મળે એવી માગણી સંતોષાય એવી અપેક્ષા છે.
૨૦. આઇટી સાધનોનાં
નવનિર્માણને ઉત્તેજન: માહિતી ટેકનોલોજી અને હાર્ડવેર ક્ષેત્રને પ્રોત્સાહન માટે
પીએલઆઈ યોજના અંતર્ગત ફાળવણી કરવામાં આવી શકે છે. પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ,
ટેબલેટ, સર્વર જેવી ચીજના ઉત્પાદન નિર્માણમાં ઉત્તેજન આપતી યોજનાથી ભારતના મેક ઇન ઇન્ડિયાના લક્ષ્યો
હાંસિલ થાય એમ છે.
૨૧. 'વર્ક ફ્રોમ
હોમ'ને પ્રોત્સાહન : બજેટની કેટલીક જાહેરાતોથી કર્મચારીઓને લાભ મળી શકે છે. જે
કંપનીઓ કર્મચારીઓ પાસેથી તેમના ઘરેથી કામ કરાવે છે, તેમનો ખર્ચ બચે છે. કોરોના
મહામારીમાં આ વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ બહું ચાલ્યો. કંપનીઓને આ બાબતે પ્રોત્સાહન
આપતી યોજનાની જાહેરાત થઈ શકે છે. જે કંપની તેમના બચેલા ખર્ચનો લાભ કર્મચારીઓને
આપશે તેમણે કરમુક્તિ મળે એવું જાહેર થઈ શકે. કર્મચારીઓને હાથમાં વધુ નાણાં જશે તો
તો દેખીતી રીતે માંગ વધશે.
No comments:
Post a Comment