ન્યૂઝ ઇન્સાઇટ. દિવ્યેશ વૈદ્ય
ઓક્સિજન મોરચે ચોમેર જંગ
એવું નથી કે ભારત ઓક્સિજન ઉત્પાદનમાં પાછળ છે, ઉત્પાદન વધારવા સહિતનાં પગલાં પણ લેવાયા છે, પણ, બેહદ ઝડપી આવેલા કોરોના કેસોના આ ઉછાળા વચ્ચે સ્થિતિ નિરંકુશ બની ગઇ છે. બીજી લહેરમાં જેની માંગ નવ ગણી થઈ ચૂકી છે એ પ્રાણવાયુ માટેની લડાઇમા શું નડે છે પ્રશ્નો ?
કોરોના મહામારીની બીજી લહેર શરૂ થઈ અને જાણે નિશ્ચિંત બની ગયેલા લોકો, ચૂંટણી અને કાર્યક્રમોમાં પડી ગયેલા પક્ષો, સરકાર બધાને ઊંઘતા ઝડપી લીધા. કેસોની સંખ્યા એટલી ઝડપે વધી કે દવા, પથારી, ઓક્સિજનની થોડા દિવસમાં જ તંગી ઊભી થઈ ગઈ. આ લહેરમાં દર્દીઓને જેની સૌથી વધુ આવશ્યકતા ઊભી થાય છે
એ ઓક્સિજનના દેશમાં ઉત્પાદનના આંકડામાં તો સરકાર કહે છે કે દૈનિક માંગ કરતાં જથ્થો
વધુ છે. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા જાય તો સાચી ખબર પડે. ઓક્સિજનવાળા બેડ ખાલી નથી. આમ કેમ થાય છે ?
એવું નથી કે આપણો દેશ ઓક્સિજનના ઉત્પાદનમાં પછાત છે, બલ્કે, અગ્રણી દેશમાં ગણાય
છે. હવે તો ઔદ્યોગિક
નહીં, (આવશ્યક નવ ક્ષેત્ર સિવાય )માત્ર મેડિકલ માટેનું જ ઓક્સિજનનું ઉત્પાદન કરવાની સૂચના
છે. સરકાર અનેક મોરચે લડે છે. તાત્કાલિક મોટી ફેક્ટરી નાખી ઉત્પાદન કરવું શક્ય ન હોય, એટલે વિદેશથી સીધા પચાસ હજાર મેટ્રિક ટનની આયાત કરાશે. પણ સમસ્યા નડે છે તેના પરિવહનમાં, સિલિન્ડરની અછતમાં, સંઘરાખોરીમાં, નફાખોરીમાં, રાજ્યો દ્વારા પોતાના જથ્થા પર હક્ક જતાવવાની વૃત્તિમાં, રાજકારણની દખલમાં. પરિવહન માટેના
ખાસ પ્રકારના ટેન્કર ઓછા છે, હવે ટ્રેનથી પરિવહન શરૂ થઈ ગયું છે. આશા રાખીએ કે સ્થિતિ જલ્દી થાળે પડી જાય. અત્યારની આ નિરંકુશ સ્થિતિ વચ્ચે આ સમસ્યાની ભીતર જતો
લેખ અહીં રજુ કર્યો છે.
ઉત્પાદન વધ્યું પણ માંગ નવ ગણી વધી
ભારત મેડિકલ ઓક્સિજન ક્ષેત્રમાં આગળ પડતો દેશ છે અને મોટે ભાગે ઓદ્યોગિક ઉત્પાદન
માટેના ગેસની નિકાસ પણ કરે છે. પણ, ભારતના કુલ ઓક્સિજન ઉત્પાદનમાં ૧૫ ટકા હિસ્સો જ મેડિકલ
ઓક્સિજનનો છે, જેની અત્યારે
દર્દીઓને તંગી પડી રહી છે. બાકી લોખડં, કાર ઉદ્યોગ માટે ઉત્પાદિત થાય છે.
થયું એવું કે કોરોનાની બીજી લહેરમાં કેસોનો
ઉછાળો એટલો ઝડપી આવ્યો કે તમામ અધૂરાશો ખુલ્લી પડી ગઈ. આ એલએમઓ (લિક્વિડ મેડિકલ ઓક્સિજન)ની કોવિડના સમય
પહેલાં સરેરાશ દૈનિક ૭૦૦ મેટ્રિક ટનની માંગ હતી. ૨૦૨૧ના આરંભે મહામારીની પહેલી લહેર આવી ત્યારે દેશમાં
ઓક્સિજનની માંગ વધી હતી પણ અત્યારના દર્દીઓ જેટલી નહોતી. ૨૦૨૧ના મધ્યમાં માંગ વધીને ૨૮૦૦ મેટ્રિક ટન થઇ ગઇ, પણ હવે આજે એ કોવિડ પહેલાનાં સમયની સરખામણીએ નવ ગણી વધી
ગઈ છે અને હજુ માંગ વધી રહી છે.
સામે તરફ આ મહાજંગનો સામનો કરવા દેશમાં ૧૦થી ૧૨ મોટી કંપની અને પાંચસો જેટલી નાની
કંપની છે. જે હવામાંથી ઓક્સિજન નિર્માણ પ્રક્રિયાથી ઉત્પાદન કરે
છે. સૌથી વધુ મહારાષ્ટ્ર-ગુજરાત, આંધ્ર, ઝારખંડ રાજ્ય ઉત્પાદન કરે છે. સરકારે પહેલાં ૭૦ ટકા અને હવે સો ટકા માત્ર મેડિકલ માટેના
તરલ ઓક્સિજનને જ આવા પ્લાન્ટમાંથી ઉત્પાદિત
કરવાનો નિર્ણય લીધો. નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક ઉત્પાદન બંધ થયું. હવે સ્થિતિ
કાબૂમાં આવી જાય એમ સામાન્ય ગણતરી કરતાં લાગે છે પરંતુ સામે માંગ સતત વધે છે અને પુરવઠો
પહોંચાડવાનો પડકાર ઉભો થયો છે.
કેટલે પહોંચ્યું ઉત્પાદનનું પ્રમાણ ?
બુધવારે નીતિ આયોગના સચિવ (સ્વાસ્થ્ય) ડો. વી. કે. પોલે કહ્યું કે, દેશની દૈનિક ૭૫૦૦ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા છે. જેમાંથી ૬૬૦૦ મેટ્રિક ટન મેડિકલ હેતુ માટે વપરાશ કરવામાં
આવે છે. માત્ર અતિ આવશ્યક નવ ઉદ્યોગોને ઓક્સિજન અપાય છે. જ્યારે ગુરુવારે સાંજે વડાપ્રધાનની સમીક્ષાની બેઠકમાં
ઓક્સિજનની તંગી મુખ્ય મુદ્દો રહ્યો અને એમણે રાજ્યોને ઝડપી પુરવઠો પહોંચાડવા પર ભાર
મૂકતા કહ્યું કે, અત્યારે ૨૦ રાજ્યોને દૈનિક ૬૮૨૨ મેટ્રિક ટન ઓક્સિજન અપાઈ
રહ્યો છે, જેની સામે માંગ ૬૭૮૫ની છે. છેલ્લા થોડા દિવસોમાં જ ૩૩૦૦ મેટ્રિક ટનની
માંગ વધી છે. આ રીતે નવ ગણી માંગ થઈ ગઈ છે. આમ, પ્રશ્ન પુરવઠો પહોંચાડવાનો ઉભો થાય છે. આવા સમયે પણ જમાખોરી થાય છે. આવા કાળાબજારિયા પર તંત્રને તૂટી પડવાનો સમય છે.
સિલિન્ડર-ટેન્કર અને રાજકારણ
સરકારી આંકડા મુજબ માંગથી ઉત્પાદન વધુ તો સમસ્યા ક્યાં આવે છે ? પ્રશ્ન ઓક્સિજનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. પ્રવાહી ઓક્સિજનને નિશ્ચિત તાપમાનમાં ખાસ પ્રકારના ટેન્કરથી
પહોંચાડાય છે, આ ક્રાયોજેનિક ટેન્કર કે જેને 'કેપ્સૂલ ટેન્કર' તરીકે પણ ઓળખવામા આવે છે, તેની સંખ્યા દેશમાં ૧૫૦૦ આસપાસ છે. વધુ ઉત્પાદન કરવા પણ રાજ્યોમાંથી તેને માંગ મુજબ પહોંચાડવામાં
આવે છે, પરંતુ ટ્રકો ક્યાંક ફસાઇ જવાના કે રોકવાના પ્રયાસો થયા
છે. પોતાના રાજ્યમાંથી બહાર જતી ઓક્સિજનની ટ્રકોને રોકાઈ અને
તેમાં રાજકીય મનોવૃત્તિ કામ કરી ગઈ. દિલ્હીની હોસ્પિટલે પહોંચવા જોઈતા ટેન્કર
ઉત્તરપ્રદેશ, હરિયાણામાં રોકવાની ઘટના બાદ દિલ્હી સરકાર હાઇકોર્ટમાં
ગયાનો દાખલો તાજો જ છે. જોકે એ પછી હવે ઓક્સિજન પરિવહન અને પુરવઠા નિયંત્રણ પીએમઓ હેઠળની કમિટી દ્વારા
થાય છે. બીજીબાજુ, હવે ટ્રક ઉપરાંત ટ્રેન દ્વારા ઑક્સિજન પહોંચાડાઇ રહ્યો છે.
કંટ્રોલ કમોડિટીમાં નાખવાની જરૂર:
ભાવ વધુ પડાવવાની ઘટના
અત્યાર સુધી દેશમાં પુરતો પુરવઠો ન હોવાને કારણે જરૂર નહોતી પડી પણ હવે તંગી ઉભી
થઇ છે ત્યારે ઑક્સિજનને કંટ્રોલ કોમોડિટીમાં નાખવાની આવશ્યકતા ઉભી થઇ છે. બીજીતરફ, ભાવ પણ અનિયંત્રિત બન્યા છે. સૌથી નાનો માપદંડ એવા ૭ ક્યુએમના સિલિન્ડરની કિંમત ૧૫૦ રૂપિયાના બદલે ૪૦૦ રૂપિયા લેવાઈ રહી છે. ભલે, સત્તાવાર કિંમતો નેશનલ ફાર્મા પ્રાઈઝિંગ ઓથોરિટી નક્કી કરે છે પરંતુ, કંપનીઓ આવા સમયે છૂટક બજારમાં કાળાબજારી કરવાની પણ ફરિયાદ
છે. જોકે એક સારી વાત એ છે કે પુરવઠા પર પીએમઓની ગ્રૂપ -૨ કમિટીએ નિયત્રણ લઈ લીધું છે. જેથી વધુ ઉત્પાદનવાળા રાજ્યો પોતાનો હક જતાવે નહીં.
અલગ બોક્સ
સરકારે કયા મહત્વના પગલાં લીધા
- બીજી લહેર શરૂ થઈ ત્યારે પ્રારંભમાં ઔદ્યોગિક ક્ષેત્રને
૮૫ની જગ્યાએ માત્ર ૨૦થી ૩૦ ટકા પુરવઠો આપવાનો કેટલાક રાજ્યો નિર્ણય લીધો. એ પછી કેન્દ્ર સરકારે હવે અતિઆવશ્યક નવ ઉદ્યોગો સિવાય
ઔદ્યોગિક ઓક્સિજનનું ઉત્પાદન રોકી દિધું. આ સિવાય માત્ર મેડિકલ ઓક્સિજન ઉત્પાદન કરવા
આદેશ આપ્યો.
- દેશમાં ઓક્સિજનની સ્થિતિ પર નજર રાખવા કંટ્રોલરૂમો શરૂ
કરાયા.
- ટેંકરો ઓછા પડતાં ટ્રેનોથી ઓક્સિજન પરિવહન.
- વધુ જરૂરીયાતવાળા રાજ્યોમાં પીએમ કેર ફંડમાંથી ૨૦૧ કરોડના ખર્ચે ૧૬૨ પ્રેશર સ્વિંગ મશીનને
તાત્કાલિક મંજૂરી અપાઈ. જેનાથી કાયમી ૧૫૪ મેડિકલ ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા વધશે. ૩૩ કાર્યરત થયા, એપ્રિલના અંત સુધી ૫૯ શરૂ થઈ જશે. બાકીના મેના અંત સુધીમાં ક્રિયાન્વિત થશે.
- ત્વરિત પુરવઠો ઉપલબ્ધ કરવા પચાસ હજાર મેટ્રિક ટન મેડિકલ
ઓક્સિજનની વિદેશથી આયાત.
- પીએમ કેર ફંડમાંથી ૧૦૦ ઓક્સિજન સુવિધાવાળી હોસ્પિટલની
જાહેરાત.
અલગ બોક્સ
ઓક્સિજન હવામાંથી ઉત્પાદિત પણ પ્રક્રિયા અને જાળવણી જટિલ
ઓક્સિજનનું ઉત્પાદન સરકારી અને ખાનગી એમ બંને રીતે થાય છે.ઇલેક્ટ્રોલીસિસ , કેમિકલ અને ક્રાયોજેનિક એમ ત્રણ પદ્ધતિ છે.પરંતુ ક્રાયોજેનિક પ્રક્રિયાનો વધુ ઉપયોગ થાય છે. હવામાં ૨૧ ટકા ઓક્સિજન,૭૦ ટકા નાઈટ્રોજન અને બાકી અન્ય ગેસ હોય છે. આ ક્રાયોજેનિક
ડિસ્ટીલેશન પ્રક્રિયા કે વેક્યુમ સ્વીંગ એબ્સોર્પ્સશન પ્રક્રિયામાં દબાણથી હવાને પ્રવાહી
બનાવાય છે . બહુ જ ઠંડુ માઇનસ ૧૮૩ ડિગ્રી ધરાવતો શુદ્ધ ઓક્સિજન મેળવાય છે. પણ, સરળતાથી પરિવહન માટે એને પ્રવાહી રૂપમાં રખાય છે.
અલગ પડેલા નાઇટ્રોજન અને ગેસની ઉદ્યોગમાં ઘણી માંગ છે. મેડિકલ ઓક્સિજનની શુધ્ધ્તા ૯૯.૫ ટકા છે. ઓક્સિજન ખૂબ જ જ્વલનશીલ છે અને હોસ્પિટલમાં
આગની અને લિકેજની ઘટનાઓ પણ બની રહી
છે. ટેંકરના પરિવહનમાં પણ સુરક્ષાના નિયમો છે એટલે ઉત્પાદન
વધે તોય હોસ્પિટલ પહોંચતા ઘણી સમસ્યાઓનો સામનો
કરવાનો થાય છે.
અલગ બોક્સ
ખાનગી કંપની દ્વારા કઈ રીતે મળી રહી છે મદદ
ઓક્સિજનની રાડ પછી ખાનગી કંપનીઓ તેની સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાના પ્લાન્ટમાં
ઔદ્યોગિક ઓક્સિજન ઉત્પાદન ઘટાડીને નજીકના રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન
પહોંચાડી રહી છે.
- રિલાયન્સ ગ્રુપ તેની જામનગર રિફાઇનરીમાંથી રોજ ૭૦૦ ટન
ઓક્સિજનનો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરે છે.
- તાતા સ્ટીલ ૩૦૦
ટન ઓક્સિજન પૂરું પાડે છે.
- સેલ કંપની દ્વારા
તેના રાઉરકેલા, દુર્ગાપુર, ભીલાઈ જેવા સ્ટીલ પ્લાન્ટમાંથી નજીકના રાજ્યોમાં ૩૩ હજાર
ટન પુરવઠો પૂરો પાડે છે.
- જિંદાલ સ્ટીલે ૦ત્તીસગઢ અને ઓરિસ્સાની હોસ્પિટલમાં ૧૦૦
ટન ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો છે.
- આર્સેલર મિત્તલ જૂથની નિપ્પોન સ્ટીલ તેની આસપાસના રાજ્યમાં
૨૦૦ ટન ઓક્સિજન પૂરું પાડે છે.
- ખાતર બનાવતી કંપની
ઇફકોએ ગુજરાતમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની
જાહેરાત કરી..
- તંગીની જાહેરાત પછી ટાટા જૂથે તો ઓક્સિજન પરિવહન માટેના ખાસ ક્રાયોજનિક ટેંકરોને
હવાઈમાર્ગે વિદેશથી મેળવવા માટે જાહેરાત કરી દીધી.
No comments:
Post a Comment