Monday, 10 May 2021

Feature of digital money transactions ? When and Which facilities is useful ?

ડીજીટલ નાણા વ્યવહાર માટે ક્યારે, કઈ સુવિધા વધુ ઉપયોગી ?

 

એક સમયે એવો હતો કે, નાણાં આપવા હોય તો  રોકડા આપવા પડે કે ખાતામાં જમા કરવા હોય તો બેંકનો ધક્કો ખાવું પડે યા તો ચેક અપાય. એ પછી ઇન્ટરનેટ ટેકનોલોજી આવી, વેબ અને મોબાઈલનો ઉપયોગ શરૂ થયો. મર્યાદિત પ્રમાણમાં ડિજિટલ નાણા ટ્રાન્સફર ચાલુ થયા. ગયા વર્ષે કોરોના મહામારી આવી અને પૂર્ણ લોકડાઉન  આવ્યું એમાં એક સાથે ૧૦થી વધુ ગણા ડિજિટલ નાણા વ્યહવાર વધી ગયા. લોકો ઘરમાં બેઠે બેઠે બેન્કિંગ શીખી ગયા. હવે ૨૦૨૧માં મહામારીની બીજી લહેર વચ્ચે આંશિક લોકડાઉન આવ્યું, એમાં હવે તો બેન્કોનાં કામકાજના દિવસ અને સમય બંને ઘટી રહ્યા છે, ત્યારે આ ડિજિટલ વ્યવહારમાં જાગૃતિ ન રાખનારા પણ તેને શીખીને ઉપયોગ વધારી રહ્યા છે. બીજીબાજુ, રિઝર્વ બેંકે પણ હવે માત્ર બેંકોની વેબસાઈટ કે બેંકોની મોબાઇલ એપ્લિકેશન જ નહીં પણ અન્ય ડિજિટલ એપ્લિકેશનમાંથી પણ બેંકના ખાતા નંબર અને આઈએફએસસી કોડ નાખીને નાણાં વ્યવહારની સુવિધાની પરવાનગી પણ આપી દીધી છે, અને સુવિધાઓ શરુ પણ થઇ ગઈ છે. આ સિવાય યુપીઆઈ (યુનિફાઈડ પેયમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પેય ટીએમ, ગૂગલ પે, અને ફોન પે જેવી એપ્લિકેશનોથી પણ એક સાથે અનેક બેંક ખાતા જોડી શકાય છે અને તેના દ્વારા ટ્રાન્ઝેક્શન પણ થાય છે. હવે જ્યારે ડિજિટલ વ્યવહારનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે મુખ્ય પદ્ધતિઓ, નેફ્ટ, આરટીજીએસ અને આઈએમપીએસની વિશિષ્ટતા અને તફાવત શું છે કયારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો એની આજે અહી છણાવટ કરી છે.

 

નેફ્ટ ( નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સ્ફર )

રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) એ ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિ છે. આમાં, પૈસા એક એકાઉન્ટથી બીજા ખાતામાં જાય છે. ઇન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ દ્વારા કોઈ પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તેમજ બેંક શાખામાં જઈને પણ ઉપયોગ થઈ શકે છે. કેટલીક બેન્કોમાં કોમ્પ્યુટર મશીન ગોઠવાયેલા હોય છે. નેફ્ટ દ્વારા ટૂંકા સમયમાં નાણા સ્થાનાંતરિત થાય છે. ફંડ ટ્રાન્સફર માટે બહુ મોટો કોઈ ચાર્જ લાગતો નથી. જોકે, શાખામાંથી એનઇએફટી મેળવવાની પ્રક્રિયામાં, ફી ભરવાની રહેશે. આ સુવિધા સતત ૨૪ કલાક (૨૪ * ૭ )  જારી રહે છે. પણ, રકમ જમા કર્યાના અર્ધા કલાકનાં બેચમાં એ અન્ય વ્યવહારોની સાથે ટ્રાન્સ્ફર થાય છે. આ પદ્ધતિમાં કોઈ મહત્તમ મર્યાદા નથી પરંતુ કેટલીક બેન્કોએ પોતાની રીતે નાણા વ્યવહારની મર્યાદા બાંધેલી છે.

આરટીજીએસ (રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ)

આરટીજીએસ એ નાણા વ્યવહારની બીજી ઇલેક્ટ્રોનિક પદ્ધતિ છે. એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં ભંડોળ સ્થાનાંતરિત કરવા માટે આ સૌથી ઝડપી પદ્ધતિ  છે, પરંતુ આરટીજીએસ દ્વારા એક જ બેંક વચ્ચે એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી શકાતા નથી. આમાં ફંડ વ્યવહાર માટેની લધુતમ મર્યાદા બે લાખ રૂપિયા છે. જૂજ બેન્કોના નિયમને બાદ કરતાં રકમ ટ્રાન્સ્ફર કરવાની ઉપલી મર્યાદા નથી. આરટીજીએસ એ મોટી લેવડ દેવડ માટે ઉપયોગી પદ્ધતિ છે. જેમાં ફંડ ટ્રાન્સફર ફી પણ નથી. પરંતુ શાખામાં આરટીજીએસ દ્વારા નાણાં વ્યવહાર કરવાની ફી રહેશે.

આઇએમપીએસ ( ઈમીડીયેટ પેયમેન્ટ સર્વિસ )

નાણાની તાત્કાલિક ચૂકવણી માટે, " રીઅલ-ટાઇમ" ધોરણે નાણા મુકવા અને મેળવવા માટે આ અનુકૂળ પદ્ધતિ છે. જે ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલની મદદથી આંતર બેંક અને અન્ય બેંક વ્યવહારોની પણ સુવિધા આપે છે. જેમાં ચૂકવણી ત્વરિત થાય છે. જે  ૨ લાખ રૂપિયા સુધીની મર્યાદામાં નાણા વ્યવહારો એટલે કે, નાના મૂલ્યની ચૂકવણી માટે યોગ્ય છે.

આઈએમપીએસ ક્યારે યોગ્ય ?

એનઇએફટી પદ્ધતિમાં અડધા કલાક સુધીનો સમય લાગી શકે છે. નેફ્ટ એ ' ઇન્સ્ટન્ટ અને રીઅલ ટાઇમ'  પર આધારિત નથી. જો લાભકર્તાને તાત્કાલિક ભંડોળની જરૂર ન હોય, તો પછી રકમ ચૂકવવા માટે આ સુવિધાનો ઉપયોગ વધુ યોગ્ય છે. આઈએમપીએસ  એ થોડી સેકન્ડોમાં જ સામી વ્યક્તિના ખાતામાં રકમ જમા કરે છે, જ્યારે આરટી જીએસમાં લાંબો સમય અને નેફ્ટમાં બેચ પધ્ધતીના કારણે અર્ધા કલાક સુધીનો સમય લાગી શકે છે, જો કોઈ ટેકનીકલ મુશ્કેલી આવે તો એથીય વધુ સમય લાગી શકે છે.

યુપીઆઈ (યુનિફાઈડ પેયમેન્ટ ઇન્ટરફેસ)

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના કાયદા મુજબ યુપીઆઈ એ નાના વ્યવહાર માટે અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. જેમાં વ્યવહારની ઉપલી વય મર્યાદા રૂપિયા એક લાખ છે. મોટાભાગની બેંકો યુપીઆઈ વ્યવહારની મર્યાદા એક લાખ રૂપિયા જ રાખે છે, જેથી વધુ વખત વ્યવહાર કરો તો પણ દિવસમાં આ માધ્યમથી તમે એક લાખથી વધુની રકમનું હસ્તાંતરણ કરી નથી શકતા. જ્યારે અમુક બેંકો તો એક લાખથી પણ ઓછી મર્યાદા રાખે છે. ભલે તમે વારંવાર ટ્રાન્ઝેક્શન કરો. યુપીઆઈની આ મર્યાદા છે, પણ  એથી નાની રકમના વ્યવહાર માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને આ પદ્ધતિ સરળ પણ છે. કારણ કે, મોબાઈલ સાથે પણ જોડાયેલી છે અને ડીઝીટલ વ્યવહારની સુવિધાવાળી એપ્લીકેશનો વ્યવહાર યુપીઆઇનાં માધ્યમથી થાય છે.

 

આરટીજીએસ-નેફ્ટમાં માહિતી અને રકમ મર્યાદા

આરટીજીએસ-નેફ્ટ પદ્ધતિમાં કેટલીક માહિતી માંગવામાં આવે છે, જેમાં જેને નાણા ટ્રાન્સફર કરવાના છે એ  લાભકર્તા ગ્રાહકનાં ખાતા નંબર, લાભાર્થી બેંક અને શાખા નામ, લાભકર્તાનું નામ અને તેમની શાખાનાં  આઈએફએસસી કોડ તેમજ મહત્તમ કેટલી રકમ જમા કરી શકાય તેની મર્યાદા દર્શાવવી આવશ્યક છે.

મોટાભાગની બેંકો નેફટ અને આરટીજીએસમાં રૂપિયા બે લાખ થી ૧૦ લાખના વ્યવહારની છૂટ આપે છે. જોકે તે અલગ-અલગ બેંકોના નિયમો પર આધાર રાખે છે. કેટલીક બેંકોમાં આરટીજીએસમાં ઉપલી વય મર્યાદા નથી. અમર્યાદિત રકમ ટ્રાન્સફર થઇ શકે છે. જ્યારે કેટલીક બેંકો થર્ડ પાર્ટી એટલે કે જેમના ખાતામાં રકમ જમા કરવાના છો તે લાભાર્થીનું નામ ઉમેરવા સમયે વધુમાં વધુ કેટલી રકમ ટ્રાન્સફર થઇ શકશે તેનો આંક પૂછવામાં છે, બેંકો ગ્રાહકોને એવી છૂટ આપે છે કે લાભાર્થી મુજબ જમાની મર્યાદા નક્કી કરી શકે છે.

 

રકમ સામે જમા ન થાય તો પરત

જો એનઇએફટી / આરટીજીએસ / આઇએમપીએસ દ્વારા નાણા મૂકતી વખતે પૈસા બેંક ખાતામાંથી  ઉધાર થાય પણ સામે જમા ન થાય શું પૈસા પરત થઈ છે  ? જવાબ હા છે. જો કોઈ કારણોસર આ ત્રણમાંથી કોઈપણ માધ્યમથી પૈસા લાભકર્તાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં ન આવે તો બેંક એક કલાકમાં મૂળ ખાતામાં  ટ્રાન્સફર કરેલી રકમ પરત કરશે. જો એવું ન થાય તો બેંક શાખામાં કે ઓનલાઈન ફરિયાદ થઇ શકે છે. એનાથી પણ ઉકેલ ના આવે તો બેંક લોકપાલ કે ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ થઇ શકે. બેંકો દવારા તેમની વેબસાઈટ અને એપ્લીકેશોનામાં સુરક્ષાના નવા નવા ફીચર ઉમેરાવામાં આવી રહ્યા છે. આમ છતાં, સાયબર ગુના વધી રહયા છે ત્યારે ગ્રાહકે પુરતો અભ્યાસ અને સાવધાની તો રખાવી પડે જ છે.  






No comments:

Post a Comment