Monday, 14 June 2021

Ethanol: petrol price is pain of public and government, but many more challenges ahead.

ઈથેનોલ :પેટ્રોલની પીડામાંથી મુક્તિની

યુક્તિ :  પણ, પડકાર અને પ્રશ્નો


સરકારનું તો 100 ટકા ઈથેનોલનું લક્ષ્ય  પણ, 10 અને 
20 ટકા સુધી પહોંચવાનો માર્ગ પણ અઘરો

 

પેટ્રોલ-ડીઝલના ભાવ દિનપ્રતિદિન વધે છે, 85 ટકા આયાત કરવું પડે છે, સમસ્યા મોટી છે, પણ બાજી વિદેશી તેલ ઉત્પાદકોનાં હાથમાં છે. કાચા તેલના ભાવ ઘટે તો ઓપેક દેશોની બેઠક મળે અને ઉત્પાદન ઘટાડી ભાવ વધારે. કેન્દ્ર સરકાર સીએનજી, ઇલેકટ્રીક વાહનો સહિતનાં મોરચે આગળ વધે છે. એક વિકલ્પ ઇથેનોલ પણ છે. પેટ્રોલમાં ભેળવીને ઘરેલુ મોરચેથી રાહત મળી શકે. 2003થી ચર્ચાતો મુદ્દો છે, હવે સરકાર વધુ ગંભીર બની છે અને  તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિને બહુ ચર્ચા થઇ.

સરકારનું લક્ષ્ય તો બહુ ઊચું છે, ધીરે ધીરે ઇ-100 (સંપૂર્ણ ઇથેનોલ-જૈવિક ઇંધણથી ચાલતું વાહન) પરંતુ તે દૂર છે. આનાથી પ્રદૂષણ ઘટે, પણ પ્રશ્નો અને પડકારો છે. જો કે, સરકાર અત્યારે ઇ-10 અને ઇ-20નાં લક્ષ્યમાં કેવી રીતે દેશ આગળ વધશે અને અત્યારની સ્થિતિ શું છે તેની અહીં ચર્ચા કરી છે.

ઇથેનોલ ક્ષેત્રને વિકસાવવા સરકાર ગંભીર બનીને આગળ વધી રહી છે. ઇથેનોલનાં ઉત્પાદન અને ખરીદીનાં માળખાને સુદ્રઢ કરવા નિર્ણયો લેવાઇ રહ્યા છે. અત્યાર સુધી ઇથેનોલનાં મોટા ભાગના એકમો માત્ર એવા 4-5 રાજ્યોમાં હતા, જ્યાં ખાંડનું ઉત્પાદન થાય છે, હવે તેને વધારાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે ગંભીર છે. સમગ્ર દેશમાં તેનાં વિતરણ માટે ઇ-10 પ્રોજેકટનો તાજેતરમાં આરંભ કર્યો ત્યારે કહ્યું હતું કે, સરકારે રાષ્ટ્રીય જૈવ ઇંધણ (બાયોફયુઅલ) નીતિ અંતર્ગત પેટ્રોલમાં 20 ટકા ઇથેલોન મિશ્રિત કરવા માટેનું  લક્ષ્ય 2030ને બદલે હવે 2025 કરી નાખ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે પોતાના વકતવ્યમાં મોદીએ આ મુદ્દે ખાસ ભાર આપીને આ સેકટરનાં વિકાસનો વિસ્તૃત રોડમેપ આપ્યો હતો.

સરકાર ઇથેનોલ ઉત્પાદન અને વિતરણનું મોટું નેટવર્ક સ્થાપવા જઇ રહી છે. એ માટે સડેલા અનાજ અને ખેતીમાંથી નીકળેલા કચરા આધારિત એકમોની સ્થાપના કરવામાં  આવશે.

હવે એવી આશા રાખવામાં આવે છે કે, આ સ્વદેશી ઇંધણ પેટ્રોલમાં વધુ પ્રમાણમાં મિશ્રિત કરવાથી તેની કિંમત ઘટશે, એટલું જ નહીં સરકારની આયાત ઘટશે અને પ્રદૂષણમાં પણ ફાયદો થશે.

સરકાર જો હવે ત્વરિત તેનાં જાહેર કરેલાં પગલાંઓ મુજબ આગળ વધશે તો, નવેમ્બર-2021 સુધી લગભગ 9 ટકા સુધીનાં પેટ્રોલમાં મિશ્રણનાં લક્ષ્યને પહોંચી વળશે એવું નિષ્ણાતો માને છે. અત્યાર સુધીનું ભારતમાં પેટ્રોલની સાથે સૌથી સારું ઇથેનોલ મિશ્રણ 2 ટકા હતું. જો કે, ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતનાં દસેક રાજ્યોમાં 5થી 10 ટકા ઇથેનોલનું પેટ્રોલની સાથે મિશ્રણ કરવામાં આવે છે, જે 2022 સુધીમાં તો દસ ટકાનાં લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે.

સમસ્યા અને પડકાર : ખાસ પ્રકારનાં એન્જિનને સમય લાગશે

ઇથેનોલને એક વૈકલ્પિક ઊર્જા ઇંધણનાં રૂપમાં માનવામાં આવે છે, કારણ કે તેનું ઉત્પાદન છોડવા સાથે જોડાયેલું છે. જે સૂર્યશક્તિનો?ઉપયોગ કરે છે. જો કે તેમાં કેટલીક સમસ્યા પણ સામે આવી રહી?છે. એકવાર તેને પેટ્રોલ સાથે મિશ્રિત કરવામાં આવે છે, પછી અલગ નથી કરી શકાતું. બીજું, મોટું નુકસાન એ?છે કે, ઇથેનોલ વાતાવરણનાં ભેજને શોષી લે છે, તે વાહનનાં એન્જિનની સામે પ્રશ્ન ઊભા 

કરે છે.

સરકારે લક્ષ્ય ભલે ઊચું રાખ્યું છે, પણ અત્યારનાં 8.5 ટકાથી વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવું હશે તો તેનાં ખાસ પ્રકારનાં ઇન્જિનનું ઉત્પાદન કરવું  પડશે. પ્રથમ તબક્કામાં આવા ઇ-10 અને ઇ-20 ઇન્જિનવાળા વાહનો અનુક્રમે 2023થી 2025 સુધીમાં ઉત્પાદન થઇ શકશે. સરકારે ભલે છૂટ આપી પણ સમય લાગશે.

બીજું, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરની નિષ્ણાત સમિતિનું કહેવું છે કે, એન્જિનમાં જો ફેરફાર કરવામાં આવે છે તો મિશ્રિત ઇંધણથી કાર્યક્ષમતા ઘટે છે, ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો ઇ-20નો ઉપયોગ કરે છે, તો 6થી 7 ટકાનું ઇંધણ વપરાશમાં નુકસાન થાય છે. ઇ-20 એટલે કે 20 ટકા ઇથેનોલવાળું પેટ્રોલ વાપરવું હોય તો નવું એન્જિન માળખું જોઇશે. જેમાં પ્લાસ્ટિક અને રબરનાં પાર્ટસ ખાસ પ્રકારનાં જોઇએ. ભારતમાં તો ઇ-10 એન્જિનવાળા વાહનો એપ્રિલ-2023માં આવશે. એ ખાસ વાહનો જ આશા મુજબ કાર્યક્ષમ રહેશે. કેન્દ્રીય મંત્રાલયે માર્ચ-2021માં જાહેરનામું બહાર પાડીને આવા ખાસ વાહનો પર ઇ-10 કે ઇ-20  લખવાનું ફરજિયાત કર્યું છે.

...........

 

ઇથેનોલ શું છે અને સરકારની નીતિ

ઇથેનોલ જૈવિક યૌગિક ઇથાઇલ આલ્કોહોલ છે, જે બાયોમાસથી ઉત્પાદિત થાય છે. જે આલ્કોહોલિક પીણામાં પણ ઉપયોગ કરવામાં આવતી સામગ્રી છે. જેની ઓક્ટેઇન સંખ્યા ગેસોલીનથી પણ વધુ છે, જેનો અર્થ છે કે એ પેટ્રોલની પારદર્શકતા (ઓક્ટેઇન નંબર)ને વધારે છે. ઇથેનોલમાં ઓક્સિજન હોય છે, જે ઇંધણના પૂર્ણ દહનમાં મદદ કરે છે. ઉપરાંત કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. ઇથેનોલને પેટ્રોલમાં ભેળવીને ગાડીઓમાં ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલમાં ભેળવવાથી 35 ટકા સુધી કાર્બન મોનોક્સાઇડ ઓછું કરી શકાય છે.

પેટ્રોલમાં વિદેશ પર નિર્ભરતા છે અને તેનો ભાર ઓછો કરવા દેશમાં ઇથેનોલને પ્રોત્સાહન જરૂરી છે. વર્ષ 2003માં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ કાર્યક્રમ?(ઇબીપી) કાર્યક્રમ શરૂ?તો થયો, સાચી ગંભીરતા મોદી સરકારના કાર્યકાળ બાદ આવી હતી. 2014 સુધીમાં પેટ્રોલમાં ટકાવારીની રીતે જોવામાં આવે તો માત્ર 1.5 ટકા ઇથેનોલ ભેળવવામાં આવ્યું હતું, જે વધીને અત્યારે 8.5 ટકા થઇ?ગયું છે.

ઇથેનોલનું ઉત્પાદન આમ તો શેરડીથી થાય છે, પરંતુ હવે સરકાર ચોખાથી પણ?તેને તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. મૂળ ઇથેનોલ એ ચીની ઉદ્યોગનું ઉપ-ઉત્પાદન વધુ છે.

છેલ્લા ત્રણેક વર્ષમાં જે રીતે ક્રૂડતેલના ભાવોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઉતાર-ચડાવ અને પરાધીનતા આવી છે, એ પછી સરકારે સીએનજીના વપરાશમાં વધારો અને ઇલેક્ટ્રીલ વાહન ઉત્પાદનને પ્રોત્સાહન સાથે ઇથેનોલ મિશ્રણ વધારવાની નીતિ પણ ઘડી કાઢી છે. 2018માં જૈવ ઇંધણ નીતિની જાહેરાત કરીને અનેક નિર્ણયો લીધા હતા.

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ (બ્લેન્ડિંગ)ના લક્ષ્યની પ્રાપ્તિ માટે બી-હૈવી મોલાસ (શીરા), શેરડીનો રસ, સુગર સિરપ અને ચીનથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરી અપાઇ?છે. ચીની મિલોને વધુ ઇથેનોલ બનાવવા પ્રોત્સાહન અપાયું. આ સિવાય ભારત સરકારે એફસીઆઇ?(ભારતીય ખાદ્ય નિગમ)ની પાસે ઉપલબ્ધ તૂટેલા ઘઉં, વધારાની મકાઇ અને ચોખા જેવા ખરાબ થઇ ચૂકેલા અનાજથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ કરવાની મંજૂરી પણ?આપી દેવાઇ?છે. સરકારે એવી પણ જાહેરાત કરી દીધી કે એફસીઆઇ પાસેના ઉપલબ્ધ ચોખાને આવનારા વરસોમાં ઉત્પાદન માટે આપી દેવાશે.

.............

સરકારની સસ્તી લોન અને 50,000 કરોડ રૂા.ની યોજના

ગત બુધવારે પાંચ નવા  ઇથેનોલ પ્રોજેક્ટને સસ્તી લોન માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી 1000 કરોડનું વધુ રોકાણ આવશે અને લગભગ 5 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે.

કેન્દ્રે ઇથેનોલમાં 100 ટકા એટલે કે, મિશ્રણ વિનાના માત્ર ઇથેનોલના ઇંધણ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે તેલ કંપનીઓ સીધું ઇ-100 વેચી શકશે. જો કે, આ ઇંધણનો ઉપયોગ માત્ર એવા જ વાહનો કરી શકશે, જે `ઇ-100'ની વ્યવસ્થા માટે બનાવાયા હોય. વિદેશની નિર્ભરતા  ઘટાડવા સરકારે 50,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના?ઘડી છે. ભારતને  20 ટકા મિશ્રણવાળા ઇંધણ માટે દરવર્ષે 10 અબજ લિટર ઇથેનોલની જરૂર પડશે.

.........

આયાત બિલ અને  ખેડૂતો : શું ફાયદો ?

ભારત પોતાના કુલ પેટ્રોલિયમ વપરાશની લગભગ 85 ટકા આયાત કરે છે. નીતિ આયોગના એક ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2020-21  ભારતે 185 મિલિયન ટન પેટ્રોલિયમનો કાચો જથ્થો આયાત કર્યો હતો. જે માટે 55 અબજ ડોલરની ચૂકવણી કરવી પડી. 20 ટકા ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમથી ભારત વાર્ષિક 4 અબજ ડોલર એટલે કે 30,000 કરોડ રૂપિયાની બચત કરી શકે છે. જે આયાત પર નિર્ભરતા ઓછી કરીને `આત્મનિર્ભર ભારત' લક્ષ્યની પ્રાપ્તિમાં મદદ કરશે, આ રીતે જોવામાં આવે તો ઈથેનોલ કાર્યક્રમ બહુઉદ્દેશીય લાભવાળો છે. સરકાર તેના દ્વારા એક સાથે અનેક તીર સાધવાનું લક્ષ્ય લઈને ચાલે છે.

આ ઉપરાંત નોંધપાત્ર રીતે સરકારે ખેડૂતોને લાભ પહોંચે અને ઈથેનોલનું પણ ઉત્પાદન વધે તેવાં પગલાં લીધા છે. વધારાના અનાજ ઉત્પાદનની સ્થિતિમાં કિસાનોને લાભ થઈ જ રહ્યો છે. ખાસ કરીને શેરડીની માંગ વધતાં ખેડૂતોની આવક વધી છે. વર્ષ 2013-14માં દેશમાં લગભગ 38 કરોડ લિટર ઈથેનોલની ખરીદી થઈ હતી, જે વધીને 320 કરોડ લિટર થઈ ગઈ છે. 

No comments:

Post a Comment