Monday, 7 June 2021

Edible oil price double in one year, The Government earns from high import duty...

 
કહાં રાજા તેલૈયા,
કહાં ગંગુ પ્રજા !

પેટ્રોલની કિંમત વધવા સાથે સરકાર સામે પસ્તાળ પડે છે : પણ, મધ્યમ જ નહીં દીન-આમ પ્રજા માટેય આવશ્યક એવા ખાદ્યતેલોના ભાવ એકાદ વર્ષમાં જ બેવડાઇ ગયા; ને પ્રજા બેવડ વળી ગઇ છે : ખપત સામે પુરવઠો ઓછો રહેતાં આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભરતા વચ્ચે સરકાર ઊંચા સેસથી આવક રળે છે

 

પેટ્રોલની કિંમતમાં 20-30 પૈસાનો વધારો આવે એટલે નોંધ લેવાય, ભારતના કેટલાક વિસ્તારોમાં લિટરે 100 રૂા.ની કિંમત પહોંચી ત્યારે મીડિયામાં તેની ભારે ચર્ચા થઇ. પેટ્રોલ ભાવ બહુ વગોવાયેલા, સરકાર પર પસ્તાળ પડી છે, પણ માત્ર મધ્યમ અને ઉચ્ચ વર્ગને જ નહીં, આર્થિક નબળા `આમ' નાગરિકને પણ જેના વિના નથી ચાલતું એ ખાદ્યતેલના ભાવો અત્યારે ક્યાં છે ? નબળા વર્ગને તો જવા દો, ફરસાણની દુકાને 250 ગ્રામ પણ નહીં ? 200 ગ્રામનું પેકિંગ બે વર્ષમાં ક્યાં ગયું ? બે ગણા ભાવ થયા છે. સરકારી વેબસાઇટો હોય કે કૃષિ ક્ષેત્રના સૂચકાંક હોય, દેશમાં છ પ્રકારના ખાદ્યતેલના ભાવમાં 20થી 56 ટકાનો વધારો તો માત્ર છેલ્લા એક જ વર્ષમાં થયો હોવાનું સત્તાવાર નોંધ છે.

નબળા-મધ્યમ વર્ગના લોકોનાં ભોજનનો સ્વાદ બગાડનાર આ `તેલનો ખેલ' ઓછો નથી. એક જાણીતી કહેવત છે `કહાં રાજા ભોજ, કહાં ગંગુ તેલી'. પણ સ્થિતિ એવી થઇ છે કે તેલિયા રાજા બન્યા છે અને પ્રજા `ગંગુ' થઇ ગઇ છે. એક તો કોરોના મહામારી પછી  નોકરીઓ છૂટી જવી, નવી તકો ન મળવી, પગાર કાપ અને ઉપરથી આ તેલ જેવી જીવનાવશ્યક સહિતની ચીજોમાં મોંઘવારીથી પ્રજા બેવડ વળી ગઇ છે.

જેમ પેટ્રોલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ ઘટવા છતાં સ્થાનિક ન ઘટયા તેમાં એક્સાઇઝ અને રાજ્યના વેરાનો બોજ કામ કરી ગયો અને સરકાર કમાણી કરે છે એમ `તેલ'માં પણ કંઇ ઓછી ડયૂટી નથી. ભારત દુનિયામાં વનસ્પતિ તેલનું સૌથી મોટું આયાતકાર છે. કુલ ખપતના લગભગ 70 ટકા તેલ આયાત કરવું પડે છે. એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલપમેન્ટ સેસ અને સામાજિક સુરક્ષા સેસ મળીને ખાદ્યતેલની આયાત પર 35.75 ટકા સેસ છે અને બધું મળીને કુલ અસરકારક વેરો લગભગ 50 ટકા સુધી જાય છે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલોમાં ભાવ વધારાની રાડ પછી શુક્રવારે એવા સંકેત આપ્યા કે આયાત કરને ઘટાડવામાં આવશે, જેનાથી તેલની કિંમતમાં ઘટાડો થાય તેવી આશા છે. 

ગુજરાતમાં તો સીંગતેલનો વધુ વપરાશ છે. જ્યારે વિદેશમાંથી આયાત કરવા પડતા તેલોમાં મુખ્ય હિસ્સો પામ, સોયા અને સનફ્લાવરનો હિસ્સો છે. જો કે, સીંગતેલ પણ ભાવના ભડકામાંથી બાકાત નથી. અત્યારે સીંગતેલનાં ડબાનો ભાવ 2400થી 2500 રૂા. પહોંચ્યો છે. કર ઘટાડાથી મલેશિયાથી આયાત થનારા પામતેલ, સોયા અને સનફ્લાવરની આયાત વધશે અને ઘરેલુ તેલ એવા સરસવ, સોયાબીન અને સીંગતેલના ભાવ પણ સાથે સાથે ઘટશે તેવી સરકારની ધારણા છે. જો કે, તેમાં મતમતાંતર છે. તેલના ધંધાર્થીઓ એસોસિયેશને એવો મત દર્શાવ્યો કે ડયુટી ઘટાડવાથી માંગ વધતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારી નખાશે અને ગ્રાહકોને તો કોઇ ફાયદો નહીં થાય. બીજીબાજુ સરકારને કર ઘટાડાથી નુકસાની ભોગવવી પડશે. સરકાર હવે કઇ દિશામાં આગળ વધશે તેના પર મીટ છે, ત્યારે દેશમાં ભાવોની સ્થિતિમાં કેટલો બદલાવ આવ્યો? કેટલી દેશમાં જરૂરિયાત વધી છે ? ઉત્પાદન અને આયાતની શું સ્થિતિ છે ? આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધવાનાં કારણો શું છે તે સહિતનું વિશ્લેષણ અહીં છે.

 

કેટલા વધ્યા ભાવ? શા માટે?

તમામ ખાદ્યતેલોની કિંમત જૂનના પ્રારંભે વિક્રમી ઊંચાઈએ પહોંચી ચૂકી છે. એક વર્ષમાં ડબલ! છેલ્લાં એક વર્ષમાં 30થી 60 ટકાની ભાવવૃદ્ધિ નોંધાઈ છે. કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયની વેબસાઈટના આંકડા મુજબ, તેલમાં લિટરે રૂા. 170થી રૂા. 200ની કિંમત પહોંચી છે. કિંમતના આ વધારાની ટકાવારી વાર્ષિક રીતે જોઈએ તો 11 વર્ષમાં સૌથી ઉચ્ચતમ સ્તરે છે. સૌથી મોટો ભાવવધારો સરસવ-પામ અને સોયા તેલમાં છે, જેની પાછળ આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો કારણભૂત છે.

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન પ્રાઈઝ ઈન્ડેક્સ (2014-16) પ્રમાણે, ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ સૂચકાંક ગત વર્ષે એપ્રિલમાં 81 ટકા હતો, જે વધીને ચાલુ વર્ષે એપ્રિલમાં 162 ટકા થયો છે. આની પાછળ માંગ કારણભૂત છે. માથાંદીઠ આવક વધતાં દેશમાં માંગ વધે છે. સામે તેટલા પ્રમાણમાં ઉત્પાદન નથી વધતું એટલે આયાત વધે છે અને આંતરરાષ્ટ્રીય ભાવો પર નિર્ભર રહેવું પડે છે. ઉત્પાદનમાં આત્મનિર્ભર થઈએ તો જ સ્થિતિ સુધરે, સરકારનું લક્ષ્ય પણ છે, પરંતુ તેમાં વર્ષો નીકળી જાય.

 

ફૂડ બાસ્કેટથી ફ્યુઅલ બાસ્કેટ અને ચીન :

ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો

દેશની જરૂરિયાત કરતાં ઉત્પાદન ઓછું પડતાં આયાત કરવી પડે છે અને સીધી આંતરરાષ્ટ્રીય પરિબળોની અસર થાય છે. આમાં પણ ચીન એક કારણ છે, કોરોના પછી ખાનપાન બદલાતાં અને ચીનમાં ખાદ્યતેલની માંગ વધી છે એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટો ખરીદદાર બન્યું છે. આ સિવાય આંતરાષ્ટ્રીય ભાવ સુચકાંક વધવાનું કારણ એ છે કે, પર્યાવરણના મુદાને લઈને હવે તેલનો વપરાશ ઈંધણ તરીકે વધે છે. વેજિટેબલ તેલમાંથી જ `બાયો ફ્યુઅલ' બને છે. મલેશિયામાં શ્રમ કાયદા વિવાદ, પામ અને સોયા તેલનું ઉત્પાદન થાય છે તેવા વિસ્તારોમાં સમુદ્રી તોફાન આવ્યું હતું. એના કારણોએ પણ ભાવ વધાર્યા છે. 

No comments:

Post a Comment