Tuesday, 21 September 2021

Award Winning Start up of Kutchi Enterpreneur "KEVAT"

કચ્છી સાહસિકનું એવોર્ડ વિજેતા સ્ટાર્ટ અપ ' કેવટ ' 

સંત ઓધવરામ મહારાજની જીવની પરની ફિલ્મ બનાવતાં બનાવતાં પાણીનાં પ્રાણ પ્રશ્ન અને પર્યાવરણ બચાવવાની પ્રેરણા જાગી અને સંશોધન પછી શરૂ કર્યું ક્લીન ટેક્નોલૉજીનું સાહસ: સ્વચ્છ પાણી-ઉર્જા અને હવાની વિવિધ એડવાન્સ વિકસાવ્યા પછી વતનમાં કામ કરવાની તમન્ના 



માગી નાવ ન કેવટુ આના ! કહઇ તુમ્હાર મરમુ મૈં જાના !!
ચરન કમલ રજ કહું સબુ કહઈ ! માનુષ કરનિ મૂરિ કછુ અહઇ !!

રામાયણના અયોધ્યા કાંડનો આ ભાવુક પ્રસંગ છે, જેમાં વનવાસ માટે જઇ રહેલા પ્રભુ શ્રીરામ કેવટ નિષાદરાજને નાવથી ગંગા નદી પાર કરવાનું કહે છે ત્યારે કેવટ શરત રાખે છે, 'પગ મને ધોવા દ્યો રઘુરાયજી...' તમારા ચરણોની ધૂળ કિંમતી છે, મને પહેલાં સાફ કરવા દ્યો. 
અત્યારે પર્યાવરણને બચાવવું કઈ રીતે તે માટે ક્લીન ટેકનોલોજી-ગ્રીન ટેકનોલોજીની વૈશ્વિક બોલબાલા છે. કચ્છનો સૌથી મોટો પ્રશ્ન પાણી છે અને સ્વચ્છ જળ સંચય આ સમસ્યા સામે વરદાન સાબિત થઇ શકે છે, ત્યારે મૂળ કચ્છના પણ મુંબઇ સ્થિત સાહસિક દિલીપ વસંતલાલ ભાનુશાલીએ તેમના જળ સમસ્યા વિષયે ઊંડા સંશોધન પછી પોતાની ટીમની મદદથી સ્વચ્છ પાણી, સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા માટે વિવિધ નવીનતમ ટેકનોલોજીની શોધ કરી છે. જેમાં મહારાષ્ટ્ર રાજ્ય ઇનોવેશન સોસાયટી દ્વારા તેમના એક સ્ટાર્ટ અપ ઇનોવેશન-સ્માર્ટ બોટ 'કેવટ'ને પ્રથમ ક્રમાંક સાથે એવોર્ડ મળ્યો છે. આ બોટ એક પ્રકારનું 'મલ્ટી યુટિલિટી વ્હિકલ', પાણીમાં ચાલતું બહુ ઉપયોગી મશીન છે. જે જળાશયોને પ્રદૂષણ મુક્ત કરે છે. જેને રામાયણના આ પ્રસંગની પ્રેરણાથી 'કેવટ' નામ અપાયું છે. જે સાથે સાથે સ્વચ્છતા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપે છે. 
મૂળ ૨૦ વર્ષથી એડવર્ટાઇઝીંગની દુનિયાના વ્યવસાયી અને 'દીપોત્સવી ફિલ્મસ' ના માલિક પરંતુ ૨૦૦૭થી ક્લીન ટેક્નોલોજી પર કામ કરીને ૨૦૧૬માં 'OMiOM ક્લીનટેક એલએલપી'ની સ્થાપના કરનારા દિલીપભાઈને અત્યારે આ નવી ટેકનિકથી ડેમ સફાઈનો મધ્યપ્રદેશની સરકારે એક પ્રોજેક્ટ પણ  સોંપ્યો છે અને એવોર્ડ જીત્યા પછી તેમના સ્ટાર્ટ અપને મહારાષ્ટ્ર સરકાર પણ કામ આપી રહ્યું છે પરંતુ હૈયામાં વતન કચ્છમાં કામ કરવાની લગની છે, જ્યાં જળસંચયથી લોકો અને ખેડૂતોની મોટી સમસ્યા હલ થઈ શકે છે.
આ 'ઓમઇઓમ ક્લીનટેક' ના સ્થાપક અને સીઇઓ દિલીપભાઈ અત્યારે કચ્છમાં આવીને વિવિધ સરકારી તંત્રનો સંપર્ક કરે છે અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પણ મળવાના છે. દરમિયાન, તેમણે કચ્છમિત્ર સાથે વિગતે વાતો કરી. તેમને જ્યારે મુલાકાતમાં પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે શૂટિંગની દુનિયાથી ટેકનોલોજીમાં કેમ?  તો તેમનું કહેવું હતું કે, ૨૦૦૪થી સંત ઓધવરામજી મહારાજ પર ફિલ્મ બનાવવા માટે ઊંડું સંશોધન કરી રહ્યા હતા.  જેમાં કચ્છમાં તળાવ-કૂવા અને પાણીનું મહત્વ સમજાયું, તેમના જીવનમાંથી પ્રેરણા મળી કે સુવિધાઓ માત્ર એવી ન હોવી જોઈએ જે તમારું જ ભલું કરે, પર્યાવરણને પણ સુધારવાનું છે, અને 'ક્લીન વોટર, ક્લીન એર, ક્લિન એનર્જી'ના વિચાર સાથે સંશોધન ચાલુ કર્યું. અનેક ટેકનોલોજી શોધી છે, મુંબઈ આઈઆઈટીએ પણ અમારી કેટલીક શોધને માન્યતા આપી છે. ૨૦૧૯માં અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા યોજાતા સ્ટાર્ટઅપ વીકમાં ભાગ લીધો. સમગ્ર ભારતમાંથી આવેલી ભારતમાંથી આવેલી પંદરસો અરજીમાંથી ૨૪  એવોર્ડ જાહેર થયા અને વિવિધ છ શ્રેણીઓમાંથી પાણીની શ્રેણીમાં અમારી શોધને પહેલો એવોર્ડ મળ્યો. 'કેવટ' એ વિશ્વની પહેલી એવી બોટ છે જે માત્ર નદી-તળાવ-ડેમોમાં ખેંચાઈ આવતી ધૂળ, રેતી, કચરાને જ સાફ નથી કરતી બલકે, એ પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ પણ પુનઃસ્થાપિત કરે છે અને આ રીતે તેમાં રહેલા જીવોને બચાવવા સહિત નવ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરે છે, પર્યાવરણનું સંવર્ધન કરે છે.
પાણીની અન્ય ટેકનોલોજી અને કચ્છના સંદર્ભમાં શું થઈ શકે ? તેવા સવાલ પર દિલીપભાઈ અને તેમની સાથે જોડાયેલા નરેશભાઈ શાંતિલાલ કટારિયાએ કહ્યું કે, જીલ્લામાં અનિશ્ચિત મોસમી વરસાદ, નર્મદા અને ભૂતળ જળ એ મુખ્ય સ્ત્રોત છે.  સંગ્રહ શક્તિ ઓછી છે અને જળાશયો પૂરાતાં જાય છે એટલે મોસમી વરસાદના પાણીનો પૂરો ઉપયોગ નથી થતો. બીજીબાજુ, નર્મદાના સિંચાઈ માટેના પાણી બધે નથી  પહોચ્યા, પહોંચશે તોય સંગ્રહ શક્તિની આવશ્યકતા પડશે. ભૂતળ જળમાં ૩૦૦૦થી ૫૦૦૦ ટીડીએસ એ જમીન અને માનવીના આરોગ્યને બગાડે છે. હવે ડેમોમાં ગટરના પાણી પણ ભળી રહ્યાની ફરિયાદ છે. જાણકારી મુજબ, રુદ્રમાતા ડેમનો દાખલો લેવામાં આવે તો ૧૯૬૮ પછી યોગ્ય રીતે ઊંડાઈથી રેતીના થર નથી કઢાયા.  સંગ્રહ ઘટતો જાય છે.  પ્રશ્ન કેમ ઉકેલાય ? અમે જે ટેકનોલોજી વિકસાવી છે એ જૂની-ખર્ચાળ અને માનવીથી ચાલતી નથી. એ રોબોટિક છે.  ૨૪ કલાક કામ કરી શકે છે. બંદર ઉપરના ડ્રેઝર મશીનો જેમ માત્ર રેતી નથી ઉલચતું. તમામ કચરો અને કચ્છમાં જે સમસ્યા છે એ બાવળ પણ કાઢી નાખે છે.  મુંબઈમાં પ્રયોગો થઈ ચુક્યા છે.  એડવાન્સ ટેકનોલોજી છે. જેમાં જળાશયમાં કેટલું પ્રદૂષણ છે અને નીચે સુધી કેટલો ઓક્સિજન જોઈશે તેનો આગોતરો અંદાજ બાંધી કામ શરૂ કરે છે. જળાશયમાં ત્રણ સ્તરનું અલગ-અલગ પ્રદૂષણ હોય છે, તેને રોબોટિક પદ્ધતિથી સીધું પાંચ કિલોમીટર સુધી દૂર ફેંકી આવે છે અને નીચેના પાણી સુધી ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત કરે છે. જળાશયમાં વાળના દસમા ભાગનું પણ પ્લાસ્ટિક ખતમ કરી નાખતી આ ટેકનોલોજીની ઝડપ એક કલાકમાં ૯૦ હજાર લીટર પાણીને સ્વચ્છ કરવાની છે અને માછલીનેય  નુકસાન નથી કરતું. 
આ સિવાય સૂર્ય ઊર્જા ઉત્પાદન, પવન ઉર્જા, સ્વચ્છ હવા અને ટીડીએસની ટેકનોલોજી છે ? અને એ કઈ રીતે જૂની પદ્ધતિથી આગળ છે એવા એક પ્રશ્ન પર તેમનું કહેવું હતું કે, સોલાર પેનલ વિકસિત કરી છે જે અત્યારની ક્ષમતા કરતાં બેવડી ક્ષમતામાં સૂર્યમાંથી મળતી ઉર્જાનું વીજપ્રવાહમાં રૂપાંતર કરે છે. દરિયાકિનારે લગાવાય તો વીજ ઉત્પાદન સાથે ખારા પાણીને મીઠા પાણીમાં પણ ફેરવે છે, જે કચ્છ માટે અગત્યની કહી શકાય. વધુમાં એવા વિન્ડ ટર્બાઇન શોધ્યા છે, જેનો થાંભલો નથી ! અત્યારે ખેતરમાં પવનચક્કી ખોડવામાં આવે છે અને ઘર્ષણ થાય છે. ખાસ તો વિશેષતા એ છે કે હવા ન હોય તો પણ ઉર્જા ઉત્પાદન થાય અને હાલની પવનચક્કી કરતાં વધુ ઉત્પાદન થાય છે. જેની ટ્રાયલ્સ તુરતમાં કરશે. બીજું, સ્માર્ટ કેવટનો બીજો એક હિસ્સો છે, જેને 'સુદર્શન'  નામ અપાયું છે. જે ટુ સ્ટેજ એરિએટર છે અને પાણીની સ્વચ્છતાની સાથે ઊર્જા ઉત્પાદન કરે છે, અને એ પછી આ ઉર્જાનું ઓક્સિજનમાં પણ રૂપાંતર કરી શકે છે. શુદ્ધ હવા માટે કામ કરવા વાહનો ધુમાડા છોડે છે એ સ્થાન માટેના એક્ઝોસ્ટની શોધ વિકસાવી છે. જે ન માત્ર કાર્બનને નીકળતા રોકશે.  બલ્કે, વાહનની એવરેજ પણ વધારશે. આ સિવાય પાણીમાં ક્ષારને નાબુદ કરતી ટેક્નોલોજી છે, જે પણ કચ્છ માટે મહત્વની છે, જોકે, અમે દરેકમાં પર્યાવરણને બચાવવાને ધ્યાને રાખ્યું છે.


સંયુક્ત સાહસની અને દેશલસર તળાવને નફા વિના શુદ્ધ કરવાની તૈયારી  

કચ્છ સાથેના જન્મભૂમીના સંબધે આ સ્ટાર્ટઅપના સીઇઓએ વાતચીત દરમ્યાન સેવાભાવી સંગઠન સાથે જોડાવાની અને ભુજના એક તળાવ માટે નફાના હેતુ વિના કામ કરવાની પણ તૈયારી બતાવી હતી. 
તમે વ્યવસાયીક કંપની તરીકે રજિસ્ટર્ડ છો અને કચ્છ માટે કામ કરવા માંગો છો તો કોઈ સ્વયંસેવી સંસ્થા કે ઔદ્યોગિક સંગઠન, ખાનગી કંપની કે સરકાર સાથે જોડાવા તૈયાર છો ? એવા સવાલ પર તેમનું કહેવું હતું કે અમારી ટેકનોલોજીઓમાં કચ્છની સમસ્યાઓનો ઉકેલ છુપાયો છે. કેટલીક એવી છે જે મોટા ખેડૂતો સીધી ઉપયોગ કરી શકે. કચ્છમાં કોઈપણ સાથે સંયુક્ત સાહસ કરવા માટે તૈયાર છીએ. કચ્છના ખેડૂતો બારેય મહિના ખેતી કરી શકે એ આ ટેક્નોલોજીની મદદથી શક્ય છે. 
છેલ્લે જ્યારે તેમને વાત કરી કે ભુજનું દેશલસર તળાવ પ્રદૂષણની સમસ્યાથી પીડિત છે અને વારંવાર વનસ્પતિ ઊગે છે તો શ્રી ભાનુશાલીએ ખુલ્લી તૈયારી બતાવી કે કાયમી ઉકેલ શક્ય છે જ. તળાવ સ્વચ્છતા સાથે નવો કચરો કે ગંદુ પાણી આવતું બંધ થવું જોઈએ. અમે દેશલસર તળાવ માટે ખાસ ' નહિ નફો, નહિ નુકસાન'ના ધોરણે કામ કરવા તૈયાર છીએ. તળાવ એવું સ્વચ્છ બનાવી શકીએ કે તળિયાની માછલી પણ તરતી દેખાય....

No comments:

Post a Comment