Sunday, 30 January 2022

The significance of the budget lies in the relief on the inflation front......

 બજેટની સૌથી મોટી  આશા


મંગળવારે મહામારીમાં મધ્યમ વર્ગને 

મોંઘવારીની માર પર મળે મલમપટ્ટો

 

અંદાજપત્ર નજીક આવે એટલે ઉદ્યોગો, વેપારીઓ, નોકરિયાતો સહિતની અપેક્ષાઓ વધે, પરંતુ છેલ્લાં  બે વર્ષમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે  ખાન-પાનની જીવનજરૂરી ચીજો અને ગેસ-ઇંધણના ભાવમાં અસહ્ય વધારાનો સામનો કરતા આમઆદમીને રાહત એ મહત્ત્વનો મુદ્દો છે  

 

 

કાલે મંગળવારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન તેમનું 2019 પછીનું સતત ચોથું અને વડાપ્રધાનપદે મોદીના શપથ લીધા પછીનું દસમું બજેટ રજૂ કરશે. દર વર્ષે બજેટ રજૂ થવાનું હોય તે પહેલાં અપેક્ષાઓની વાતો થાય, નોકરિયાતોની, મહિલાઓની, વેપારીઓની, લઘુ ઉદ્યોગ, મોટા ઉદ્યોગપતિઓની, ફાર્મા-રિયલ એસ્ટેટ એમ અલગ અલગ સેક્ટરની આશા વ્યક્ત થાય.   કદાચ આ વખતે સૌથી મોટી અપેક્ષા આમ આદમીને છે, મધ્યમવર્ગને છે અને તેનાં સબળ કારણો છે. કેટલી ખરી ઉતરી છે, એ તો કાલે ખબર પડી જશે, પરંતુ બીજી બધી અપેક્ષાઓની વાત નથી કરવી, પણ સમય જે માગે છે, એ અત્યારે મોંઘવારીનાં ચક્કરમાં બધી બાજુથી પીસાયેલા મધ્યમ વર્ગની માગણી સૌથી પ્રાથમિકતા માગે છે.

સરકારને રાહત આપવી હોય તો આવક વધવી જોઈએ, પણ અચાનક રશિયા-યુક્રેન સંઘર્ષનાં કારણે ક્રૂડતેલના ભાવમાં મોટો ઉછાળો આવી ગયો. આ ક્રૂડ કાચો માલ છે અને પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ એ સૌથી મોટી આવકનું સાધન છે. બજેટ પહેલાં એક બાજુ આવકમાં કાપ મુકાઈ રહ્યો છે અને રિટેલ ઈન્ફલેશન (છૂટક મોંઘવારી દર) છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે. મધ્યમ વર્ગને રાહત આપવાનું દબાણ છે, એ પેટ્રોલ-ડીઝલ પરનો વેરો ઓછો કરીને આપી શકાય, પણ ક્રૂડ ભાવ વધતાં બન્ને બાજુથી દબાણ છે. આવી સ્થિતિ વચ્ચે ઉદ્યોગોનું ધ્યાન રાખવાનું છે, જેને કોરોનાકાળની ત્રીજી લહેર સુધી માર પડી રહ્યો છે. હવે રાહત પેકેજ કેટલું આપી શકાય, નીચા વ્યાજદર સાથેની હળવી નાણાકીય નીતિ લાંબી ચલાવવી કે કેમ એ પ્રશ્ન છે, આમ, આવી અસંતુલિત સ્થિતિ વચ્ચે સંતુલન સાધવાનો નાણાંમંત્રી સામે કદાચ છેલ્લાં થોડાં વર્ષોનો સૌથી મોટો પડકાર છે.

ગરીબ-મધ્યમવર્ગને રાહતનો મુદ્દો મજબૂત એટલા માટે છે કે કોઈ એવી જીવન જરૂરી ચીજ બાકી નથી રહી, જેના ભાવમાં અસામાન્ય ઉછાળો ન દેખાયો હોય. શાકભાજી-ફળથી લઈ, દાળ, કઠોળ લો કે ઘી-તેલના ભાવ સરખાવો, દૂધના ભાવ જુઓ કે ચા-કોફીના ભાવ જુઓ, પેટ્રોલ-ડીઝલના અને રાંધણ ગેસમાં અસામાન્ય વધારાની તો વારંવાર ચર્ચા થાય છે, કોઈ ચીજ અંકુશમાં નથી.

સરકારી આંકડા અને ફુગાવાના સત્તાવાર આંકડા આ વાતની ગવાહી આપે છે. ઓક્ટોબરનો છૂટક મોંઘવારી દર કે સીપીઆઈ (કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેકસ) જોઈએ તો 5.8 ટકા હતો. નવેમ્બરમાં 4.9 ટકા હતો, એ સમયે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ કેન્દ્ર સરકારે ઘટાડયો હતો. આમ છતાં, આંક એટલો નીચો ન ગયો. છેલ્લે ડિસેમ્બર -2021નો આંકડો આવ્યો 5.9 ટકા, જે છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટી છે. એટલું જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ફુગાવાનો દર સહન કરવાની મર્યાદા `2થી 6' ટકા સુધીમાં છે. હવે જો આનાથી મોંઘવારી દર ઊંચો જાય તો વ્યાજદર વધારો આવી શકે એ નક્કી મનાય છે. બીજીબાજુ, ડબલ્યુપીઆઈ (જથ્થાબંધ ભાવાંક) ડિસેમ્બરમાં વધીને 13.56 ટકા થયો છે. સતત નવમા મહિને બેવડા આંકની ઉપર છે.

માર્ચ-2020થી કોરોના મહામારીએ અર્થતંત્રની કમર ભાંગવાનું શરૂ કર્યું, તેની સૌથી વધુ અસર ભાવવધારાનાં રૂપમાં મધ્યમ વર્ગ પર હવે બે વર્ષે દેખાવા લાગી છે. મહામારીના સમયમાં હજારોની નોકરી ગઈ, નાના ધંધાર્થીઓ બેકાર બન્યા હતા. જેમની નોકરી ન ગઈ એમને પગારકાપનો ફટકો લાગ્યો. માંડ સ્થિતિ થાળે પડતી હતી, ત્યાં ડેલ્ટાની બીજી લહેર આવી અને હવે ઓમિક્રોનની ત્રીજી લહેરની અસર પડી રહી છે. કોવિડ પછીના કાળમાં જીવનજરૂરી ચીજોની કિંમત 20થી 40 ટકા વધી ગઈ છે. હા, રાહત પેકેજના ભાગરૂપે ગરીબોને મફત અનાજ અપાયું છે, પણ મધ્યમ વર્ગની મુશ્કેલી યથાવત રહી.

રાંધણ ગેસના ભાવની આંકડાકીય તુલના કરીએ તો 2014માં ભાજપ સરકાર સત્તામાં આવી?ત્યારથી સાડા પાંચ વર્ષમાં ગેસના ભાવમાં 30.68 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લાં બે વર્ષમાં જ બાટલાદીઠ 43.66 ટકા ભાવ વધ્યા. હવે સબસિડી નથી મળતી. જાન્યુઆરી-2021ના  ગેસના બાટલાનો ભાવ 700 રૂા. હતો, અત્યારે 906 રૂા. છે. કયાંક ગામડાંમાં થોડી માત્રામાં સબસિડી ખાતામાં જમા થાય છે, પરંતુ એય હવે બંધ થવાનું જોખમ છે.

પેટ્રોલનો 2021ના જાન્યુઆરીમાં લિટરે રૂા. 81નો ભાવ હતો, જે નવેમ્બરમાં કર રાહત આપી એ પહેલાં વધીને 106 સુધી પહોંચી ગયો હતો. અત્યારે તોય 95 રૂા. પ્રતિ લિટર છે. ડીઝલમાં પણ એવી જ સ્થિતિ છે. 2021ના જાન્યુઆરીમાં 81 રૂા. ભાવ હતો, જે નવેમ્બરમાં પેટ્રોલ જેટલો જ 105.88 સુધી પહોંચી ગયો અને અત્યારે 89.50 છે. ગત વર્ષે જુલાઈમાં અમૂલ અને પછી તરત મધર ડેરીએ દૂધના ભાવ વધારી દીધા હતા. પેટ્રોલ-ડીઝલની અસર સ્વાભાવિક સમગ્ર અર્થતંત્ર પર પડે છે અને મધ્યમ વર્ગ આ ચક્રમાં પીસાય છે.

બજેટને થોડા દિવસ બાકી રહ્યા હતા, ત્યાં ગત ગુરુવારે વળી સમાચાર આવ્યા કે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ વધીને 90 ડોલરની સપાટીને પાર કરી ગયો. 2014 પછી આવું પહેલી વખત બન્યું છે અને ક્રૂડના હજુ ભાવ વધીને 100થી 110 સુધી જઈ શકે છે. થોડા સમય પહેલાં જ 2જી ડિસેમ્બર-2021ના તો નીચે જઈને 65 ડોલર સુધીનાં તળિયે આવ્યા હતા ત્યાં બે મહિનામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. મોંઘવારીનું વિષચક્ર વધારતો આ ક્રૂડનો વધારો બજેટના નિર્ણયો પર અસર કરશે એ નક્કી છે. સરકારની મૂંઝવણ દેખીતી રીતે વધી જશે. એક બાજુ મધ્યમ વર્ગ તેના માસિક ખર્ચના `નવડા મેળવવા'માં પરેશાન છે, ત્યારે સરકાર કઈ રીતે બજેટમાં `નવડા મેળવે' છે એ જોવાનું રહે છે.

નિષ્ણાતોને ઉદ્યોગલક્ષી બજેટની વધુ આશા નથી. ભલે વિકાસદર વધુ ઊંચ લઈ જવો હોય, પણ કરવેરા ઊંચા છે, તેમાં રાહત આપવા દબાણ છે, એ આવકવેરો હોય કે જીએસટી. રાજકોષીય ખાધ પહોળી થઈ રહી છે. બીજી તરફ, હવે જીડીપી નકારાત્મકમાંથી ઝડપી હકારાત્મક થઈ ગયો છે અને ગત વર્ષે 7.2 ટકા નોંધાયો હતો. 2021-22માં 9.2 ટકાના દરે અર્થતંત્ર વિકાસ કરે તેવી આશા વ્યક્ત કરાઈ છે, ત્યારે હવે અપેક્ષા રાખીએ કે ઉદ્યોગલક્ષીને બદલે મધ્યમવર્ગલક્ષી બજેટ આવે અને એમાં આવકવેરા મુક્તિમર્યાદા પાંચ લાખથી વધારાય, કોરોનાકાળમાં સારવાર માટે થયેલા કે થઈ રહેલા ખર્ચને આવકવેરામાંથી મુક્તિ મળે, 80-સી હેઠળ મળતી કરછૂટ દોઢ લાખથી વધીને 3 લાખ થાય, હોમલોનના વ્યાજ પર મળતી કરમુક્તિ વર્તમાનની બે લાખથી વધીને 3 લાખ થાય, હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘણું મોંઘું થઈ ગયું છે, તેની છૂટ 25,000થી વધારીને 50,000 થાય, કોરોનાકાળ પછી વર્ક ફ્રોમ વધ્યાં છે. આવા કેસોમાં નોકરિયાતોને કંપની ઘરખર્ચ ભથ્થું આપે તે માટે સરકાર કોઈ નિયમ લાવે. આવાં પગલાં અને ખાસ તો જીવનજરૂરી ચીજોની કિંમત ઘટાડતાં મહત્ત્વનાં પગલાં લેવાય તો મધ્યમવર્ગ માટે બજેટ સાચા અર્થમાં સાર્થક ઠરશે.

..............





 

No comments:

Post a Comment