Wednesday, 28 September 2022

Dr. Doom's serious warning..!

અમેરિકામાં ભયાનક મંદીની ઘણા વખતથી વાતો થાય છે,  ચીનમાં આર્થિક સંકટ વકરી  ગયું છે, શ્રીલંકા ને પાકિસ્તાનની તો વાત જ તો જવા દો , યુરોપ પણ આર્થિક મંદીના એરણે છે. બીજીબાજુ ભારતનું શેરબજાર અત્યારે સારા જીડીપીના આધારે આગળ વધતું હતું ત્યાં અચાનક વિતેલા  સપ્તાહમાં ઉપરા ઉપરી ત્રણ દિવસ બજાર ગગડ્યું  અને છેલ્લે શુક્રવારે 1000 આંકથી વધુનો કડાકો થયો. આમ કેમ થયું ?  આમ એટલા માટે થયું કે અમેરિકામાં મંદીના ભણકારા  વચ્ચે ત્યાંની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ ઓફ અમેરિકા (ફેડ)એ સતત ત્રીજીવાર વ્યાજ દરમાં વધારો કર્યો અને હજુ પણ વ્યાજ દર વધારશે એવો સંકેત આપ્યો . કારણ કે ત્યાં મોંઘવારીદર હજી અંકુશમાં નથી આવતો. આને પગલે ભારતમાં પણ ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારે તેવો ભય છે.  બીજીબાજુ,  રૂપિયો હવે ડોલર સામે 81ની સપાટી નજીક પહોંચી ગયો છે અને ભવિષ્યમાં એક ડોલર સામે 100 રૂ જેટલો તળીયે આવી જશે એવો ભયનો માહોલ છે.  આ બધા તો સામાન્ય કારણો છે પણ અધૂરામાં પૂરું,  બીજું  એક મહત્વનું કારણ બન્યું બ્લુમબર્ગનો  ઇન્ટરવ્યૂ.  બ્લુમબર્ગે હાવર્ડ યુનિવર્સિટીનામાંથી પીએચડી કરેલા અને 'ડોક્ટર ડુમ' ના નામે જાણીતા અર્થશાસ્ત્રી નૂરિલ રૂબિની ઈન્ટરવ્યુ પ્રસિદ્ધ કર્યો. આ ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયો અને દુનિયાભરના બજારો  ગગડયા,  સાથે ભારતની બજાર પણ ગભરાઈ ઊઠી.  અમેરિકામાં ફેડ રિઝર્વને છીંક આવે તો વિશ્વભરના બજારોને એની અસર થાય . બસ આવું જ થયું . 
' ડોક્ટર ડૂમ' એ  2007 -08માં ભયાનક મંદીની આગાહી કરી હતી અને તે સાચી પડી હતી. અમેરિકામાં ડો.  નુરિલ રૂબિનીની આગાહી પછી તેજીનો ફુગ્ગો ફૂટી ગયો હતો. હાઉસિંગ કટોકટી ઊભી થઈ હતી. લેહમન બ્રધર સહિતની બેંકો પાસેથી લેણા પાછા ન  આવતાં  ડૂબી ગઈ હતી . એ જ વ્યક્તિએ હવે સામાન્ય નહીં પણ બહુ ગંભીર મંદીની આગાહી કરી છે.  એમણે કહ્યું છે કે 2022ના અંતે મંદી  શરૂ થશે, જે 2023 સુધી ચાલશે અને આ સ્ટેગફલેશન છે,  એટલે કે વિકાસ પણ ઘટશે  અને ફુગાવો પણ હશે.  સૌથી મહત્વની વાત એમણે એમ કરી કે સરકાર પણ હવે કોઈ  સ્ટીમ્યુલેટ પેકેજ- રાહતો  આપી શકે એમ નથી.  આવું કોઈ ઇન્જેક્શન કામ આવી શકે એમ નથી.  કારણકે સરકાર પણ લેણું લઈને બેઠી છે . કોર્પોરેટ્સ પણ પર પણ દેવું ઘણું ઊંચું છે અને આ મંદી આવશે એ બહુ માંડ જશે , બેરોજગારી વધશે,  ઉત્પાદન ઘટશે.  આ નિવેદન પાછળ એમણે  કેટલાક કારણ આપ્યા એ પણ તાર્કિક છે.  આ ' ડોક્ટર ડુમ' ની વાતમાં દમ પણ છે.
1958માં ઈરાનમાં જન્મેલા અર્થશાસ્ત્રી ડોક્ટર નૂરિલ રૂબિની એ 'રોબીન મેક્રો એસોસીએટ્સ'ના ચેરમેન છે અને સાથે સાથે ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસના પ્રાધ્યાપક છે.  તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં પીએચડી કરેલું છે. ઉપરાંત તે ફેડરલ રિઝર્વના એડવાઈઝર પણ છે,  પણ સૌથી મહત્વની વાત છે કે તેમની 2008માં વૈશ્વિક મંદીની આગાહી સાચી પડી હતી . જે  સાચી પડતાં  તેઓ  વિશ્વમાં ' ડોક્ટર ડુમ' ના નામે જાણીતા બન્યા હતા. હવે ફરીથી તેમણે આવી મંદીની ન માત્ર આગાહી  કરી બલ્કે ,  અમેરિકી શેરબજારનો ઇન્ડેક્સ 'એસ એન્ડ પી 500'  30 ટકાથી 40 ટકા સુધી ઘટી શકે છે એવી વાત કરી. જેના  પડઘા દુનિયાભરમાં પડ્યા.  એમણે કહ્યું કે,  દુનિયા કોરોના  સામે ઝઝુમી,  રાહત પેકેજ અપાયા,  એના પછી રશિયા યુકેન યુદ્ધ આવ્યું.  એ યુદ્ધ પૂરું થયાની વાતો ભલે ચાલતી હોય પણ હજુ ગમે ત્યારે પાછું સળગી શકે છે. આ સમયમાં સરકાર અર્થતંત્ર માટે હવે  કોઈ વધુ રાહત આપી શકે એમ  નથી.  બીજીબાજુ , અમેરિકાની મધ્યસ્થ બેંક હોય કે ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હોય, 40 વર્ષની ઊંચાઈએ પહોંચેલો મોંઘવારીનો દર નીચો લાવવા માટે એમની પાસે વ્યાજ દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી, એટલે મંદી આવશે જ.  આ તર્કમાં દમ છે .
ડોક્ટર રૂબિનીએ તો એટલે સુધી કહી દીધું કે નવેમ્બરથી મંદી ચાલુ થશે અને તે 2023ના અંત સુધી રહેશે . જે લોકો લાંબા સમયથી સામાન્ય મંદીની આગાહી કરે છે એ લોકોએ વિચારવું જોઈએ કે વ્યાજ દર જેમ વધશે એમ કંપનીઓ દબાણમાં આવશે. અનેક કંપનીઓ બચી નહીં શકે.  બીજીબાજુ ,  સરકારી તંત્ર અને નિગમો મોટું ઋણ લઈને બેઠા છે.  એ લોકો પાસે પણ વ્યાજ દર વધારવા સિવાય કોઈ વિકલ્પ નહિ હોય,  કારણ કે ફેડરલ બેંકે બે ટકા સુધી ફુગાવાનો દર નીચે લઈ આવવાનું  લક્ષ્ય રાખ્યું છે.  એ ત્યારે જ શક્ય બનશે જ્યારે વ્યાજ દર સતત ઊંચા રહે. ફેડરલ બેંક નવેમ્બર ડિસેમ્બરમાં અડધો ટકો વધારશે અને પછીના એક બે મહિનામાં વ્યાજ દર વધારીને સવા ચાર ટકા સુધી લઈ જશે. જેને પગલે પગલે વિશ્વની અન્ય આરબીઆઈ સહિતની મધ્યસ્થ બેંકો પણ વ્યાજ દર વધારો કરશે. રોજગાર સર્જન કરતી કંપનીઓ , સંસ્થાઓ , કોર્પોરેટ બેંકો આ વિષચક્રમાં બરબાદ પણ થઈ શકે છે.
અત્યારે તો વિશ્વભરના રોકાણકરો ચિંતિત બની ગયા છે. દુનિયાભરની સાથે ભારતની બજારમાં પણ કડાકો  છે.  વિદેશી રોકાણકારો પોતાના નાણા પાછા લઈ જઈ રહયા હોય છે.  પણ,  બે નિવેદન નોંધપાત્ર છે. જાણીતા ભારતીય ઉદ્યોગપતિ ઉદય કોટકે તો કહ્યું કે આ સમય ભારત માટે ઉજળો છે.  કારણ કે દુનિયાભરમાં મંદી છવાશે તો વૈશ્વિક રોકાણકરોને ભારત જ શ્રેષ્ઠ લાગશે અને ભારતમાં તેજી આવશે. ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે પણ કહયુ કે, ભારત 7 ટકાના દરે વિકાસ સાધશે, પરંતુ આ તર્ક કેટલો સાચો છે તો સમય કહેશે.  કારણ કે ભારત વિશ્વથી અછુતું નથી.  અમેરિકામાં કાંઈ પણ થાય તો ભારતમાં અસર થાય જ છે.  આ મંદીને જોઈને ખરીદી કરવી કે નહીં.  નિષ્ણાતોની સલાહ મહત્વની હોય છે.  કારણ કે દરેકની આર્થિક સ્થિતિ અલગ અલગ હોય છે. નાના રોકાણકારો કેટલું જોખમ લઈ શકે છે,  એના પર નવા રોકાણનો આધાર રહેશે.
મંદીના ભણકારા તો ઘણા સમયથી છે ત્યાં ડોલર સામે રૂપિયો તળિયે આવી ગયો,  વ્યાજ દર હજુ ઊંચા જવાનો ભય છે, રશિયા-યુક્રેન યુદ્ધ શાંત થયું નથી,  ત્યાં 2008ની વૈશ્વિક મંદીની સાચી આગાહી કરનારા અમેરિકી અર્થશાસ્ત્રી નુરીલ રૂબિનીએ ફરી લાંબી અને ગંભીર મંદીની સંભાવના વ્યક્ત કરતાં વિશ્વના બજારો હચમચી   ગયા : ભારત વૈશ્વિક વલણથી બિલકુલ અલગ તો થઈ ન શકે પણ અન્ય દેશો કરતાં સારી સ્થિતિ ભારતને ફાયદો જરૂર કરાવી શકશે.

KUTCH has potential to become silicon Valley

આપણે માનીએ છીએ કે જીવનમાં હવા, પાણી, ખોરાક જ મહત્ત્વનો છે,  પણ આજના જીવનમાં " ચીપ"  વિના ચાલે એમ નથી.  હાથમાં મોબાઈલ હોય, રસ્તામાં ગાડી હોય,  કિચનમાં માઇક્રોવેવ ઓવન હોય,  ઘરમાં ફ્રીજ હોય, ટીવી  જ્યાં  પણ હો,  તમારું જીવન આ ' ચીપ'  સાથે જોડાઈ ગયું છે . આ ચીપના ઉત્પાદનમાં ત્રણ દેશો  ચીન,  તાઇવાન અને દક્ષિણ કોરિયાની  વિશ્વમાં દાદાગીરી છે. દુનિયાના ઇલેક્ટ્રોનિક્સ,  ટીવી, મોબાઈલ,  લેપટોપ, વાહનો , કાર,  ટુ વ્હીલર નિર્માતા આ બધા ત્રણ દેશો પર ચીપ માટે નિર્ભર છે.  વિશ્વભરના કુલ ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો આ ત્રણ દેશોનો છે.  કોરોનામાં સપ્લાય ચેઇન- પુરવઠો  બંધ થઈ ત્યારે વિશ્વભરમાં આ ઉત્પાદનોનું કામ ઠપ થઈ ગયું હતું. આ સમયે જ આત્મ નિર્ભરતાનો  વડાપ્રધાને કોલ આપ્યો હતો અને એ સાથે આ  વિચાર બીજના મંડાણ થયા હતા . એ ચીપ એટલે કે ' સેમીકંડકટર'ના  પણ ભારતમાં નિર્માણના પ્રયાસો શરૂ થયા હતા. ભારતમાં આ પ્લાન્ટ શરૂ કરવાની રેસમાં કર્ણાટક,  મહારાષ્ટ્ર , તેલંગાણા અને ગુજરાત હતું .  અંતે ગયા અઠવાડિયે ગુજરાતમાં આ પ્લાન્ટ આવ્યો.  પ્લાન્ટના ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી મંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ થયા.  આ સમજૂતીના સમાચાર સાથે અમદાવાદની આસપાસ પ્લાન્ટ સ્થપાવાની જ વાત આવી હતી.  પરંતુ હવે આંતરિક ગતિવિધિ એવી છે કે આઠ સ્થળો વિચારાધીન છે અને એમાં કચ્છનો દાવો મજબૂત છે . આમેય કચ્છ એનર્જી પાર્ક ,  સિમેન્ટ,  મરીન કેમિકલ અને પોર્ટની ગતિવિધિથી ઓદ્યોગિક ક્ષેત્ર કચ્છ આગળ વધે જ છે અને હવે જો આ પ્લાન્ટ પણ કચ્છમાં આવવાની જાહેરાત થાય તો કચ્છ એ વિશ્વનું ' બીજું સિલિકોન વેલી '  બની જશે.
ગત અઠવાડિયે તેલ, ગેસ અને ધાતુ સમૂહની વૈશ્વિક સ્તરીય કંપની અને   ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ ચેરમેન એવા વેદાંતા જૂથ અને વિશ્વમાં સેમીકંડકટર નિર્માતા ક્ષેત્રે જે ટોચ ઉપર છે એવી તાઇવાનની કંપની ફોકસકોન વચ્ચે રૂપિયા 1.54 લાખ કરોડનું તબક્કાવાર રોકાણ કરવાના એમઓયુ થયા. આ ક્ષેત્રનું ભારતમાં આ સૌથી મોટું મૂડી રોકાણ છે. કેટલા બધા રાજ્યો આ સમજૂતી માટે પ્રયત્નશીલ હતા,  એ એવા વિવાદથી દેખાય છે કે આ એમઓયુની જાહેરાત થઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાલ મચી. ત્યાં હમણાં જ ભાજપ સમર્થિત સરકાર આવી છે અને આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાત બાજુ વળી ગયો. આ  કાગારોળ મચી એ જ બતાવે છે કે આ પ્રોજેક્ટનું કેટલું મહત્વ છે.  હવે ગુજરાત આવી ગયો છે અને કચ્છ પણ આવી શકે છે.
ઔદ્યોગિક અને સરકારી અધિકારી સ્તરના સૂત્રોના કહેવા મુજબ કંપની મોટા શહેર નજીક સ્થપાય તો વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સારી માળખાકીય સુવિધા અને સારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ મળે અને એ બધું અમદાવાદમાંની નજીક મળે , અને એ કારણે અમદાવાદની નજીક જ પ્રોજેક્ટ આવે એવી પહેલી ગણતરી મૂકવામાં આવી હતી, પરંતુ અત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારના આઈએસ અધિકારીઓની'  કન્સોરટિયમ ટીમ'  બનેલી છે અને એ લોકોએ ૮ સ્થળ પર વિચારણા શરૂ કરી છે.  આ પ્લાન્ટ માટે 1000 એકર જમીન જરૂરી છે.  જે ગુજરાત સરકારે લગભગ 75 ટકાના રાહત સાથે આપવાની તૈયારી બતાવી દિધી  છે. અગાઉ વિનામૂલ્યે જમીન આપવાની વાત હતી .મહારાષ્ટ્ર સરકાર પાસે પણ વેદાન્તાએ વિનામૂલ્ય કે સસ્તી જમીન અને રાહત ભાવે વીજળી, પાણીની જમીનની વાત કરી હતી.  જે ત્યાંની મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારે વિચારણામાં રાખી ને જવાબ ન આપ્યો. ત્યાં સરકાર બદલાઈ અને ગુજરાત સાથે જાહેર થઈ ગયા. ગુજરાતના સંભવિત સ્થળોમાં અમદાવાદ નજીકના બે વિકલ્પ તપાસવામાં આવે તો ધોલેરા સર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) અને માંડલ બહુચરાજી છે . પણ,  આ પ્લાન્ટની નજીક પોર્ટ પણ હોવું જરૂરી છે.  ત્રીજો વિકલ્પ દહેજ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનનો છે. જેમાં હજીરા પોર્ટ નજીક પડે અને જીઆઇડીસીના  સંચાલનમાં જરૂરી જમીન પણ મળી રહે એમ છે.  આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તાર પર નજર કરવામાં આવે તો જામનગર છે અને છેલ્લે વિકલ્પ કચ્છ છે. 
હવે આ જે પ્રકારનો ઉદ્યોગ છે એના વિશે વેદાંતાના ચેરમેને ટીવી માધ્યમો સાથે જે વાત કરી હતી.  એ પ્રમાણે વીજળી,  પાણી,  બંદર , મોટું શહેર નજીક હોય અથવા તો રાષ્ટ્રીય માર્ગ નજીક હોય ઉપરાંત 1000 એકર જમીનને પ્લાન્ટ લોકેશનમાં પસંદગી માટે આવશ્યક ગણાવી હતી. કચ્છ એવું સ્થળ છે કે જેમાં માત્ર પાણીનો મુદ્દો કદાચ ઊભો થઈ શકે , જોકે  હવે નર્મદામાંથી પણ વ્યવસ્થા થઈ શકે.  પરંતુ વીજળી,  વિશાળ જમીન,  બંદર અને રેલવે , એરપોર્ટ સુવિધા બધું જ  ઉપલબ્ધ છે,  એટલે કચ્છનો દાવો મજબૂત બની જાય છે.
ઔદ્યોગિક સૂત્રોના વધુમાં દાવા મુજબ, અદાણી બંદર નજીક જે સેઝ આવેલું છે , એમાં પણ 1000 એકર જમીન ઉપલબ્ધ થઈ શકે એમ છે.  બીજું , પહેલા સેઝના કાયદા એવા હતા કે સ્થાનિકે નિકાસ કરવામાં મુશ્કેલી પડે . હવે સેઝના કાયદા બદલી ગયા છે. આંતરરાષ્ટ્રીય નિકાસની સાથે સ્થાનિકે પણ માલ વેચી શકાય છે.  અદાણી બંદર પર પણ પરિવહન વ્યવહાર વધી શકે છે.  આ પરિબળોને જોઈએ તો કદાચ અદાણી જૂથની રાજકીય વગ પણ આમાં કામ કરી જાય અને પ્રોજેક્ટ કચ્છને મળી જાય તો નવાઈ નહીં . આ બધું અંતે તો રાજકીય ઈચ્છાશક્તિ ઉપર નિર્ભર છે.  કારણ કે લાંબા સમયથી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો સાથે સાથે વેદાંતાની વાતચીત ચાલતી હતી અને છેલ્લે ગુજરાતે બાજી મારી લીધી. સૂત્રો મજબૂતપણે માને છે કે નવી દિલ્હીની ' સરકાર'  ધારે તો કચ્છ પ્રેમ બતાવી શકે અને આ પ્રોજેક્ટ આવી જાય. 
જોકે, કચ્છ માટે એક નકારાત્મક પરિબળ છે કે કચ્છમાં ધૂળ બહુ ઉડે છે . ચીપ બહુ નાજુક વસ્તુ છે અને મોબાઈલ ટીવીમાં જે ગ્લાસ વપરાય છે એના માટે પણ એકદમ સ્વચ્છતા જોઈએ . બીજું આ ઉદ્યોગ માટે અવાજ પ્રદૂષણ અને નજીકમાં કોઈ ઉદ્યોગ ન હોય એવી જગ્યા જોઈએ.  આ મુદ્દા સિવાય પાણીના નિકાલનો પણ સવાલ ઊભો થઈ શકે છે. 
આ અમેરિકામાં રાષ્ટ્રપતિપદે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે પણ આ ફોક્સકોન કંપનીનો પ્રોજેક્ટ ઉભો કર્યો હતો પણ,  અમેરિકાના નાગરિકોએ પર્યાવરણના પ્રશ્નો ઊભા કર્યા,  કારણ કે પાણી નિકાલનો મોટો પ્રશ્ન ઉદભવે એમ છે.  આ બધા પ્રશ્નો પણ ઊભા થઈ શકે પણ અંતે મહત્વનું એ છે કે આ પ્રોજેક્ટથી આવનારા દાયકામાં એકાદ લાખ યુવાનોને પરોક્ષ કે પ્રત્યક્ષ રોજગારી મળશે એ નક્કી છે અને કચ્છ માટે આ એક નવો અધ્યાય શરૂ થાય એમ છે.  વિશ્વમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ અમેરિકામાં પણ હજી યોગ્ય રીતે કામ ચાલુ નથી કરી શકાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બને અને એ પ્લાન્ટ કે જેના પર દેશ જ નહીં,  વિશ્વભરની નજર છે, એ કચ્છમાં શરૂ થાય તો કચ્છનું ખરેખર નસીબ ઝળહળી ઊઠે એમ છે. 
 સરકારી અધિકારીઓને જણાવ્યા મુજબ ચૂંટણી હવે થોડા દિવસોમાં આવવાની છે અને જેમ ઝડપભેર ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા,  એમ આચારસંહિતા જાહેર થાય એ પહેલાં  વડાપ્રધાન આ પ્રોજેક્ટ માટે જાતે આવીને તેમના હસ્તે જ આ ભૂમિપૂજન કરશે. આ માટેની ગતિવિધિ જારી છે. ઓક્ટોબરમાં ફરી વડાપ્રધાન ગુજરાત આવવાના જ છે. જો પ્લાન્ટનું સ્થળ કચ્છ હોય તો વડાપ્રધાન કચ્છ આવશે અને જાતે વિશ્વના નવા ' સિલિકોન વેલી' નો ' શિલાન્યાસ ' કરશે.

ઉપરાંત ,   જે એમઓયુ થયા છે એમાં ત્રણ પ્લાન્ટ છે . એક સેમીકંડકટર ફેબ્રિકેશન,  બીજો ડિસ્પ્લે ફેબ્રિકેશન અને ત્રીજો સેમિકન્ડક્ટર એસેમ્બલી.  એવું પણ બને કે કોઈપણ એક કચ્છમાં આવે અને બાકીના બહાર રહે પણ આ બધું સમય આવે ત્યારે થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે . અત્યારે તો સ્થાન નક્કી કરવા માટે અધિકારીઓ અને કંપની જહેમત ઉઠાવી રહી છે.


Wednesday, 7 September 2022

India became the fifth largest economy in the world., But true economic development only, if per capita income increases...

ધારણા હતી અને થયું પણ. ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને અમૃત વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જ 1947 સુધી આપણા પર રાજ કરનારા અંગ્રેજોના દેશ બ્રિટનને આપણે અર્થતંત્રના વ્યાપની દ્રષ્ટિએ પછડાટ આપી.  'સોને કી ચીડિયા' ગણાતા હિન્દુસ્તાન પર 75 વર્ષ પહેલાંના સમય સુધી  શાસન કરનારા દેશ માટે આ મોટી પછડાટ છે. કારણ કે તે અત્યારે ફુગાવો,  મંદી જેવી આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો છે.  બીજા મહત્વના સહયોગ એ છે કે આ લેખ વાંચવામાં આવતો હશે એ દિવસે સોમવારે યુકેના નવા વડાપ્રધાનની ત્યાંની કન્ઝર્વેટીવ પક્ષ દ્વારા જાહેરાત થવાની છે.  એમાં પણ મૂળ ભારતીય અને બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું નામ આગળ છે.  જોકે, છેલ્લી ઘડીના વર્તારા પ્રમાણે પૂર્વ વિદેશ મંત્રી લીઝ ટ્રસના નામ પર અંતિમ ઘડીએ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.  પરંતુ મૂળ વાત એ છે કે જે પણ નવા વડાપ્રધાન બનશે તેના માટે જબરદસ્ત આર્થિક પડકારો છે.  ભારત અનેક મોરચે સારો દેખાવ કરે છે તો બ્રિટન કોરોના અને રશિયા યુક્રેન યુદ્ધ પછીના આ સમયમાં અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે. અને તેનું અર્થતંત્રના  કદ પ્રમાણે વિશ્વના ટોચના પાંચ ક્રમનું સ્થાન પણ છીનવાઈ ગયું છે. 
ભારત દસ વર્ષ પહેલાં અર્થતંત્રના કદની રીતે 11માં સ્થાને હતું અને બ્રિટન પાંચમે જ હતું . આજે ભારતે કેનેડા, બ્રાઝિલ, ઇટાલી, ફ્રાન્સ અને છેલ્લે બ્રિટન એમ એક પછી એક ક્રમ આગળ વધીને મોટી સીધ્ધિ હાંસિલ કરી છે.  બ્લુમ્બરગના હેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઈએમએફ)એ તેની ગણતરીના આધારે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત જીડીપીના આધારે બ્રિટનથી આગળ નીકળી હવે પાંચમા સ્થાને છે. 
કેવી રીતે આ નક્કી થાય છે આ ?  આઈએમએફ ત્રિમાસિક ગાળાના અંતે તેના ડેટાબેઝ અને બ્લુમબર્ગ ટર્મિનલ પરના તેના અમેરિકી ડોલર સાથેના વિનિમય દરોના આંકડાના આધારે જે તે દેશનું જીડીપીનું પ્રમાણ અને આર્થિક કદ જાહેર કરે છે.  છેલ્લે 2021માં પૂરા થતા અંતિમ ત્રિમાસિક ગાળાના જાહેર કરેલા આંક પ્રમાણે ભારતીય અર્થતંત્રનું કદ વધીને 854.7 અબજ ડોલર થઈ ગયું. તો યુકેનું કદ 816 અબજ ડોલર થયું છે. 
 બ્રિટન અને ભારતની અત્યારની આર્થિક સ્થિતિમાં પણ ઘણો તફાવત છે.  વૈશ્વિક મંદીની ચર્ચા વચ્ચે અન્ય દેશોના બજારો કરતાં વિપરીત ભારતીય બજારમાં રોકાણ પાછું આવી રહ્યું છે. યુકેમાં તો તેની મધ્યસ્થ  બેંક બેંક ઓફ ઈંગ્લેન્ડએ સ્પષ્ટ નિવેદન આપી દીધું છે કે 2024 સુધી દેશમાં મંદિનું સંકટ રહી શકે છે.  યુકે અત્યારે ઊંચા જીવનધોરણ ખર્ચનો સામનો કરે છે . મોંઘવારીનો દર 40 વર્ષની ઊંચાઈએ છે. યુકેનો જીડીપી દર બીજા ત્રિમાસિક ગાળામાં રોકડના સંદર્ભે માત્ર એક ટકો વધ્યો હતો અને ફુગાવાની સાથે ગણતરીમાં લેવામાં આવે તો 0.1 ટકાનો  ઘટાડો થયો છે.  અમેરિકા સામે ભારતીય ચલણ રૂપિયો પણ નબળો તો છે જ પરંતુ બ્રિટનના ચલણ પાઉન્ડની સરખામણીએ ઘણો વધુ તૂટી રહ્યો છે. પાઉન્ડ તો ભારતીય રૂપિયા સામે પણ 8 ટકા નબળો પડી ચૂક્યો છે.  ખુદ આઈએમએફએ તેના અહેવાલમાં નોંધ કરી છે કે ડોલર સાથેની સ્થિતિની રીતે ભારત બ્રિટન કરતાં મજબૂત થશે અને એશિયન પાવર હાઉસ તરીકે ઉભરી આવશે.  
જે પણ નવા વડાપ્રધાન આવશે તેના માટે ઘણા પડકારો છે.  છેલ્લે જુલાઈ 2022માં બ્રિટનનો ફુગાવાનો વાર્ષિક દર 10.1 ટકા હતો . જે વિકસિત દેશોના જૂથોમાં સૌથી ઊંચો છે.  બ્રિટનને આયાતી ગેસની વધુ જરૂર પડે છે , જે પુરવઠો યુદ્ધ પછી અનિયમિત અને મોંઘો થયો છે.  જો ગેસના ભાવ અંકુશમાં નહીં આવે તો મોંઘવારીની આગ વધુ ભભૂકશે.  આ સિવાય શ્રમ બજારની મુશ્કેલીઓથી પણ બ્રિટન ઘેરાયેલું છે.  મોંઘવારીને અંકુશમાં લેવા વ્યાજ દર વધુ ઊંચા જશે , જે કોર્પોરેટ માટે અનુકૂળ નથી અને બજારને પણ નહીં ગમે.  મંદી  ને બેરોજગારી વધી શકે છે. 
 બીજીતરફ ભારત બે વર્ષના કોરોના કાળ સિવાય સતત સારો દેખાવ કરીને આગળ વધે છે.  આરબીઆઈના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષે 7 થી 7.5  ટકાના વિકાસ દરનો અંદાજ છે.  2020-21 માં પણ 8.7 ટકાના દરે વિકાસ કર્યો છે.  કોરોના કાળ પહેલાના જીડીપીની સરખામણીએ ભારતે 4 ટકા વધુના દરે વિકાસ કર્યો છે . વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ભારત તરફ ટકી રહેલો વિશ્વાસ એ મજબૂત સ્થિતિની નિશાની છે.  એમએસસીઆઈ ઇમરજિંગ માર્કેટ ઇન્ડેક્સ મુજબ ભારત એ ચીન પછી બીજા ક્રમે ઉભરતા બજાર તરીકે આકર્ષણ ધરાવે છે. 
 શનિવારે એસબીઆઇ રિસર્ચે તો એવું અનુમાન પણ કરી દીધું કે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર તો ભલે થયું , પણ વર્ષ 2029 -30 માં  ત્રીજા ક્રમમાં પહોંચી જશે . બીજું અત્યારે યુકેથી ભલે થોડું જ આગળ ગયું.  પરંતુ ઝડપથી તેનાથી ઘણું આગળ નીકળી જશે અને બંનેનું અંતર વધી જશે. 
 પણ,  આ બધામાં સૌથી મહત્વની વાત એ ભૂલવી ન જોઈએ કે આર્થિક કદ ભલે યુકે કરતાં આપણું વધ્યું,  પરંતુ મૂળ વાત છે લોકોની આર્થિક સ્થિતિની.  બ્રિટનની વસ્તી લગભગ ૭ કરોડ છે.  ભારતની તેનાથી લગભગ 20 ગણી છે. વસ્તી વધુ હોવાથી માથાદીઠ આવક , ગરીબીનું પ્રમાણ,  માનવ વિકાસ સૂચકાંક,  શિક્ષણ - આરોગ્યની સુવિધાની સરખામણીએ આપણે ઘણા ઘણા બ્રિટનથી પાછળ છીએ.  એ સુધારો થાય તો  સાચા અર્થનો ફાયદો કરાવશે.