Sunday, 6 March 2022

UKRAINE WILL BECOME " BAJIGAR "

રશિયાને આ જંગ બહુ ભારે પડવાનો છે

 આર્થિક યુદ્ધમાં `બાજીગર' બને છે યુક્રેન

 સૈન્ય મોરચે રશિયા જીતી જશે એ દેખાતું  જ હતું, પણ યુદ્ધ છેડાયા પછી અમેરિકા - બ્રિટન અને સાથી દેશોએ  એવી જગ્યાએ  પ્રતિબંધના પ્રહાર કર્યા છે કે કળ વળતાં લાંબો સમય લાગશે : દુનિયાના 11મા ક્રમનાં અર્થતંત્રને વિશ્વમાં સ્થગિત થયેલા નાણા વ્યવહાર, સિક્યુરિટીઝ - મિલકતો પર રોક, તૂટેલા રૂબલ - શેરબજાર સહિતના મોરચે જંગ ખેલવાનો આવશે

 

રશિયા-યુક્રેન યુદ્ધ પરાકાષ્ઠાએ છે. રશિયા તેની ધારણા મુજબના દિવસોમાં જીતી નથી શક્યું, તો યુક્રેન પણ હાર માનવા તૈયાર નથી. કદાચ યુદ્ધ પહેલાં પણ યુક્રેન જાણતું હશે કે અમે સૈન્ય યુદ્ધમાં લાંબું ટકી નહીં શકીએ, પણ સૈન્ય યુદ્ધની સાથે સાથે આર્થિક યુદ્ધ પણ ચાલુ થઇ ગયું. અમેરિકા, બ્રિટન અને મિત્ર દેશો ભલે જંગ-એ-મેદાનમાં ન ઉતર્યા, પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, યુક્રેનને આર્થિક સહાય ચાલુ કરી દીધી છે એ સતત જારી છે. હવે સ્થિતિ એવી ઊભી થઇ કે યુક્રેન ભલે હારી જશે, પણ `બાજીગર' પુરવાર થશે !

આ સંજોગો  હિન્દી ફિલ્મજગતનો એક પ્રસિદ્ધ ડાયલોગ અને એક ગીતને યાદ કરાવે છે. `બાજીગર' ફિલ્મમાં શાહરુખનો જાણીતો ડાયલોગ છે : `કભી કભી જીતને કે લીયે કુછ હારના પડતા હૈ, ઔર હાર કર જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ.'! બીજું, `જો જીતા વો હી સિકંદર' ફિલ્મનું ગીત જાણીતું છે : `વો સિકંદર હી દોસ્તો કહેલાતા હૈ, હારી બાજી કો જીતના જીસે આતા હૈ' !

ભલે, રશિયા જીતે છે, પણ આર્થિક રીતે પુતિનને પણ આ જંગ બહુ ભારે પડવાનો છે. લાંબા સમય સુધી તેને પરિણામ ભોગવવાં પડશે. આર્થિક મોરચે પણ ચાલી રહેલાં સમાંતર યુદ્ધમાં સાથે સાથે અનેક દેશો પણ જોડાઇને તેના આર્થિક ખેલ પાર પાડી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી `િસકંદર' અને `બાજીગર'ની જેમ ટક્કર આપે છે. અમેરિકા, બ્રિટન, જાપાન,  તાઇવાન સહિતના દેશો આર્થિક પ્રતિબંધો, હવાઇસીમા પર રશિયાને મનાઇ જેવા પ્રતિબંધોથી એવી જગ્યાએ પ્રહાર કરી રહ્યા છે, જ્યાં રશિયાને વધુ તકલીફો ઊભી થાય. શનિવારે  અમેરિકન રાષ્ટ્રપતિ બાયડને હુમલા રોકવામાં આવશે તો પ્રતિબંધ હટાવવાની તૈયારી બતાવી હતી, એમાં રશિયાનું આર્થિક હિત છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી પુતિનની કોઇ પ્રતિક્રિયા નથી આવી. જેમ જેમ યુદ્ધની વિનાશકતા આગળ વધે છે, નવા નવા દેશો રાજદ્વારી અને આર્થિક પ્રતિબંધો લગાડી રહ્યા?છે.

અમેરિકા અને બ્રિટને શરૂઆત કરી હતી. જે ઘણી ગંભીર છે. અમેરિકાએ  રશિયાને મળનારી લોન તેમજ  રશિયાના ટોચના અજબપતિઓની મિલકતોને ફ્રીઝ (વ્યવહાર અટકાવી નાખવો)  કરી દીધી. તમામ પશ્ચિમી દેશોએ રશિયાની સેન્ટ્રલ બેન્કોની મિલકતો  ફ્રીઝ કરી નાખી છે. રશિયાને  સ્વીફ્ટમાંથી બાકાત કરી નાખ્યું છે. 11 દેશોએ  રશિયન બેન્કો સાથેની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. અમેરિકા અને બ્રિટને રશિયાની બે સૌથી મોટી બેન્ક સબર બેન્ક અને વીટીબી બેન્ક સાથેની તમામ કાર્યવાહી રોકી દીધી છે. આ સાથે વેબ બેન્ક અને મિલિટરી બેન્ક સાથેની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકી દીધો. 

અમેરિકન શેરબજાર ભાવાંક નાસ્દાક અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જે પણ તેમની બજારમાં લિસ્ટેડ રશિયાની કંપનીઓના શેરોની લે-વેચ અટકાવી નાખી હતી. બ્રિટને  પાંચ રશિયન બેંક અને રાષ્ટ્રપતિ પુતિનના નજીકના ત્રણ અબજપતિ રશિયન નાગરિક પર પ્રતિબંધ લગાડી દીધો છે. આ લોકો બ્રિટન સાથે કોઇ સંબંધ નહીં રાખી શકે. આ પછી રશિયન અબજપતિઓએ દેશમાં પુતિન સામે જ અવાજ ઉઠાવ્યો હતો. રશિયાનાં એટીએમની બહાર લોકોની લાંબી કતાર લાગી ગઇ છે.

જી-7 દેશોમાં સામેલ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયાને ડોનેસ્ક અને લુહાંસ્કનાં એક્સચેન્જોમાંથી બધા જ પ્રકારના વ્યાપાર, રોકાણ અને સહાય પર પ્રતિબંધ મૂકી દીધો છે. જર્મનીએ પણ નોર્ક સ્ટ્રીમની 2 ગેસ પાઇપલાઇન યોજનાને રોકી દીધી હતી. બ્રિટિશ પેટ્રોલિયમ અને શેલ સહિત અનેક વિદેશી ફંડોએ રશિયાની એસેટ્સને ફ્રીઝ કરી દીધી છે. રશિયાની સિક્યુરિટીઝ વેચવા પર પણ પ્રતિબંધ મુકાઇ ગયો. આ સિવાય સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમનાં દરવાજા રશિયા માટે બંધ કરાયા અને અમેરિકા સહિતના દેશોએ રશિયન વિમાનો માટે હવાઇસીમા પણ બંધ કરી દીધી છે.

આવા પ્રતિબંધોથી દુનિયાની 11મા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા રશિયા દુનિયાનાં દેશોથી અલગથલગ પડી ગઇ છે. પ્રતિબંધોથી રશિયાનો કુલ 6.30 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર સ્થગિત થઇ ગયો છે. અમેરિકાનો તો દાવો છે કે રશિયા પર નાણાકીય પ્રતિબંધથી 10 સૌથી મોટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન પર અસર થશે. રશિયાની નાણાકીય સંસ્થાઓ દૈનિક દુનિયાભરમાં 46 અરબ ડોલરનો નાણાકીય વ્યવહાર કરે છે, જેમાંથી 80 ટકા લેવડ-દેવડ ડોલરમાં થાય છે. એથી રશિયાને ભારે નુકસાન થઇ રહ્યું છે. રશિયાની નિકાસ પર પણ પ્રતિબંધ મુકાયા હોવાથી વિદેશી હુંડિયામણ પ્રભાવિત થશે.

રશિયાનાં શેરબજાર અને ચલણ પણ ઐતિહાસિક તૂટયાં છે. ભવિષ્યમાં જીડીપીમાં પણ નોંધપાત્ર ઘટાડો આવશે. જંગ શરૂ થયા પછી અત્યાર સુધીમાં રશિયાનું ચલણ રૂબલ ઐતિહાસિક લઘુતમ સ્તરે 30 ટકાથી વધુ તૂટી ચૂક્યું છે, જ્યારે રશિયાનું શેરબજાર 40 ટકાથી વધુ ગગડી ગયું છે. પ્રતિબંધોથી રશિયાની જીડીપીમાં 1.5થી 2 ટકાના ઘટાડાની આશંકા છે. અર્થતંત્ર મંદીમાં ઘસડાઇ શકે છે. રૂબલનો એક અમેરિકી ડોલરનો ભાવ 25મી ફેબ્રુઆરીના 80 રૂા. હતો, જે તળિયે જઇને 118 રૂા. સુધી નીચે ગયો છે. રશિયાએ ગભરાઇને વ્યાજદરો અત્યારથી જ 9.5 ટકાથી વધારીને 20 ટકા કરી નાખ્યા છે. વિદેશ સાથે નાણા વ્યવહાર પર પ્રતિબંધ મુકાતાં રશિયન કંપનીઓએ તેમની આવકને ઘરેલુ બજારનાં ચલણમાં રૂપાંતરિત કરવી પડશે. 80 ટકા આવક વિદેશી ચલણમાં હતી.

દુનિયાભરની રેટિંગ એજન્સીઓ આ યુદ્ધથી ભારતને સૌથી ખરાબ અસર થવાની વાત કરે છે, પરંતુ જીતનારા દેશ રશિયાને પણ ડાઉનગ્રેડ કરી રહી છે. મૂડીઝે રશિયાને `જંક' ગ્રેડમાં- તળિયે મુકયું છે, બલ્કે રશિયા પર અસરો દેખાવા લાગી છે. લોકોને સામાન્ય વ્યવહારમાં સમસ્યા વધી ગઇ છે. બાયડનનું થોડા દિવસ પહેલાંનું નિવેદન નોંધનીય છે કે પુતિનને અંદાજ પણ નહીં હોય કે આટલા બધા પ્રતિબંધો લાગશે. યુક્રેનને તો સહાય-મદદ ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવીય કોષ દ્વારા બે કરોડ ડોલર અને ઈયુના આર્થિક સહાયતા ભંડોળમાંથી 1.5 અરબ યુરો આપવામાં આવશે. આમ, અત્યારે તો રશિયન નાણાકીય બજારમાં પણ હડકંપ મચેલો છે. ભલે, મિસાઇલ વિસ્ફોટ નથી.

...........




Tuesday, 1 March 2022

War is far away ...., But impact every house in India..!

યુદ્ધ ભલે થાય દૂર - દૂર,

પ્રભાવ ભારતમાં ઘર - ઘર

 

રશિયા - યુક્રેન યુદ્ધે આર્થિક ઊભરતા દેશોમાં મોટું સંકટ ઊભું કરી દીધું છે : શેરબજારના કડાકા તો હજુ સંકેત છે; યુદ્ધ વધુ ચાલ્યું તો ક્રૂડની આગથી પેટ્રોલ - ડીઝલ, ગેસ, અનાજ, ખાદ્યતેલની મોંઘવારીથી આમ આદમીના ખિસ્સાનો બોજ વધશે : સરકાર ઇંધણ પરની એક્સાઇઝ ડયૂટી ઘટાડે તો જ રાહત મળી શકે

 

યુક્રેન-રશિયા વચ્ચે છેડાઈ ગયેલું યુદ્ધ આ લખાય છે ત્યારે ગંભીર બની રહ્યું છે. કેટલું ચાલશે એ નક્કી નથી. સ્પષ્ટ છે કે આ બે દેશ વચ્ચે ભલે ઘર્ષણ હોય, પણ એનો પ્રભાવ આપણા દેશ અને ઘર સુધી છે. ક્રૂડની કિંમત હજુ ઊંચી જવાનો ભય તોળાય છે, શેરબજારનો પરચો મળી ગયો. અરે, આપણા ઘર સુધી પહોંચતાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, અનાજ, તેલ સુધી મોંઘવારીની માર માથે ઝળુંબે છે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટી-વેચાણવેરામાં સરકાર ઘટાડો કરી રાહત આપે એ વિકલ્પ છે, પણ એમાં કેટલું આગળ વધી શકાય એ પ્રશ્ન છે. યુદ્ધની શરૂઆત થઈ તેના થોડા સમય પહેલાં જ નાણાંમંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ સંકેત આપ્યો હતે કે, `આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે મોટો ખતરો છે.'

આ ઘર્ષણના આરંભ પહેલાં ભારતીય ટીવી ચેનલો ઉત્સાહથી હેવાલ આપતી હતી, પ્રતિનિધિઓ મોકલશે તેવી વાત કરતી હતી, પણ ભારત માટેય ખુશ થવા જેવું નથી. ભલે સીધી રીતે યુદ્ધમાં નથી અને તેનાં સબળ કારણો છે, કારોબારથી ભારત વ્યાપક રીતે જોડાયેલું છે. ક્રૂડતેલની કિંમત આઠ વર્ષમાં પહેલી વખત 100 ડોલરને પાર થઈ હતી, હજુ વધી શકે છે. આપણું અર્થતંત્ર ક્રૂડના ભાવ પર મહદ્દઅંશે આધારિત છે. અત્યારે કલ્પના કરવી મુશ્કેલ છ. પણ મોંઘવારીનો વધુ ઝટકો આવશે એ નક્કી છે.

રશિયા અને યુક્રેન બન્ને ભારત સાથે આયાત-નિકાસમાં જોડાયેલા છે. ભારતમાંથી રશિયાને નિકાસ કુલ નિકાસના 1 ટકાથી પણ ઓછી છે, પણ આયાત 1.4 ટકા છે. મુખ્ય હિસ્સો સંરક્ષણ જરૂરિયાતનો છે. સીપીઆઈના હેવાલ મુજબ રશિયા બીજા ક્રમનો સૌથી મોટો શત્રોનો નિકાસકાર દેશ છે, જેમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. સંરક્ષણની જરૂરિયાતોને અસર થશે.

ગત વર્ષે ભારતની કુલ કાચાં સનફ્લાવર (સૂરજમુખી) તેલની આયાતમાં યુક્રેનમાંથી આવતા જથ્થાથી હિસ્સેદારી 74 ટકા હતી. આ સાથે ભારત યુક્રેનનો કુલ કારોબાર 2019-20માં 2.52 અરબ ડોલર હતો. છેલ્લે નવેમ્બરના આંકડા મુજબ યુક્રેનથી ભારતમાં 18, 93,000 ટન સૂરજમુખી તેલ આયાત થયું હતું. આટલો મોટો જથ્થો ભારતમાં આવતો બંધ થાય તો શું અસર થાય તે સ્પષ્ટ છે.

શેરબજારમાં વીતેલા સપ્તાહમાં ઘમસાણ થયું. 25મી ફેબ્રુઆરીએ  તો સેન્સેક્સ 1974 આંકના કડાકા સાથે 55,858 પર બંધ થયો. દુનિયાનાં બાકી બજારોની સ્થિતિ પણ એવી જ છે. શુક્રવારે રિકવરી આવી, પણ હવે કડાકાનો આ દોર ક્યાં અટકશે એ સવાલ છે.

ગોલ્ડમેન સાક્સનો એક રિપોર્ટ યુદ્ધ પહેલાં જ આવ્યો હતો, જેમાં  કહેવામાં આવ્યું કે રશિયા અને યુક્રેનમાં પૂર્ણ લડાઇ થાય અને લાંબી ચાલે તો રશિયાનું ચલણ રૂબલ તેનાં ઐતિહાસિક સ્તરથી પણ નીચે જશે. એનો અર્થ એ કે દુનિયાભરમાં તેલની કિંમતમાં ભડકો થશે. ક્રૂડની શનિવારે આ લખાય છે ત્યારે કિંમત ભલે પ્રતિ બેરલ 100 ડોલરથી ઘટીને 98 ડોલર થઇ છે, પણ તેમાં હજુ 13થી 15 ટકાના ઉછાળાનું જોખમ તો ઊભું જ  છે.  એલપીજી અને સીએનજીની કિંમત પણ પ્રતિકિલો 10થી 15 રૂા. વધી શકે છે.

બીજાં પણ સંકટ છે. જે દેશો ત્યાંથી તેલ અને ગેસની ખરીદી કરે છે એમનેય મુશ્કેલી થશે. સમગ્ર દુનિયામાં ક્રૂડતેલની કિંમતોમાં અસર થશે અને થવાની શરૂઆત થઇ ચૂકી છે. તેની અસર દેખીતી રીતે ખાવા-પીવાની અને જીવનાવશ્યક ચીજોની કિંમત પર પણ પડશે. દેશના દરેક આમ આદમીને  તેની અસર થવાની છે. કારણ કે, ફૂડ સ્ટોક માર્કેટ (અનાજનાં બજાર)માં રશિયાની મોટી ભૂમિકા છે.

રશિયા ઘઉંનો મોટો નિકાસકાર દેશ છે. ભારતમાં પણ ઘઉં આવે છે. જો પુરવઠો બંધ થાય તો મુશ્કેલી આવશે. દેખીતી રીતે જાહેરમાં વ્યક્ત ન કરે, પણ રશિયા પણ ઇચ્છશે કે યુદ્ધ ચાલુ રહે અને ભાવ વધે તો સ્વાભાવિકપણે તેની કમાણી વધશે. કાચાં તેલ અને ખાદ્યતેલની કિંમત વધે તો તેનું હૂંડિયામણ વધશે.

આમ, એક બાજુ ક્રૂડની કિંમત બીજી બાજુ અનાજ આયાત કરતા દેશોમાં ખાવા-પીવાની ચીજોની કિંમત અને ત્રીજી તરફ ડોલર રૂબલની સરખામણીએ પણ મોંઘો થઇ?રહ્યો છે અને ભારતીય ચલણની સરખામણીએ પણ ડોલર મોંઘો બની રહ્યો છે. 24મીએ ગુરુવારે ભારતીય ચલણ સામે 76 રૂા. સુધી પહોંચી ગયો હતો. આમ, અનેક મોરચે ભારતે લડવાનું આવશે. વળી બંને યુદ્ધગ્રસ્ત દેશ કોપર અને નિકલના સૌથી મોટા નિકાસકાર દેશ છે. પુરવઠો ઘટશે તો ભારતનાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને અસર થશે, ઉત્પાદન ઘટી જશે.

બે દેશ વચ્ચેના મામલાની દુનિયાભરમાં  અસર છે. આ બધી બાબતો એવા સમયે દુનિયાની સામે ચિંતા બનીને આવી છે, જ્યારે કોરોના મહામારીમાંથી લોકો માંડ ઉગરી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશો અને ગરીબ-મધ્યમ વર્ગના દેશો-લોકો માટે મોટું સંકટ છે, ભલે યુદ્ધ દૂર-દૂર દેશોમાં થાય છે.

.............

Tuesday, 22 February 2022

The economic condition of the poor people of country has not improved yet..., even though claimed that economy risen after corona...!

ગોલ્ડ લોનના નવા આંકડા...

 આર્થિક નબળા વર્ગની કોરોનાકાળ

પછીય કઠણાઇના સૂચક

 

છેલ્લાં અઢી વર્ષમાં બેન્કો અને એનબીએફસીમાં સોનું ગીરવે મૂકીને લોન લેનારાનું પ્રમાણ 112 ટકા વધ્યું અને હવે દેશના 1 લાખ કેસોમાં લિલામીથી વસૂલીની જાહેરાત અપાઇ : ભારતમાં પરિવારનાં સ્વમાનનાં પ્રતીક જેવાં સોનાને ન છોડાવી શકનારા વર્ગનો વધતો આંક દર્શાવે છે કે તળિયાંના લોકોની સ્થિતિ હજુ સુધરી નથી

 

કોરોના મહામારી પછી નિયંત્રણો હળવાં થયાં, આર્થિક ગાડી પાટે ચડી ગઇ હોય તેવા આંકડા બહાર આવ્યા, બીજી અને ત્રીજી લહેરમાં  અગાઉ જેવું સંપૂર્ણ લોકડાઉન નહોતું અને હવે તો ત્રીજી લહેર પણ લગભગ થઇ ચૂકી છે, પરંતુ બધું સમુંસૂતરું અને પહેલાં જેવું જ થઇ ચૂક્યું છે એ સાચું નથી. જાન્યુઆરીમાં આર્થિક અસમાનતા પર એક હેવાલ આવ્યો હતો, જેમાં અમીરોની સંખ્યા વધી હતી, પરંતુ ગરીબ અને અમીર વચ્ચેની ખાઇ વધુ પહોળી થઇ હતી એ આપણે જોયું. ગત અઠવાડિયે બીજા આવા જ એક ચોંકાવનારા હેવાલ આવ્યા, જે ભારતના  તળિયાંના વર્ગની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપી ગયો. હેવાલ એવો હતો કે છેલ્લાં બે વર્ષમાં ગોલ્ડ લોન (સોનું ગીરવે મૂકીને લેવાતી લોન)નું પ્રમાણ ભારતમાં બે વર્ષમાં વધ્યું છે. એટલું જ નહીં, ડિફોલ્ટ કેસ (આવી લોન પરત નહીં ભરી શકનારા)નું પ્રમાણ પણ વધ્યું છે. વિક્રમી રીતે 1 લાખ આવા ડિફોલ્ટર કેસોમાં તેમણે ગીરવે મૂકેલાં સોનાની લિલામીની જાહેરાત થઇ. ગોલ્ડ લોનની બે મોટી કંપનીએ દોઢ ડઝન શહેરોમાં ગોલ્ડ ઓક્શનની પ9 નોટિસ જારી કરી, જે ઐતિહાસિક હતી.

જાણીતું છે કે, સોનું એ ભારતમાં સંસ્કૃતિ, સુરક્ષા, ગૌરવ, સન્માન, પરિવારની સદ્ધરતા, વારસાઇની અપાતી ભેટનું પ્રતીક છે. મોટેભાગે ભારતીય લોકો સોના પર ત્યારે જ લોન લે છે, જ્યારે કોઇ વિકલ્પ ન હોય કે કટોકટી હોય કે આર્થિક તાણ આવે.    હવે આરબીઆઇના આંકડા મુજબ છેલ્લા 21 મહિનામાં  ગોલ્ડ લોન લઇને ન ચૂકવી શકનારાઓનું પ્રમાણ 112 ટકા વધ્યું છે, જ્યારે છેલ્લા 12 મહિનામાં બેન્કો અને એનબીએફસી (નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની)ની આ પ્રકારની લોનની ઉઘરાણી 45.1 ટકા વધી છે. જે કોરોનાકાળ પછી વધેલી બેરોજગારી, પગારકાપ, નાના ધંધા બંધ થવા, માંદગી જેવી વધેલી સમસ્યાઓ પાછળ તળિયાંના વર્ગમાં આર્થિક તંગી વધવાનો સંકેત દર્શાવે છે. આમ, અસમાનતા તો વધી છે, પણ સાથે ગરીબ વર્ગની  વધેલી મુશ્કેલી અને હજુ બધું સમુસૂતરું પાર નથી પડયાની સ્થિતિનું સૂચક છે.

કોરોનાકાળ પછી ગોલ્ડ લોન બૂમ

રિઝર્વ બેન્કના આંકડા ચોંકાવનારા છે. કોવિડ પહેલાં જાન્યુઆરી-2020માં બેન્કોની ગોલ્ડ લોનનું પ્રમાણ રૂા. 29,355 કરોડ હતું, જે બે વર્ષમાં અઢી ગણું વધીને 70,871 કરોડ થયું.   દેશની સૌથી મોટી ખાનગી ગોલ્ડ લોન ફાઈનાન્સ કંપનીનો કુલ લોન પોર્ટફોલિયો 39,096 કરોડથી વધીને 61,696 કરોડ થયો છે અને હવે લિલામીની જાહેર નોટિસો આપી છે. બીજી તરફ, બેન્કો દ્વારા અપાતી ગોલ્ડ લોનનું પ્રમાણ પણ વધ્યું છે. પ્રાઇસનું સર્વેક્ષણ સૂચવે છે કે 2016ની સરખામણીએ  દેશનાં 60 ટકા આર્થિક રીતે નીચલા તબક્કામાં લોકોની આવક ઘટી છે, જે વધવી જોઇએ અને આ લોકો જ સૌથી વધુ ગોલ્ડ લોન લેતા હોય છે.

ઓછું વ્યાજ અને ધંધા માટે જ યોગ્ય

અનેક પ્રકારની લોનમાં ગોલ્ડ લોનની મંજૂરી અને તરત રકમ મળવી એ જમા પાસું છે, પરંતુ બધી જગ્યાએ તે સાચો વિકલ્પ નથી. બેન્કો ઓછું વ્યાજ લે છે, પરંતુ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ તો 12થી 18 ટકા જેવું તગડું વ્યાજ લઇ લે છે. સોનાનાં ભાવમાં પણ વધ-ઘટ રહેતી હોય છે અને કંપનીઓ સોનાની વર્તમાન કિંમતના 70થી 80 ટકા રકમ લોન પેટે આપે છે, એથી જ્યારે લોન લેનારા ચૂકવવામાં નિષ્ફળ જાય છે તેને મોટું નુકસાન ભોગવવું પડે છે. જો તેણે જરૂરિયાત સામે સોનું વેચી જ નાખ્યું હોત તો તે ફાયદામાં રહે એવું બને છે.

જો કે, બને એવું છે કે ભારતમાં સોનું એ માત્ર કોઇ ચીજ નથી, એક લાગણીનું જોડાણ છે. પતિ માટે તો સ્વમાનનું પ્રતીક છે, ગીરવે મૂકવું પડે તો તેનું સ્વમાન ગિરવે મૂકે છે. આથી મોટાભાગે વેચવાનું પસંદ નથી કરાતું. ભલે પછી કયારેક વ્યાજની રકમ એટલી બધી ચૂકવી દે છે કે જેટલી સોનાની કિંમત પણ વધી ન હોય. ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓની સંખ્યા પણ વધી છે. નાનાં શહેરોમાં પણ તેની શાખા જોવા મળે છે. ફાયદો એ છે કે વાહન, ઘર, વેપાર કે બીમારી - રકમનો કયાં ઉપયોગ કરવો એ લોન લેનારાની મરજી પર છે. એ વિકલ્પ પર્સનલ લોન સિવાય બીજી કોઇ લોનમાં નથી અને પર્સનલ લોનમાં નિશ્ચિત આવક અને લાંબી પ્રક્રિયા છે. આવી લોનનો નાના વ્યવસાયિકો રોજગાર માટે વધુ ઉપયોગ કરે છે અને ખરેખર ધંધામાં કાર્યશીલ મૂડી તરીકે જ અને ઓછા વ્યાજદરમાં મળે તો જ આવી લોન ફાયદામાં રહે. બાકી, સારા-માઠા પ્રસંગે તે નુકસાનીભરી જ સાબિત થાય છે. છતાં, લોકોને આવી લોન વધુને વધુ લેવી પડી રહી છે એ સંકેત છે કે નાનો વર્ગ હજુ મુશ્કેલીમાં જ છે.

,........... 

બીજી લોન કરતાં ગોલ્ડ લોન કઈ રીતે અલગ ?

ગોલ્ડ લોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે લેનારા માટે જેટલી સરળ છે, થોડા સમયમાં જ મળી જાય છે તેમ આપનારા માટે પણ સુરક્ષિત છે. કારણ કે, નિશ્ચિત અવધિમાં લોન ન ભરાય તો નોટિસ આપીને સીધી હરરાજીથી વસૂલી કરી લેવાય છે.

જમા પાસાં છે પણ હીતાવહ નથી. બીજી બધી લોનમાં સિબિલ સ્કોર (ધિરાણનો ઈતિહાસ)નું મહત્ત્વ છે, આમાં નથી. આઈડી પ્રૂફ, સરનામાંનો આધાર અને સોનું આપી દેવું કાફી છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને ફેર ચૂકવણીમાં પણ ઘણા વિકલ્પ છે. દર મહિને નિશ્ચિત રકમ કે અનુકૂળતાએ અને યોગ્ય લાગે તે રકમ કે થોડી થોડી રકમ ભરી શકાય છે. એક સાથે બધી રકમ ભરીને સોનું છોડાવી શકાય છે.  

લોનનું પ્રમાણ એલટીવી (લોન ટુ વેલ્યુ) એટલે કે બજાર કિંમતના 70થી 80 ટકા રાખવામાં આવે છે. એલટીવી જેટલી વધુ હોય એટલું વ્યાજ વધી જાય છે. જેમને ખબર નથી હોતી એ જરૂરિયાતથી વધુ રકમની લોન લઈને વધુ વ્યાજ ભરતા હોય છે. વ્યાજની રીતે બેન્કોમાં લોન સસ્તી છે. પણ, નોન બેન્કિંગ કરતાં ઓછી રકમની લોન મંજૂર થતી હોય છે. મહત્ત્વનું એ છે કે પર્સનલ લોન કરતાં સસ્તી છે, પરંતુ ન ભરી શકાય તો મોટી ખોટનો સોદો બને છે. કારણ કે, સામી બાજુ બેન્ક કે કંપની  લોન ન ભરવાના કિસ્સામાં સીધી લિલામીની પ્રક્રિયા શરૂ કરી દે છે.

 

Sunday, 6 February 2022

Which sectors will shine in Kutch in the next decade ....?

વિકાસના બીજા તબક્કામાં કચ્છમાં

ક્યા ક્યા સેક્ટરનો હશે સિતારો ?

 

આગામી એક દાયકામાં ત્રણ લાખ કરોડનાં રોકાણના અંદાજમાં ગ્રીન ઊર્જા, સ્ટીલ, સિમેન્ટ, સોલ્ટ-મરિન કેમિકલનો રહેશે દબદબો અને રણક્ષેત્ર સહિત વિન્ડ,સોલાર દ્વારા મેગા વીજ ઉત્પાદનથી ટોચની ટ્રાન્સમિશન કંપનીઓનું વધશે કામકાજ

 


 

ભૂકંપની 21મી વરસીએ કચ્છમિત્રમાં બહાર પડેલી વિશેષ પૂર્તિમાં કચ્છનાં ઔદ્યોગિકીકરણના ભૂકંપ પછીના તબક્કાની વાત હતી અને અત્યારે ખાસ કરીને ગ્રીન ઊર્જાને કેન્દ્ર અને ગુજરાત સરકારના ખાસ પ્રોત્સાહનના બળે ચાલી રહેલી ઔદ્યોગિક વિકાસની બીજી ઈનિંગથી આશાઓની વાત લેવામાં આવી હતી. એવી અપેક્ષા વ્યક્ત થઈ કે, ભૂકંપના બે દાયકામાં કચ્છમાં આવ્યું એનાથી બે ગણું રોકાણ આગામી એક દાયકામાં જ આવી જશે. એટલે કે, લગભગ 3 લાખ કરોડથી પણ વધુ રોકાણ કચ્છમાં દેખાશે અને તેમાંથી કેટલાક પ્રોજેકટોનો અમલ પણ શરૂ થઈ ચૂકયો છે, પણ આ કયા પ્રોજેકટો છે, જે કચ્છનો આગમી દાયકામાં સિનારીયો વધુ ઉજ્જવળ બનાવશે.

`કચ્છ ગોઝ ગ્લોબલ' બહુ જાણીતું સૂત્ર બની ગયું છે અને વૈશ્વિક સ્તરે આ જિલ્લો પહોંચી તો ગયો છે, પરંતુ ટેકસ હોલિડે સિવાયના પણ ભૌગોલિક પરિબળોથી ઊભા થયેલા આ આકર્ષણથી કયા કયા ગ્રુપે છેલ્લા બે-ચાર વર્ષમાં કયા ક્ષેત્રમાં અને કેટલાં રોકાણની શું જાહેરાતો કરી છે એ આ લેખના બીજા એપિસોડમાં ઉલ્લેખ કર્યો છે. જેની આગેવાની રિલાયન્સ અને અદાણી જૂથે લીધી છે. આ બન્ને ગ્રુપનું કુલ એક એક લાખ કરોડનું રોકાણ આવી રહ્યું છે. આ સિવાય પણ કયા કયા પ્રોજેકટ પાઈપલાઈનમાં છે એની વિગત અહીં મૂકી છે. 

જો આ ઉદ્યોગો સમયસર ઊભા થઈ જશે તો ચોક્કસ કચ્છનું રણ ગ્રીન ઊર્જા અને સોલ્ટ મરિન  કેમિકલ ઉદ્યોગોથી ધમધમતું હશે, અદાણીના સેઝની હજુ ખાલી પડેલી જમીનોમાં મોટા ઉદ્યોગો દેખાશે, ટ્રાન્સમિશન લાઈનોની દિગ્ગજ કંપનીઓનું કામ વધશે, કચ્છમાં નવા સિમેન્ટ એકમોનો ઉમેરો થશે.

વિશ્વનું સૌથી મોટું કુદરતી ઊર્જા મથક

2020ના ડિસેમ્બરમાં વડાપ્રધાન જાતે કચ્છ આવ્યા હતા અને વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પાકિસ્તાનને જોડતી સરહદથી માત્ર છ કિલોમીટર છોડીને શરૂ થતો આ પાર્ક અત્યારના અંદાજમાં 72,600 હેક્ટર જમીનને આવરી લેશે અને માત્ર આ પાર્કમાં જ સવાથી દોઢ લાખ કરોડનું રોકાણ થશે. સૂર્ય, પવન અને બંને સાથે મળીને હાઈબ્રિડ રીતે 30,000 મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે. આ રોકાણનો આંક વધી પણ શકે છે. આ પાર્કમાં અદાણી ગ્રીન એનર્જી, એનટીપીસી, સર્જન રિયાલિટીઝ લિ. (સુઝલોન), ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું રોકાણ હશે.

અદાણી ગ્રીન એનર્જી : કચ્છ રહેશે કેન્દ્રમાં

અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. આ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં બહુ ઝડપી અને ઊંચું લક્ષ્ય રાખે છે. તે 2030 સુધીમાં 45 ગિગાવોટ વીજળી ઉત્પાદિત કરવા સાથે વિશ્વની સૌથી મોટી સોલાર અને રિન્યૂએબલ કંપની બનવા માગે છે. એક દાયકામાં 70 અબજ અમેરિકી ડોલર રોકશે. આ જૂથનું સેઝ અહીં છે અને રણના એનર્જી પાર્કમાં પણ તે વીજ ઉત્પાદન કરવા સાથે દેખીતી રીતે કચ્છનો હિસ્સો મોટો હશે. તેમની કંપની અદાણી વિન્ડ એનર્જીએ કચ્છમાં 150 મેગાવોટનો વિન્ડ અને સોલાર પ્લાન્ટ શરૂ પણ કરી દીધો છે.

સૌથી મોટો સોલાર પાર્ક : એનટીપીસી

ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક પણ કચ્છમાં હશે. ગત વર્ષે જુલાઇમાં એનટીપીસીની સબસિડિયરી એનટીપીસી રિન્યૂઅલ એનર્જી લિ.ને કેન્દ્રનાં કુદરતી ઊર્જા મંત્રાલયે મંજૂરી આપી દીધી હતી. ખાવડા નજીક રણમાં 4.47 ગિગાવોટનું સૂર્ય ઊર્જા ઉત્પાદન કરતી યોજના 7થી 8 વર્ષમાં આકાર લઇ લેશે એવી ધારણા વ્યક્ત થઇ છે. આ સિવાય સરકારી ક્ષેત્રની દેશની સૌથી મોટી આ વીજ કંપનીએ ખાવડા નજીક જ એક ગિગાવોટની ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજની બીટ પણ લગાડી છે.

મુંદરા અને લખપતમાં નવા સિમેન્ટ પ્લાન્ટ

મુંદરા તાલુકાના ટુંડાવાંઢ નજીક સેઝ વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ  સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે અદાણી સિમેન્ટેશન લિ.એ યોજના ઘડી કાઢી છે. 800 એકર જમીન ઓળખી કાઢવામાં આવી છે અને પર્યાવરણ મંજૂરી મગાઇ છે. તબક્કાવાર વાર્ષિક એક કરોડ ટનનું સિમેન્ટ  ઉત્પાદન કરવા  રૂા. 35,000 કરોડનું રોકાણ કરાશે. આ સિવાય દસમી વાયબ્રન્ટ સમિટમાં દેશના ત્રીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક જૂથ શ્રી સિમેન્ટે કચ્છમાં એકમ નાખવાના એમઓયુ કર્યા છે. કોલકાતા સ્થિત આ ઉદ્યોગગૃહે કેપ્ટિવ જેટી સાથે લખપતમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટની યોજના ઘડી છે. આ પહેલાં વાયબ્રન્ટમાં જેએસડબલ્યુ સિમેન્ટે રૂા. 1000 કરોડનાં રોકાણ સાથે કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટની સમજૂતી કરી હતી. જો કે, આ બધું પાણી અને પરિવહન ઉપલબ્ધતા પર વધુ મદાર રાખે છે. જે પ્રશ્ન હવે નર્મદાથી ઉકેલાઇ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં વધુ સિમેન્ટ ઉદ્યોગોને આવવા માટે માત્ર દેશલપર કે નલિયા નહીં,  લખપત સુધી બ્રોડગ્રેજ રેલવે લાઇન જરૂરી છે. રેલવેને પણ માલ પરિવહનમાં મોટી આવક મળે એમ છે.

રિલાયન્સ ગ્રુપ કચ્છમાં કરશે મોટું રોકાણ

રિલાયન્સ (મુકેશ અંબાણી ગ્રુપ) આગામી દસથી પંદર વર્ષમાં ગુજરાતમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે 5.95 લાખ કરોડ રોકવાનું છે. હાલમાં જ તેના એમઓયુ થયા. ત્રણ જિલ્લાનો ઉલ્લેખ છે પણ સ્વાભાવિક રીતે વિશાળ જમીનની જરૂરિયાતોને જોતાં કચ્છનો હિસ્સો મોટો હશે. 100 ગિગાવોટનું ઊર્જા ઉત્પાદન કચ્છમાં કરવાની યોજના છે અને સરકાર પાસે જમીન પણ માગેલી છે. આગામી દાયકામાં રિલાયન્સ ગ્રુપનું જ કમસે કમ 1 લાખ કરોડનું કચ્છમાં રોકાણ આવશે.

પોસ્કો-અદાણીનું કચ્છમાં સ્ટીલ ઉત્પાદન 

વિશ્વની અગ્રણી અને દક્ષિણ કોરિયાઈ કંપની પોસ્કો અને અદાણી જૂથ વચ્ચે તાજેતરમાં જ મુંદરામાં સ્ટીલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કરાર થયા હતા. તાજેતરના વાયબ્રન્ટમાં ફરી કચ્છ છવાયું હતું અને મુંદરામાં રૂા. 37,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી, આ સિવાય પોસ્કો સાથે કંપનીએ કુદરતી ઊર્જા, હાઈડ્રોજન અને લોજિસ્ટિક ક્ષેત્ર માટે પણ સમજૂતી કરી હતી.

800 કરોડના ખર્ચે વેલસ્પનનું વિસ્તરણ

અંજારમાં કાપડ ઉત્પાદન અને સો-પાઈપ સહિતના ક્ષેત્રે અગ્રેસર વેલસ્પન જૂથ તેની ટુવાલ સહિતની ચીજોની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. આ માટે તે 800 કરોડનાં નવાં રોકાણની જાહેરાત કરી ચૂક્યું છે. આગામી બે વર્ષમાં હાલની 85,400 એમટીપીએની ક્ષમતા વધારીને વાર્ષિક 1,02,000 એમટીઅીપીએ કરવા જઈ રહ્યું છે.

મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષની શક્યતા

રસાયણ ક્ષેત્રની જાયન્ટ કંપની અબુધાબી નેશનલ ઓઈલ કંપની અને જર્મનીની બીએએસએફ તેમજ બેરેલીસ કંપની સાથે અદાણી જૂથે મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષ ઊભું કરવા `િફઝિબિલિટી રિપોર્ટ' માટે હસ્તાક્ષર કર્યા હતા. આ કંપનીઓનાં સંયોજન દ્વારા અહીં પ્રોપેલિનનું ઉત્પાદન થઈ શકે કે કેમ તે શક્યતા જોવાશે. જો શક્ય બનશે તો ચાર અબજ ડોલરનું રોકાણ આવશે.

ઓએનજીસી : તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન

ગુજરાતમાં ઓએનજીસીએ તેનાં સંશોધનમાં સાત ડીએસએફ (ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ) તારવી લીધા છે, છેલ્લે પીડીપી યુનિવર્સિટીના સેમિનારમાં ચર્ચા થઈ એ મુજબ કચ્છમાં 2024 સુધીમાં કંપની તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરી દે તેવી શક્યતા છે. આ સિવાય કચ્છમાં ઓફશોર ગેસ ભંડાર હોવાનું પણ ઓએનજીસીએ 

કહ્યું છે, આથી કચ્છમાં નવાં સેક્ટરની શરૂઆત થશે.

ટ્રાન્સમિશન કંપનીઓ-બેટરી સ્ટોરેજ

કચ્છમાં રિન્યૂઅલ ઊર્જા ઉત્પાદન શરૂ થશે ત્યારે તેને આનુષંગિક વિક્રમી માત્રામાં વીજળી પરિવહન લાઈનોનું પણ કામ વધશે. બે થર્મલ પ્લાન્ટ સહિત કચ્છ અત્યારે તેની જરૂરિયાતથી વધુ વીજ ઉત્પાદન કરે છે અને ટ્રાન્સમિશન નેટવર્ક બિછાવાઈ રહ્યું છે, પરંતુ હવે રણથી શરૂઆત થશે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન-ગેટકો, પાવરગ્રિડ અને અદાણીની અલાયદી ટ્રાન્સમિશન કંપની મોટાપાયે કામ કરશે, જે પડકારરૂપ હશે.

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઊર્જાવહન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. તેનો રિન્યૂઅલ ક્ષેત્રનો હિસ્સો હાલનો 3 ટકાથી વધારીને 2023 સુધીમાં 30 ટકા સુધી લઈ જવાની છે. સીમા વિસ્તારના એનર્જી પાર્કમાં 30 ગિગાવોટનું વીજળી ઉત્પાદન થવાનું લક્ષ્ય છે. એને ધ્યાનમાં રાખીને સરકારે ખાવડા નજીક 14 ગિગાવોટની બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાની યોજના ઘડી છે, જ્યારે એનટીપીસી પોતાની અલગ એક ગિગાવોટની બેટરી સ્ટોરેજ ક્ષમતા ઊભી કરશે. 

મુંદરા એલ્યુમિનિયમની સ્થાપના

અદાણી જૂથ લગભગ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યું છે, એમાં એલ્યુમિનિયમ સેક્ટર પણ બાકી નથી અને એ મુંદરામાં જ પ્લાન્ટ નાખવા  માગે છે, મુંદરા એલ્યુમિનિયમ લિ.ની રચના બાદ તે એલ્યુમિનિયમ રિફાઈનરી અને એલ્યુમિનિયમ સ્મેલેટર (પિગાળવું)નો પ્લાન્ટ ઊભો કરશે.

પવનચક્કી કંપનીઓની ઓર્ડર બુક તો વધે જ છે

કચ્છમાં સુઝલોન એનર્જી લિ. તો ભૂકંપ પહેલાંથી કાર્યરત છે અને પછીથી વેસ્ટાસ, જીઈ રિન્યૂએબલ એનર્જી, રિન્યુ વિન્ડ, આઈનોક્સ જેવી કંપનીઓ પવનચક્કી ક્ષેઁત્રે કામ કરે  છે. આ ક્ષેત્રમાં સતત નવા ઓર્ડર મળતા જ રહેવાના, કારણ કે પવનચક્કીઓની  સંખ્યા હજુ વધી શકે છે.

આધુનિક મિલ્ક પ્રોસેસિંગ એકમ

સરહદ ડેરી, અંજાર નજીક પૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટ શરૂ થવાનું છે, ડિસેમ્બર-2020માં તેની પાયાવિધિ થઈ હતી. દૈનિક 2 લાખ લિટરની ક્ષમતાના આ યુનિટ માટે 121 કરોડનું રોકાણ થાય છે.

જીએસસીએલનું સોડાએશ ઉત્પાદન

ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કચ્છમાં વાર્ષિક 0.5 મેટ્રિક ટનનો સોડાએશ ઉત્પાદન પ્લાન્ટ નાખશે. ગુજરાત સરકાર સાથે કરાર થઈ ચૂક્યા છે. જેમાં 3000 કરોડનું રોકાણ થશે. 800 એકર જમીનની જરૂર પડશે. કચ્છમાં એ માટે 70 ટકા જેટલી જમીન સંપાદિત થઈ ચૂકી હોવાની જાહેરાત થઈ છે.

............





 

Three lakh crore investment is knocking at the door of Kutch ....!

ભૂંકપના બે દાયકામાં આવ્યું તેનાથી બે ગણું 

રોકાણ આગામી એક દાયકામાં આવે છે

 

ટેક્સ હોલીડેથી ઔદ્યોગીકીકરણનો યુગ શરૂ થયો પણ હવે સાનુકુળ ભૌગોલિક સ્થિતિ, બંદરો અને વિશાળ ભૂભાગને પગલે વિકાસની બીજી ઇનિંગ શરૂ થઇ ચૂકી છે : 

ગ્રીન ઉર્જા ઉત્પાદનનાં ભારતનાં ઉંચા લક્ષ્યને આંબવામાં કચ્છનું મુખ્ય યોગદાન રહેશે :

રિલાયન્સ અને અદાણી ગ્રુપ સહિત 3 લાખ કરોડનું રોકાણ બારણે ટકોરા મારે છે

 

 

એમ કહેવાય છે કે,  કચ્છના વર્તમાનકાળનો ઈતિહાસ લખાશે ત્યારે ભૂકંપ પછીનો સમયગાળો એ ઔદ્યોગિકીકરણનો યુગ ગણાશે. બહુ જાણીતું છે કે, 2001 પહેલાં કચ્છમાં ઉદ્યોગો નહીંવત હતા. કંડલા ઉપરાંત બીજા ખાનગી ક્ષેત્રના અદાણી બંદરની 1998માં પાયાવિધિ થઈ હતી. બંદરીય ક્ષેત્ર?ઉપરાંત ખનિજ, અબડાસામાં સિમેન્ટ અને લિગ્નાઈટ એમ લગભગ આઠ સેક્ટરમાં કામકાજ હતું. અંદાજે 2500 કરોડનું રોકાણ હતું. ધરતીકંપમાં રાહતના ભાગરૂપે અપાયેલી કેન્દ્ર અને રાજ્યની ટેક્સ હોલિડેની જાહેરાત સાથે ચિત્ર બદલાઈ ગયું અને આજે લગભગ તમામ 18થી વધુ પ્રકારનાં સેક્ટરનો વ્યાપાર અહીં થાય છે. ઈશાની રાજ્યો જેમ દસ વર્ષની કરમુક્તિ નહોતી પણ પાંચ વર્ષ અને પછી વધારાનાં વર્ષ સાથેની આ મુક્તિથી કચ્છની કાયાપલટ થઈ. કચ્છ સૌથી ઝડપથી વિકસતો જિલ્લો બન્યો, અને વિશ્વ મંચ પર મુકાયો. પણ આજે ભૂકંપના 21 વર્ષ પૂરાં કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે પણ ઔદ્યોગિક વિકાસ થાય છે પણ નવો પવન ફૂંકાયેલો છે. જોકે, તેને ભૂકંપ સાથે કોઈ સંબંધ નથી, કોઈ ટેક્સ રાહત નથી મળવાની, પણ આ વિકાસનો પથ એ વિશિષ્ટ ભૌગોલિક રચનાને આભારી છે, હવામાનને આભારી છે, વિશાળ જમીનની ઉપલબ્ધિ, ખનિજ અને ખાસ તો રણ અને દરિયાના સંગમથી ઊભી થયેલી વિકાસની અદ્ભુત સંભાવનાને આભારી છે.

ટેક્સ હોલિડેને પગલે બે દાયકામાં અત્યાર સુધીમાં કચ્છમાં દોઢ લાખ કરોડનું રોકાણ થઈ ગયું છે, જેમાં ઊંચી છલાંગ લાગશે.  લગભગ પાંચેક વર્ષ પહેલાં એવો સમય આવ્યો કે, વૈશ્વિક મંદી, કાચા માલની ઊંચી કિંમત, ઉદ્યોગોને પાણીની સમસ્યા અને કાર્ગો વહન જેવી મુશ્કેલીથી અનેક ઉદ્યોગોએ તાળાં લગાડી દીધાં, કેટલાક ખોંડગતી હાતલમાં ચાલતા હતા, ત્યારે લાગ્યું કે ટેક્સ હોલિડેના પંપથી ભરાયેલો વિકાસનો ફુગ્ગો ફૂટી જશે, પરંતુ આજે એવા કચ્છની કલ્પના થઈ રહી છે કે પાકિસ્તાનને જોડતી સરદહથી લઈને સૂરજબારીના પ્રવેશદ્વારા સુધી ઝળાંહળાં હોય. વિશ્વને પર્યાવરણ બચાવવાની, કાર્બન ઉત્સર્જનથી ઊભી થતી પ્રદૂષણની ચિંતા છે. તેનાથી બચવા ગ્રીન ઊર્જાનું લક્ષ્ય હાંસિલ કરવામાં ભારતે અગ્રહરોળમાં ભૂમિકા ભજવવાનું બીડું ઝડપ્યું છે, ભારતીય ખાનગી ક્ષેત્રના ટોચના ઔદ્યોગિક જૂથો રિલાયન્સ, અદાણી અને તાતાએ આ લક્ષ્ય સિદ્ધ કરવા અબજોનું રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે અને એમાં `મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન'-કુદરતી ઊર્જા?ઉત્પાદન માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા કચ્છ છે. આ સિવાય સિમેન્ટ, રસાયણ, સ્ટીલ સહિત નિકાસ માટે શ્રેષ્ઠ પ્રકારના ઉદ્યોગમાં હજારો કરોડનાં રોકાણની જાહેરાત થઈ ચૂકી છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં કચ્છમાં વિશાળ એકમો ઊભા કરવાની જે સમજૂતીઓ, યોજનાની જાહેરાત કે જમીન શોધવાની પ્રક્રિયા કે પર્યાવરણ  મંજૂરીઓ માગવામાં આવી છે, એ જોતાં આગામી દાયકામાં લગભગ ત્રણ લાખ કરોડનું નવું રોકાણ આવશે. બીજી રીતે કહીએ તો ભૂકંપ પછીના બે દાયકામાં જેટલું રોકાણ કચ્છમાં આવ્યું છે, તેનાથી બેગણું માત્ર એક દાયકામાં આવી રહ્યું છે. આ અંદાજ એવા સમયે બંધાઈ રહ્યો છે જ્યારે નર્મદાનાં વધારાનાં એક મિલિયન એકર ફૂટ પાણીની કચ્છને ફાળવણીની વહીવટી મંજૂરી મળી ચૂકી છે અને ઉદ્યોગોને નડી રહેલા અનેક પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે, અને દેખીતી રીતે પાઈપલાઈનથી અપાતાં જળમાં લોકો માટે પીવાનાં પાણીને પ્રાથમિકતા અપાઈ રહી છે. જો લોકપ્રતિનિધિઓ હવે આ જાહેરાતના અમલમાં `પક્ષીય ભાવ'ને બદલે `લોકપક્ષ' ભાવે સજાગ રહેશે તો નિયત સમયમાં અને યોગ્ય રીતે કામ થશે તેમજ ઉદ્યોગોને પાણીની ઉપલબ્ધિ વધશે.

2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કચ્છને `િસંગાપોર' બનાવવાનું સપનું આપ્યું હતું. દૂરદૃષ્ટા વડાપ્રધાનને કચ્છમાં સિંગાપોર કેમ દેખાયું હશે ? હવે જિલ્લામાં કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં અને કોણ કેટલું રોકાણ કરવા જઈ રહ્યું છે તેના પર ભૂકંપની વરસીએ દૃષ્ટિપાત કરશું તો એ દેખાશે. 21 વર્ષમાં શું થયું એ જાણીતું છે પણ ક્યાં શું થવા જઈ રહ્યું છે તેની કલ્પના કરીએ તો સેટેલાઈટ તસવીરમાં કચ્છના રણવિસ્તારના પાકિસ્તાનના છેડા સુધીનો ભાગ લાઈટોથી ઝળાંહળાં દેખાશે; મુંદરાના સેઝ વિસ્તારમાં ખાલી જમીનો પડી છે ત્યાં મોટો સ્ટીલ પ્લાન્ટ કે એક મોટું કેમિકલ કોમ્પ્લેક્સ ધમધમતું દેખાશે. મુંદરા-માંડવી તાલુકા વચ્ચે એક મોટી સિમેન્ટ ફેક્ટરી દેખાશે. કચ્છમાં પ્રવેશતાં પવનચક્કીઓ દેખાય છે પણ સામે છેડે પહોંચશો ત્યાં સુધી આ પવનચક્કી અને સોલાર પેનલો સાથે દેખાશે.

ભારતના બે સૌથી સંપત્તિવાન ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીમાંથી ગૌતમભાઈ તો 2030 સુધીમાં `અદાણી ગ્રીન એનર્જી લિ.'ને ભારત જ નહીં વિશ્વની સૌથી મોટી રિન્યૂએબલ એનર્જી કંપની બનાવવાની મહત્ત્વાકાંક્ષા સાથે આગળ વધી રહ્યા છે. પણ બીજા સમૃદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પણ તેના આ કુદરતી ઊર્જા ઉત્પાદનમાં ઊંચા લક્ષ્યાંકને પાર પાડવા કચ્છમાં નજર કરી છે. કચ્છમાં તે માટે 4.5 લાખ એકર જમીન માગી છે, એ ક્યાં મળશે તે સમય જતાં ખબર પડશે પરંતુ કચ્છ એ ગ્રીન ઊર્જાનું વિશ્વનું સૌથી મોટું મથક બનશે એમાં બે મત નથી. માત્ર રણવિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક જ નહીં, સમગ્ર જિલ્લો વિશ્વના પર્યાવરણને બચાવવા મોટું યોગદાન આપતો થશે. સૌથી વધુ આ ક્ષેત્રે રોકાણ થવાનું હોવાથી વીજ પરિવહન માટે ગેટકો, પાવરગ્રિડ, અદાણી ટ્રાન્સમિશન સહિતની મોટી ટ્રાન્સમિશન કંપનીઓનું કામ ધમધમશે. ગંજાવર વીજ ટાવર અને પરિવહન લાઈનોની સંખ્યા અનેકગણી થશે.

આગામી દાયકામાં 3 લાખ કરોડનાં રોકાણના અંદાજમાં એક-એક લાખ કરોડ તો રિલાયન્સ અને અદાણી જૂથના જ થઈ જાય તેવી ધારણા છે. હવે જે ઉદ્યોગગૃહોની કચ્છ માટે તૈયારી ચાલે છે તેની વિગતો જોઈએ

વિશ્વનું સૌથી મોટું કુદરતી ઊર્જા મથક `રન ઓફ કચ્છ'

2020ના ડિસેમ્બરમાં વડાપ્રધાન જાતે કચ્છ આવ્યા હતા અને વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પાકિસ્તાનને જોડતી સરહદથી માત્ર છ કિલોમીટર છોડીને શરૂ થતો આ પાર્ક અત્યારના અંદાજમાં 72,600 હેક્ટર જમીનને આવરી લેશે અને માત્ર આ પાર્કમાં જ સવાથી દોઢ લાખ કરોડનું રોકાણ થશે. સૂર્ય, પવન અને બંને સાથે મળીને હાઈબ્રિડ રીતે 30,000 મેગાવોટ વીજ ઉત્પાદન કરાશે. આ રોકાણનો આંક વધી પણ શકે છે. આ પાર્કમાં અદાણી ગ્રીન એનર્જી, એનટીપીસી, સર્જન રિયાલિટીઝ લિ. (સુઝલોન), ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું રોકાણ હશે.

અદાણી ગ્રીન એનર્જીનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય : કચ્છ રહેશે કેન્દ્રમાં

અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. આ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં બહુ ઝડપી અને ઊંચું લક્ષ્ય રાખે છે. તે 2030 સુધીમાં 45 ગીગાવોટ વીજળી ઉત્પાદિત કરવા સાથે વિશ્વની સૌથી મોટી સોલાર અને રિન્યૂએબલ કંપની બનવા માગે છે. એક દાયકામાં 70 અબજ અમેરિકી ડોલર રોકશે. આ જૂથનું સેઝ અહીં છે અને રણના એનર્જી પાર્કમાં પણ તે વીજ ઉત્પાદન કરવા સાથે દેખીતી રીતે કચ્છનો હિસ્સો મોટો હશે. તેમની કંપની અદાણી વિન્ડ એનર્જીએ કચ્છમાં 150 મેગાવોટનો વિન્ડ અને સોલાર પ્લાન્ટ શરૂ પણ કરી દીધો છે.

ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં : એનટીપીસી

ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક પણ કચ્છમાં હશે. ગત વર્ષે જુલાઇમાં એનટીપીસીની સબસિડિયરી એનટીપીસી રિન્યૂઅલ એનર્જી લિ.ને કેન્દ્રનાં કુદરતી ઊર્જા મંત્રાલયે મંજૂરી આપી દીધી હતી. ખાવડા નજીક રણમાં 4.47 ગીગાવોટનું સૂર્ય ઊર્જા ઉત્પાદન કરતી યોજના 7થી 8 વર્ષમાં આકાર લઇ લેશે એવી ધારણા વ્યક્ત થઇ છે. આ સિવાય સરકારી ક્ષેત્રની દેશની સૌથી મોટી આ વીજ કંપનીએ ખાવડા નજીક જ એક ગીગાવોટની ગ્રિડ સ્કેલ બેટરી સ્ટોરેજની બીટ પણ લગાડી છે.

મુંદરા અને લખપતમાં નવા સિમેન્ટ પ્લાન્ટ આકાર લેશે

મુંદરા તાલુકાના ટુંડાવાંઢ નજીક સેઝ વિસ્તારમાં ઇન્ટિગ્રેટેડ  સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે અદાણી સિમેન્ટેશન લિ.એ યોજના ઘડી કાઢી છે. 800 એકર જમીન ઓળખી કાઢવામાં આવી છે અને પર્યાવરણ મંજૂરી મગાઇ છે. તબક્કાવાર વાર્ષિક એક કરોડ ટનનું સિમેન્ટ  ઉત્પાદન કરવા  રૂા. 35,000 કરોડનું રોકાણ કરાશે. આ સિવાય દસમી વાયબ્રન્ટ સમિટમાં દેશના ત્રીજા ક્રમના સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક જૂથ શ્રી સિમેન્ટે કચ્છમાં એકમ નાખવાના એમઓયુ કર્યા છે. કોલકાતા સ્થિત આ ઉદ્યોગગૃહે કેપ્ટીવ જેટી સાથે લખપતમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટની યોજના ઘડી છે. આ પહેલાં વાયબ્રન્ટમાં જેએસડબલ્યુ સિમેન્ટે રૂા. 1000 કરોડનાં રોકાણ સાથે કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટની સમજૂતી કરી હતી. જો કે, આ બધું પાણી અને પરિવહન ઉપલબ્ધતા પર વધુ મદાર રાખે છે. જે પ્રશ્ન હવે નર્મદાથી ઉકેલાઇ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં વધુ સિમેન્ટ ઉદ્યોગોને આવવા માટે લખપત સુધી બ્રોડગ્રેજ રેલવે લાઇન જરૂરી છે. રેલવેને પણ માલ પરિવહનમાં મોટી આવક મળે એમ છે.

રિલાયન્સ ગ્રુપ કચ્છમાં કરશે મહાકાય રોકાણ

રિલાયન્સ (મુકેશ અંબાણી ગ્રુપ) આગામી દસથી પંદર વર્ષમાં ગુજરાતમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે 5.95 લાખ કરોડ રોકવાનું છે. હાલમાં જ તેના એમઓયુ થયા. ત્રણ જિલ્લાનો ઉલ્લેખ છે પણ સ્વાભાવિક રીતે વિશાળ જમીનની જરૂરિયાતોને જોતાં કચ્છનો હિસ્સો મોટો હશે. 100 ગીગાવોટનું ઊર્જા ઉત્પાદન કચ્છમાં કરવાની યોજના છે અને સરકાર પાસે જમીન પણ માગેલી છે. આગામી દાયકામાં રિલાયન્સ ગ્રુપનું જ કમસે કમ 1 લાખ કરોડનું કચ્છમાં રોકાણ આવશે.

પોસ્કો-અદાણીનું કચ્છમાં સ્ટીલ ઉત્પાદન 

વિશ્વની અગ્રણી અને દક્ષિણ કોરિયાઈ કંપની પોસ્કો અને અદાણી જૂથ વચ્ચે તાજેતરમાં જ મુંદરામાં સ્ટીલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે કરાર થયા હતા. તાજેતરના વાયબ્રન્ટમાં ફરી કચ્છ છવાયું હતું અને મુંદરામાં રૂા. 37,000 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી, આ સિવાય પોસ્કો સાથે કંપનીએ કુદરતી ઊર્જા, હાઈડ્રોજન અને લોજિસ્ટિક ક્ષેત્ર માટે પણ સમજૂતી કરી હતી.

800 કરોડના ખર્ચે વેલસ્પનનું વિસ્તરણ

અંજારમાં કાપડ ઉત્પાદન અને સો-પાઈપ સહિતના ક્ષેત્રે અગ્રેસર વેલસ્પન જૂથ તેની ટુવાલ સહિતની ચીજોની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે. આ માટે તે 800 કરોડના નવા રોકાણની જાહેરાત કરી ચૂક્યું છે. આગામી બે વર્ષમાં હાલની 85,400 એમટીપીએની ક્ષમતા વધારીને વાર્ષિક 1,02,000 એમટીઅીપીએ કરવા જઈ રહ્યું છે.

મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષની શક્યતા

રસાયણ ક્ષેત્રની જાયન્ટ કંપની અબુધાબી નેશનલ ઓઈલ કંપની અને જર્મનીની બીએએસએફ તેમજ બેરેલીસ કંપની સાથે અદાણી જૂથે મુંદરામાં કેમિકલ કોમ્પ્લેક્ષ ઊભું કરવા `િફઝિબિલિટી રિપોર્ટ' માટે હસ્તાક્ષર કર્યા હતા. આ કંપનીઓનાં સંયોજન દ્વારા અહીં પ્રોપેલિનનું ઉત્પાદન થઈ શકે કે કેમ તે શક્યતા જોવાશે. જો શક્ય બનશે તો ચાર અબજ ડોલરનું રોકાણ આવશે.

ઓએનજીસી : તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન :

ગુજરાતમાં ઓએનજીસીએ તેનાં સંશોધનમાં સાત ડીએસએફ (ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ) તારવી લીધા છે, છેલ્લે પીડીપી યુનિવર્સિટીના સેમિનારમાં ચર્ચા થઈ એ મુજબ કચ્છમાં 2024 સુધીમાં કંપની તેલ-ગેસનું વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરી દે તેવી શક્યતા છે. આ સિવાય કચ્છમાં ઓફશોર ગેસ ભંડાર હોવાનું પણ ઓએનજીસીએ કહ્યું છે, આથી કચ્છમાં નવા સેક્ટરની શરૂઆત થશે.

ટ્રાન્સમિશન કંપનીઓનું આગમન અને બેટરી સ્ટોરેજ

કચ્છમાં રિન્યૂઅલ ઊર્જા ઉત્પાદન શરૂ થશે ત્યારે તેને આનુષંગિક વિક્રમી માત્રામાં વીજળી પરિવહન લાઈનોનું પણ કામ વધશે. બે થર્મલ પ્લાન્ટ સહિત કચ્છ અત્યારે તેની જરૂરિયાતથી વધુ વીજ ઉત્પાદન કરે છે અને ટ્રાન્સમિશન નેટવર્ક બિછાવાઈ રહ્યું છે, પરંતુ હવે રણથી શરૂઆત થશે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન-ગેટકો, પાવરગ્રિડ અને અદાણીની અલાયદી ટ્રાન્સમિશન કંપની મોટા ભાગે કામ કરશે, જે પડકારરૂપ હશે.

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઊર્જાવહન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. તેનો રિન્યૂઅલ ક્ષેત્રનો હિસ્સો હાલનો 3 ટકાથી વધારીને 2023 સુધીમાં 30 ટકા સુધી લઈ જવાની છે. સીમા વિસ્તારના એનર્જી પાર્કમાં 30 ગીગાવોટનું વીજળી ઉત્પાદન થવાનું લક્ષ્ય છે. એને ધ્યાનમાં રાખીને સરકારે ખાવડા નજીક 14 ગીગાવોટની બેટરી સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાની યોજના ઘડી છે, જ્યારે એનટીપીસી પોતાની અલગ એક ગીગાવોટની બેટરી સ્ટોરેજ ક્ષમતા ઊભી કરશે 

મુંદરા એલ્યુમિનિયમની સ્થાપના

અદાણી જૂથ લગભગ દરેક ક્ષેત્રમાં સાહસ કરી રહ્યું છે, એમાં એલ્યુમિનિય સેક્ટર પણ બાકી નથી અને એ મુંદરામાં જ પ્લાન્ટ નાખવા  માગે છે, મુંદરા એલ્યુમિનિયમ લિ.ની રચના બાદ તે એલ્યુમિનિયમ રિફાઈનરી અને એલ્યુમિનિયમ સ્મેલેટર (પિગાળવું)નો પ્લાન્ટ ઊભો કરશે.

પવનચક્કી કંપનીઓની ઓર્ડર બુક તો વધે જ છે

કચ્છમાં સુઝલોન એનર્જી લિ. તો ભૂકંપ પહેલાંથી કાર્યરત છે અને પછીથી વેસ્ટાસ, જીઈ રિન્યૂએબલ એનર્જી, રિન્યુ વિન્ડ, આઈનોક્સ જેવી કંપનીઓ પવનચક્કી ક્ષેઁત્રે કામ કરે  છે. આ ક્ષેત્રમાં સતત નવા ઓર્ડર મળતા જ રહેવાના, કારણ કે પવનચક્કીઓની  સંખ્યા હજુ વધી શકે છે.

આધુનિક મિલ્ક પ્રોસેસિંગ એકમ

સરહદ ડેરી, અંજારમાં પૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટ શરૂ થવાનો છે, ડિસેમ્બર-2020માં તેની પાયાવિધિ થઈ હતી. દૈનિક 2 લાખ લિટરની ક્ષમતાના આ યુનિટ માટે 121 કરોડનું રોકાણ થાય છે.

જીએસસીએલનું સોડાએશ ઉત્પાદન

ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કચ્છમાં વાર્ષિક 0.5 મેટ્રિક ટનનો સોડાએશ ઉત્પાદન પ્લાન્ટ નાખશે. ગુજરાત સરકાર સાથે કરાર થઈ ચૂક્યા છે. જેમાં 3000 કરોડનું રોકાણ થશે. 800 એકર જમીનની જરૂર પડશે. કચ્છમાં એ માટે 70 ટકા જેટલી જમીન સંપાદિત થઈ ચૂકી હોવાની જાહેરાત થઈ છે.

..............