Sunday, 31 January 2021

Will today's budget join these memorable six budgets? આ યાદગાર છ બજેટમાં જોડાઈ જશે આજનું બજેટ ?


મોટા નીતિવિષયક બદલાવ અને સારા-નરસા પ્રતિભાવથી બજેટનાં નામ પણ પડયાં : ડ્રીમ-બ્લેક-રોલબેક! 


આઝાદ ભારતના 26મી નવેમ્બર, 1947ના પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખમે રજૂ કરેલાં પહેલાં બજેટથી સામાન્ય બજેટની આ પરંપરા રોચક રહી છે. કેટલાક એવાં બજેટ રજૂ થયાં જે અર્થતંત્રમાં આમૂલ બદલાવ, ઐતિહાસિક નીતિવિષયક ફેરફાર કે વિરોધના વંટોળ કે સારા આવકારને કારણે કાયમ માટે યાદ રહી ગયાં. આવાં યાદગાર છ બજેટનો અહીં ઉલ્લેખ છે. દરેક  બજેટનું પોતાનું એક વ્યક્તિત્વ છે, છાપ છે, પોતાની ખાસિયતના કારણે કેટલાક બજેટનાં તો `બ્લેક બજેટ', `ડ્રીમ બજેટ', `રોલબેક બજેટ' જેવાં નામ પણ પડી ગયાં હતાં. 28 જાન્યુઆરી 2020 `બ્લેક બજેટ'થી `ડ્રીમ બજેટ' સુધી આ છ બજેટ લાંબા સમય સુધી યાદ રહેશે આજે સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજૂ કરશે. શું આ યાદીમાં આજનું પડકારરૂપ બજેટ જોડાશે? 
1. 1950નું બજેટ, જેમાં આયોજનપંચની વાત કરાઈ   
28 ફેબ્રુઆરી 1950ના  તત્કાલીન નાણાપ્રધાન જ્હોન મથાઇએ પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પહેલા ચેરમેન અને વ્યવસાયે અર્થશાસ્ત્રી મથાઇ દેશના પ્રથમ રેલવેમંત્રી પણ રહ્યા હતા.   આ બજેટમાં તેમણે આયોજનપંચની સ્થાપના વિશે વાત કરી હતી. આયોજનપંચને  દેશના વિકાસ માટે યોજના ઘડવાની કામગીરી સોંપવામાં આવી હતી. જો કે, મોદી  સરકારના કાર્યકાળમાં નીતિ આયોગે આ કામ શરૂ કર્યું છે. 
2. યશવંતરાવ સી. ચવ્હાણનું `બ્લેક બજેટ' 1973  
1973માં ઈન્દિરા ગાંધી સરકારના તત્કાલીન નાણાપ્રધાન યશવંતરાવ સી. ચવ્હાણે આ બજેટ રજૂ કર્યું હતું. જેમાં 550 કરોડની ખોટ બતાવી હતી અને કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત કરી હતી. માનવામાં આવે છે કે આ નિર્ણયથી કોલસાના ઉત્પાદનમાં વિપરીત અસર પડી.સરકાર હેઠળ કોલસાની ખાણો આવી જતાં આ ક્ષેત્રમાં કોઈ સ્પર્ધાત્મક વાતાવરણ ન રહ્યું. તે નિર્ણય બાદથી ભારત કોલસાની આયાત કરી રહ્યું છે.  
3. 1991નું બજેટ, અર્થવ્યવસ્થાની સકલ બદલી 
24 જુલાઈ, 1991ના તત્કાલીન નાણાપ્રધાન મનમોહનાસિંહે ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વ સમક્ષ ખોલી દીધી હતી. આ બજેટથી ભારતના અર્થતંત્રનું ચિત્ર બદલાઈ ગયું. આ સાથે     ઉદારીકરણનો યુગ ખુલ્લો હતો અને લાયસન્સ-પરમિટ રાજનો યુગ પૂરો થયો હતો. મનમોહનાસિંહે આ બજેટ રજૂ કરતી વખતે 18,177 શબ્દોનું ભાષણ આપ્યું હતું, જે અત્યાર સુધીના સૌથી લાંબા બજેટ ભાષણોમાંનું એક છે. આ બજેટ લાંબા સમય સુધી યાદ રહેશે.  
4. પી. ચિદમ્બરમનું `ડ્રીમ બજેટ' -1997  
1997માં નાણાપ્રધાન પી. ચિદમ્બરમે 28 ફેબ્રુઆરી 1997ના રજૂ કરેલા બજેટને `ડ્રીમ બજેટ' તરીકે ઓળખાય છે. જેમાં દેશની આર્થિક સુધારણા માટેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરાઈ હતી. ચિદમ્બરમે ટેક્સની જોગવાઈને બજેટમાં ત્રણ અલગ સ્લેબમાં વહેંચી હતી. આ સાથે કાળાં નાણાં વિશે માહિતી આપવા માટે તેમણે સ્વૈચ્છિક આવક જાહેરાત યોજનાની શરૂઆત કરી હતી. કોર્પોરેટ ટેકસ પર સરચાર્જ પણ ઘટાડયો હતો. આ બજેટ પછી ટેક્સ વસૂલાતમાં મોટો વધારો થયો હતો.   
5. મિલેનિયમ બજેટ 2000  
વર્ષ 2000માં તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિંહાએ 29 ફેબ્રુઆરી, 2000ના રજૂ કરેલું બજેટ `િમલેનિયમ બજેટ' તરીકે જાણીતું છે. આમાં સોફ્ટવેર નિકાસથી થતી આવક કરમુક્ત કરાઈ હતી. સાથે તેમાં સર્વ શિક્ષા અભિયાન શરૂ કરાયું હતું.  1991માં સત્તા પરિવર્તન બાદ ભાજપ સરકાર સત્તામાં આવી હતી. સિંહાએ આ બજેટમાં કોમ્પ્યુટર, સીડી રોમ જેવી 21 ચીજો પર કસ્ટમ ડયુટી ઘટાડી હતી. જે આઇટી કંપનીઓ માટે મોટી રાહતરૂપ હતી. 
6. `રોલબેક બજેટ'   
નાણાકીય વર્ષ 2002-03 માટે તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિંહાએ રજૂ કરેલું બજેટ `રોલબેક બજેટ' કહેવાય છે. આમાં, જાહેર વિતરણ પ્રણાલી હેઠળ મળતી ચીજોના ભાવમાં વધારો   કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નાની બચત    યોજનાઓ પરના વ્યાજદર અને ખાતર પર સબસિડી ઘટાડવામાં આવી હતી. આ પછી વિપક્ષે સરકાર ઉપર દબાણ લાવ્યું હતું, આ પછી બજેટના ઘણા પ્રસ્તાવોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ કારણોસર તેને રોલબેક બજેટ કહેવામાં આવે છે.  
બજેટને કેવો પ્રતિભાવ આપે છે શેરબજાર? : છેલ્લા દાયકાનો વર્તારો 
શેરબજાર મોટાભાગે બજેટના દિવસે પડે છે. છેલ્લા 10 વર્ષોનો ટ્રેન્ડ આ જ કહી રહ્યો છે. પ્રણવ મુખર્જીથી માંડીને નિર્મલા સીતારામન સુધી, નાણાપ્રધાન જે પણ રહ્યા બજેટના દિવસે શેરબજારની પ્રતિક્રિયા ઠંડી બની હતી. છેલ્લા 10 વર્ષમાં માત્ર ત્રણ વખત બજેટના દિવસે સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો છે અને બજારમાં સાત વખત બજારે નિરાશા દેખાડી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમનના સમયમાં બજારમાં બંને વખત ઘટાડો થયો છે. વચગાળાના બજેટ સમયે 5 જુલાઈ, 2019ના સેન્સેક્સ 395 પોઇન્ટ તૂટી ગયો હતો, જ્યારે 1 ફેબ્રુઆરી 2020ના સેન્સેક્સ સામાન્ય બજેટના દિવસે 900 પોઇન્ટ તૂટ્યો હતો. તે જ રીતે 2010થી 2012 પ્રણવ મુખરજીના સમયે બજેટના દિવસે સેન્સેક્સ ઘટ્યો છે. પી. ચિદમ્બરમે 28 ફેબ્રુઆરી 2013ના બજેટ રજૂ કર્યું હતું અને સેન્સેક્સ 291 પોઇન્ટ લપસી ગયો હતો. અરુણ જેટલીએ 2014થી 2018 સુધીના કુલ 5 બજેટ્સ રજૂ કર્યાં હતાં અને આ સમય દરમિયાન બે વખત બજારમાં તેજી જોવા મળી હતી.  જ્યારે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટો ઘટાડો હતો. ગયા વર્ષે સામાન્ય બજેટ 2020-21થી રોકાણકારો એટલા નિરાશ થયા હતા કે બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ 988 પોઇન્ટ ઘટીને 40,000ની નીચે અને એનએસઈ નિફ્ટી 276.85 ઘટીને 11,685.25ની સપાટીએ બંધ થયો હતો. આ વખતે એટલે કે 1 ફેબ્રુઆરી, 2021ના માર્કેટ ગગડશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જો કે, મોટાભાગના નિષ્ણાતો બજારમાં ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે. 
સતત ત્રીજું બજેટ રજૂ કરનારા ભારતના પ્રથમ મહિલા નાણાપ્રધાન સીતારામને  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમાયા પછી પાછું વળીને નથી જોયું...  
નાણાપ્રધાન નિર્મલા સીતારામન આજે સતત ત્રીજું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.  
સીતારામનનો જન્મ 18મી ઓગસ્ટ, 1959ના તમિલનાડુના મદુરાઇમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણ સીતારામન અને માતાનું નામ સાવિત્રીદેવી છે. તેમણે તિરુચિરાપલ્લીની સીતાલક્ષ્મી કોલેજમાંથી બી.એ. આ પછી 1980માં જેએનયુથી ઇકોનોમિક્સમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યાર પછી, અહીંથી એમ.ફિલ.ની ડિગ્રી પણ મેળવી. તેમનાં લગ્ન ડો. પ્રભાકર સાથે થયાં હતાં. બંનેની મુલાકાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થઈ હતી. અહીં બંને એક સાથે ભણતા હતા. એક તરફ નિર્મલા સીતારામનનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ હતો, તો બીજી તરફ ડો. પરકલા પ્રભાકરનો પરિવાર કોંગ્રેસ બાજુ ઝુકાવ ધરાવતો હતો. સીતારામનને શરૂઆતની કારકિર્દીમાં પ્રાઈસ વોટરહાઉસ કૂપર્સમાં સિનિયર મેનેજર તરીકે સેવા આપી હતી. આ પછી, તેમને લંડનમાં બીબીસી વર્લ્ડ સર્વિસમાં પણ કામ કરવાની તક મળી. તેઓ હૈદરાબાદની પ્રણવ સ્કૂલના સ્થાપક છે અને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ રહી ચૂકયા છે. 1991માં સીતારામન અને તેના પતિ ભારત પાછા આવ્યા અને હૈદરાબાદમાં રહેવા લાગ્યા. 2010માં તેઓ નીતિન ગડકરી દ્વારા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમાયા હતા. આ પછી પાછળ વળીને જોયું નથી. ભાજપે 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા પછી, 26 મે, 2014ના તેમને સ્વતંત્ર હવાલા સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયનું કેન્દ્રનું `રાજ્યકક્ષાનું પ્રધાનપદ' આપવામાં આવ્યું. રાજકીય કારકિર્દીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને સંરક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં 2017માં સંરક્ષણ પ્રધાનપદ મળ્યું. આ રીતે સીતારામન ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી બીજા મહિલા સંરક્ષણમંત્રી અને પ્રથમ પૂર્ણ સમયનાં મહિલા સંરક્ષણપ્રધાન બન્યા. જીવનનો બીજો મહત્ત્વપૂર્ણ તબક્કો 2019માં આવ્યો, જ્યારે વડાપ્રધાન મોદીએ તેમને નાણાપ્રધાન બનાવ્યાં.  
મેટેભાગે સેન્સેક્સ નિરાશાથી બંધ 
તારીખ-વર્ષ                      નાણામંત્રી તેજી / પતન  
26 ફેબ્રુઆરી 2010 પ્રણવ મુખર્જી - 175  
28 ફેબ્રુઆરી 2011          પ્રણવ મુખર્જી    123  
16 માર્ચ 2012                પ્રણવ મુખર્જી            -220  
28 ફેબ્રુઆરી 2013          પી.ચિદમ્બરમ            -291  
10 જુલાઈ 2014             અરુણ જેટલી              -72  
28 ફેબ્રુઆરી 2015          અરુણ જેટલી            141  
29 ફેબ્રુઆરી 2016          અરુણ જેટલી                -52  
01 ફેબ્રુઆરી 2017          અરુણ જેટલી           476  
01 ફેબ્રુઆરી 2018          અરુણ જેટલી              -59  
05 જુલાઈ 2019             નિર્મલા સીતારમન       -395  
01 ફેબ્રુઆરી 2020          નિર્મલા સીતારમન       -900  

Monday, 25 January 2021

કેન્દ્રીય બજેટ -૨૧ ની ૨૧ અપેક્ષાઓ. 21 expectations of Union Budget 21

કેન્દ્રીય બજેટ -૨૦૨૧ની ૨૧ અપેક્ષાઓ.

કેન્દ્રીય બજેટને હવે માત્ર અઠવાડિયાનો સમય રહ્યો છે. મહામારીનું વર્ષ છે, અર્થતંત્રમાં પડકાર છે લાંબા સમયથી ચર્ચા છે એમ આ વખતના બજેટમાં બહુ 'મેળવવાની' લેવાની અપેક્ષા નહીં રહે, કંઈક 'આપવું' પડશે. કોરોનાનાં લીધે જે ક્ષેત્ર પર સૌથી વધુ અસર પહોંચી છે, દેખીતી રીતે તેના પર જ બજેટનું ધ્યાન કેન્દ્રિત રહેશે. નાણામંત્રીએ થોડા સમય પહેલાં જ અપેક્ષા વ્યક્ત કરી હતી તેમ બજેટ સો વર્ષમાં ન આવ્યું તેવું અભૂતપૂર્વ રહેશે. પડકારજનક સ્થિતિમાં તેવો તેમના ઈરાદામાં કેટલા ખરા ઉતરે છે એ તો આવનારો સમય જ કહેશે. પણ એટલું નક્કી છે કે, મુશ્કેલીમાં મુકાયેલા અર્થતંત્રની ગતિ આપવાની છે ને એના માટે નાણાંની જરૂર છે, માંગ વધારવાના ઉપાયની જરૂર છે. મહદ્અંશે આ બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર-પાયાની માળખાગત સુવિધા, આરોગ્ય, રોજગાર, નોકરી ગુમાવનારા યુવાનોને ફરી કેમ આજીવિકા મળે, વ્યવસાયિક તાલીમ, સંરક્ષણ ક્ષેત્રે વધુ ખર્ચ, નવી હોસ્પિટલ સહીત તબીબી ક્ષેત્ર અને તેમાં નવા સંશોધનમાં રોકાણ કેમ વધે તેના પર ભાર મુકાય તેવી શક્યતા છે. સમગ્રતયા અર્થતંત્રને કેમ ઉત્તેજન મળે તેવા પ્રયાસો થશે. આ સિવાય સામાજિક ક્ષેત્રમાં ખર્ચ વધારવા અને ભવિષ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરવાની નવી દરખાસ્તો પણ જાહેર થઇ શકે છે. ૧લી ફેબ્રુઆરીના બજેટ રજૂ થશે, તે પહેલા ૨૦૨૧ના આ બજેટની મહત્વની ૨૧ અપેક્ષાઓની અહીં ચર્ચા કરી છે.


  ૧. આવકવેરો-ઉત્સુકતા ઘણી શક્યતા ઓછી: દર વર્ષે આવકવેરા ક્ષેત્રે શું ફેરફારો આવે છે તેની સૌથી વધુ આતુરતા રહે છે. પણ આ વર્ષે અર્થતંત્ર પર ખરાબ અસરને જોતા વધુ પડતી અપેક્ષા નથી. અત્યારે  ટેક્સ માળખાના  પહેલા સ્લેબની કરીએ તો ૨.૫ થી ૫ લાખ સુધીની આવક પર  પાંચ ટકા વેરો છે. સીધા અને આડકતરા વેરાથી થનારી સરકારની આવક ઘટી છે, એટલે આવકવેરાની છૂટની મર્યાદા તો વધે એવું લાગતું નથી. પણ ૮૦-સી અંતર્ગત રોકાણની જે મર્યાદા છે એ વધી શકે છે કે હોમલોનમાં વ્યાજ અને મુદલ બંને પર કરકપાતની મર્યાદા વધી શકે છે.

 ૨. એમ.એસ.એમ.ઈ.ને વધુ રાહતની અપેક્ષા: કોરોના મહામારી પછી સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી યોજના લાવી હતી. ભારતમાં છ કરોડ નાના-મોટા ઉદ્યોગો છે, જેમાં ૯૨ ટકા સૂક્ષ્મ છે અને આ ઉદ્યોગોનું રોજગારીમાં મોટું યોગદાન છે. મહામારી પછી રોજગારી એ મોટું લક્ષ્ય છે, આવા ઉદ્યોગો માટે આવેલી લોન યોજના બેંકો હજુ બે કરોડ જ મંજૂર કરી શકી છે, તેથી એમ.એસ.એમ.ઈ માટે નવા કે વધુ રાજકોષીય પ્રોત્સાહન પેકેજની અપેક્ષા છે.

 ૩.રેલવેમાં ખાનગી રોકાણ વધશે : આમ તો, લાંબા સમયથી રેલવેમાં ખાનગી ભાગીદારીની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે બજેટમાં રોકાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. નવી સુપરફાસ્ટ ટ્રેનની જાહેરાત થશે, સાથે સાથે યાત્રી સુરક્ષા સંબંધી નવા પગલા લેવાય એવી અપેક્ષા છે.

 ૪. ટેક્સ ફ્રી બોન્ડની જાહેરાતની સંભાવના: બજેટમાં અપેક્ષા રખાય છે એ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારમાં રોકાણ વધારવા પર ધ્યાન અપાશે. પણ એ માટે નાણાં ઉભા કરવા વર્તમાન ઉપરાંત નવા સ્રોત જોઇશે. લાંબા ગાળાના ઇન્ફ્રા બોન્ડ કે નવા પેન્ડેમિક(મહામારી) બોન્ડનું એલાન થઈ શકે છે. આ કરમુક્ત બોન્ડમાં ચોક્કસ સમયમર્યાદા માટે રોકાણ પર કરમુક્તિ મળી શકે. જે કરમુક્તિ ૮૦સી અંતર્ગત મળતી છૂટથી વધારાની અપાય તેવી સંભાવના છે. જોકે આવા બોન્ડમાં લગભગ ૫ વર્ષનો લોન ઇન સમય રહી શકે છે.

 ૫. ૮૦સી અંતર્ગત રોકાણની મર્યાદામાં ફેરફારની આશા : અંદાજપત્રમાં આવકવેરાના સ્લેબમાં સીધી રાહત આપી ફેરફાર થાય એવી સંભાવના ઓછી મૂકવામાં આવે છે, પણ કરમુક્તિ માટે રોકાણની મર્યાદાને વધારીને, મોંઘવારીમાં લોકોને રાહત અપાય એવી અપેક્ષા વધુ છે. અત્યારે ૮૦સીસી અંતર્ગત મળતી કલમ ૮૦સીસી, ૮૦સીસીઇ, અને ૮૦સીસીઈ ડી (૧) હેઠળ એક વર્ષમાં રૂપિયા દોઢ લાખની રકમ રોકવા સાથે આવકવેરામાથી છૂટ મેળવવાની મર્યાદા છે તેને વધારીને હવે અઢી લાખ કે ત્રણ લાખ સુધીની કરવામાં આવે તે સંભવ છે.

 ૬.સિનિયર સિટીઝનને રાહતની અપેક્ષા : અત્યારે નેશનલ પેન્શન સ્કીમ સહિતની અનેકવિધ યોજનાઓ દ્વારા વરિષ્ઠ નાગરિકોને એન્યુઇટી એટલે કે નિયમિત પેન્શન મળે છે. હવે આ એન્યુઇટી આવક પર આવકવેરામાંથી પૂર્ણ છૂટની આશા છે. અત્યારે એકાઉન્ટ બંધ કરવા પર રકમ ઉપાડની ૬૦ ટકા રકમ પર જ ટેક્સ છૂટ છે, બાકીમાં એનપીએસધારક એન્યુઇટી ખરીદે તો એ કરપાત્ર બને છે. આવા ઉપાડ સમયે સંપૂર્ણ મુક્તિની માગણી હવે સંતોષાઈ શકે છે. એકબાજુ વ્યાજ દર ઘટી રહ્યા છે, વરિષ્ઠ નાગરિકોની મર્યાદાથી વધારાની પણ વ્યાજ આવક પર કર લગાડવાથી તેમની પાસે ઘરેલું જરૂરતો માટે રકમ ઓછી બચે છે. હવે આ માંગ સ્વીકારાય કે કોઈ નવી યોજનાની પણ રાહત આપવામાં આવી તેવી અપેક્ષા છે.

 ૭. આત્મનિર્ભરતાનું લક્ષ્ય ; નિકાસને પ્રોત્સાહન-આયાત ડ્યૂટી વધશે: ભારત હવે મેઇક ઇન ઇન્ડિયાના સૂત્ર સાથે આગળ વધે છે ત્યારે ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે નિકાસ વધારી આયાત ઘટાડતા પગલાનો આ વર્ષનાં બજેટમાં પડઘો પડશે. ખાસ કરીને સસ્તા શ્રમવાળા ક્ષેત્રોમાં રોકાણ વધારવામાં આવી શકે છે. નાના ક્ષેત્રોને કરમુક્તિ, રિફંડ કે સબસીડી જાહેર થઈ શકે. નિકાસ બજાર તેમજ ગ્લોબલ વેલ્યુ ચેઈન ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહનની યોજનાઓનો પણ સમાવેશ થાય. બીજીબાજુ, આયાતને ઘટાડવાના પ્રયાસ  થશે. ઈમ્પોર્ટ ટેરીફ સ્ટ્રકચરમાં મોટો બદલાવ જોવા મળે તો નવાઈ નહીં. જેનાં પાર્ટસ આયાત કરી ભારતમાં ચીજ ઉત્પાદન કરીને નિકાસ કરવામાં આવે છે એવી ચીજો પર ડ્યુટી ઘટાડવામાં આવી શકે પણ જે ફીનીશ્ડ ગુડ્ઝ-તૈયાર ચીજોની આયાત થાય છે, તેમાં કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી શકે છે. આવું થશે તો એરકન્ડિશન, ટીવી, ફ્રીજ, સ્માર્ટફોન, ટાયરના ભાવ વધી શકે છે.

 ૮.આરોગ્ય ક્ષેત્ર  બજેટના કેન્દ્રમાં રહેશે: કોરોના મહામારી પછી સ્વાસ્થ્ય વીમાની અનિવાર્યતા વધી ગઈ છે. આરોગ્ય વીમા પોલિસી પર જીએસટી ઘટે એવી અપેક્ષા છે. બીજું, કલમ ૮૦સી અંતર્ગત એસી(ડી)ની આવકવેરાની રોકાણ મુક્તિમર્યાદાને સામાન્ય વ્યક્તિ માટે વધારીને રૂ. ૭૫ હજાર તથા સિનિયર સિટીઝન માટે રૂ. એક લાખ કરવાની આશા છે. બીજીતરફ, આરોગ્ય આરોગ્ય માળખું સુદ્રઢ કરવા માટે નવી હોસ્પિટલના નિર્માણ માટે કોઈ પ્રોત્સાહક યોજનાની પણ જાહેરાત થઇ શકે.

 ૯. ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના : દેખીતું છે કે કોરોના મહામારીના સમયમાં સરકારનો ખાસ કરીને આરોગ્ય જેવા ક્ષેત્રમાં ખર્ચ વધ્યો છે. વ્યાપક નાણા ભંડોળની જરૂર વધી છે. આમ તો, અનેક જાહેર સાહસોમાં ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ૨૦૧૬થી શરૂ કરવામાં આવી ચુકી છે. પણ છેલ્લા બે વર્ષથી લક્ષ્ય મુજબ સરકાર આગળ નથી વધી શકી. હવે આ પ્રક્રિયા કેમ ઝડપી કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સંપતિ વેચાશે તો જ નાણા એકત્ર થઈ શકે. અત્યારે એર ઇન્ડિયા, બીપીસીએલ, શીપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલુ છે. હવે તેને ગતિ આપવા આપવા માટે બજેટમાં કોઈ નક્કર પ્લાન જાહેર થઈ શકે. 

૧૦. કિસાન સન્માન ભંડોળ વધી શકે : લાંબા સમયથી દેશમાં ખેડૂત આંદોલન ચાલે છે, જે હજુ નક્કર સમાધાન સુધી નથી પહોચ્યું. ખેડૂતો નારાજ છે ત્યારે બજેટમાં એનો પડઘો પડી શકે. અત્યારે ખેડૂતોને દર ચાર મહિને ૨૦૦૦ રૂપિયા મળે છે, તેને વધારવામાં આવે ને હવે રૂપિયા ૩૦૦૦ મળે તેવી જાહેરાત થઇ શકે છે. એટલે કે વાર્ષિક ૬૦૦૦થી વધીને ૯૦૦૦ મળી શકે. આ સિવાય ઓછા વ્યાજની લોનની કોઈ જાહેરાત થાય અથવા દેશમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સ્વદેશી કૃષિ સંશોધન, જૈવિક ખેતી માટે વધુ નાણાં અને પ્રોત્સાહન જેવી યોજનાઓની જાહેરાતો પણ સંભવ છે.

 ૧૧. 'વિવાદથી વિશ્વાસ' યોજનાને નવું રૂપ  મળી શકે: ટેક્સ વિવાદથી જોડાયેલી લગભગ ૯.૫ લાખ કરોડની રકમ છે. સરકારને અત્યારે નાના સ્રોત નાણા ઉભા કરવા છે અને આ રકમ મળી જાય તો ઘણે અંશે સમસ્યા ઉકેલાઈ જાય એમ છે. વિવાદથી વિશ્વાસ યોજના ચાલુ નાણાકીય વર્ષમાં જ લાગુ પડી પરંતુ તેની પ્રતિક્રિયા નબળી આવી એટલે હવે તેને નવા સ્વરૂપમાં લાવવામાં આવી શકે. ૨૦૧૮-૧૯ના અંતે કુલ વિવાદની રકમ ૯.૫ લાખ કરોડ હતી. એમાં ૪.5 લાખ કરોડ કોર્પોરેટ ટેક્સના અને ૩.૯૫ લાખ કરોડ આવકવેરા સંબંધી હતા. જોકે ગત નવેમ્બર સુધીમાં આ યોજનાથી માત્ર ૭૨,૫૦૦ કરોડ જ સરકારને મળી શક્યા. કુલ ૪.૮૯ લાખ કેસ આ યોજના સાથે જોડાયેલા છે અને રકમ જમા કરવાની અંતિમ તા. ૩૧મી માર્ચ-૨૧ છે. હવે સરકાર કંઈ ફેરફાર કરે તો  વધુ પ્રતિભાવ મળે એમ છે. 

૧૨.વેપારી વર્ગને જીએસટીથી આશા: ગુડ એન્ડ સર્વિસ ટેક્સમાં કાપ મુકાય તો કોરોના મહામારીથી પીડિત વેપારીઓને લાભ મળે એમ છે. વધારામાં ઓછા વ્યાજે લોનની નવી યોજનાઓ જાહેર થાય એવી વેપારી વર્ગને અપેક્ષા છે. જીએસટી રિફંડની સુવિધા પણ વધુ સરળ કરવામાં આવે એમ પણ મનાય છે.

 ૧૩. વધુ બેંકોનાં સંયોજન: દેશમાં પહેલાં ૨૭ સરકારી બેન્ક હતી, જેનું સંયોજન કરીને અત્યારે ૧૨ કરી દેવામાં આવી છે. હવે હજુ વધુ ઘટાડવામાં આવે અને આવી જાહેરાત બજેટમાં સમાવાય તો નવાઈ નહી. સરકારના સંકેત છે એ મુજબ હવે દેશમાં સંખ્યા ઘટાડીને માત્ર ચાર જ બેંકો સરકારી રાખવામાં આવશે.

 ૧૪. કોરોના સેસ આવી શકે: દેશમાં વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે. જેના જંગી ખર્ચને કારણે સરકાર નવો સેસ કે સરચાર્જ લગાડી શકે છે. આર્થિક નબળી આ સ્થિતિમાં સરકાર વધારાનો નવો કોઈ કરવેરો લગાડે એવી સંભાવના ઓછી છે એટલે શક્યતા છે કે અડધા ટકાનો સરચાર્જ લગાડી દે. થોડા સમય પહેલા રાજ્યોનાં નાણા મંત્રીઓ સાથેની બેઠક થઈ. એમાં જોકે આવા સેસની વિરુદ્ધમાં અવાજ ઉઠયો. એટલે એ જોવું મહત્વનું રહેશે કે જીએસટીને વધારી દેવામાં આવે છે કે સેસ. પણ, શ્રેષ્ઠ અને સરળ વિકલ્પ સેસની વિશેષ સંભાવના છે. 

૧૫. સરક્ષણ ખર્ચ વધશે : એકબાજુ ચીન તેની વિસ્તારવાદી નીતિથી ભારત માટે પડકાર ઊભો કરે છે, તો બીજીબાજુ પડોશી પાકિસ્તાન ઘૂસણખોરીને સતત ઉત્તેજન આપે છે. સરહદ પરના આ પ્રશ્નોને લઈને સરકાર સંરક્ષણ ખર્ચમાં ચાલુ વર્ષે ૨ થી ૩ ટકાનો વધારો કરે તો નવાઈ નહિ. આ સિવાય સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખુ વધુ સુદ્રઢ કરવા માટે વિશિષ્ટ જાહેરાતો તેમજ  સંરક્ષાનમાં ટેકનોલોજી વધારતી જોગવાઈઓ પણ થઈ શકે છે. 

૧૬. રિયલ એસ્ટેટને ઉત્તેજન આપતા પગલાં: આ ક્ષેત્ર કોરોનાની ગંભીર અસરમાંથી બાકાત નથી. અત્યારે વ્યાજને કરમુક્તિ તેમજ સસ્તા મકાનોને સબસિડીની યોજના ચાલુ જ છે. પણ તેમાં વધુ છૂટ મળે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રને માટે બજેટમાં અલગ ફંડ ફાળવી શકે છે કે રીયલ એસ્ટેટને એક સ્વતંત્ર ઉદ્યોગનો દરજ્જો પણ આપવામાં આવી શકે. ઇન્ટરેસ્ટ સબવેનશન સ્કીમમાં આવકવેરામાં વધુ છૂટ મળી શકે છે. વ્યાજમાં કપાત મર્યાદા અત્યારની બે લાખથી વધી શકે તેમજ સીધો ખરીદનારને ફાયદો થાય તેવા સુધારા પણ જાહેર થઈ શકે. એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં મકાનની કિંમતની મર્યાદા વધારીને ૭૫ લાખ સુધીની કરી દેવામાં આવી શકે છે. 

૧૭. વ્હીકલ સ્ક્રેચ પોલીસી : જૂના વાહનો રોડ પરથી હટી જાય અને પ્રદૂષણનો ફેલાવો પણ અટકે તેવા ઉદ્દેશથી નવી નીતિ જાહેર થઈ શકે છે. બીજું, અત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ખરીદીથી માંગ વધારવાનું લક્ષ્ય છે. જુના વાહનો પર પ્રતિબંધની નીતિ છે પણ એ અટકેલી છે અને તેના પર હવે નક્કર અમલની દિશામાં પગલાં જાહેર થઇ શકે. 

૧૮. કોર્પોરેટ ટેક્સ : ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ સહીત સમગ્ર કોર્પોરેટ ક્ષેત્રની આશા છે કે તેમનો ટેક્સ વધુ ઘટાડવામાં આવે. કોર્પોરેટ ટેક્સ અગાઉ બજેટમાં ૧૦ ટકા ઘટાડવામાં આવી ચૂકયો છે. કંપનીના નફામાં કોરોના મહામારી પછીના લોકડાઉનનાં કારણે  ઘટાડો થયો છે ત્યારે તેમને વિશેષ રાહતની અપેક્ષા છે. 

૧૯. ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેકસ અને સોવેર્જીન ગોલ્ડ બોન્ડ યોજના : ડીડી ટેક્સમાં અનેક સુધારા કરવાની જરૂર છે. કલમ ૨૪૩ અંતર્ગત કોઈ કરદાતા એડવાન્સ ટેક્સ ભરવાનું ચૂકી જાય છે કે કરપાત્ર રકમથી ઓછી ચૂકવણી કરે છે. તો તેના પર વ્યાજનું ભારણ લગાડવામાં આવે છે. આ લાંબા સમયની સુધારાની માગણી છે. ઉપરાંત સોવેર્જીન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત કેપિટલ ગેઇન્સને કરમુક્તિ મળે એવી માગણી સંતોષાય એવી અપેક્ષા છે.

 ૨૦. આઇટી સાધનોનાં નવનિર્માણને ઉત્તેજન: માહિતી ટેકનોલોજી અને હાર્ડવેર ક્ષેત્રને પ્રોત્સાહન માટે પીએલઆઈ યોજના અંતર્ગત ફાળવણી કરવામાં આવી શકે છે. પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સર્વર જેવી ચીજના ઉત્પાદન નિર્માણમાં  ઉત્તેજન આપતી યોજનાથી ભારતના મેક ઇન ઇન્ડિયાના લક્ષ્યો હાંસિલ થાય એમ છે. 

૨૧. 'વર્ક ફ્રોમ હોમ'ને પ્રોત્સાહન : બજેટની કેટલીક જાહેરાતોથી કર્મચારીઓને લાભ મળી શકે છે. જે કંપનીઓ કર્મચારીઓ પાસેથી તેમના ઘરેથી કામ કરાવે છે, તેમનો ખર્ચ બચે છે. કોરોના મહામારીમાં આ વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટ બહું ચાલ્યો. કંપનીઓને આ બાબતે પ્રોત્સાહન આપતી યોજનાની જાહેરાત થઈ શકે છે. જે કંપની તેમના બચેલા ખર્ચનો લાભ કર્મચારીઓને આપશે તેમણે કરમુક્તિ મળે એવું જાહેર થઈ શકે. કર્મચારીઓને હાથમાં વધુ નાણાં જશે તો તો દેખીતી રીતે માંગ વધશે.





Tuesday, 19 January 2021

મહામારી વચ્ચે `સામાન્ય' બજેટનું કાઉન્ટડાઉન; હશે `અસામાન્ય'. Amid the epidemic; Countdown of the union 'budget start ..

મહામારી વચ્ચે `સામાન્ય' બજેટનું કાઉન્ટડાઉન; હશે `અસામાન્ય'

કેન્દ્રીય અંદાજપત્ર 2021નું રણશિંગું ફૂંકાઇ ગયું છે. નવી તારીખ મુજબ હવે પહેલી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યે સામાન્ય બજેટ રજૂ થશે, પરંતુ સામાન્ય કહેવાતું આ બજેટ આ વખતે કોરોના મહામારીના વર્ષ પછીનું હોવાથી સામાન્ય નહીં હોય, ખાસ હશે. તેની અપેક્ષા અને જાહેરાતો  નોખી હશે. અત્યારે નિષ્ણાતો  દ્વારા ધારણાઓ પણ અલગ જ પ્રકારની  વ્યક્ત થઇ?રહી છે. એ જ લક્ષ્ય હશે - મહામારીમાં નુકસાન ભોગવેલા ક્ષેત્રને કેમ બેઠા  કરવા ? મોટાપાયે ખર્ચ  ભોગવેલી સરકારે નાણાં ક્યાંથી ઊભા કરવા ? નવા સ્રોત શું હોઇ શકે અને મહામારી પછી કયા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા ખર્ચ કરવો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળના આ ત્રીજા બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ત્યારે પોતાનું ત્રીજીવાર બજેટ રજૂ કરી રહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેરાતો પર બધાની નજર ટકેલી રહેશે. જો કે, સીતારામને સંકેત આપી જ દીધો છે કે, આ વખતનું બજેટ વિશેષ હશે, એવું બજેટ જેવું તમે 100 વર્ષમાં ક્યારેય નહીં જોયું હોય !  ઘણી બધી રીતે `ખાસ' હશે. લોકોને અપેક્ષાઓ છે કે, આવકવેરામાં વધુ છૂટ મળે, ડિવિડન્ડ - ટેક્સમાં છૂટ મળે પણ સરકાર નાણાનાં સ્રોત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે એમ મનાય છે. માળખાંકીય (ઇન્ફ્રાસ્ટ્રકચર)?અને આરોગ્ય ક્ષેત્રમાં વધુ રોકાણની આવશ્યકતાને જોતાં ફરી એકવાર ટેક્સ ફ્રી બોન્ડને  લાવવામાં આવી શકે છે, વધુ નાણાં એકત્ર કરવા `િવવાદ એ વિશ્વાસ' યોજના નવા સ્વરૂપમાં આવી શકે છે. તેમજ રોજગાર વધારતા અને કોરોના મહામારી પછીની સ્થિતિને જોતાં રોજગાર વધારતી અને આરોગ્ય ક્ષેત્રના  વિકાસ તેમજ વધુ ને વધુ સંશોધન થાય તેવાં પગલાંની જાહેરાત કરવામાં આવી શકે છે.

29મીથી બજેટ સત્ર; બે તબક્કા

1 પહેલી ફેબ્રુઆરીના સોમવારે બજેટ રજૂ થવાથી બરાબર ત્રણ દિવસ પહેલાં એટલે કે, 29મી જાન્યુઆરીના સંસદનું બજેટ સત્ર શરૂ થશે અને તે 8મી એપ્રિલ સુધી ચાલશે, જે બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો  તા. 29/1થી 15/2 સુધી યોજાશે, જ્યારે બીજો તબક્કો 8મી માર્ચથી 8મી એપ્રિલ સુધી ચાલશે. તા. 16/2થી તા. 7/3 સુધી વિરામ રહેશે. જો કે, શિયાળુ સત્ર તો મહામારીના કારણે સંપૂર્ણ રદ જ કરાયું હતું.

આઝાદી પછી પહેલીવાર `પેપરલેસ' બજેટ!

કોરોના મહામારી પછીનું આ બજેટ જોગવાઇઓની રીતે `આમ નહીં ખાસ' તો હશે જ, પરંતુ તેની સૌથી મોટી વિશિષ્ટતા એ રહેશે કે, 73 વર્ષમાં પહેલીવાર તેનું છાપકામ કરવામાં નહીં આવે. `સોફ્ટ કોપી'માં જ સાંસદ સહિત તમામ લોકોને  અપાશે. કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. પ્રિન્ટિંગ દરમ્યાન સંક્રમણ ન થાય તેવો હેતુ છે.

આઝાદી બાદ દર વર્ષે બજેટ દસ્તાવેજ છપાતા હતા, તેને વાંચીને જ નાણામંત્રી  ભાષણ આપતા હતા. પરંતુ ચાલુ વર્ષે નહીં છપાય અને સંસદના બંને ગૃહોએ આ બાબતને મંજૂરી પણ આપી દીધી છે. દર વર્ષે કેન્દ્રીય બજેટના દસ્તાવેજ નાણામંત્રાલયની પ્રેસમાં જ પ્રિન્ટ થાય છે, લગભગ 100થી વધુ કર્મચારી આ પ્રક્રિયામાં જોડાયા છે, જે બજેટ દસ્તાવેજોના પ્રિન્ટ થવા, સીલ થવા અને બજેટના દિવસે ડિલિવરી કરવાના સમય સુધીમાં લગભગ 15 દિવસ પ્રેસમાં કેદ રહે છે. બહાર જવાની કે કોઇ સાથે વાત કરવાની મનાઇ હોય છે. આ પ્રેસ પાસે `મોબાઇલ જામર' લગાડી દેવામાં આવે છે. જો કે, બજેટ કોપી ડિજિટલ સ્વરૂપમાં  બધાને અપાશે. લોકસભા અને રાજ્યસભા સચિવાલયે આ વખતે કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને સાંસદોને અનુરોધ કર્યો હતો, જે માન્ય રહ્યો હતો. આમ હવે નાણામંત્રી સોફટ કોપી દ્વારા જ બજેટનું વાંચન કરશે.

હલવા સેરેમની પણ રોકાઇ,

બજેટનું પ્રિન્ટિંગ નહીં થાય

આરંભ પ્રસંગે  દર વર્ષે હલવા સેરેમનીનું આયોજન કરાતું. આ આયોજન સંસદમાં બજેટ રજૂ કરવાના એક પખવાડિયા પહેલાં નોર્થ બ્લોક બેઝમેન્ટમાં કરવામાં આવતું હતું. એ પણ દેખીતી રીતે રદ થયું. કારણ કે, પ્રિન્ટિંગ જ નથી કરાતું.આ પરંપરા બહુ મહત્ત્વની છે. કારણ કે, ખુદ નાણામંત્રી પોતાના નજીકના  મંત્રીઓની તથા તેમના મંત્રાલયના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેતા.

આર્થિક સર્વેનું છાપકામ નહીં

જેમ બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ નહીં થાય તેમ એ જ કોરોના મહામારીના કારણે આર્થિક સર્વેક્ષણનું પણ છાપકામ નહીં કરતાં બંનેનાં છાપકામ ઉપરાંત સાંસદોને વિતરણ દરમ્યાન સંક્રમણનું જોખમ આમાં કારણભૂત ગણાવાયું છે.

આ છે બજેટની રસપ્રદ વાતો...!

ભારતીય બંધારણની કલમ 112માં કેન્દ્રીય બજેટનો ઉલ્લેખ છે, એ મુજબ, અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય વર્ણન છે. કેન્દ્રીય બજેટમાં સરકારની સૂચિત આવક અને પ્રસ્તાવિત યોજનાઓ તેમજ થનારા ખર્ચનું વિવરણ હોય છે. બજેટ બન્યા બાદ તેને લાગુ કરવા સંસદના બન્ને ગૃહની મંજૂરી જરૂરી હોય છે. આવા બજેટ સાથે કેટલીક ઐતિહાસિક અને રસપ્રદ વાતો વણાયેલી છે, જે અહીં સંકલિત કરવામાં આવી છે. ઉપરાંત આ વખતે પહેલીવાર બજેટ છપાશે નહીં, તેમાં બદલાવ સહિતના કેટલાક મહત્વના પરિવર્તન અહીં રજૂ કર્યા છે.

0 `બજેટ શબ્દ' : આ શબ્દ વાસ્તવમાં લેટિન શબ્દ બુલ્ગામાંથી લેવામાં આવ્યો છે. બુલ્ગાનો અર્થ થાય છે ચામડાની થેલી. એ પછી ફ્રાંસની ભાષામાં બોઉગેટ બન્યો. જેનું અપભ્રંશ થયા બાદ અંગ્રેજીમાં બોગેટ અને પછી તેમાંથી બજેટ શબ્દ બન્યો.

0 પ્રારંભ ક્યારે???: ભારતનું પહેલું બજેટ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને 18મી ફેબ્રુઆરી, 1860ના રજૂ કર્યું તેને બજેટ વ્યવસ્થાના જનક કહેવાય છે. પહેલી એપ્રિલથી 31મી માર્ચના નાણાકીય વર્ષની શરૂઆત 1867માં થઈ એથી પહેલાં 1 મેથી 30મી એપ્રિલ સુધી હતું નાણાકીય વર્ષ.

0 છાપકામ કયાં?: બજેટ પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં છપાતું હતું, પરંતુ 1950માં બજેટ લીક થવાની ઘટના બાદ તેને દિલ્હીના મિન્ટો રોડ સ્થિત સિક્યોરિટી પ્રેસમાં છપાવા લાગ્યું હતું. જોકે 1980થી બજેટ નોર્થ બ્લોકથી પ્રિન્ટ થવા લાગ્યું પ્રારંભમાં માત્ર અંગ્રેજીમાં જ છપાતું, પરંતુ 1955-56થી તેના દસ્તાવેજો હિન્દીના પણ છપાય છે. જોકે આ વખતે કોરોના મહામારીમાં પ્રિન્ટિંગ નહીં થાય.

0 પહેલું બજેટ : સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ નાણામંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટીએ 26/11/47ના રજૂ કર્યું હતું. જે તા. 15/8/47થી તા. 31/3/48 સુધીના સમય માટે હતું. જ્યારે પ્રજાસત્તાક ભારતનું પહેલું બજેટ તા. 28/2/50ના જોન મથાઈએ રજૂ કર્યું હતું. શેટ્ટીએ 1948-49ના બજેટમાં પહેલીવાર `ઈન્ટ્રીમ' એટલે કે `વચગાળા'નું બજેટ શબ્દ પ્રયોગ જે પાછળથી ટૂંકાગાળાના બજેટ માટે પ્રચલિત બન્યો.

0 સાંજે 5નાં સ્થાને 11 : વર્ષ 2000 સુધી અંગ્રેજી પરંપરા મુજબ બજેટ સાંજે પાંચ વાગ્યે રજૂ કરાતું હતું. વર્ષ 2001માં વડાપ્રધાન વાજયેપીના નેતૃત્ત્વવાળી એનડીએ સરકારે આ પરંપરા તોડી એ વખતે નાણામંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે રજૂ કર્યું અને હવેથી સવારે જ બજેટ રજૂ થાય છે. 1999 સુધી અંગ્રેજી પ્રથા મુજબ અંતિમ કામકાજના દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ થતું. સાંજની આ પરંપરા 1924માં બેસિલ્લ બ્લેકેટે શરૂ કરી હતી.

0 1લી ફેબ. નક્કી થઈ તારીખ : 2017 પહેલાં બજેટ ફેબ્રુઆરીનાં આખરી કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું. 2017થી તેને પહેલી ફેબ્રુઆરી કે, ફેબ્રુઆરીના પહેલા કામકાજના દિવસે રજૂ થવાનો પ્રારંભ થયો. 2016માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ એલાન કર્યું હતું કે, હવેથી બજેટ 1લી ફેબ્રુઆરીના રજૂ થશે. આ ઉપરાંત 92 વર્ષથી અલગ રીતે રજૂ થતા રેલવે બજેટને કેન્દ્રીય બજેટમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું.

0 ચામડાની બેગમાંથી વહીખાતું : સામાન્ય રીતે ચામડાની બ્રીફકેસમાં બજેટના દસ્તાવેજ લાવવામાં આવતા હતા. આ પરંપરાને પહેલા નાણામંત્રી આર.કે. ષણમુખમ શેટ્ટીએ શરૂ કરી હતી. જેનો 2019માં અંત આવ્યો, નાણામંત્રી સીતારામન 2019 અને 2020માં બજેટ લાલરંગની પારંપરિક ખાતાવહીમાં દોરી વીંટીને લાવ્યા હતા.

વડાપ્રધાનો રજૂ કરી ચૂક્યા છે બજેટ: 1958-59માં દેશના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ બજેટ રજૂ કર્યું હતું.  કારણ કે નાણા મંત્રાલયની જવાબદારી એમની પાસે જ હતી. એ પછી તેમના પુત્રી ઈન્દિરા ગાંધીએ પણ વડાપ્રધાન પદેથી અને છેલ્લે રાજીવ ગાંધીએ પણ બજેટ રજૂ કર્યું હતું.

0 સૌથી વધુ બજેટ કોણે રજૂ કર્યું?: દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ અત્યાર સુધી સૌથી વધુ 10 વાર બજેટ રજૂ કર્યું છે. તેઓ છ વાર નાણામંત્રી અને ચારવાર નાયબ વડાપ્રધાન રહ્યા છે. તેમાં બે વાર વચગાળાનું બજેટ સામેલ છે. પોતાના જન્મ દિવસે 2 વાર બજેટ રજૂ કરનાર તેઓ દેશના એકમાત્ર નાણામંત્રી છે. શ્રી દેસાઈનો જન્મ 29મી ફેબ્રુઆરીના થયો હતો, જે 4 વર્ષમાં એકવાર આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નાણામંત્રીના રૂપમાં 7 વાર બજેટ રજૂ કર્યું છે.


Monday, 11 January 2021

શિક્ષણ ક્ષેત્ર ધરમૂળથી બદલાયું; વિદ્યાર્થી ક્યારેય નહીં ભૂલે આ વર્ષ

કોરોના ઇમ્પેક્ટ - દિવ્યેશ વૈદ્ય............


અંતે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગત સપ્તાહે સત્તાવાર જાહેરાત કરી કે પ્રાથમિક, ધો. 10-12 અને સ્નાતક અને અનુસ્નાતકના વર્ષના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોરોના માગેદર્શિકાની મર્યાદામાં 11મી જાન્યુઆરીથી વર્ગો શરૂ થઇ જશે. છેલ્લી ઘડીએ કોઇ ફેરફાર આવ્યો તો આ વંચાશે ત્યારે ઓફલાઇન ભણતરની આંશિક શરૂઆત થઇ ચૂકી હશે. કોરોના મહામારીએ ભારતમાં દસ્તક દીધા ને લોકડાઉન સહિતના પ્રતિબંધોમાં તબક્કાવાર જે છૂટછાટ મુકાઇ તેમાં ઓગસ્ટના અંત સુધીમાં તો ધાર્મિકસ્થાનો અને પછીના મહિને પ્રવાસન અને થિયેટરોય ખૂલી ગયા પણ શાળા-કોલેજોની માત્ર જાહેરાતો થઇ અને સુરક્ષાના કારણે તેમજ વાલીઓના નબળા પ્રતિસાદને કારણે ઠેલાતું ગયું. યુનેસ્કોના આંકડા મુજબ 194 દેશનું શિક્ષણ ઓછું-વધું અસરગ્રસ્ત બન્યું અને વિશ્વના 91 ટકા વિદ્યાર્થીને વર્ગખંડ ન જવા સહિતનું નુકસાન પહોંચ્યું. હવે મોટા ભાગના દેશોએ શિક્ષણ ક્ષેત્ર ખોલી નાખ્યું છે અને ભારતમાં રાજ્યોને અગાઉ મળેલી કેન્દ્રની છૂટના આધારે અનેક રાજ્યોમાં શાળા શરૂ થઇ ચૂકી છે. ગુજરાતમાં હવે આ સેક્ટર અંશત: ખૂલી જશે. પણ, એ કબૂલવું પડે કે વિદ્યાર્થીઓ તેના જીવનમાં જ્યારે જ્યારે તેના શિક્ષણકાળને યાદ કરશે 2020નો જરૂર ઉલ્લેખ હશે. જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે. શિક્ષણ ક્ષેત્રના દૃષ્ટિકોણથી જોઇએ તો એક વર્ષમાં શિક્ષણમાં આમૂલ બદલાવ આવી ગયો. મહામારી આવી અને નવી શિક્ષણ નીતિ પણ આ વર્ષે આવી. કોરોનાએ જબરજસ્ત પડકાર સર્જ્યો હતો અને વિદ્યાર્થીઓ-શિક્ષકોએ સાથે મળીને તેને ટેક્નોલોજીની મદદથી પાર પાડયો. ઓનલાઇન શિક્ષણના દીપકને પ્રજ્વલિત રાખ્યો. શિક્ષણ જગતને નવા-નવા સબક મળ્યા કે, ગમે તે પરિસ્થિતિમાંથી પાર પાડી શકાય છે. એક ઓનલાઇન સંસાર સર્જ્યો, અધ્યયન અને અધ્યાપનની નવી રાહ દેખાઇ. આ નવી દિશા-વલણ ચોક્કસપણે વર્ગખંડનું શિક્ષણ શરૂ થયા બાદ પણ બંધ નથી થવાનું. કેન્દ્ર સરકારે પણ સંકેત આપી દીધા છે કે આ કોરોનાએ આપેલો આ નવો વિકલ્પ ચાલુ રહેશે. ભલે, ગુરુ-શિષ્ય આમને-સામને બેસીને ભણે તેના જેવો સબળ તો નથી, પણ માનવું પડે કે શિક્ષણમાં વ્યાપકપણે થઇ ગયેલું ડિઝિટલાઇઝેશન એ કોરોનાની દેન છે, એક હકારાત્મક પાસું છે.

કપરો કાળ : પરીક્ષાઓયે ઓનલાઇન !

માર્ચમાં લોકડાઉન પછી બધું બદલતું ગયું અને હવે તો લગભગ ક્ષેત્રની ખામીઓ પુરાઇ પણ ગઇ છે, પરંતુ શિક્ષણને જબરજસ્ત નુકસાન પહોંચ્યું. દેખીતી રીતે રૂબરૂ સંવાદ જેવું શિક્ષણ  ઓનલાઇન તો ન જ મળે. એમાં પાછું શિક્ષણતંત્ર-બોર્ડ અને યુનિવર્સિટીએ કોર્સ ઘટાડી નાખ્યા, પરીક્ષાનો સમય ઘટાડી નાખ્યો. શાળા તો ઠીક છે યુનિવર્સિટીઓની પરીક્ષાઓય ઓનલાઇન લેવાઇ. આ તો જ્યાં ઓનલાઇન સુવિધા છે તેની ખામીની વાત છે. પણ, ગામડામાં તો નેટવર્ક જ ન હોવાની ફરિયાદ આવી, આર્થિક નબળા વર્ગમાં એક તો સ્માર્ટ ફોન હોય તો હોય નહીં તો પૂરું ! આવી જગ્યાએ મહામારીથી શિક્ષણમાં કેટલું નુકસાન પહોંચ્યું હશે તેનો અંદાજ હજુ ન આવી શકે. આગલા ધોરણમાં જ ખબર પડશે. પરીક્ષા મામલે સૌથી પહેલે સીબીએસઇ સમક્ષ પ્રશ્ન સર્જાયો. માર્ચમાં પરીક્ષા રોકી દીધી. બાકી રહી ગયેલી પરીક્ષાના ઇન્ટરનલના આધારે ગુણ અપાયા. જેઇઇ-નીટ જેવી અગત્યની પરીક્ષા પણ ઠેલાતી રહી. છેવટે સપ્ટેમ્બરની શરૂઆતમાં લેવાઇ. શાળાઓની દૃષ્ટિથી જોઇએ તો ફી નિયમિત ન આવી. સરકારે 25 ટકા ફી ઘટાડો કર્યો. ખાનગી શાળાના સંચાલકો તો હવે શાળ બંધ જ કરવી પડે તેવી સ્થિતિ સુધી પહોંચી ગયા. ગામડાઓમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ તો પ્રવેશ જ ન લીધો. છોકરીઓએ ભણવાનું છોડી દીધું તેવા સર્વેના તારણો આવ્યા. આમ, છેલ્લે ખૂલી રહેલું સંભવત: સૌથી વધુ નુકસાનવાળું ક્ષેત્ર શિક્ષણ બની રહ્યું.

વિશ્વના 91 ટકા વિદ્યાર્થી અસરગ્રસ્ત :

ખાનગી શાળાઓને નિભાવનો પ્રશ્ન

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે શિક્ષણ ક્ષેત્ર પર અસરો પરના સત્તાવાર નિવેદનમાં એવું કહ્યું હતું કે, ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો અવરોધ સર્જાયો હતો. જેનાથી બધા જ દેશો અને ઉપખંડોના લગભગ 1.6 અબજ છાત્ર અસરગ્રસ્ત બન્યા. 2.38 કરોડ છાત્ર તો શાળા છોડી દે તેવી સ્થિતિમાં આવી ગયા. જેની પાછળ મુખ્ય કારણ આર્થિક હતું. 194 દેશના 91 ટકા વિદ્યાર્થીના શિક્ષણને અસર પહોંચી હતી. બાળકોના ઘરમાં રહેવા દરમ્યાન હિંસાની ઘટનાઓ બની. છોકરીઓએ લૈંગિક ભેદભાવનો સામનો કરવો પડયો. ઘરમાં કામકાજની જવાબદારી વધી ગઇ, સામે ઓછા સ્માર્ટ ફોન હોય તો દીકરાને પ્રાધાન્ય મળ્યું, જેનાથી વહેલા લગ્નની સંભાવનામાં વૃદ્ધિ જેવા પરિબળોએ માથું ઊંચક્યું. જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ હતો ત્યાં વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષણથી વંચિત રહ્યા. જો કે, ભારત સહિતના વિકસિત અને વિકાસશીલ દેશોમાં રેડિયો અને સરકારી ટીવી ચેનલોનો ઉપયોગ કરવામાં આવ્યો. જેનાથી ઓનલાઇન નેટવર્ક પરનો મદાર ઘટયો.

ભારતને સંબંધ છે ત્યાં સુધી યુજીસીના આંક મુજબ 950 જેટલી યુનિવર્સિટી છે, એમાં 361 ખાનગી છે અને ખાનગી યુનિવર્સિટી-શાળાઓ સંઘર્ષની સ્થિતિમાં આવી ગઇ. શિક્ષકોનો પગાર, નિભાવ ખર્ચ તો ચાલુ જ રહ્યા, સામે ફી ઘટી અને એડમિશન ઓછા થયા. સપ્ટેમ્બરમાં જ એક હેવાલ આવ્યો કે નર્સરીથી 12મી સુધીની 1000 જેટલી સ્કૂલ વેચાવા તૈયાર થઇ ગઇ છે. સેરેસ્ટ્રા વેન્ચર્સના આ સર્વેના તારણ મુજબ ઊંચી ફીવાળી શાળાઓ વધુ મુશ્કેલીમાં આવી.

પરિસ્થિતિએ શીખવ્યું : શિક્ષકો અપગ્રેડ થયા :

ગામડાનાં બાળકોય ઝૂમ, ગૂગલ મીટથી વાકેફ

કોરોના મહામારીએ જે પડકાર સર્જ્યો તે કસોટીમાંથી અધ્યાપકો-વિદ્યાર્થી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. આ બદલાવે ઘણું શીખવ્યું છે. મહામારીના ઘણા હકારાત્મક પાસાં પણ છે.

એક વર્ષમાં ભણતરનું સમગ્રતયા ડિજિટલાઇઝેશન થઇ ગયું. આ વીડિયો આગળના વર્ગોના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે. હવે ઓફલાઇન ભણવાનું ચાલુ થશે તો પણ ઓનલાઇન બંધ નહીં થાય અને એનો સંકેત કેન્દ્ર સરકાર આપી ચૂકી છે. એથી આ વિકલ્પ વધી ગયો છે. શિક્ષકોને ઓનલાઇન ભણાવવાનું કહેવામાં આવ્યું ત્યારે પ્રારંભમાં ઘણી મુશ્કેલી પડી. ડિજિટલ જાણકારી નહોતી. પણ, તાલીમ લઇ ધીમે-ધીમે અપગ્રેડ થયા. શિક્ષકોની એક નવી સ્કીલ ઊભી થઇ ગઇ. ભલે તમામ લોકો સુધી ઓનલાઇન શિક્ષણ ન પહોંચવાની ખામી રહી પણ જ્યાં ઉપલબ્ધ હતી ત્યાં છેવાડાના ગામડાના બાળકો પણ યુ-ટયૂબ, ગૂગલ મીટ, ઝૂમનો ઉપયોગ કરતા થયા. 

આ કૌશલ્યથી તેમણે પોતાની યુ-ટયૂબ ચેનલો બનાવીનેય કુશળતા પ્રદર્શિત કરી. બીજું, વાલીઓ ઇ-મેલ, વોટ્સએપ ગ્રુપમાં જોડાયા અને વિદ્યાર્થી ઘરમાં હોવાથી જવાબદારી વધી ગઇ. શાળા સાથે તેમનો સંપર્ક વધી ગયો. પહેલાં આવું ખાનગી શાળામાં વધુ હતું.

ભેદ વધ્યો; છોકરીઓનો વધુ ભોગ, સ્માર્ટ ફોનનો

અભાવ : ક્યાંક પુસ્તકો જ ન પહોંચ્યાં

શિક્ષણ ક્ષેત્ર બંધ રહ્યું અને ઓનલાઇન ભણવાનું શરૂ થયું એમાં ખાસ કરીને ગામડામાં અને આર્થિક નબળા વર્ગમાં છોકરીઓને વધુ  સહન કરવાનું આવ્યું. છેલ્લા છ મહિનામાં શિક્ષણ સંબંધી અનેક સર્વેક્ષણ થયા જેમાં ચોંકાવનારા તારણો મળ્યા છે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડનું અનુમાન છે કે, આવનારા સમયમાં દેશમાં 13 લાખથી વધુ છોકરીઓનું ભણતર છટી ગયું હશે, એથી એમના વહેલા લગ્ન કરી દેવાશે. 15થી 18 વર્ષની 40 ટકા છોકરીઓ શાળાએ નથી જઇ શકી, એમાં અનેકે પ્રવેશ જ નથી લીધો.

રાઇટ ટુ એજ્યુકેશન ફોરમે સેન્ટર ફોર બજેટ એન્ડ પોલિસી સ્ટડીઝ તથા ચેમ્પિયન ફોર ગર્લ્સ એજ્યુકેશન સાથે મળીને કરેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે, વાલીઓએ એવું સ્વીકાર્યું કે તેમના રોજીરોટીના ઠેકાણા નથી ત્યાં ભણાવીએ કેમ ? આ સર્વે મુજબ સરેરાશ 80 ટકા છાત્ર સુધી જ પુસ્તકો પહોંચ્યા. રાજસ્થાન, તેલંગાણા અને આંધ્રમાં 70 ટકા છાત્ર પાસે જ પુસ્તકો પહોંચ્યા. 67 ટકા પરિવાર પાસે જ સ્માર્ટ ફોન હતો.

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસો. ઓફ ઇન્ડિયા-2018ના હેવાલ મુજબ ભારતમાં પ્રતિપુરુષ 67 ટકા અને પ્રતિ મહિલા 33 ટકા લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે હવે વધ્યું હશે પરંતુ ગ્રામીણ ભારતમાં હજુ આવી રીતે અસંતુલિત પ્રમાણ છે. છોકરા કરતાં છોકરી પાસે ઓછા સ્માર્ટ ફોન છે. પ્રાથમિકતાની વાત આવે ત્યારે ઘરમાં છોકરાઓને સ્માર્ટ ફોન મળ્યા, તેમાં છોકરીઓનું ભરણતર છૂટી ગયાનું તારણ બહાર આવ્યું હતું.

સરકારે ઓનએર પ્રસારણમાં વિક્રમ કર્યો : 33 કરોડ વિદ્યાર્થીને જોડયા

 

કેન્દ્ર સરકારે કોરોનાના કાળમાં ડિજિટલ પદ્ધતિનો ભરપૂર ઉપયોગ કર્યો. ટીવી ચેનલના માધ્યમથી ઓનએર અને ઓનલાઇન બંને રીતે મળીને 33 કરોડ વિદ્યાર્થીને વિક્રમી રીતે લાભાન્વિત કર્યા.

શિક્ષણમંત્રીએ નિવેદન કર્યું હતું કે, સરકારી ઓનએર ચેનલને 80 કરોડથી વધી હિટ મળ્યા છે. વિદ્યાવાન, દીક્ષા, સ્વયંપ્રભા, શિક્ષાવાણી, પોડકાસ્ટ, સાઇન લેંગ્વેઝ જેવી ચેનલ અને કાર્યક્રમો લોકપ્રિય બન્યા. ટીવી, ડિજિટલ, ઓનલાઇન અને રેડિયો એમ ત્રણેય મોરચે શિક્ષણ કાર્યક્રમો રજૂ થયા.

એડમિશન ઘટયા; ઓનલાઇન શિક્ષણમાં પંજાબ પ્રથમ, પશ્ચિમ બંગાળ સૌથી છેલ્લે

 

કોરોના મહામારીમાં બાળકોના એડમિશન ઘટી ગયા. દેશમાં છથી દસ વર્ષની ઉંમરના 5.3 ટકા બાળક એવા હતા જેમણે શાળામાં પ્રવેશ જ ન મેળવ્યો. જો મહામારી ન હોત તો ભણવાનું શરૂ કરત. જ્યારે 2018માં આ આંકડો 1.8 ટકા હતો, સામે મોબાઇલનું વેચાણ વધ્યું !

શાળાના બાળકોની ગતિવિધિ પર નજર રાખતી સંસ્થાએ ઓક્ટોબરમાં એક હેવાલ જારી કર્યો હતો. એન્યુઅલ સ્ટેટ્સ રિપોર્ટ ઓફ એજ્યુકેશન-2020 22 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશના બાવન હજાર ઘરને આવરી લઇને સર્વે કર્યો હતો. જેના દાવા મુજબ ભારતમાં સરેરાશ 66.8 ટકા બાળક ઓનલાઇન શિક્ષણમાં જોડાઇ શક્યા. પંજાબ સૌથી આગળ હતું. હિમાચલ, કેરળ, ગુજરાતમાં 80 ટકાથી વધુ ઓનલાઇન ભણી રહ્યા છે. જો કે, 20 ટકાનું નુકસાન તો છે જ. 

બીજીબાજુ ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બંગાળમાં 25 ટકાથી ઓછા બાળક ઓનલાઇન ભણી    રહ્યા છે. 

સૌથી ખરાબ સ્થિતિ 7.7 ટકા સાથે બંગાળની છે. બીજીબાજુ સ્માર્ટ ફોનનું વેચાણ બેગણું થયું હતું. આમ છતાં દરેકેદરેક છાત્ર ઓનલાઇન ન ભણી શક્યા.