ચર્ચા ઓછી પણ, મહત્વ વધારે રાજ્યનું બજેટ
બિઝ સ્ટોરી - દિવ્યેશ વૈદ્ય
આજથી ગુજરાતનું વિધાનસભા સત્ર શરૂ થશે, કાલે પરિણામ
છે અને બુધવારે ગુજરાતનું બજેટ રજૂ થશે. નાયબ મુખ્યમંત્રી
અને નાણાપ્રધાન નીતિન પટેલ નવમી વખત રજૂ કરશે. અંદાજપત્ર
અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ કેન્દ્રની જેમ ગુજરાતનું બજેટ પણ પેપરલેસ હશે. `ગુજરાત બજેટ' નામથી મોબાઇલ
એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે, પણ જોવાનું એ રહે છે
કે, કોરોનાકાળના કારણે કેન્દ્રની જેમ ગુજરાત માટે પણ બજેટમાં નવા આવકના સ્ત્રોત ઊભા
કેમ કરવામાં આવે છે, કઈ નવી યોજના જાહેર થાય છે કે ખર્ચ, ફાળવણી કઈ
રીતે કરાશે તે મહત્ત્વનું બનશે. કેન્દ્રીય બજેટ આવે છે ત્યારે બધાને ઇંતેજારી હોય છે, માધ્યમો બજેટ
પહેલાં અને પછી તેની ચર્ચા કરે છે. ભલે, એમાં આવકવેરો કે પરોક્ષ વેરા આ બજેટમાં નથી. પરંતુ, શિક્ષણ, આરોગ્ય જેવા
પાયાના મુદ્દા રાજ્યનાં બજેટ સાથે જોડાયેલા છે અને રાજ્યના બજેટમાં સ્થાનિક મુદ્દા
પણ મહત્ત્વના હોય છે. 3જી માર્ચના ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ત્યારે કેન્દ્રીય અને
રાજ્યનાં બજેટમાં શું સમાનતા છે અને શું તફાવત છે, ઉપરાંત કેન્દ્ર
અને રાજ્ય વચ્ચે નાણાકીય સંબંધોના મુખ્ય અંશ વિશે અહીં ચર્ચા કરી છે. ભારતનાં બંધારણ
મુજબ ત્રિસ્તરીય પદ્ધતિ છે 1: કેન્દ્રીય, 2: રાજ્ય અને 3: સ્થાનિક. સ્થાનિક સ્તરે એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા
અને પંચાયત સ્તરે બજેટ રજૂ કરવામાં આવે છે. જેમાં દેખીતી રીતે
પછીના વર્ષમાં અપેક્ષિત આવક-ખર્ચ હોય છે. પાયાનું માળખું આ બધાનું એક જ હોય છે. પરંતુ આવકના
સ્ત્રોત અને ખર્ચની બાબતો અલગ છે અને આ બધા વચ્ચે ઘર્ષણ ન થાય એ માટે ભારતીય બંધારણમાં
સીમારેખા પણ આપવામાં આવી છે. ભારતનાં રાજ્યો રાજ્યો વચ્ચે પણ આવકના સ્રોત અને પ્રમાણમાં તફાવત
છે.
કેન્દ્રીય બજેટ
ભારતીય બંધારણની કલમ 112માં એએફએસ (એન્યુઅલ ફાઇનાન્સ
સ્ટેટમેન્ટ) તરીકે ઉલ્લેખ છે તે સામાન્ય બજેટ તરીકે ઓળખાય છે. જેનાં ખર્ચ
અને આવકનાં લેખાંજોખાં બે ભાગમાં વહેંચાયેલાં છે. કેપિટલ અને
રેવેન્યૂ બજેટ. કેપિટલ એટલે કે મૂડી અંદાજપત્રમાં સરકારની મૂડી આવક અને ચૂકવણા, લોકો પાસેથી
ઉછીના લીધેલા, વિદેશી કે આરબીઆઇ પાસે લીધેલાં નાણાં, ડિસઇન્વેસ્ટમેન્ટ
વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કેપિટલ ખર્ચમાં સાધનો, મશીનરી, શિક્ષણ, માળખાંકીય
બાબતો, આરોગ્ય પાછળનો ખર્ચ વિગેરે આવે છે. બીજાં એટલે કે મહેસૂલી
અંદાજપત્રમાં સરકારનો મહેસૂલી ખર્ચ, દૈનિક ખર્ચ, મહેસૂલી આવક અને કર આવક કે મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. કેન્દ્રનાં
બજેટ વિશે વાત કરવામાં આવે તો, આમાં, દેશભરના પછીના એક વર્ષ દરમ્યાન જુદા જુદા સ્ત્રોતોમાંથી આવતાં
નાણાં અને તેના ખર્ચની યોજના વિસ્તારપૂર્વક હોય છે. કેન્દ્ર સરકાર
હેઠળની સેવાઓ, જેમ કે રેલવે, ઉડ્ડયન, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, કેન્દ્રીય
હોસ્પિટલો વગેરે માટેની કેન્દ્રીય બજેટમાં ઘોષણા કરવામાં આવે છે. જે રાજ્યમાં
નથી હોતું. દેશભરમાં ટેક્સના દર, વ્યક્તિગત આવકવેરા
કેટલા હોવા જોઈએ ? કેટલા એક્સાઇઝ ટેક્સ હોય ? ટીડીએસ કપાત વિના બેંકોમાંથી કેટલી રકમ ઉપાડી શકાય છે ? દેશની ધિરાણવૃદ્ધિ, સમાજના જુદા
જુદા વર્ગ માટેની યોજનાઓ જેવી બાબતો તેમાં સામેલ છે. એકંદરે, દેશના આર્થિક
સુધારા પર ભાર મૂકવામાં આવે છે.
રાજ્ય બજેટ
રાજ્ય સરકારનાં બજેટમાં મોટેભાગે વિકાસ માટેના ખર્ચનો ઉલ્લેખ
જોવા મળે છે. જેમકે આરોગ્ય, પરિવહન ખર્ચ, જમીન વિકાસ. ભારતનાં બંધારણમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે એપ્રિસિએશન એક્ટ
મુજબ જ રાજ્યો કેન્દ્ર પાસેથી નાણાં લઇ શકે. રાજ્યનાં બજેટમાં
કેન્દ્રીય કરતા આવક અલગ પ્રકારની હોય છે અને કર અને બિન કર આવક (વ્યાજ કે નફો)માંથી કેન્દ્રીય વેરામાં હિસ્સા તરીકે જઈને બાદમાં પાછી મળે
છે. કેન્દ્ર સરકારનાં બજેટ ઉપરાંત રાજ્ય સરકારોનું બજેટ પણ દર વર્ષે વિધાનસભામાં રજૂ
કરવામાં આવે છે. રાજ્ય સરકારનાં બજેટમાં મોટાભાગે રસ્તાઓ, પાણી, બાંધકામ, જાળવણી અને
પરિવહન જેવા ખર્ચનો સમાવેશ થાય છે. આ જ રીતે શિક્ષણ ઉપરાંત આરોગ્ય, વીજળી, જમીન વિકાસ,અને પ્રવાસ. રાજ્યની સિંચાઇ
સુવિધાઓ પણ આ બજેટમાં સમાવવામાં આવે છે. એ જાણીતું છે કે, જીએસટી લાગુ
થયા બાદ હવે રાજ્ય સરકાર પરોક્ષ કરનો નિર્ણય લેતી નથી. જો કે, સીમા મર્યાદાને
લઇને ઘણી વખત બન્ને વચ્ચે ઘર્ષણ થાય છે. રાજ્ય સરકારો આબકારી
અને નિગમ જેવા વેરા નક્કી કરે છે.
કેન્દ્ર - રાજ્ય નાણાકીય સંબંધો
ભારતનાં બંધારણના ભાગ 12 માં કલમ 268થી 293 સુધીમાં કેન્દ્ર-રાજ્ય નાણાકીય
સંબંધો વિશે ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય આ વિષય પર બીજી ઘણી જોગવાઈઓ પણ છે. કેન્દ્ર અને રાજ્યોનાં મુખ્ય નાણાકીય સંસાધનોનાં વિતરણમાં કાર્યક્ષમતા, પર્યાપ્તતા
અને યોગ્યતાને મુખ્ય સિદ્ધાંતો માનવામાં આવે છે. બંધારણના
ઘડવૈયાઓએ આ ત્રણેય સિદ્ધાંતોનો સમન્વય કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. નાણું એ આધુનિક
શાસનનું લોહી છે. યોજનાકીય ખર્ચ અને આફતો સમયે રાજ્યોને નાણાકીય સંકટમાંથી મુક્તિ
મેળવવા માટે કેન્દ્રીય અનુદાન પર નિર્ભર રહેવું પડે છે. ભારતની જેમ
ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં પણ રાજ્યોએ આવક મેળવવા માટે કેન્દ્ર પર નિર્ભર
રહેવું પડે છે. સ્વિટ્ઝર્લેન્ડનાં બંધારણમાં નાણાકીય સંસાધનોનું વિભાજન ભારતથી
ઉલટું છે. ત્યાં કેન્દ્ર રાજ્ય પર આધારિત છે, કારણ કે મોટાભાગની
કેન્દ્રીય આવક રાજ્યો પાસેથી મળે છે.
કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધોને લગતી બંધારણીય જોગવાઈઓ
બંધારણની કલમ 275 સંસદને એ બાબતનો અધિકાર આપે છે કે, તે એવાં રાજ્યોને
યોગ્ય સહાયતા અનુદાન આપવા માટે જોગવાઇ કરી શકે છે કે, જેને સંસદની
નજરમાં સહાયની જરૂર હોય. કલમ 286, 287, 288, 289માં કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક બીજા
દ્વારા કેટલીક ચીજો પર ટેક્સ લગાવવાની મનાઇ ફરમાવી છે અને તેમને અમુક કરમાંથી મુક્તિ
પણ આપવામાં આવી છે. તે જ્યારે બંધારણની કલમ 292 અને 293 પણ અનુક્રમે
કેન્દ્ર અને રાજ્ય સરકારોને આશ્રય લેવાનો અધિકાર પૂરો પાડે છે. આયાત અને
નિકાસ પર લાગનારા પરોક્ષ વેરાના સંદર્ભમાં, કેન્દ્ર પાસે જ તમામ
સત્તાઓ છે, જ્યારે રાજ્ય માલના વેચાણ પર પરોક્ષ કર લાદી શકે છે. જીએસટીથી
અસરકર્તા બંધારણીય કલમ 246-એ, જેમાં કેન્દ્ર સરકારને જીએસટીના સંબંધમાં કાયદા બનાવવાની સત્તા
આપવામાં આવી છે. આમાં, સીજીએસટીઆઈ અને જીએસટીના સંદર્ભમાં કેન્દ્રને અને એસજીએસટીના
સંબંધમાં રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. 269-એ, આ કલમ અંતર્ગત
આઇજીએસટીની વ્યવસ્થા અંગે કહેવાયું છે.
જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આંતર રાજ્ય વેપારના મામલામાં
કરવેરાની વસૂલાત કરવામાં આવશે, જે પછી રાજ્યોમાં વહેંચવામાં આવશે. કેન્દ્રીય
કરમાં આયોગે દરેક રાજ્યના હિસ્સા માટે ધોરણો તૈયાર કર્યાં છે, જેમાં આવક- અંતર (દૂરી ), વસ્તી, કામગીરી, વન અને ઇકોલોજી, કર સંબંધી પ્રયત્નો વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણમાં, કેન્દ્ર અને
રાજ્યો વચ્ચે આવકની વહેંચણી કેન્દ્ર સરકારના અધિનિયમ, 1935 ની પદ્ધતિ
પર આધારિત છે. બંધારણના ઘડવૈયાઓનો મત હતો કે કેન્દ્ર અને રાજ્યોના નાણાકીય
સંબંધો લવચીક અને બદલાતા સંજોગોને અનુકૂળ હોવા જોઈએ. આ હેતુ માટે
નાણાપંચની સ્થાપના માટેની જોગવાઈ પણ કરવામાં આવી હતી. કોઈપણ દેશનાં
બંધારણમાં આવી કોઈ વિસ્તૃત વ્યવસ્થા નથી, કે જેના દ્વારા કેન્દ્ર
અને રાજ્યોમાં આવકની સમયસર ગોઠવણ અને વહેંચણી કરવામાં આવતી રહે. આ પદ્ધતિ
ભારતીય બંધારણની મૌલિક બાબત છે. કાયદાકીય
અને વહીવટી સંબંધોની જેમ નાણાકીય ક્ષેત્રમાં પણ કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારો કરતાં
વધુ શક્તિશાળી છે, પરંતુ રાજ્યોને પણ પૂરતી સહાયતા અને સ્વાયત્તતા આપવામાં આવી
છે.
રાજ્યનું બજેટ શા માટે મહત્ત્વનું ?
કેન્દ્રીય બજેટના પ્રમાણમાં રાજ્યનાં બજેટની ચર્ચાઓ ઓછી છે, પરંતુ મહત્ત્વતા
વધુ છે. કારણ કે દેશની જીડીપીના પ્રમાણમાં રાજ્યોની જીડીપીનો સરવાળો કરવામાં આવે તો એ હવે
વધી જાય છે. બીજું, રાજ્યનાં બજેટમાં દેવું વધતું જાય છે એ ચિંતાનો વિષય છે. ગુજરાત રાજ્યના દેવાનીજ વાત કરીયે તો 2018-2019માં 43,146 કરોડ રૂ હતું. મોટાભાગનાં રાજ્યો અવારનવાર કૃષિ લોન માફ કરી દેતા હોય છે. 14મા નાણાપંચે
તો કહી દીધું છે કે રાજકોષીય ખાધ (આવક કરતાં ખર્ચના વધારાની ટકાવારી) 3 ટકાથી વધવી
ન જોઇએ. આ નિયમ પાળવામાં રાજ્યો પોતાના પર દેવાનો ભાર વધારતાં જાય છે. કારણકે ઉત્પાદન
ખર્ચ કરતાં બિન ઉત્પાદક ખર્ચા વધી રહ્યા છે. રાજ્યનાં બજેટનું
પ્રમાણ ઘટે તો મંદી આવે, આવું ન થાય એટલા માટે લોન વધે છે, વ્યાજ ખર્ચ
વધે છે. નવી મિલકતો અને રોકાણોમાં સર્જન થતું નથી. આ જોખમી વિષચક્ર
છે એમ ખુદ રિઝર્વ બેન્કે તેના ગત વર્ષના અહેવાલમાં નોંધ્યું હતું. રાજ્યોમાં
ખાધ ત્રણ ટકાથી નીચે રાખવામાં આવે છે, પણ બીજીબાજુ, ખેડૂતને લાભો
આપવા, સબસિડી અને વીજ વળતર જેવી વિવિધ યોજનામાં વળતરની જાહેરાતોથી દેવું વધતું જાય છે. આમ, રાજ્યનું
બજેટ પણ એક પડકાર બન્યું છે.
ગુજરાતનું બજેટ હવે આંગળીનાં ટેરવે...
ગુજરાતના આગામી અંદાજપત્ર માટે `ગુજરાત બજેટ' નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર થઇ છે.
રાજ્ય સરકારના નાણાવિભાગે બનાવેલી આ મોબાઈલ એપ્લિકેશનમાં વિધાનસભા
ગૃહના સભ્યો તેમજ લોકોને બજેટ સંબંધિત દસ્તાવેજો ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશનમાં
ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પાછલાં વર્ષોનાં, તમામ બજેટ
પણ ઉપલબ્ધ થશે.
આ એપ્લિકેશનમાં મુખ્યત્વે પાંચ વિભાગ હશે.
- પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર
તેમજ 27 વિભાગના વિગતવાર પ્રકાશનો.
- અંદાજપત્રની મહત્ત્વની બાબતો વિભાગમાં બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સ
ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મુકાશે.
- અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ એમ બંને
ભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ થશે.
- અંદાજપત્રની રસપ્રદ વાતોમાં અંદાજપત્ર અંગેની વિવિધ રસપ્રદ માહિતી
ઉપલબ્ધ થશે.
- અંદાજપત્રના
સમાચારોમાં અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે.
No comments:
Post a Comment