રેમડેસીવીરની રામાયણ
છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસો નિરંકુશ રીતે વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં બુધવારે 1.84 લાખ નવા કેસ આવ્યા. આ સાથે ઓક્સિજન, વેન્ટિલેટર તંગી થઇ અને સારવારમાં અસરકારક ગણાતા રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ મહિનામાં 50 ગણી થઇ ગઇ. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત રાજ્યોમાંથી ઇન્જેક્શનની તંગી અને કાળા બજારીની રાડ ઊઠી. 900થી 5400 રૂા.ની સત્તાવાર કિંમતનું ઇન્જેક્શન 50,000માં કાળા બજાર થયાના હેવાલ આવ્યા. ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા `મફત' ઇન્જેક્શનનો વિવાદ ઊઠયો કે તંગી વચ્ચે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી ? લાંબી લાઇનો દેખાઇ ! જો કે, હવે આંકડાથી સંકેત મળી રહ્યા છે કે આગામી 7થી 10 દિવસમાં કમ સે કમ આ ઇન્જેક્શનથી સ્થિતિ થાળે પડી જશે. કારણ કે સરકારે બે-ત્રણ મોરચે કામ હાથ પર લીધું છે. કંપનીઓએ તેનું ઉત્પાદન વધાર્યું છે. સરકારે ઇન્જેક્શન અને તેના કાચા માલ એપીઆઇની નિકાસ પર રવિવારે પ્રતિબંધ લગાડી દીધો છે. સાથે ઉત્પાદકોને હવેથી તેની વેબસાઇટ પર તેના સ્ટોક અને વિતરણની વિગતો આપવા સૂચના અપાઇ છે. પણ, ખરેખર આ તંગી સર્જાઇ તેના કારણો શું છે અને હવે સ્થિતિ કેવી રીતે થાળે પડશે ? ઇન્જેક્શનની અસર-કારકતા સહિતના મુદ્દે અહીં છણાવટ કરી છે.
બન્યું એવું છે કે, રેમડેસીવીરની માંગ 2020ના અંતમાં ઓછી થઇ ગઇ એટલે જાન્યુઆરીથી કંપનીઓએ ઉત્પાદન બંધ કે માત્ર પાંચથી દસ ટકા કરી નાખ્યું. અચાનકે કેસો ઝડપી વધતાં માંગ વધી, પરંતુ એકસાથે જરૂરી ડોઝ બનાવવા શક્ય ન હોય. કારણ કે તેની સંપૂર્ણ પ્રક્રિયા 20થી 25 દિવસની છે. ફાર્મા કંપનીઓએ ઉત્પાદન એટલે બંધ કર્યું કે તેની એક્સપાયરી ડેટ 6થી 8 મહિનામાં પૂરી થતી હોય છે. જો કે, આગામી 7થી 10 દિવસમાં બજારમાં 10થી 20 લાખ ડોઝ આવી જશે. કારણ કે માર્ચના અંતિમ સપ્તાહથી કંપનીઓએ ઉત્પાદન વધાર્યું છે. સરકારે કંપનીઓને તેની પૂર્ણ ક્ષમતાથી ઉત્પાદન કરવા કહ્યું છે. બીજીબાજુ, નીતિ આયોગે અનાવશ્યક ઉપયોગ ન કરવા અને કાળાબજારી, સંગ્રહ રોકવા પગલાંની જાહેરાત કરી છે. સિપ્લા કંપનીએ જાહેરાત કરી છે કે, તે બે ગણું ઉત્પાદન કરશે. તમામ કંપનીઓ પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરશે તો દેશમાં મહિને કુલ્લ 40 લાખ વાયલનું ઉત્પાદન થશે.
શું છે રેમડેસીવીર? કેટલી કારગત?
આ એક એન્ટિવાયરસ દવા છે, જેને અમેરિકી દવા કંપની ગિલિયડ સાયન્સીઝે બનાવી છે અને તેની પાસે જ પેટન્ટ છે. જેને એક દાયકા પહેલાં હિપેટાઈટિસ-સી અને શ્વાસ સંબંધી વાયરસ (આરએસવી)ની સારવાર કરવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેને ક્યારેય બજારમાં ઉતારવાની મંજૂરી નહોતી મળી. 2014માં ઈબોલાની સારવાર માટે ઉપયોગ થયો હતો, ત્યારથી તેનો ઉપયોગ સાર્સ માટેય થયો હતો. પરંતુ કોરોના બીમારીમાં તેની માંગ વધી ગઈ છે. ગિલિયડ સાયન્સે રેમડેસીવીરને ઈબોલા દવાના રૂપમાં વિકસિત કરી હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તેનાથી અન્ય અનેક વાયરસ પણ મૃત થાય છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથન અને કોવિડના ટેકનિકલ હેડ ડો. મારિયા વેન કેઓવે રેમડેસીવીરના ઉપયોગ સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. એનાથી ન તો ધાર્યાં પરિણામ મળ્યાં છે કે નથી મૃતકાંક ઓછો થયો. જો કે સંગઠન એવું સ્વીકારી ચૂક્યું છે કે, દર્દીને પ્રારંભિક દિવસમાં અપાય તો હાલત ગંભીર થતાં રોકી શકાય. તા. 20 નવેમ્બર, 2020ના તો ડબલ્યુએચઓએ કહ્યું હતું કે, તબીબોએ આ દવાથી બચવું જોઈએ. ડબલ્યુએચઓએ તેનો ઉપયોગ ન કરવાની માર્ગદર્શિકા પણ જારી કરી હતી. તબીબોના મતે ખરેખર આ એક ઈમરજન્સી દવા છે, જેમાં સાઈકલોડેકટ્રીન છે, જે કિડની અને લિવરને ખરાબ કરે છે. જોકે કેટલાક કેસમાં સુધારો દેખાવાને કારણે ઉપયોગ વધ્યો છે. ખુદ દવા કંપનીઓએ પછી નિવેદન આપ્યું હતું કે દવા કોરોનામાં મદદરૂપ છે અને અત્યારે આધારભૂત બની ચૂકયું છે.
ઓક્સિજન જરૂરી હોય તેવા દર્દી માટે જ છે
કેન્દ્ર સરકારે આ ઈન્જેક્શનની અછત બાદ હરકતમાં આવી કડક નિયમો બનાવી નાખ્યા છે. મંગળવારે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી.કે. પોલે કહ્યું કે, આ દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય. માત્ર ગંભીર દર્દી માટે છે, એવા માટે કે જેને ઓક્સિજનની મદદની જરૂર પડતી હોય. ઘરના ઉપયોગ માટે નથી. આ પહેલાં સરકારે રેમડેસીવીર અને તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ડીગ્રેન્ટ (એપીઆઈ)ની વિદેશમાં નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે અને તેનો હોસ્પિટલ સિવાય ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રેમડેસીવીરનો ઉપયોગ મેડિકલ દુકાનમાં પણ નહીં થાય.
7 કંપનીની ક્ષમતા 39 લાખ વાયલ
રેમડેસીવીર દવાને અમેરિકાની કંપની ગિલીયડ લાઈફ સાયન્સે વિકસિત કરી છે, જેને બનાવવા માટે ભારતમાં છ કંપનીઓ સાથે કરાર કર્યા છે. અમેરિકાની કંપની માયેલાન પણ ભારતીય એકમમાં તેનું ઉત્પાદન કરે છે. આમ, ગિલિયડ સાથે સમજૂતી અંતર્ગત ભારતમાં કુલ સાત કંપની ઉત્પાદન કરે છે, તેની મહિને કુલ ઉત્પાદન ક્ષમતા 39 લાખ વાયલની છે.
દુનિયાભરમાં અત્યારે રેમડેસીવીરની માંગ છે. ભારતની ચાર કંપનીઓ તેનાં ઉત્પાદિત રેમડેસીવીર 126 દેશોમાં નિકાસ કરે છે. જો કે અત્યારે નિકાસ પ્રતિબંધ છે. કાચો માલ એવા એપીઆઈની પણ દેશમાં તંગી છે. આ વચ્ચે સરકારની સૂચના મુજબ પૂર્ણ ક્ષમતાથી ઉત્પાદન કરવા કંપનીઓએ કમર કસી લીધી છે. કુલ ઉત્પાદનમાંથી 70 ટકા હિસ્સો તો અત્યારે મહારાષ્ટ્રમાં જાય છે. 30 ટકામાં સમગ્ર દેશ છે એટલે તંગી વધી ગઈ છે. હવે થોડા દિવસોમાં સ્ટોક વધતાં સ્થિતિ હળવી થશે.
No comments:
Post a Comment