Friday, 2 April 2021

Two decades of entire change in higher education of KUTCH-2

બેનમૂન સંકુલોનું નિર્માણ, ઘરબેઠે ઈજનેરી-તબીબી શિક્ષણ 

કચ્છને છેલ્લા બે દાયકામાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરતાં લાલન, તોલાણી સંકુલ, સરકારી અને ખાનગી ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, તબીબી કોલેજનું ભવ્ય માળખું મળ્યું; સાથે સ્થાનિકે નવા અભ્યાસક્રમની થઈ સુવિધા : હવે યુનિવર્સિટીમાં જીવવિજ્ઞાન, ગણિત, ફિઝિક્સના અનુસ્નાતક ભવનોની ખૂટે છે કડી 



દેશના પશ્ચિમી છેવાડે અંતરિયાળ કચ્છની છેલ્લા બે દાયકાની ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થઈ છે. પ્રથમ ભાગમાં ગત બુધવારે સમગ્રતયા પરિવર્તન, કોલેજોની સંખ્યામાં ચાર ગણો વધારો  અને ભૂકંપ પછીના નવસર્જન વચ્ચે 2003માં મળેલી સ્વતંત્ર યુનિવર્સિટીથી બનેલા ઝડપી શૈક્ષણિક વિકાસની વાત કરી હતી. જ્યારે બીજા ભાગમાં નૂતન શૈક્ષણિક ઈમારતો સાથેસાથે ઘરઆંગણે મળેલી ઈજનેરી, તબીબી અને ફાર્મસી અનુસ્નાતક સ્તર સુધીના શિક્ષણની સુવિધાનો ઉલ્લેખ છે.  
આમૂલ બદલાવના આ સમયમાં કોલેજો 10માંથી 46 થઈ સાથે સાથે વિદ્યાર્થીઓ માટે જે સૌથી મોટું સપનું હોય છે એ મેડિકલ કોલેજ પણ નવી જનરલ હોસ્પિટલ અદાણીને સોંપાવા સાથે મળી. આજે અમદાવાદ, વડોદરા જેવાં મહાનગરના વિદ્યાર્થી એમ.બી.બી.એસ. અને એમ.ડી અહીં આવીને ભણે છે! ભુજમાં ડિપ્લોમા અને ડિગ્રીની સરકારી ઈજનેરી કોલેજો બેનમૂમન છે તો કેરામાં સ્વનિર્ભર એચ.જે.ડી. ઈજનેરી કોલેજનું ભવ્ય સંકુલ નિર્માણ પામ્યું છે. તો માંડવી નજીક જખણિયા ગામમાં પણ વિશાળ ઈજનેરી અને ફાર્મસીનું અનુસ્નાતક સુધીનું શિક્ષણ ઉપલબ્ધ બન્યું. 
હવે કચ્છમાં જીવ વિજ્ઞાન, ગણિત અને ફિઝિક્સના અનુસ્નાતક અભ્યાસક્રમોના ભવન ખૂટે છે. યુનિવર્સિટી ગ્રાન્ટેડ ધોરણે આ ખૂટતી કડી પૂરે એવી વિદ્યાર્થીઓની લાંબા સમયની માંગ છે. 

લાલન કોલેજ સંપૂર્ણ ધ્વસ્ત  

  ભૂકંપમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની જૂજ ઇમારતો બિલકુલ જમીનદોસ્ત થઈ. બાકી મોટે ભાગે મરંમતથી કામ ચાલ્યું. કચ્છની સૌપ્રથમ કોલેજ ભુજની આર.આર. લાલન કોલેજ સંકુલમાં બોયઝ હોસ્ટેલ સિવાયનાં બિલ્ડિંગ સંપૂર્ણ પડી ગયાં. આ હોસ્ટેલનું માળખું આજેય એમ જ છે, જેની મરંમત થઈ પણ ઉપયોગ નથી થતો. સરકારનો માર્ગ મકાન વિભાગ આજેય અનિર્ણયાત્મક સ્થિતિમાં છે. કોલેજ તરફથી તો આ સંબંધે દરખાસ્ત પણ મૂકી દેવાઈ છે, પણ સરકારી તંત્રને હવે આ અને આવી કેટલીય જર્જરિત ઈમારતોને મામલે જવાબ દેવાનો સમય નથી.   
શિક્ષણની વાત કરીએ તો કોલેજ પડી ગયા બાદ મહિનાઓ સુધી લાલન કોલેજના વિદ્યાર્થીઓએ ડોમમાં શિક્ષણ લીધું. યુજીસીએ નવી કોલેજ બાંધવા માટે રૂા. 13 કરોડની ગ્રાંટ ફાળવી અને આજે જિલ્લાના ઉચ્ચ શિક્ષણની આ પાયાની કોલેજ 26 એકર ભૂમિમાં શ્રેષ્ઠ માળખાંકીય સુવિધા ધરાવે છે. ભૂકંપના લગભગ પાંચ વર્ષે નવેમ્બર-2005માં આ કોલેજનું સંકુલ ખુલ્લું મુકાયું. બાંધકામમાં સમય લાગ્યો એ દરમિયાન બે કરોડનું તો વ્યાજ મળ્યું હતું. જે બાદમાં અન્ય વિકાસકામોમાં વપરાયું. એટલે કે લગભગ 15 કરોડના  ખર્ચે નૂતન સંકુલની ભેટ મળી. જેમાં 1200  લોકોની બેઠક ક્ષમતાનું વિશિષ્ટ એમ્ફી થિયેટર નોંધનીય છે.   

તોલાણી સંકુલમાં નુકસાન, નવી કોલેજો મળી  

કચ્છના સૌથી મહત્ત્વનાં શૈક્ષણિક સંકુલ અને લગભગ આઠેક કોલેજોને સમાવતા તોલાણી સંકુલની ઇમારતોને લગભગ દસેક કરોડનું નુકસાન પહોંચ્યું હતું. જેની અલગ-અલગ ભંડોળથી મરંમત થઈ હતી. કંડલા પોર્ટ અર્થક્વેક રિલીફ ફંડે અઢી કરોડ આપ્યા. ટાઈમ ફાઉન્ડેશનના સહયોગથી ફાર્મસી કોલેજનું નવું ભવન 1.20 કરોડના ખર્ચે બન્યું. ભૂકંપ પછીના શૈક્ષણિક વિકાસની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વિદ્યાધામમાં જિલ્લાની અંગ્રેજી માધ્યમની પ્રથમ બી.કોમ. કોલેજ અને તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ શરૂ થઈ. આ સિવાય કચ્છને તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ લોના રૂપમાં જિલ્લાની બીજી કાયદાની કોલેજ મળી. આ સિવાય મેનેજમેન્ટ કોલેજ અને પોલીટેકનિકમાં પણ નવી સેલ્ફ ફાઈનાન્સ બેઠકો વધારીને સ્થાનિક શિક્ષણની તકો વધારવામાં આવી છે.   

સરકારી ઇજનેરી-પોલીટેકનિક કોલેજ  

ભૂકંપ સમયે ભુજમાં સરકારી ઇજનેરી અને પોલીટેકનિક એમ બન્ને કોલેજો અસ્તિત્વમાં હતી. પોલીટેકનિક કોલેજનું પોતાનું ભવન હતું, જે ધ્વસ્ત થયું. ઇજનેરી કોલેજની નવી ઇમારત માટે અત્યારે જે હિલગાર્ડન બન્યું છે તેની બરાબર પાછળની એ સમયની ખરાબાની વિશાળ જમીનમાં સૂચિત નવી કોલેજ ઊભી કરવાની હતી. જમીન સંપાદન થઇ ગયું હતું. તો પોલીટેકનિકની એ સમયનાં બિલ્ડિંગમાં એમ્નિટી વિભાગમાં સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ભણતા હતા. ભૂકંપ આવ્યો અને પોલીટેકનિકની ઇમારત સંપૂર્ણ ધ્વસ્ત થઈ. રજાને કારણે વિદ્યાર્થીઓની સદ્ભાગ્યે જાનહાનિ ન થઇ. પરંતુ ક્વાર્ટરમાં રહેતા એક અધ્યાપકના માથે પથ્થર પડતાં જીવ ગુમાવ્યો. હોસ્ટેલની એક ઈમારત સંપૂર્ણ ન પડી, તેની મરંમત થઈ પણ રહેવા માટે ઉપયોગમાં ન આવી, અને આજેય તેના જર્જરિત અવશેષ છે. માર્ગ-મકાન વિભાગ નથી તો તેને ફગાવીને નવી ઇમારત બાંધતો કે નથી તેનો કંઈ ઉપયોગ થતો. રિટ્રોફિટિંગનાં નાણાંનો વ્યય થયો.   
અભ્યાસમાં પણ ઘણું નુકસાન થયું. પોલીટેકનિક અને સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી ડોમમાં અભ્યાસ કર્યો. ભૂકંપ પછીની ઇજનેરી કોલેજની યાત્રા લાંબી અને કઠિન હતી. પોલીટેકનિક પાસેના ડોમ માળખાંમાં અભ્યાસ પહેલાં અહીંના વિદ્યાર્થીઓને સીધા અમદાવાદની એલ.ડી. ઇજનેરી કોલેજમાં ભણવા મોકલાયા. પછી થોડો સમય લાલન કોલેજ સંકુલમાં રેડક્રોસવાળા સ્ટ્રક્ચરમાં પણ ભણવું પડ્યું. જો કે, બંને કોલેજોના નમૂનેદાર અને વિશાળ જમીનમાં 2007માં નવાં ભવન બન્યાં. હા, કોલેજનું સ્થાન થોડું બદલાયું. કારણ કે હિલગાર્ડનનું નિર્માણ થયું અને તેની પાછળ રિંગરોડ બન્યો. જે જમીન સંપાદિત થઈ એમાં ફેરફાર થઈ ગયો. ફરીથી સંપાદન થયું. 55 એકરમાં ઈજનેરી કોલેજ એટલી વિશાળ બની છે કે તેની એક ઇમારતનો આજે ચૂંટણી માટે ઉપયોગ થાય છે. ઈજનેરી કોલેજ પહેલા તબક્કામાં 36 કરોડના ખર્ચે બન્યા બાદ લગભગ 20 કરોડના ખર્ચે તેના બીજા તબક્કાનાં વિકાસનાં કામો થયાં. આજે ભુજની ઈજનેરી કોલેજ રાજ્યમાં એક વિશિષ્ટ ભાત પાડતી અને ભવ્ય સંકુલ ધરાવતી બેનમૂન કોલેજ છે.  
બે દાયકામાં કોર્સ પણ વધતા ગયા. ઇજનેરી   કોલેજમાં પ્રારંભે મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ શાખા હતી, જેમાં સિવિલ, માઇનિંગ એન્વાયર્નમેન્ટ, ઈસી જેવી શાખાનો વિસ્તાર થયો અને પોલીટેકનિકમાં સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રીકલ બાદ કોમ્પ્યુટરનો અભ્યાસ શરુ થયો. સાથે અનામત બેઠકોનું નુકસાન પણ થયું. કચ્છને સીમા વિસ્તાર વિકાસ યોજના હેઠળ પોલીટેકનિકમાં અનામત બેઠકો મળી હતી તે બંધ થઈ. માધ્યમોએ અવાજ ઉઠાવ્યો, કચ્છના રાજનેતાઓ કે વિદ્યાર્થી સંગઠનો ન બોલ્યા ને બેઠકો ગઈ. 

ભવ્ય હોસ્પિટલ સાથે શરૂ થયું તબીબી શિક્ષણ : 1200 ડોક્ટર બન્યાં 

ધરતીકંપમાં કચ્છની આરોગ્ય સેવાની નાડ સમી જનરલ હોસ્પિટલ કાટમાળમાં ફેરવાઈ ગઈ. આ પછી તુરત મુલાકાતે આવેલા તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ રૂ. 125 કરોડથી વધુના ખર્ચે ભવ્ય હોસ્પીટલના નવનિર્માણની જાહેરાત કરી અને મહાનગરોમાં જોવા મળે એવી ઈમારત ઉભી થઇ ગઈ. પણ, સરકારે તેની લોકભાગીદારી નીતિ-પીપીપી મોડેલના ભાગરૂપે અદાણી જૂથને સંચાલન સોપાતા બાદમાં આ ગ્રુપે કોલેજની પહેલ કરી ને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝની સ્થાપના થઈ. આ રીતે ભલે સ્વનિર્ભર પણ, કચ્છને પ્રથમ મેડિકલ કોલેજની ભેટ મળી. 2009મા શરૂ થયેલી આ કોલેજમાંથી અત્યાર સુધીમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ તબીબ અને 150 જેટલા પીજી સ્તરના નિષ્ણાત તબીબ બનીને બહાર નીકળ્યા છે.  
મેડિકલ કોલેજ શરૂ થઈ ત્યારે 150 બેઠકો હતી. જે યથાવત છે. 2015-16માં એક પગલું આગળ વધતા મેડીકલમાં અલગ અલગ શાખાનો પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરુ થયો. 51 બેઠકો પર તબીબોએ કોઈ ખાસ ક્ષેત્રનાં નિષ્ણાત તબીબનો બનવાના અભ્યાસનો પ્રારંભ કર્યા બાદ 2018માં પીજીનો પહેલો સફળ બેચ બહાર પડ્યો હતો. અત્યારે આ કોલેજ કચ્છ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે. આ સિવાય 33 બેઠકો સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનાં અભ્યાસનિય કચ્છને સુવિધા મળી. જેનાથી એમએલટી કરવા માટે કચ્છના વિદ્યાર્થીઓને ફરજિયાત જીલ્લા બહાર જવામાંથી મુક્તિ મળી.  


No comments:

Post a Comment