યુદ્ધ ભલે થાય દૂર - દૂર,
પ્રભાવ ભારતમાં ઘર - ઘર
રશિયા - યુક્રેન યુદ્ધે આર્થિક ઊભરતા દેશોમાં મોટું સંકટ
ઊભું કરી દીધું છે : શેરબજારના કડાકા તો હજુ સંકેત છે; યુદ્ધ વધુ ચાલ્યું તો ક્રૂડની આગથી પેટ્રોલ - ડીઝલ, ગેસ, અનાજ, ખાદ્યતેલની મોંઘવારીથી આમ આદમીના ખિસ્સાનો બોજ વધશે : સરકાર ઇંધણ પરની એક્સાઇઝ
ડયૂટી ઘટાડે તો જ રાહત મળી શકે
યુક્રેન-રશિયા વચ્ચે છેડાઈ ગયેલું યુદ્ધ આ લખાય છે ત્યારે ગંભીર બની રહ્યું છે. કેટલું ચાલશે એ નક્કી નથી. સ્પષ્ટ છે કે આ બે દેશ વચ્ચે ભલે ઘર્ષણ હોય, પણ એનો પ્રભાવ આપણા દેશ અને ઘર સુધી છે. ક્રૂડની કિંમત હજુ ઊંચી જવાનો ભય તોળાય છે, શેરબજારનો પરચો મળી ગયો. અરે, આપણા ઘર સુધી પહોંચતાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, અનાજ, તેલ સુધી મોંઘવારીની માર માથે ઝળુંબે છે. આ સંજોગોમાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડયૂટી-વેચાણવેરામાં સરકાર ઘટાડો કરી રાહત આપે એ વિકલ્પ છે, પણ એમાં કેટલું આગળ વધી શકાય એ પ્રશ્ન છે. યુદ્ધની શરૂઆત થઈ તેના થોડા સમય પહેલાં જ નાણાંમંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ સંકેત આપ્યો હતે કે, `આ યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે મોટો ખતરો છે.'
આ ઘર્ષણના આરંભ પહેલાં ભારતીય ટીવી ચેનલો ઉત્સાહથી હેવાલ આપતી હતી, પ્રતિનિધિઓ
મોકલશે તેવી વાત કરતી હતી, પણ ભારત માટેય ખુશ થવા જેવું નથી.
ભલે સીધી રીતે યુદ્ધમાં નથી અને તેનાં સબળ કારણો છે, કારોબારથી
ભારત વ્યાપક રીતે જોડાયેલું છે. ક્રૂડતેલની કિંમત આઠ વર્ષમાં પહેલી વખત 100 ડોલરને
પાર થઈ હતી, હજુ વધી શકે છે. આપણું અર્થતંત્ર ક્રૂડના ભાવ પર
મહદ્દઅંશે આધારિત છે. અત્યારે કલ્પના કરવી મુશ્કેલ છ. પણ મોંઘવારીનો વધુ ઝટકો આવશે
એ નક્કી છે.
રશિયા અને યુક્રેન બન્ને ભારત સાથે આયાત-નિકાસમાં જોડાયેલા છે. ભારતમાંથી રશિયાને
નિકાસ કુલ નિકાસના 1 ટકાથી પણ ઓછી છે, પણ આયાત 1.4 ટકા છે. મુખ્ય હિસ્સો સંરક્ષણ
જરૂરિયાતનો છે. સીપીઆઈના હેવાલ મુજબ રશિયા બીજા ક્રમનો સૌથી મોટો શત્રોનો નિકાસકાર
દેશ છે, જેમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. સંરક્ષણની જરૂરિયાતોને
અસર થશે.
ગત વર્ષે ભારતની કુલ કાચાં સનફ્લાવર (સૂરજમુખી) તેલની આયાતમાં યુક્રેનમાંથી
આવતા જથ્થાથી હિસ્સેદારી 74 ટકા હતી. આ સાથે ભારત યુક્રેનનો કુલ કારોબાર 2019-20માં
2.52 અરબ ડોલર હતો. છેલ્લે નવેમ્બરના આંકડા મુજબ યુક્રેનથી ભારતમાં 18, 93,000 ટન સૂરજમુખી તેલ આયાત થયું હતું. આટલો મોટો જથ્થો ભારતમાં આવતો બંધ થાય
તો શું અસર થાય તે સ્પષ્ટ છે.
શેરબજારમાં વીતેલા સપ્તાહમાં ઘમસાણ થયું. 25મી ફેબ્રુઆરીએ તો સેન્સેક્સ 1974 આંકના કડાકા સાથે 55,858 પર બંધ
થયો. દુનિયાનાં બાકી બજારોની સ્થિતિ પણ એવી જ છે. શુક્રવારે રિકવરી આવી, પણ હવે કડાકાનો આ દોર ક્યાં અટકશે એ સવાલ છે.
ગોલ્ડમેન સાક્સનો એક રિપોર્ટ યુદ્ધ પહેલાં જ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે રશિયા અને યુક્રેનમાં પૂર્ણ
લડાઇ થાય અને લાંબી ચાલે તો રશિયાનું ચલણ રૂબલ તેનાં ઐતિહાસિક સ્તરથી પણ નીચે જશે.
એનો અર્થ એ કે દુનિયાભરમાં તેલની કિંમતમાં ભડકો થશે. ક્રૂડની શનિવારે આ લખાય છે ત્યારે
કિંમત ભલે પ્રતિ બેરલ 100 ડોલરથી ઘટીને 98 ડોલર થઇ છે, પણ તેમાં
હજુ 13થી 15 ટકાના ઉછાળાનું જોખમ તો ઊભું જ
છે. એલપીજી અને સીએનજીની કિંમત પણ પ્રતિકિલો
10થી 15 રૂા. વધી શકે છે.
બીજાં પણ સંકટ છે. જે દેશો ત્યાંથી તેલ અને ગેસની ખરીદી કરે છે એમનેય મુશ્કેલી
થશે. સમગ્ર દુનિયામાં ક્રૂડતેલની કિંમતોમાં અસર થશે અને થવાની શરૂઆત થઇ ચૂકી છે. તેની
અસર દેખીતી રીતે ખાવા-પીવાની અને જીવનાવશ્યક ચીજોની કિંમત પર પણ પડશે. દેશના દરેક આમ
આદમીને તેની અસર થવાની છે. કારણ કે, ફૂડ સ્ટોક
માર્કેટ (અનાજનાં બજાર)માં રશિયાની મોટી ભૂમિકા છે.
રશિયા ઘઉંનો મોટો નિકાસકાર દેશ છે. ભારતમાં પણ ઘઉં આવે છે. જો પુરવઠો બંધ થાય
તો મુશ્કેલી આવશે. દેખીતી રીતે જાહેરમાં વ્યક્ત ન કરે, પણ રશિયા
પણ ઇચ્છશે કે યુદ્ધ ચાલુ રહે અને ભાવ વધે તો સ્વાભાવિકપણે તેની કમાણી વધશે. કાચાં તેલ
અને ખાદ્યતેલની કિંમત વધે તો તેનું હૂંડિયામણ વધશે.
આમ,
એક બાજુ ક્રૂડની કિંમત બીજી બાજુ અનાજ આયાત કરતા દેશોમાં ખાવા-પીવાની
ચીજોની કિંમત અને ત્રીજી તરફ ડોલર રૂબલની સરખામણીએ પણ મોંઘો થઇ?રહ્યો છે અને ભારતીય ચલણની સરખામણીએ પણ ડોલર મોંઘો બની રહ્યો છે. 24મીએ ગુરુવારે
ભારતીય ચલણ સામે 76 રૂા. સુધી પહોંચી ગયો હતો. આમ, અનેક મોરચે
ભારતે લડવાનું આવશે. વળી બંને યુદ્ધગ્રસ્ત દેશ કોપર અને નિકલના સૌથી મોટા નિકાસકાર
દેશ છે. પુરવઠો ઘટશે તો ભારતનાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને અસર થશે, ઉત્પાદન ઘટી જશે.
બે દેશ વચ્ચેના મામલાની દુનિયાભરમાં
અસર છે. આ બધી બાબતો એવા સમયે દુનિયાની સામે ચિંતા બનીને આવી છે, જ્યારે કોરોના
મહામારીમાંથી લોકો માંડ ઉગરી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશો અને ગરીબ-મધ્યમ વર્ગના
દેશો-લોકો માટે મોટું સંકટ છે, ભલે યુદ્ધ દૂર-દૂર દેશોમાં થાય
છે.
.............
No comments:
Post a Comment