ન્યૂઝ પ્રિન્ટના ભાવમાં ભડકો
`લોકશાહીનાં પ્રહરી' પ્રિન્ટ
મીડિયા પર સંકટ
કોરોનાકાળમાં તો સપ્લાય ચેઇનની મુશ્કેલીથી ભાવ વધ્યા હતા અને હવે અર્થતંત્રમાં
સુધારા સાથે સાથે પ્રિન્ટ માધ્યમોનીય સ્થિતિ સુધરી રહી હતી, ત્યાં આયાતમાં
સૌથી વધુ નિર્ભર છીએ એવાં રશિયાએ યુદ્ધ છેડતાં માત્ર 3 મહિનામાં 25 ટકા વધારાનો ફટકો : છેલ્લાં એક વર્ષમાં લગભગ 60
ટકા સુધીના બોજાએ નાનાં અખબારોનાં અસ્તિત્વ સામે સર્જ્યું છે જોખમ
સવારે ઊઠતાંવેંત `ચા' સાથે તમને શું જોઇએ છીએ ? અખબાર. અખબાર પછી ટીવી અને હવે પોર્ટલથી સમાચારો મળે છે, પરંતુ પ્રિન્ટ માધ્યમનું મહત્ત્વ આજેય અકબંધ છે. ઘરોઘર જોડાયેલું છે. એ સૌથી વિશ્વસનીય-આધારભૂત માધ્યમ છે અને પત્રકારત્વની મજબૂત પરંપરા-ઇતિહાસ ધરાવે છે, પણ અત્યારે એ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં સંકટમાં છે. ખાસ કરીને નાના-મધ્યમ અખબાર સામે એવી મુશ્કેલી ઊભી થઇ છે કે, જેવી અગાઉ ક્યારેય ન આવી હોય. એમ કહી શકાય કે, અખબાર-પ્રિન્ટ મીડિયાનાં અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. કારણભૂત છે, કોરોનાના સમયમાં લાગેલા ન્યૂઝ પ્રિન્ટના ભાવવધારા પછી માંડ સ્થિતિ થાળે પડતી હતી, ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિનાં કારણે આવેલો ભાવવધારાનો બીજો ફટકો.
અખબારનાં ઉત્પાદનમાં કે છાપકામમાં સૌથી મોટો ખર્ચ લગભગ 40થી 50 ટકા જેટલો ન્યૂઝ
પ્રિન્ટ અને તેના સંબંધી ખર્ચાઓનો છે અને ન્યૂઝ પ્રિન્ટ, શાહી,
કેમિકલ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, એલ્યુમિનિયમ પ્લેટના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં જાણે આગ લાગી છે. માત્ર ન્યૂઝ
પ્રિન્ટની વાત કરવામાં આવે તો જાન્યુઆરી-21થી માર્ચ-2022 સુધીમાં ભાવ 60 ટકા સુધી વધી
ગયા છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં યુદ્ધ સંકટ વચ્ચે અલગ અલગ અખબારી કાગળ ઉત્પાદન
કરતી કંપનીઓના વધેલા ભાવને ધ્યાને લેવામાં આવે તો 20થી 25 ટકાનો વધારો થયો છે. અખબારી
કાગળોનું ઉત્પાદન કરતી કંપનીઓ રાઇટિંગ અને ન્યૂઝ પ્રિન્ટ ઉપરાંત કોટેડ કાગળો અને ક્રાફ્ટ
પેપર, પેકિંગમાં વપરાતા બ્રાઉન બોક્સ-ખોખાનું પણ ઉત્પાદન કરતી
હોય છે અને બધી ઉત્પાદિત ચીજોના હોલસેલ ભાવ વધ્યા, પરંતુ સૌથી
વધુ ફટકો ન્યૂઝ પ્રિન્ટમાં આવ્યો છે. હવે આ તબક્કે સવાલ ઊભો થાય કે, ન્યૂઝ પ્રિન્ટના ભાવ એમાં યુદ્ધ કેમ કારણભૂત બને ? એનો
જવાબ એ છે કે, દેશની કુલ ન્યૂઝ પ્રિન્ટની ખપતનો 50 ટકાથી વધુ
જથ્થો આયાત થાય છે અને આ કુલ આયાતનો 45 ટકા હિસ્સો રશિયાથી આવે છે.
ગત અઠવાડિયે ન્યૂઝ પ્રિન્ટ સંબંધી બે મહત્ત્વના રિસર્ચ હેવાલ આવ્યા. સેન્ટ્રમ
અને ક્રિસિલ. સેન્ટ્રમ ઇન્સ્ટિટયુશનલ રિસર્ચના માસિક હેવાલ મુજબ બે મહિનામાં બે વખત
મોટો વધારો નોંધાયો છે અને તે આગામી મે-જૂન સુધી રહેશે. ન્યૂઝ પ્રિન્ટના ભાવ ટૂંકા
ગાળામાં કિલોએ રૂા. 40-45માંથી સીધા અત્યારે રૂા. 65થી 75 થઇ ગયા છે. નોંધનીય છે કે, ગત વર્ષે
કિલોએ રૂા. 40થી 45 હતા, જે જાન્યુઆરી-22માં 60 થયા અને અત્યારે
રૂા. 65થી 70 છે અને આવનારા ટૂંકા ગાળામાં જ રૂા. 75થી 80 સુધી પહોંચી શકે છે. આ ભાવ
ઉપરાંત જીએસટી તો અલગ.
યુદ્ધ કઇ રીતે બન્યું કારણભૂત
યુદ્ધનાં અનેક ખરાબ પરિણામ આવ્યાં, તેમાં એક છે ન્યૂઝ પ્રિન્ટની આયાત લગભગ
બંધ થઇ ગઇ છે. એવું નથી કે, રશિયામાં ઉત્પાદનને અસર થઇ,
પરંતુ ત્યાં માલનો કન્ટેનરોમાં ભરાવો થયો છે. આ બધાં પાછળ યુરોપીય આર્થિક
પ્રતિબંધો સહિતનાં કારણ છે. આપણી કુલ વિદેશી ન્યૂઝ પ્રિન્ટની આયાતનો 45 ટકા હિસ્સો
રશિયાથી છે અને ત્યાંની શિપિંગ કંપનીઓએ બુકિંગ જ બંધ કરી નાખ્યું છે. બીજું સ્થાનિકે
જે ન્યૂઝ પ્રિન્ટ ઉત્પાદન થાય છે એનો ખર્ચ વધ્યો છે. પેપર મિલોની ઉત્પાદન પ્રક્રિયામાં
30 ટકા હિસ્સો ગેસ અને કોલનો છે, જે યુદ્ધમાં મોંઘાં બન્યાં.
આ પરિબળે તો વિશ્વભરમાં પ્રિન્ટ મીડિયામાં જાણે તોફાન ઊભું કરી દીધું છે.
આ સિવાય પણ વૈશ્વિક કારણો ઊભાં થયાં છે. ફિનલેન્ડ પણ ન્યૂઝ પ્રિન્ટ ઉત્પાદનનું
મોટું મથક,
પણ ત્યાં કર્મચારીઓની હડતાળ પડી. કેનેડાનો પણ આયાતમાં રશિયા પછી બીજો
ક્રમ છે. ભારતમાં રશિયા અને કેનેડામાંથી ન્યૂઝ પ્રિન્ટની આયાતોનો જ સૌથી મોટો કુલ
71 ટકા હિસ્સો છે, પણ કેનેડામાં ટ્રકરોની લાંબી હડતાળ આવી. આ
પહેલાં કોવિડ વાયરસના ફેલાવાએ પરિવહનની સમસ્યા ઊભી કરી હતી. આમ, ટૂંકાગાળામાં ન્યૂઝ પ્રિન્ટના સતત ભાવવધારાએ `લોકોને જેના વિના ચાલતું નથી' એવાં માધ્યમને કમરતોડ ફટકો આપ્યો છે.
ભારતમાં પડકાર અને મહત્ત્વના
કાચા માલ `પસ્તી'ની જમાખોરી
દેશમાં વાર્ષિક લગભગ 30થી 35 લાખ ટન ન્યૂઝ પ્રિન્ટની જરૂર પડે છે, પણ ઘરેલુ
ઉત્પાદન 14થી 15 લાખ ટન જ છે. બાકી 50થી 60 ટકા આયાત થાય છે. હવે કોવિડ પછીના સમયમાં
ઇ-કોમર્સ વેપાર વધ્યો છે અને પેકેજિંગ મટિરિયલની માંગ વધી. આથી કેટલીક સ્થાનિક મિલોએ
બ્રાઉન બોક્સ અને અન્ય મટિરિયલનું ઉત્પાદન વધારી દીધું. કારણ કે ન્યૂઝ પ્રિન્ટના સૌથી
વધુ પ્રમાણના કાચા માલ એવા રદી કાગળ કે પસ્તી-રિસાઇકલ ફાઇબરની તંગી નડે છે. ઉત્પાદન
માટે જરૂરી એવા ક્રૂડ, કેમિકલ, ગેસ,
કોલની કિંમત વધી, ડોલર સામે રૂપિયાની કિંમતમાં
ઘસારાની પણ અસર થઇ. આવાં કારણોથી ઉત્પાદન ઘટી ગયું અને રિસાઇકલ્ડ ન્યૂઝ પ્રિન્ટના ભાવ
વધતા ગયા છે.
કંપની માટે કાચો માલ પસ્તીની સમસ્યા એવી છે કે, આપણા ઘરેથી
ફેરિયાઓ 8થી 12 રૂા. કિલોના ભાવે લઇ જાય છે, પરંતુ ઉત્પાદક પાસે
પહોંચે છે ત્યારે તેનો ભાવ કોરોનામાં 20થી 24 થયો હતો. હવે યુદ્ધના સમયમાં 40થી 50
રૂા. થયા છે. કોરોનાકાળમાં તો પસ્તીનું એકત્રિકરણ જ બંધ થઇ ગયું હતું. એના વધેલા ભાવ
યથાવત છે. કંપનીઓને આવો માલ પૂરો પાડનારા સંગ્રહખોરી કરતા હોવાના પણ થોડા સમય પહેલાં
હેવાલ ચમક્યા હતા. આઇએઆરપીએમ (ઇન્ડિયન એગ્રો એન્ડ રિસાઇકલ્ડ પેપર મિલ્સ એસોસિયેશન)ના
અધ્યક્ષ શ્રી અગ્રવાલે સરકારને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ખોટી
સંગ્રહખોરી કરે છે. આથી પેપર મિલો પાસે ઉત્પાદન ઘટાડવા સિવાય કોઇ ઉપાય બચતો નથી. મિલો
કાચા માલની કિંમતમાં વધારો કરવાની સ્થિતિમાં પણ નથી. ન્યૂઝ પ્રિન્ટમાં 65થી 70 ટકા
કાચા માલ તરીકે પસ્તી વાપરી શકાય છે. બાકી, એ અલગ અલગ ગ્રેડના
કાગળ પર મદાર રાખે છે. બાકી વૂડ પલ્પ વપરાય છે.
જાહેરાત આવક વધી, પણ કોવિડ
પહેલાંના સમય જેવી નહીં
`િક્રસિલ'ના વિતેલા સપ્તાહમાં હેવાલ આવ્યા
તેમાં પ્રિન્ટ મીડિયાનું ઉજળું ચિત્ર બતાવાયું છે, પણ સાથોસાથ
સ્વીકારાયું છે કે, પ્રિ-કોવિડ સ્તર સુધી આવક નથી વધી. હેવાલ
મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રિન્ટ મીડિયાની આવક 27,000 કરોડ
થશે, જે આગલાં વર્ષની સરખામણીએ 20 ટકા વધુ છે. અર્થતંત્ર ગતિમાન
થયું એની અસર છે. જો કે, આ વધારાનું કારણ એ છે કે, 2020-21નાં નાણાકીય વર્ષમાં કુલ આવક માત્ર 18,600 કરોડ
હતી. એનાથી આગલા કોવિડ પહેલાંના સમયમાં એ 32,000 કરોડ હતી. હવે
તેનાથી વધશે તેવી અપેક્ષા છે, પરંતુ વચ્ચે ન્યૂઝ પ્રિન્ટના ભાવવધારાએ
મોટી ચિંતા ઊભી કરી દીધી છે. કારણ કે અખબારના સંચાલકીય ખર્ચમાં 35થી 40 ટકા હિસ્સો
ન્યૂઝ પ્રિન્ટનો છે. આવકમાં 70 ટકા હિસ્સો જાહેરાતનો છે, જે ચૂંટણી
અને તહેવારોની મોસમમાં વધી, પણ પ્રિન્ટ સંકટ ઊભું થયું.હવે સ્થિતિ
એવી છે કે, વધારાના ઉત્પાદકીય ખર્ચને પહોચી વળવા ફંડ જોઈએ અને
એ માટે કોઈ નક્કર પગલાં લેવા પડે. જો છાપાની છૂટક વેચાણ કિમત વધારે તો સરક્યુલેશન પર
અસર પડે. જો ભાવવધારો ન કરે તો માસિક વધારાની રોકડની જરૂરિયાતમાં મોટી ખાધ રહે. કિમત
વધારો વાચકો કેમ સ્વીકારે ? કારણ કે, હવે
ઇ પેપર સરળતાથી મળે છે, એટલે નાના છાપાઓને તો બંધ કરવાનો કપરો
સમય આવે તેવું ચિત્ર છે.
ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રતિનિધિ મંડળે પણ અગાઉ સરકારને મળીને ન્યૂઝ
પ્રિન્ટની પાંચ ટકા આયાત ડયુટી રદ કરવાની અને સરકારી જાહેરાતોના ભાવોમાં 50 ટકા વધારો
કરવાની માગણી મૂકી હતી. તો જ આ `લોકશાહીનો પ્રહરી' ઉદ્યોગ બચી
શકશે.
કોરોનામાં જાહેરાત અને અખબારોનાં સર્ક્યુલેશન બંને ઘટયાં, એથી દૈનિકની કિંમત વધારવાની પણ ફરજ પડી હતી, પરંતુ ટૂંકાગાળામાં જ ફરી નવું સંકટ આવી ગયું. જો કે રાહત લેવા જેવી વાત એ છે કે, દેશમાં અંગ્રેજી અખબારોનાં પ્રમાણમાં સ્થાનિક અને ભાષાકીય અખબારોની સર્ક્યુલેશનની સ્થિતિ મહદ્અંશે સુધરી ગઇ છે.
...........
No comments:
Post a Comment