Monday, 27 June 2022

RBI use word BLACK SWAN, What is its significance ?

આરબીઆઇ દ્વારા ' બ્લેક સ્વાન'  

શબ્દ પ્રયોગ ; આર્થિક મંદી આવે છે ?

 

લગભગ બે સપ્તાહ પહેલા વિશ્વ બેંકનો અહેવાલ આવ્યો હતો, કે જેમાં વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં નોંધપાત્ર ઘટાડાની વાત કરવામાં આવી અને ગત સોમવારે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં 'બ્લેક સ્વાન' શબ્દપ્રયોગ કર્યો.  આ શબ્દ ૨૦૦૮ની વૈશ્વિક મંદી સમયે વપરાયો હતો. આ બે ઘટના સાથે સાથે અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ ૦.૭૫ ટકા જેવો તોતિંગ વ્યાજ વધારો કર્યો, જે છેલા ૨૮ વર્ષમાં અમેરિકનો સૌથી વધુ વ્યાજ દર વધારો હતો. તો, આરબીઆઇએ તેની છેલ્લી બે નાણાનીતિની સમીક્ષામાં બંને વખત મુખ્ય વ્યાજ દર (રેપોરેટ)માં વધારો કર્યો. કેન્દ્રીય બેંકના આ રિપોર્ટ તેમજ વ્યાજ દર વધારાના ઉપરછાપરી પગલાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે. આ સમીક્ષાઑ અને નિર્ણયો ભાવિ શક્યતાઓ સાથે જોડાયેલી છે અને તેથી હવે થોડાક દિવસોથી આર્થિક મંદી આવશે કે નહીં અને આવશે તો કેવી હશે ?,  કેટલો સમય રહેશે એની ચર્ચા છેડાઈ છે.  

વિશ્વ બેન્કના અહેવાલમાં ચેતવણી

વર્ષના આરંભે જાન્યુઆરીમાં વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક વિકાસ દર ચાર ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું હતું,  જે હવે બે અઠવાડિયા પહેલાંના તાજા અહેવાલમાં ૨.૯ ટકા કરી નાખ્યું હતું. જોકે સાથે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે ૨૦૨૩-૨૪ સુધીમાં દુનિયાની આર્થિક સ્થિતિ સુધરશે.  વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિસ મેલ્પસે તો 'સ્ટેગફ્લેશન'ની સંભાવના દર્શાવી છે. 'સ્ટેગફ્લેસન' એ એવી સ્થિતિ છે કે, જીડીપી વિકાસદર સ્થિર હોય અને ફુગાવો તથા બેરોજગારી વધતા હોય. હકીકતમાં કોરોના મહામારીમાંથી માંડ દુનિયા બહાર આવી રહી જ હતી ત્યાં રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો, જેના પરિણામે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ રશિયા પર આકરા વ્યાપાર પ્રતિબંધો લગાડી દીધા. આનાથી ક્રૂડના ભાવો આસમાને પહોંચ્યા અને વૈશ્વિક વ્યાપાર ડામાડોળ થયો. રિપોર્ટમાં તો એટલે સુધી કહ્યું કે ૧૯૭૦ જેવી 'ધ ગ્રેટ ઇંફ્લેશન 'ની સ્થિતિ ઊભી થઈ છે. જે અનેક દેશો મંદીમાં નાખશે. આપણી આજુબાજુ જોઈએ પણ છીએ કે શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશની સ્થિતિ બદતર છે અને હવે તો યુકેમાં પણ યુદ્ધની પ્રતિકૂળ અસરમાં મંદીની શક્યતાઓએ જોર પકડ્યું છે. ત્યાં અત્યારથી જ કહી દેવાયું છે કે શિયાળામાં ગેસનો ઉપયોગ ઓછો કરશો. યુકેમાં અતિ ઠંડીના કારણે શિયાળામાં ઘરોમાં ગેસનો ઉપયોગ થાય છે અને આયાતી ગેસ પર નિર્ભર રહેવું પડે છે.  જે રશિયાથી આવે છે.

આરબીઆઇના પગલા અને સંકેત

રિઝર્વ બેંકે ' જોખમમાં મૂડીપ્રવાહ, ભારતનો અનુભવ'  એવા શીર્ષક તળે સોમવારે રિપોર્ટ જારી કર્યો હતો.  એમાં એવું જણાવાયું હતું કે, ભારતીય બજારમાંથી ૧૦૦ અબજ ડોલર એટલે કે લગભગ ૭.૮ લાખ કરોડની એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ) દેશમાંથી પાછું જશે. આ સંભાવના એ એક મોટો ધક્કો છે. આ સાથે 'બ્લેક સ્વાન' શબ્દપ્રયોગ કર્યો. જે ગંભીર છે.  વ્યાજ દર બે વખત તો વધારી જ નાખવામાં આવ્યા અને હજુ વધશે એ નક્કી છે.  કારણ કે ફુગાવો પણ અંકુશમાં નથી.  ૨૦૨૨ના આરંભથી શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ તેમની ૧.૯૮ લાખ કરોડની મૂડી બહાર કાઢી લીધી છે.  જે છેલ્લા બે-ત્રણ મહિનાની સ્થિતિ પરથી દેખાય છે.  માત્ર જૂન મહિનામાં જ એફપીઆઈના માધ્યમથી રૂપિયા ૩૧,૪૦૦ કરોડનું મૂડીરોકાણ વિદેશ પાછું ચાલુ ગયું.

રિઝર્વ બેન્કે આવું કર્યું તેની પાછળનું મહત્વનું કારણ કોરોના મહામારી પછીની નોટો છાપવાની નીતિ, તેને લીધે ફુગાવો અને હવે આડઅસર છે. કોરોના પછી અમેરિકાએ અબજો ડોલર છાપીને અર્થતંત્રમાં મૂક્યા કે જેથી કોરોનાકાળ પછી અર્થતંત્ર ફરી ઝડપથી ગતિવિધિ પકડી શકે.  પરંતુ હવે અમેરિકા સહિતના દેશોમાં મોંઘવારી વિક્રમની સ્તરે છે એટલે વ્યાજદર પણ વધાર્યા અને ફેડરલ બેંકે તો હવે આ વધારાને તબક્કાવાર  ચાર ટકા સુધી લઈ જવાના સંકેત આપ્યા.  આ બધાના કારણે સસ્તા વ્યાજ દરે મળેલા અને ભારતમાં રોકવામાં આવેલા નાણા પાછા જશે અને જઈ રહ્યા છે.  અમેરિકા જ નહી, ભારતે પણ સસ્તા વ્યાજની લોન અને રાહતોથી અર્થતંત્રમાં નાણાં પ્રવાહ વધાર્યો હતો, અને ફુગાવો થયો અને હવે વળતાં પગલાં લેવાય છે, આ પ્રવાહ પાછો ખેચવાના પ્રયાસ થાય છે.  આ સ્થિતિ આરબીઆઈને ધારણા બહારની અને ગંભીર લાગે છે તેથી ' બ્લેક સ્વાન'  શબ્દપ્રયોગ સાથે જાણે મંદી માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે.  જોકે, રિઝર્વ બેન્કનું કામ લોકોને સચેત કરવાનું છે અને એ કરે સ્વાભાવિક છે, પરંતુ ભારતની સ્થિતિ બીજા દેશો કરતા ઘણી સારી છે અને ભારતમાં મંદી બાબતે પણ મતમતાંતર છે. કેટલાક નિષ્ણાતો માત્ર 'સ્લોડાઉન' (વિકાસદરમાં સતત બે-ચાર મહિના ઘટાડો) જ આવે એવું માને છે. આશા રાખીયે કે મહામંદી ન આવે અને આવે તો આ અર્થતંત્રની એક 'સાયકલ' જ છે અને જેમ બને તેમ ટૂંકા સમયમાં મંદી પસાર થઈ જાય એમ ઈચ્છીએ, કારણકે આવી મંદીમાં બેરોજગારી વધે છે અને ભોગવવાનું ગરીબ-નાના વર્ગને આવે છે.

 

'બ્લેક સ્વાન' (કાળું હંસ)શબ્દ ક્યાંથી

આવ્યો અને શા માટે વપરાયો ?  

૧૭મી સદીના આરંભ સુધી એમ માનવામાં આવતું હતું કે હંસ માત્ર સફેદ હોય એક ડચ સંશોધકે જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૧૬૯૮માં પહેલું કાળું હંસ જોયું ત્યારે ન માની શકાય તેવી ઘટના તરીકે જોવાઈ અને 'અતિ દુર્લભ ઘટના' સમયે આ શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો. જે આર્થિક બાબતોમાં પણ 'આશ્ચર્યકારક અને જોખમી  ઘટનાઑ' સમયે વાપરવાની શરૂઆત થઈ.  ૨૦૦૧માં લેખક અને ટોચના રોકાણકાર નસીમ નિકોલસ તાલેબે તેમના સંશોધનમાં 'બ્લેક સ્વાન ' થિયરી આપી.  ૨૦૦૮માં અમેરિકની ટોચની બઁક લેહમેન બ્રધર્સની નાદારી પછી જે વૈશ્વિક મંદી ઊભી થઈ, ત્યારેય પણ આ ઘટનાને 'બ્લેક સ્વાન' કહેવાઇ હતી. આરબીઆઇ દ્વારા તેમના અહેવાલમાં આટલા ગંભીર શબ્દનો ઉપયોગ ઘણો સૂચક છે

Tuesday, 21 June 2022

Fuel of future is green hydrogen, India will lead and possible big roal of Kutch district.

- તો ઓપેક દેશો જેવો હશે કચ્છનો દબદબો

 

અત્યારે ભલે અછતની રાડ અને ભારતની ઈંધણની સ્થિતિ નબળી છે, પણ ભવિષ્યનાં ઈંધણ ગણાતા `ગ્રીન હાઇડ્રોજન' ક્ષેત્રે રિલાયન્સ પછી અદાણીની ગત અઠવાડિયે થયેલી ફ્રાન્સની ટોટલ એનર્જી સાથેની સમજૂતીની જાહેરાત એ ભારતનો આવનારા દાયકાઓમાં વર્ચસ્વનો સંકેત છે : અંબાણી કચ્છમાં જમીન માગી ચૂક્યા છે અને અદાણીની મેગા ઇકો સિસ્ટમના પણ સંકેત મળે છે

 

અત્યારે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઘટી રહ્યો હોવાની ખબર બહુ ચાલે છે. એક તો ભાવ ઊંચા ને પછી ચીજ મળે નહીં. તેલ ઉત્પાદક દેશોનાં સંગઠન ઓપેકનું તો રાજ ચાલે છે. ગમે ત્યારે ઉત્પાદન ઘટાડે કે વધારે, આપણું કાંઈ ન `ચાલે'.  કારણ કે, આપણે એના વિના `ચાલે' તેમ નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનાં લક્ષ્યમાં એક વાત ગ્રીન હાઈડ્રોજનની કરી હતી.  2022ના આરંભે નેશનલ હાઈડ્રોજન મિશન પોલિસી પણ રજૂ કરી હતી. ગત વરસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ઊર્જાનું ઉત્પાદન જ નહીં દેશમાંથી નિકાસ થાય તેવો કોલ આપ્યો હતો. આ નીતિ પછી  દેશને ઇંધણવીજળી તેમજ રિફાઇનરીઓમાં બળતણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાને લઇને માત્ર સરકાર જ નહીં, ખાનગી ક્ષેત્ર પણ સાહસ કરી રહ્યાં છે. એટલું જ નહીં, એવું સાહસ કરી રહ્યાં છે કે `િવશ્વમાં ભારતનો ડંકો વાગે.  આ કાર્બન ફ્રી  ફ્યુઅલ માટે ખાસ કરીને રિલાયન્સ અને' અદાણી ગ્રુપ વચ્ચે સારી ટક્કર છે.

થોડા સમય પૂર્વે મુકેશ અંબાણીનાં નેતૃત્વ હેઠળના દેશનાં દિગ્ગજ ગ્રુપ રિલાયન્સે ગ્રીન ઊર્જા ક્ષેત્રે 75 અબજ ડોલરનાં રોકાણની જાહેરાત કરી હતી, જેમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન મુખ્ય હોવાની શક્યતા છે. જ્યારે વીતેલા સપ્તાહમાં અદાણી જૂથે ફ્રાન્સની ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની ટોટલ એનર્જી સાથે રોકાણની સમજૂતી કરી અને વિશ્વનું સૌથી મોટું ગ્રીન હાઇડ્રોજનનું મથક ઊભું કરવાની જાહેરાત કરી.

મહત્ત્વનું એ છે કે રિલાયન્સે જ્યારે ગ્રીન એનર્જીના એમઓયુ કર્યા ત્યારે 4.50 લાખ એકર જમીનની કચ્છમાં માગણી કરી હતી, એથી એમનો કચ્છમાં જ પ્રોજેક્ટ ઊભો કરવાની સંભાવના જોવાઇ રહી છે. બીજી બાજુ, અદાણીએ ટોટલ એનર્જી સાથે કરાર કર્યા, એ ગ્રીન હાઇડ્રોજનનું મથક પણ કચ્છમાં જ ખડું થાય એમ માનવામાં આવે છે. કંપનીની સત્તાવાર યાદીમાં એનો ઉલ્લેખ નથી અને કંપનીનાં સૂત્રો પણ આ બાબતે સ્પષ્ટતા નથી કરતાં, પરંતુ `ધ હિન્દુ' અંગ્રેજી અખબારના અહેવાલમાં આ ગ્રીન હાઈડ્રોજન ઈકો સિસ્ટમ કચ્છમાં ઊભી થશે એવો દાવો કરાયો છે. જો કે, આ લાંબા સમયની પ્રક્રિયા છે. વર્ષો નીકળી જશેપણ જો બન્ને દિગ્ગજ કંપની કચ્છ પર પસંદગી ઢોળશે, તો આ જિલ્લો આવનારા દિવસોમાં એવો બનશે કે જેવું અત્યારે ઓપેક દેશોનું રાજ છે.   

ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવતાં 14મી જૂને અદાણી જૂથે જાહેરાત કરી કે ફ્રાન્સની ટોટલ એનર્જી કંપની સાથે મળી દુનિયાની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન સિસ્ટમ ઊભી કરશે.  ટોટલ એનર્જીએ અદાણી જૂથની પેટા કંપની `અદાણી ન્યૂ એનર્જી લિમિટેડ' (એએનઆઇએલ-અનિલ)માં 25 ટકા હિસ્સો ખરીદશે.  `અનિલ' કંપની આગામી 10 વર્ષમાં ગ્રીન હાઇડ્રોજન અને સંબંધિત ઈકો સિસ્ટમમાં 50 અબજ ડોલર (લગભગ 3.9 લાખ કરોડ)થી વધુનું રોકાણ કરશે. પહેલા તબક્કાનાં આયોજનમાં `અનિલ' વર્ષ 2030 પહેલાં પ્રતિવર્ષ દસ લાખ ટન ગ્રીન હાઇડ્રોજનની ઉત્પાદન ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખે છે.  ગ્રીન હાઈડ્રોજન એ સ્વચ્છ ઊર્જા અને પાણીના ઉપયોગથી ઉત્પાદિત થાય છે. તેનાં ઉત્પાદનમાં ઇલેક્ટ્રોલાઈઝરની જરૂર પડે છે.  ઉત્પાદન ક્ષમતા આ સાધનની ઉપલબ્ધતા પર ઘણી અસર કરે છે. એમ મનાય છે કે આવનારાં વર્ષમાં હાઈડ્રોજનની માંગ સતત વધશે. યુરોપમાં શરૂઆત થઇ ચૂકી છે અને ફ્રાન્સની કંપનીએ ભારતીય કંપની સાથે ભાગીદારી કરી, તેમાં તેને યુરોપની માંગને પહોંચી વળવામાં સહાયતા પણ એક કારણ હતું.  

ક્લાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વકરી રહી છે અને ભારતનાં ઝીરો કાર્બન ઉત્સર્જન સુધી જવાનાં લક્ષ્યની દિશામાં આ મોટું પગલું છે.  ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગથી સિમેન્ટ -લોખંડ જેવા ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટશે.  વાહનોમાં ઉપયોગથી પ્રદૂષણ વધતું અટકશે. વીજળી ઉત્પાદનમાં કોલસાનો ઉપયોગ ઘટશે.  રિલાયન્સ સાથે આઈઓસીએનટીપીસી, ગેઇલ આવા  પ્રકલ્પમાં આગળ વધી રહ્યા છે, પરંતુ રિલાયન્સની મહાકાય રોકાણની જાહેરાત બાદ અદાણી જૂથનો વૈશ્વિક ટોચની  એનર્જી કંપની સાથે કરાર થયો એનાથી માત્ર આ બંને જૂથ વચ્ચે પ્રતિસ્પર્ધા જ નહીં જામે, બલ્કે ભારત ગ્રીન હાઇડ્રોજનનાં ઉત્પાદનમાં  દુનિયાનું મોટું મથક બનશે.  

અદાણી અને ટોટલ એનર્જી વચ્ચેની ભાગીદારીની જાહેરાત વ્યૂહાત્મક રીતે પણ ઘણી મહત્ત્વની છે. બંને કંપનીઓ પ્રથમ વખત નથી જોડાઇ, અગાઉ એલએનજી, સિટી ગેસ વિતરણ, સોલારામાં પણ ભાગીદારી કરી ચૂક્યા છે. ભવિષ્યનાં ઈંધણ ગણાતા આ ગ્રીન હાઈડ્રોજનનાં વિશેષ ઉત્પાદનથી ભારત હબ જ નહીં બને પણ આ  ઈંધણની વિદેશોમાં પણ નિકાસ કરશે. 

........

કાર્બનમુક્ત ઇંધણ, પણ ઉત્પાદન 

ખર્ચ ઘટાડવાનો પડકાર

ખાસ કરીને સ્ટીલ, સિમેન્ટ, કોલ આધારિત વીજ ઉદ્યોગો હોય કે ખાતર ઉત્પાદન કે વાહનો હોય, પ્રદૂષણ ઊભું કરે છે. સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેઇન્જ વચ્ચે પર્યાવરણની ચિંતામાં ત્યારે ગ્રીન હાઇડ્રોજન મહત્ત્વનો વિકલ્પ છે પણ તેની પડતર ઊંચી છે. ભારતમાં પ્રતિકિલોનો ભાવ 340થી 400 રૂા. છે જે ઉદ્યોગોને પોસાય જ નહીં. રિલાયન્સ ઇંધણ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે અને ચેરમેન મુકેશ અંબાણીએ આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ સમિટ-2021માં કિલોનો ભાવ બે ડોલર સુધી લઇ આવવાની તૈયારી બતાવી હતી અને દાયકાના અંત પહેલાં એક ડોલર લાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી. હવે ટોટલ એનર્જી સાથે કરાર કરતાં ગૌતમ અદાણીએ તો વિશ્વના સૌથી નીચા ભાવે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

.............. 

Monday, 13 June 2022

In Kutch, there is a shortage of teachers become wide, before the new education session started

નવા શૈક્ષણિક સત્રથી કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે ગાબડું

તાજેતરમાં એક વધુ બદલી કેમ્પમાં 121 વધુ શિક્ષક માધ્યમિક

ઉચ્ચ માધ્ય.માંથી ગયા, તો પાંચ આસિ. એજ્યુકેશન ઇન્સ. પણ વતન ગયા, 14 આવ્યા


ભુજ, તા. 15 : કચ્છમાં ભરતી થયેલા પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચ માધ્યમિક, અહીં નિમણૂક પામીને ઘર-વતનવાપસી કરી લેતા હોવાની અને કચ્છના શિક્ષણ ક્ષેત્રમાં જગ્યાઓ ખાલી જ રહી જતી હોવાની ફરિયાદ જૂની છે છતાં યથાવત્ છે, અને તાજેતરમાં સંપન્ન બદલી કેમ્પ બાદ જાહેર થયેલા હુકમોમાં વધુ 121 માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અને પાંચ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સહિત કુલ 126 જણે વતનની વાટ પકડી હોવાનું બહાર આવ્યું છે. 

કચ્છની માધ્યમિક શાળામાંથી અલગ-અલગ વિષયની કુલ 87 શિક્ષકની જગ્યા ખાલી થઈ છે અને ઉચ્ચ માધ્યમિકમાં કુલ 34 શિક્ષકો તેમના વતનમાં બદલ્યા છે. આ સિવાય કેળવણી નિરીક્ષકોના સ્તરે પણ પાંચ જગ્યા ખાલી થઈ છે. જો કે, રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી કચ્છમાં આવનારા શિક્ષકોનો આંક માત્ર 14 જ છે, આમ, નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યાં ફરી ગાબડું સર્જાયું છે અને અંતે ભોગવવાનું વિદ્યાર્થીઓને-કચ્છના શિક્ષણ જગતને આવશે.

સત્તાવાર મળતી માહિતી મુજબ, રાજ્યની સરકારી માધ્યમિક અને શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો - સહાયકોમાં સાણંદ ખાતે આયોજિત ફેરબદલી કેમ્પ બાદ ફેરબદલીના  તાજેતરમાં આદેશ કરવામાં આવ્યા છે. મદદનીશ શિક્ષણ નિયામકના આ 317 બદલીના આદેશમાં 87 શિક્ષકે કચ્છ છોડી ઘરવાપસી કરી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે 203 બદલીના આદેશમાં કચ્છમાંથી 34 મદદનીશ શિક્ષક કચ્છમાંથી બહાર મુકાયા છે.

સત્તાવાર સૂત્રોમાં જણાવ્યા મુજબ, આ આદેશવાળા શિક્ષકો જો શાળામાં 50 ટકાથી ઓછું મહેકમ નહીં થતું હોય તો એક-બે દિ'માં સામી બાજુ, અલગ જિલ્લામાંથી મનોવિજ્ઞાનના 6, ઈતિહાસના 2, નામાના મૂળ તત્ત્વોના 2, ગુજરાતના 1, અંગ્રેજીના 2 અને સમાજશાત્રના 1 મળીને કુલ 14 શિક્ષકો જ કચ્છમાં આવ્યા છે, એથી 107 જગ્યાઓ ખાલી જ રહેશે.

ઉદાહરણો ટાંકતાં શિક્ષણ જગતના સૂત્રોએ ઉમેર્યું કે, પલાંસવા હાઈસ્કૂલમાં પાંચમાંથી સીધા ચાર શિક્ષકો બદલી ગયા છે, હાઈસ્કૂલની સ્થિતિ ખાલી જેવી થઈ જશે, પણ નિમણૂકના એક વર્ષમાં મહિલા અને બે વર્ષમાં પુરુષ શિક્ષક બદલીને પાત્ર ઠરે છે અને આવા બદલી કેમ્પમાં કચ્છને જ ભોગવવાનું આવે છે. કચ્છની સ્થિતિ બીજા કરતાં અલગ છે, અહીં ખાસ કિસ્સામાં વધ-ઘટ બદલી કેમ્પ કે જિલ્લાનો આંતરિક કેમ્પ યોજવો જોઈએ. આવી રજૂઆતો કચ્છના લોકપ્રતિનિધિઓ સમક્ષ કચ્છમાં આવી હતી, જે બહેરા કાને અથડાઈ છે. આ રાજ્યકક્ષાના બદલી કેમ્પથી કેટલાક તો 1 વર્ષમાં જ વતન પહોંચી ગયા છે, જ્યારે સ્થાનિક કચ્છના શિક્ષકો 11 વર્ષથી પોતાના તાલુકામાં પણ બદલી કરાવી શકતા નથી. મુંદરાનાં નવીનાળના એક શિક્ષક છે જે બાયપાસ કરાયેલા હોવા છતાં, 11 વર્ષથી બદલી નથી મેળવી શક્યા તેવો સૂત્રોએ આક્રોશ વ્યક્ત કરીને સરકાર પાસે નીતિ બદલવા માંગ કરી હતી.

નોંધનીય છે કે, હજુ એક વર્ષ પહેલાં જ 2021માં કચ્છમાં મા., ઉ.મા. શાળામાં 300 જેટલા શિક્ષકોને નિમણૂકના આદેશ અપાયા હતા. જે પૈકી 121 શિક્ષકોએ વતનની વાટ પકડતાં ફરી મોટું ગાબડું પડયું છે. જિલ્લા કલેક્ટરે પણ અગાઉ શિક્ષકોની ઘટ સંદર્ભે ઉચ્ચ શિક્ષણ કમિશનરનું ધ્યાન દોર્યું છે. ખરેખર, રાજકીય પ્રતિનિધિઓ ઉદાસીનતા છોડશે તો જ આ પ્રશ્ન ઉકેલાશે, એમ આ સૂત્રોએ લાગણી દર્શાવી છે.

 

Sunday, 12 June 2022

MONEY DOESN'T MATTER, MAKES A DIFFERENCE , Two biz STORY of this week.

નાણા નું મહત્વ નથી, 
કંઈક અલગ કરો 



બિઝનેસ જગતની ચર્ચાતી બે ઘટનાની વાત,  કે જેમાં એક શિક્ષકે પોતાના સ્ટાર્ટઅપ વ્યવસાયના બદલામાં ૭૫ કરોડ રૂપિયાના પેકેજને  ઠુકરાવી દીધું ને  આજે ' યુનિકોર્ન સ્ટાર્ટઅપ'  બની ગયું છે " ફિઝિક્સવાલા" : તો, બીજી એક ઘટના કે જેમાં માત્ર ' જોબ સેટીસ્ફેશન' નહીં મળતાં સાડા ત્રણ કરોડ રૂપિયાની નેટફ્લિક્સ જેવી કંપનીને પણ છોડી દીધી,  અત્યારે માત્ર ચાર લેખમાં હજારો સબસ્ક્રાઇબર મળ્યા અને મોટીવેશનલ સ્પીકર બની ગયો..


સફળ વ્યક્તિઓની વાતો વાંચવા મળશે ત્યારે ઘણી વાર એવું લખાયેલું હોય છે કે " મની ઈઝ નોટ મેટર" . -પૈસાનું મહત્વ નથી.  સફળતા માટે સાચી લગન, જુસ્સો , પસંદગીનું કાર્ય મહત્વનું પરિબળ હોય છે. નાણાં પોતાની રીતે મળે છે - બાય પ્રોડક્ટ કહેવાય છે.  ગયા અઠવાડિયે બિઝનેસ વિશ્વમાં બે સ્ટોરીઓ બહુ ચાલી હતી, જેમાં એક છે દેશના ૧૦૧માં યુનિકોર્ન સ્ટાર્ટઅપ બનેલા " ફિઝિક્સવાલા"  કંપનીના સ્થાપક અલખ પાંડેની,  કે જેણે પોતાના પર જ ભરોસો રાખીને રૂ . ૭૫ કરોડની પેકેજની ઓફર ઠુકરાવી દીધી હતી , તો બીજા એક ધૂની મગજના સોફ્ટવેર એન્જિનિયર માઇકલ લીનની છે, કે જેણે લાખો યુવાનોની નોકરીનું સ્વપ્ન હોય છે એવી વિશ્વની સૌથી ટોચની ઓટીટી પ્લેટફોર્મ પૂરું પાડતી કંપની "નેટફિલકસ"માં વાર્ષિક રૂ. ૩.૫ કરોડની નોકરી છોડી,  કારણ માત્ર એટલું જ હતું કે તે આ કામ કરીને "બોર" થઈ ગયો હતો. તેને કંઈક નવું શીખવું હતું અને નવી નોકરીની રાહ પણ ન જોઈ !
અલખ પાંડે એવી વ્યક્તિ છે કે  જેને કોઈને ભણાવવાની લગની હતી અને માત્ર 22 વર્ષની ઉંમરે ઇજનેરીનું ભણતર અધવચ્ચે છોડી દીધું હતું અને પોતાના ઘરે અલાહાબાદ આવી ગયો.  ભણતર છોડીને સાઇકલથી ફિઝિક્સ ભણાવવા જતો , મહિને માંડ 5,000 રૂપિયાની કમાણી હતી પણ તેની શીખવવાની પદ્ધતિ અને ધગશ એવી હતી કે લોકપ્રિયતા વધતી ગઈ . 2014માં એ નોકરી કરતો હતો એ  કાનપુરના સોફ્ટવેર કોચિંગ ઇન્સ્ટિટયૂટના સંસ્થાપકની સલાહ મળતાં તેણે  યુ ટયુબ ચેનલ ' ફિઝિક્સવાલા'  ચાલુ કરી. શરૂઆતમાં સફળતા ન મળી પણ તેણે કોચિંગ ઇન્સ્ટિટયૂટની નોકરી છૂટી ગઇ હોવા છતાં કામે લાગી રહ્યો.  અંતે 2019ના અંતમાં ચેનલના ૨૦ લાખથી વધુ સબસ્કરાઇબર  થઈ ગયા.  જોકે,  ત્યાર પછી તો કોરોના મહામારી આવી અને ઓનલાઈનનું ચલણ તો અનેકગણું વધી ગયું.  કંપની આગળ વધી અને ૨૦૨૦માં એપ્લિકેશન શરૂ કરી.  અલખ પાંડેએ બાળકોને માત્ર 999 રૂપિયામાં કોચિંગ આપવાનું શરૂ કર્યું . આનાથી 'અનએકેડમી' અને 'બાયજુસ' જેવી દિગ્ગજ ઓનલાઇન કોચિંગ કંપનીઓને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો અને માધ્યમોના દાવા મુજબ અનએકેડેમીએ તો અલખ પાંડેને ૭૫ કરોડ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું . પણ તેણે ઠુકરાવી દીધું અને આજે અલખના સ્ટાર્ટ અપ પાસે 70 લાખ વિદ્યાર્થીઓ ગ્રાહક છે,   ૧૫૦૦થી વધુ શિક્ષકોનો સમુદાય છે અને રૂ . ૩૫૦ કરોડથી વધુની આવક છે.  હાલમાં જ 'ફિઝિક્સવાલા' સ્ટાર્ટ અપે 'એ સિરીઝ ફંડીગ દ્વારા રોકાણકારો પાસેથી 770 કરોડનું રોકાણ એકત્ર કર્યુ છે અને 'યુનિકોર્ન સ્ટાર્ટઅપ' નું બિરુદ હાંસલ કર્યું છે.  ' યુનિકોર્ન સ્ટાર્ટઅપ' એ કહેવાય છે જેનું મૂલ્ય એક અબજ ડોલરને પાર થઈ ગયું હોય . 
બીજી ચર્ચાસ્પદ ઘટના છે માઇકલ લીનની. જેણે કોઈ બીજી તકની રાહ જોયા વિના નેટફ્લિક્સની ૩.૫ કરોડની નોકરી છોડી દીધી.  કારણ માત્ર એટલું જ કે તે એક જ પ્રકારના કામથી કંટાળી જઈને પ્રોડક્ટ મેનેજર બનવા માંગતો હતો.  કંપની પાસે મૂકેલી વિનંતીનો કોઈ જવાબ ના આવ્યો અને નોકરી છોડી દીધી.
આજે લીનની સોફ્ટવેર વ્યવસાય જગતમાં બહુ ચર્ચા થાય છે.  નોકરી છોડ્યાના આઠ મહિના પછી તે આજે એન્જિનિયર કન્સલ્ટન્ટ જ નથી,  કેરિયર કોચ છે,  મોટીવેશનલ સ્પીકર છે , નવા સ્ટાર્ટઅપને સલાહ આપે છે,  ઇન્ટરનેટ ક્ષેત્રમાં ઝડપી ઉભરતો લેખક છે. છેલ્લા ચાર મહિનામાં જ અને માત્ર ચાર લેખ લખ્યા પછી જ તેના હજારો ફોલોઅરસ થઈ ગયા છે,  તેના ઇન્ટરનેટ હોમપેજ પર નું સૂત્ર છે ' મેઈક અ ડિફરન્સ ' - કઇંક અલગ કરો. 
 માઇકલ લીનને સિનિયર સોફ્ટવેર એન્જીનીયર તરીકે નેટફ્લિક્સમાં વાર્ષિક 3.5 કરોડનું પેકેજ ( મહિને ૨૯ લાખ ) હતું, બે ટાઇમ જમવાનું અને જોઈએ તેટલી રજાઓ.... , છતાં તેનું કામમાં મન ન લાગ્યું ને છોડી દીધી નોકરી.  એ પહેલા એમેઝોનની નોકરી પણ છોડી હતી. મે-2021માં લીને નેટફ્લિક્સ છોડ્યું ત્યારે તેને લોકોએ પાગલ કહયો હતો.  એ પછી તેણે તેના 'લિન્કડઈન' પેજ પર લખ્યું હતું કે,  " મારા માતા-પિતાએ સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો , એ તેમની અમેરિકાની  ઈમિગ્રેશનની મહેનત પર પાણી ફેરવવા જેવું હતું ., પણ હવે લાંબો વિચાર કરીને નોકરી છોડી દીધી હતી.  નેટફ્લિક્સમાં શરૂઆતના વર્ષોમાં ઘણું શીખ્યો , રોજ નવું શીખતો ,  પણ ધીમે ધીમે ચમક ઓછી થઇ.  પછી જે કામ મળ્યું તેમાં મજા નહોતી આવતી !!  એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં જવા માગતો હતો. જેની વિનંતીની કંપનીએ કોઇ પ્રતિક્રિયા ન આપી.  ઊંચો પગાર મળતો પણ એ મારા માટે ' ખરાબ સોદા'  જેવો લાગતો હતો . માત્ર પૈસા કમાતો હતો પ્રગતિ કે શીખવાનું નહીં . જોકે નોકરી છોડ્યા બાદ આજે વધુ નવા લોકો , લેખકો,  નવા સર્જકોને રોજ મળી રહ્યો છું . હવે હું સંતુષ્ટ છું !! "