ખાદ્યતેલોની કિંમતમાં રૂ. ૧૫નો ઘટાડો નહીં, એક વર્ષ
પહેલાંની કિંમત મળે તો મધ્યમ વર્ગની દિવાળી બને
ભારત આવશ્યકતાના ૬૨ ટકા ખાદ્યતેલ આયાત કરે છે અને વૈશ્વિક સ્તરે તૂટી ગયેલા ભાવો છતાં સ્થાનિક ઉત્પાદનોની એમઆરપી નહીં ઘટતાં સરકારે શુક્રવારે કડક સૂચના આપી કે લીટરે રૂ. ૧૫નો ઘટાડો કરો ને શરૂઆત પણ થઈ પરંતુ એક વર્ષમાં ખાદ્યતેલો એટલા મોંઘા થયા છે કે આટલેથી સાચી રાહત નહીં મળે : આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા ભાવ નીચા આવ્યા એ બધો લાભ કંપનીઓ ગ્રાહકોને આપે તો ખરું
ભારતમાં મોંઘવારીનો પ્રશ્ન એક પડકાર બનીને ઉભો છે. અત્યારે સાત ટકા આસપાસ છૂટક ફુગાવાનો દર છે અને આરબીઆઈનું લક્ષ્ય છે કે તેને
ચારથી પાંચ ટકા સુધી નીચે લઈ જવું. ખાદ્યતેલ જીવન જરૂરિયાતની
ચીજમાં આવે છે અને માથે તહેવારોની મોસમ ઉભી છે ત્યારે ભાવ 'નીચા' નહીં આવે તો સરકારને વધુ 'નીચા'જોણું થશે. આવામાં સરકાર ચીમકી તો આપી છે, પરંતુ કેટલો અર્થ સરે છે એ સવાલ છે.
ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતના ૬૨ ટકા આયાત પર નિર્ભર
છે અને સૌથી મોટો આધારભૂત દેશ ઈન્ડોનેશિયાએ તેના દેશમાંથી પામતેલના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આનાથી વિશ્વભરના ખાદ્યતેલના ભાવમાં
ભડકો થયો હતો. ભારત પણ બાકાત નહોતું પરંતુ હવે ઇન્ડોનેશિયાએ
તેની નિકાસબંધી સમાપ્ત કરી દીધી છે અને તેની અસરમાં વૈશ્વિક
બજારમાં ખાદ્યતેલના ભાવ ગગડી પણ ચૂક્યા છે. છેલ્લા એક મહિનામાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના ભાવમાં ટનદીઠ ૩૦૦થી ૪૫૦ ડોલર સુધીનો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે કેટલાક તેલના ભાવતો અડધાથીય ઘટી ગયા છે, પરંતુ આ રાહત કંપનીઓને પહોંચી. બજારમાં એમઆરપી તો એ જ રહી. છેવટે શુક્રવારે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના
મંત્રાલયના 'ખાદ્યતેલ અને જાહેર વિતરણ વિભાગે' બહાર આવીને ચીમકી આપવી પડી કે ખાદ્યતેલના ભાવમાં લીટરે રૂ. ૧૫નો તાત્કાલિક અસરથી
ઘટાડો કરો. આ લખાય છે ત્યારે
ખાદ્યતેલના ભાવ નીચા જવાની હજુ શરૂઆત થઈ છે પરંતુ ભાવ હજુ ગત વર્ષની
સરખામણીએ ઊંચા જ છે. ગ્રાહકોને સાચો લાભ રૂ. ૧૫ના ઘટાડાથી નહીં
થાય. અલગ અલગ તેલોમાં જેટલો ઘટાડો વૈશ્વિક સ્તરે થયો એ ઘટાડાનો બધો લાભ
કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચાડે એ મહત્વનું છે. એ માટે ગ્રાહકે પણ જાગૃત રહેવું પડશે. બીજું, એમઆરપીનો ઘટાડો થાય છે એ તો નવા ઉત્પાદનના પેકિંગ દેખાશે. પરંતુ અત્યારે બજારમાં
ઉપલબ્ધ જથ્થાની એમઆરપી ઊંચા ભાવની જ છે અને તેની કિંમતોમાં ઘટાડો લાગુ કરાય તો એ સાચા અર્થમાં ગ્રાહકોને
લાભ કહેવાય.
સત્તાવાર આંકડા મુજબ પાંચ ખાદ્યતેલો મસ્ટર્ડ તેલ, વનસ્પતિ તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ અને પામતેલના છૂટક ભાવમાં છેલ્લા એક મહિનામાં બે થી આઠ ટકાનો
ઘટાડો થયો છે. પરંતુ ગત વર્ષના તેલના ભાવ કરતાં આજનો ભાવ હજુ આ ઘટાડા પછીય ત્રણથી ૨૧ ટકા ઊંચો જ છે. જે આ સાથેના કોષ્ટકમાં પણ દેખાય છે.
વૈશ્વિક બજારમાં તેલ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચતા શુક્રવારે ખાદ્યતેલ એસો.ને સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ' એમઆરપી પર ભાવ ઘટાડો આપો જ. એ માટે ઉત્પાદકો દ્વારા ડિસ્ટ્રીબ્યુટરને અપાતી
કિંમતમાં જ ઘટાડો કરવામાં આવે અને એ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં નાટકીય ઘટાડો આવ્યો છતાં સ્થાનિક બજારમાં ચિત્ર કેમ
ઉલટું છે' જોકે
આ ચીમકી પછી આશા છે કે તરતમાં બજારમાં તેલના ભાવ નોંધપાત્ર રીતે નીચે આવશે અને લોકોને
રાહત પહોંચશે.
કેન્દ્રના નિર્દેશ પછી કેટલીક ખાદ્યતેલ કંપનીઓના નિવેદન પણ આવી ગયા છે. મધર ડેરીના પ્રવક્તાએ
જણાવ્યું કે ધારા સોયાબીન તેલ અને ધારા રાઈસ બ્રાન્ડ તેલની કિંમતમાં લીટરે રૂપિયા ૧૪નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે આગામી સપ્તાહે બજારમાં દેખાશે. જ્યારે સનફ્લાવરમાં
૧૫થી ૨૦ દિવસમાં ઘટાડાની સંભાવના
છે. ફોરચ્યુન બ્રાન્ડેડ તેલ બનાવતી કંપની અદાણી વિલમારના ચીફ એક્ઝિક્યુટિવ
દ્વારા એવું નિવેદન આવ્યું કે, થોડા સપ્તાહ પહેલા
લગભગ બધી જ ફોર્ચ્યુન બ્રાન્ડના તેલની એમઆરપી પર ભાવ ઘટાડી
નાખવામાં આવ્યા છે. વૈશ્વિક કાચા માલની કિંમતમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને અપાશે.
આમ, સરકારની સૂચના પછી ધીરે ધીરે ખાદ્યતેલોમાં ભાવ ઘટાડો આવ્યો અને હજુ આવશે એ નક્કી છે
પરંતુ છેલ્લા એક વર્ષમાં ભાવ વધારો એટલો ઝડપી થયો છે કે પછી એ સ્થિતિમાં લાવવું કંપનીઓ
માટે બીજા એક કારણોસર પણ શક્ય બનશે કે
નહીં એ પ્રશ્ન છે. કારણ
કે આયાત સસ્તી થઈ પરંતુ રૂપિયાની કિંમતમાં ઘસારો લાગ્યો છે. રૂપિયો ડોલર સામે ઐતિહાસિક વિક્રમી સ્તરે નબળો પડયો છે. આથી વૈશ્વિક કાચા માલની કિંમતમાં જેટલો ઘટાડો થયો એ બધો લાભ કંપનીઓને નથી મળતો. પણ, ગ્રાહકોને તો આ બધી બાબતોથી મતલબ નથી. એમને તો જ્યાં સુધી એક વર્ષ પહેલાંની કિંમત ન મળે ત્યાં સુધી સાચો હાશકારો નહીં મળે. ૧૫ રૂપિયાની કિંમતના
સરકારી સૂચના મુજબના ઘટાડાની જગ્યાએ નોંધપાત્ર ઘટાડો આવે અને કમસેકમ એક વર્ષ પહેલાની
કિંમત નજીક તેલના ભાવ પહોંચે તો જ મધ્યમ વર્ગની સાચી તહેવાર ઉજવણી અને દિવાળી બનશે.
No comments:
Post a Comment