Tuesday, 2 August 2022

BSNL announce package. But, if the quality of service improves, customers will return.

Bsnl પેકેજ : 
વ્યાવસાયિક અભિગમ અને 
ગુણવત્તાયુક્ત સેવા મળે તો કામનું


એક બાજુ ફાઈવજી સેવા શરૂ કરવા માટે દેશમાં તૈયારી ચાલે છે. સરકાર બીડ વેચી રહી છે અને મોટી મોટી કંપનીઓ ગળાકાપ  હરીફાઈ વચ્ચે બોલી લગાવે છે . આ પ્રક્રિયા શરૂ થયાના બીજા જ દિવસે અચાનક કેન્દ્ર સરકારે 2008થી ખોટ ખાતા અને 2019ના એક રાહત પેકેજ બાદ પણ હજુ નફાની સ્થિતિમાં નહીં આવી શકેલા સરકારી ટેલિકોમ સાહસ ભારત સંચાર નિગમ લિમિટેડ ( bsnl) માટે વધુ એક મોડું પણ મોટું પેકેજ જાહેર કર્યું હતું. 
ત્રણ વર્ષ પહેલાં સરકારે બીએસએનએલને ઉગારવા માટે રૂ. 70,000 કરોડની યોજના આપી હતી પરંતુ મોટાભાગની રકમ એ વખતે 50 વર્ષની ઉંમરની વયના કર્મચારીઓ માટે જાહેર કરાયેલી વીઆરએસ( સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના)માં વપરાઇ અને ફોરજી સેવાના વિસ્તાર માટે રુ. 24,000 કરોડ ખર્ચવાનું આયોજન કર્યું હતું, એ પણ એ વખતે ટેકનોલોજી અપગ્રેડ કરવા નિગમ એટલું સજ્જ ન હોવાથી બાકી રહી ગયું.  હવે આ વખતે અલગ અલગ રીતે રોકડ, બિનરોકડ,  રોકાણ , બોન્ડ , ઈક્વિટી વગેરે માધ્યમથી આગામી ચાર વર્ષમાં રૂપિયા 1.64 લાખ કરોડને રોકવાની જાહેરાત કરવામાં આવી છે.  રકમ મોટી છે.  પગલું બહુ જ મહત્વનું અને અતિ આવશ્યક છે પરંતુ આનું પરિણામ તો જ આવશે જો અન્ય ટેલિકોમ કંપનીઓ જેવો  કોર્પોરેટ વ્યવસાયિક અભિગમ દેખાશે અને આધુનિક ટેકનોલોજી સાથેની યોગ્ય ગ્રાહક સેવા મળશે.  નહીં તો આ બીએસએનએલમાંથી પાછો ગયેલો ગ્રાહક વાળવો એ પાર્ક પડકારરૂપ કાર્ય બનવાનું છે. 
બીએસએનએલને ડૂબતી બચાવીને નવજીવન આપવાના  આ પ્રયાસમાં સરકારે રૂ. 43,964 કરોડ રોકડા અને બિનરોકડ રુ. 1.20 લાખ કરોડની મદદ કરી છે.  સરકારે નિગમને લાંબા ગાળાની લોન માટે સોવેરજીન ગેરંટી આપી છે.  પેકેજમાં એજીઆરનું રૂ.  33,404 કરોડનું દેવું ઈક્વિટીમાં રૂપાંતરિત કરવા સરકારને રૂપિયા 7500 કરોડના પ્રેફરન્સિયલ શેર જારી કરવા સહિતની જોગવાઈ સમાવિષ્ટ છે. 
 મહત્વનું એ છે કે સરકાર ખાનગીકરણની નીતિમાં આગળ વધે છે,  એર ઇન્ડિયા ખાનગી કંપનીને આપી દીધી,  અન્ય નિગમો અપાઈ રહ્યા છે , ત્યારે બીએસએનએલની જીવનરેખા લંબાવવાનો, ટેકનોલોજીમાં અપગ્રેડેશન કરવાનો પ્રયાસ થયો છે.  કારણ કે સરકાર સમજે છે કે ખાનગી એકમો વ્યાપકહીત કામ નહીં કરે.  બીએસએનએલનું માળખું સરહદી વિસ્તારો સુધી ગોઠવાયેલું છે.  એવા વિસ્તારોમાં પણ છે જ્યાં ખાનગી કંપનીઓને ગ્રાહકો સંખ્યા ન મળે તો પરવડે નહીં અને જાય નહી. છેવાડા સુધીનું માળખું ધરાવતું આ સરકારી નેટવર્ક રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. બીજું અત્યારે ગળાકાપ હરીફાઈ વચ્ચે પણ ટેલિકોમ સેવા સતત વધુને વધુ મોંઘી બની રહી છે , ત્યારે આ મહત્વકાંક્ષી યોજના આપીને  બજારમાં ભાવમાં સ્થિરતા કરવી આવશ્યક બની હતી . સરકારનો એ પણ ઉદ્દેશ છે કે દરેક પંચાયતોમાં ફોરજી અને બ્રોડબેન્ડ માળખું ગોઠવાયેલું હોય.  આ રીતે નાણા ઠાલવવાથી નેટવર્ક એવી જગ્યાએ પણ પહોંચશે જ્યાં કોઈ કંપની નથી પહોંચવાની.  ઉપરાંત બીએસએનએલનો આધાર સ્થાનિક મશીનરી ઉત્પાદકો પર છે. આ યોજના દ્વારા સ્થાનિક સાધનો કે  મશીનરી ઉત્પાદક કંપનીઓને ફાયદો પહોંચશે . આ સિવાય કુદરતી આપત્તિ સમયે પણ બીએસએનએલ જ કામ આવે છે.  આ નિગમની મહત્વની સામાજિક ભૂમિકા છે. એ જ કારણે આ નિગમની જીવનરેખા લંબાવાઈ રહી છે . 
પેકેજમાં બીએસએનએલ માં  ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડને (બીબીએનેલ )ભેળવી દેવાની જોગવાઈ છે . આનાથી બ્રોડબેન્ડનું તમામ માળખું ઉપયોગમાં આવશે.  બીબીએનએલ દ્વારા સરકાર 2025 સુધીમાં 6.5 લાખ ગામડાઓને જોડવામાં આગળ વધી રહી છે.  ગત માર્ચ  -2022 સુધી 27 ટકા ગામડા જોડી શકાય છે.  આ લીઝલાઇન,  ડાર્ક ફાઇબરની  દેશના ખૂણે ખૂણે સેવા પહોંચશે.  સરકાર આ બધું કોઈ કાળે ખાનગી કંપનીને વહેંચી ન શકે એટલે દેખિતી રીતે આ બીમાર બીએસએનએલને બેઠું કરવાનું બીડું ઝડપ્યું છે. 
એ સ્પષ્ટ છે મોડા પણ મહત્વના આ પેકેજથી કેન્દ્રને આશા છે કે ગુણવત્તા સુધરશે,  ફોરજી સેવા સુધરશે અને અંતે 2026 સુધીમાં તો bsnl નફો કરતું થઈ જશે . પણ નિષ્ણાતો આને મોટો પડકાર માને છે.  સૌથી પહેલા નિગમને આ નાણાકીય મદદ સાથે સ્વતંત્ર નિર્ણય અને સરકારી અમલદારશાહી વલણથી મુક્તિની જરૂર છે . અત્યારે તો સેવા બંધ કરાવનારને રિફંડ મળવામાં પણ  ધક્કા ખાવા પડે છે.  માત્ર પેકેજથી નહીં ચાલે . સેવા સુધરશે તો જ આ વ્યાયામ અને રોકાણ કામ લાગશે. 



 2019 ના પેકેજનો ફાયદો શું 
વીઆરએસથી કર્મચારી ઘટ્યા

 બીએસએનએલને ઉગારવાનો 2019માં પણ પ્રયાસ થયો હતો.  રૂપિયા 70,000 કરોડની મદદ સાથે બીએસએનએલ અને એમટીએનએનએલ નું એકીકરણ થયું.  એ વખતે 40 ટકા રકમ તો નિગમના 50 વર્ષથી ઉપરની વયના કર્મચારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનામાં ગઈ.  1.65 લાખ કર્મચારીઓ માંથી ઘટીને માર્ચ 2021ના આંકડા મુજબ 64,536 કાયમી કર્મચારી રહ્યા છે.  જે ઘટતા આવકનો 75% હિસ્સો બચાવી શકાયો.  જે કર્મચારી પાછળ વપરાતો હતો . ખરેખર એ વખતે ફોરજી સેવા વ્યાપ વધારવાનો હતો પણ એ લક્ષ્ય ધાર્યું પાર ન પડ્યું. 



દેવું અને ખોટ વચ્ચે 
ગ્રાહકો પણ ઘટે છે 


નિગમની પરિસ્થિતિ એવી આવીને ઊભી થઈ છે હતી કે સરકારને ફરી પેકેજ લાવવું જ પડે. રુ.  33,000 કરોડનું બેંકનું દેવું છે . ખોટ ઘટે છે પરંતુ નફો નથી.  ટ્રાઈના ગ્રાહકની સંખ્યાના આંકડા પણ બીએસએનએલ ના અસ્તિત્વ સામે સવાલ ઉભો કરે તેવા છે.  ટ્રાઈના ડેટા મુજબ ચાલુ વર્ષે મેં 2022માં પાંચ 5.36 વાયરલેસ ક્ષેત્રે ગ્રાહકો ઘટ્યા.   સામી  તરફ જીઓના 31 લાખ વધ્યા.  જ્યારે વાયરલાઇનમાં બીએસએનએલ નો હવે માત્ર 28.7 ટકા જ હિસ્સો છે.  જે 2019માં 46.6 ટકા હતો . 
બ્રોડબેન્ડ મોરચે પણ રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના 41.4 કરોડ ગ્રાહકો અને ભારતી એરટેલના 21.7 કરોડ ગ્રાહકો છે, સામે બીએસએનએલ ના માત્ર 2.5 કરોડ ગ્રાહકો જ બચ્યા છે.

No comments:

Post a Comment