Tuesday, 29 June 2021

E vehicle era ; Generous concessions of the government...

ઇલેક્ટ્રિક વાહન યુગના નગારે ઘા

મક્કમ મોદી સરકારે નીતિમાં સુધારા કર્યા અને રૂપાણી સરકારે સબસિડી સાથેની નીતિ આપી પહેલ કરી : સમય લાગશે પણ ઇંધણવેરા ઘટાડાના ટૂંકા ગાળાનાં પગલાંને બદલે નવો વિકલ્પ જ ઊભો કરવાની છે દિશા  : બેટરી ક્ષમતા, બોડી અને રિસેલ વેલ્યૂનો ઉકેલ આવશ્યક

 

એક સમયે ચેતક, વેસ્પા, લુનાની બોલબાલા હતી. પછી સ્કૂટી, ડિલક્સ બાઇકની જોરદાર માંગ રહી. આજે એકટીવા, પ્લેઝર, એક્સેસનું નામ છે. પણ આવનારા વર્ષોમાં કોઇ નવી કંપની અને નવા મોડેલનાં નામોની માંગ હોય તો નવાઇ નહીં. 

 કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ફેમ ટુ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ) નીતિમાં બદલાવ કર્યો એ પછી  દેશભરમાં  ઇલેક્ટ્રિક વાહનોની  કિંમત ઘટવા લાગી છે. બીજી બાજુ, ગુજરાત સરકારે  ગત અઠવાડિયે આ દિશામાં પહેલ કરતાં નવી ઇ-વાહન નીતિની જાહેરાત કરી હતી. હવે એક પછી એક રાજ્ય સરકારો ઇલેક્ટ્રિક વાહનોને  પ્રોત્સાહન આપવા સબસિડી જાહેર કરશે કે વિવિધ ફી માફી આપી શકે છે. આમ, મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોના સેક્ટરને આગળ વધારવા મક્કમ ડગે આગળ વધવા માગે છે એ સ્પષ્ટ છે. કારણ કે, પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના વેરાથી લગભગ લિટરના 100 રૂા. નજીક પહોંચેલા ભાવથી વિપક્ષો અને લોકો સ્વયંભૂ આકરી આલોચના કરે છે. છતાં એક્સાઇઝ કે વેટ ઘટાડવાની દિશામાં કોઇ પગલાં નથી લેવાતાં. સરકાર દેખીતી રીતે આવનારા પાંચ-દશ વર્ષમાં વિકલ્પ જ ઊભો કરવા માગે છે એ હવે સ્પષ્ટ દેખાઇ?રહ્યું છે.

અત્યારે ઇલેક્ટ્રિક વાહન નિર્માણમાં કઇ કઇ કંપનીઓ આગળ વધી રહી છે અને છેલ્લા થોડા સમયમાં તેમાં ક્યા મોડલના કેટલા ભાવો ઘટાડવા તેની અહીં ઝલક રજૂ કરી છે. 

એ સાચું છે કે, અત્યારે ઇલેક્ટ્રિક વાહનો સ્કૂટર હોય કે કાર તેના ભાવો સામાન્ય પેટ્રોલ વાહનોની સરખામણીએ 20થી 25 ટકા મોંઘા છે એટલે ભલે પેટ્રોલ વપરાશની સરખામણીએ ઘણી બચતો થતી હોવા છતાં મધ્યમ કે નાના વર્ગને આવાં વાહનો પરવડે તેમ નથી. આમ છતાં સરકારોને એવો વિશ્વાસ છે કે, જેમ ટેલિકોમ ક્ષેત્ર એકદમ ઊંચા ભાવથી હવે અડધાથી ઓછા થઇ ગયા તેમ ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પણ ઘટશે. અત્યારે ભલે સંતોષજનક રીતે ભાવ નીચા નથી આવ્યા પણ છેલ્લા એક મહિનામાં ઇ-વાહનોના ભાવ ઘટાડાનું એક મોજું જરૂર આવ્યું છે. બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે ઇ-વાહન પરના જીએસટીના દર 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કર્યા, જેમ જેમ સમય જશે એમ કંપનીઓના કાચા માલની સરળ ઉપલબ્ધિથી અને હરીફાઇથી ભાવ ચોક્કસ ઘટશે. અત્યારની સ્થિતિનું એક નિરીક્ષણ જો કે આ મુજબ છે.

કેન્દ્ર સરકારે હાલમાં ફેમ-2 સ્કીમના સુધારામાં પહેલાં કરતાં સબસિડીનું પ્રમાણ વધારી નાખ્યું હતું. પહેલાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો પર 10,000 રૂા. સબસિડી મળતી હતી.

પણ હવે ફેમ-2 નીતિ અંતર્ગત 15000 રૂા. પ્રતિ કે.બી.એચ.?(કિલોવોટ અવર) મળે છે, જેનાં કારણે વાહનો ઝડપી સસ્તાં બને છે. 

ઇ-વાહનો સસ્તાં થવાની શરૂઆત

ફેમ નીતિ-2 પછી ઇલેક્ટ્રિક વાહન નિર્માતાઓ દ્વારા ભાવ ઘટાડાની જાહેરાતમાં ટીવીએસ મોટર કંપની, રિવોલ્ટ મોટર્સ અને ઓકિનાવા આગળ?પડતી રહી છે. છેલ્લા થોડા સમયની કંપનીઓની જાહેરાતો મુજબ ટીવીએસ કંપનીએ તેના ઇ-વાહનમાં 11,250 રૂા.નો ઘટાડો કર્યો. એથી તેની કિંમત લગભગ 1,12,000થી ઘટીને 1,00,000 રૂા. આસપાસ થઇ. પેટ્રોલના સ્કૂટરોની કિંમતો પણ હવે વધીને 80,000ની શોરૂમ પ્રાઇસ સુધી પહોંચી ગઇ?છે.

બીજી એક કંપની રિવોલ્ટ મોટર્સે તેની એક ઇ-બાઇકમાં 28,000?રૂા.નો ઘટાડો કર્યો. આ જાહેરાતની સાથે કંપનીના દિલ્હી, મુંબઇ, અમદાવાદ, હૈદરાબાદ જેવા શહેરોમાં બુકિંગમાં ઉછાળો નોંધાયો હતો. હવે તેની 400 પાવરની બાઇક 91,000 આસપાસ મળતી થઇ?ગઇ. આમ, લાંબા ગાળે પેટ્રોલની બચતની સરખામણીએ સસ્તી પડે. એથી નજીકના ભવિષ્યમાં વિદેશોની જેમ હવે ભારતમાં પણ ઇ-વાહન યુગને નકારી ન શકાય. 

આમ તો, ઇ-બાઇકો અને સ્કૂટરો દાયકા અગાઉથી જ મળતા હતા પણ નિભાવ અને બેટરીની ક્ષમતા અને ખર્ચ મુખ્ય પ્રશ્ન હતો. હવે ટેકનોલોજી બદલી ગઇ?છે એટલે બજાર બદલશે એ નક્કી છે.

દરમ્યાન, ઓકિનાવા પણ આવી જ એક કંપની છે જેણે 7000થી 17000 સુધીનો કિંમતનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેની ત્રણેય બાઇકોની કિંમત એક લાખ ઉપર હતી તેને નીચે લાવી દીધી હતી. આ બધી વાતો તો કંપનીના ભાવની થઇ, તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સબસિડી કાપવામાં આવે તો વધુ 15000નો લાભ થાય.

ઇલેક્ટ્રિક વાહન કંપની કોમાકીએ પણ બજારમાં પ્રવેશ કર્યો છે. અગાઉ જૂજ કંપનીઓ હતી. હવે નવી નવી કંપની સાહસ કરે છે, જેમ ઉત્પાદકો વધશે તેમ હરીફાઇ વધશે અને કિંમત ઘટશે. કોમાકીએ તેમાં સ્કૂટરની કિંમત અલગ અલગ મોડેલમાં 15થી 20 હજાર ઘટાડી છે.

બીજી તરફ લાંબા સમયથી  ઇ-વાહન ઉત્પાદનમાં જોડાયેલી કંપની હીરોએ પણ તેમાં વિવિધ મોડેલમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી. ફેમ નીતિ પછી આ લાભ ગ્રાહકોને  અપાયા બાદ હવે સબસિડીની નીતિનો લાભ પણ ગ્રાહકોને રૂા. 15થી 16 હજારનો ભાવ ઘટાડશે.

અત્યારે ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ માત્ર 1 ટકા છે. હવે નવી નીતિથી લગભગ પાંચથી સાત ટકા વધે એમ ઉદ્યોગપતિઓ માને છે. આ માટે મોટી કંપનીઓ અને મોટું રોકાણ જરૂરી છે. ભલે, પરિણામ લાંબા સમયે મળે પણ શરૂઆત થઇ છે એ માનવું પડે.

બીજી બાજુ ખરીદનાર રિસેલ કિંમતનો પહેલાં વિચાર કરે છે. આ વાહનની રિસેલ વેલ્યૂ ઘણી ઓછી આવે છે. કારણ કે, તેની બોડી મોટા ભાગના ઉત્પાદકો  ફાઈબરની બનાવે છે, જે પાંચ-છ વર્ષમાં બગડી જાય છે. જો કે, સબસિડી યોજનાથી સસ્તાં થવાને કારણે માંગ વધશે એ નક્કી છે.

કેન્દ્રની ફેમ નીતિ પછી ગુજરાતની પોલિસી એવું પગલું છે જેનાથી લોકો ચોક્કસ આ ક્ષેત્ર તરફ આકર્ષાશે. પેટ્રોલનો હવે આ વિચારવાલાયક વિકલ્પ બન્યો છે, એમાં ચોક્કસ ના ન થાય.

.............

ગુજરાત સરકારની પહેલ : વધુ સબસિડીની નીતિથી માંગ વધશે

 કેન્દ્ર સરકાર તો તેની રાહતોની મુદ્દત વધારી જ રહી છેપણ ગુજરાત સરકારે અગાઉ રાહત જાહેર કર્યા બાદ હવે સર્વગ્રાહી નીતિ જ જાહેર કરી છે, જેમાં ખરીદનાર લોકોને 20 હજારથી દોઢ લાખ સુધીની માત્ર સબસિડી જ નહીં ઉત્પાદકોને  પ્રોત્સાહન, તેના સંબંધી-ઓટો એન્સીલરી મશીનોના નાના - મધ્યમ ઉત્પાદકોને  સહાય તેમજ માર્ગો પર રિચાર્જિંગ પમ્પ સહિતના મુદ્દાનો વિચાર મૂકવામાં આવ્યો?છે.

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-20 આપી, પછી ઇલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન યોજના ફેમ-2 જાહેર કરી તેના આધારે ગુજરાત  પોતાની નીતિ જાહેર કરીને દેશમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતે લક્ષ્ય મૂક્યું છે કે, આગામી 4 વર્ષમાં ટુ-થ્રી-ફોર વ્હીલર સહિત 2 લાખ વાહનોને સબસિડી આપશે અને ઇંધણમાં 30થી 50 ટકા સુધીની ઘટ આવશે. કેટલી સફળતા મળશે એ સમય કહેશે, પરંતુ લોકોને રોજબરોજનાં ભારણ અને પ્રદૂષણ પ્રશ્ને ચોક્કસ લાંબા સમયે  શાંતિ થશે.

......... 

ઇ-વાહન ક્ષેત્રમાં અંબાણી જૂથ ઊતરશે તો થશે હરીફાઇ

 બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ એવો સંકેત આપ્યો કે, ઇલેકિટ્રક વાહન ક્ષેત્રમાં પણ ઝુકાવશે. જો આમ થશે તો જેમ જિઓ ફોન સસ્તા બજારમાં મૂકી હરીફાઇ વધારી તેમ ઇ-વાહન ક્ષેત્રમાં થાય તો નવાઇ નહીં.

અંબાણીએ એક ઘોષણા એવી હતી કે બેટરી સ્ટોરેજ પ્લાન્ટ પર 60,000 કરોડ રોકશે, ભારતમાં ઇલેકિટ્રક વાહન મોટો મુદ્દો છે ત્યારે આ વાત સૂચક છે. આ પહેલાં તેમણે 2035 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સુધી લઇ જવાનું લક્ષ્ય હોવાની વાત કરી હતી.  કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનામાં ચાર ગીગા ફેકટરી બનાવવાનું સામેલ છે. આ સિવાય 2030 સુધીમાં 100 ગીગા વોટની સૌર ઊર્જા સ્થાપિત કરવા પણ માગે છે. આ બધી વાત રિલાયન્સ ગ્રીન એનર્જી સેગમેન્ટમાં ઊતરવા માગે છે તેનો સંકેત છે. હવે ઇ-વાહનો અને બેટરી માટે કામ કરશે તો ચોક્કસ આ ક્ષેત્રમાં ખળભળાટ થવાનો છે. કંપનીની વ્યૂહરચના જિઓમાં જોઇ જ છે.

........... 

No comments:

Post a Comment