વૈશ્વિક કારોબારમાં ભારતીયોની કમાન
બિલ ગેટ્સવાળાં પદ પર સત્યા નડેલાની પસંદગીની
જાહેરાતથી
ભારતીયોનું માથું ગર્વથી ઊંચું થયું છે : દુનિયાની 60થી
વધુ દિગ્ગજ
કંપનીઓમાં ભારતીય સીઈઓનો ડંકો વાગે છે
વિતેલા સપ્તાહમાં ભારતીયોને ગૌરવાન્વિત કરતી બે
ઘટનાઓ બની. મૂળ ભારતીય સત્યા નડેલાને વિશ્વની ટોચની આઈટી કંપની માઈક્રોસોફ્ટ, કે જે કંપનીના ચેરમેનપદે બિલ ગેટ્સ રહી ચૂક્યા છે એનું ગુરુવારે
ચેરમેનપદ મળ્યું. બીજું `ઈન્ડિયાસ્પોરા'નામના સંગઠને
શુક્રવારે તેના સંશોધન હેવાલમાં કહ્યું કે, અમેરિકા, કેનેડા, સિંગાપુર જેવા 11 દેશોમાં જાયન્ટ 60 કંપનીઓ એવી
છે, જેના સીઈઓ પદે મૂળ ભારતીય છે. કયાંક ચેરમેન અને સીઈઓ બન્ને
પદ એક જ વ્યક્તિ પાસે છે. આવા જ શક્તિશાળી લોકોમાં સત્યા નડેલાનું નામ આવી ગયું છે.
ભારતીયોની તાકાતને દુનિયાએ જાણી છે અને તેમને વિદેશી કંપનીઓ મોટી જવાબદારી કે સંપૂર્ણ સુકાન સોંપી દે છે, એ વાત `ડંકે કી ચોટ પે' બોલે છે.
દિગ્ગજ કંપનીઓના `કારોબારની કમાન' આજે ભારતીય
મૂળના લોકો પાસે છે. એ વાત દુનિયામાં ભારતીયોનું માથું ગર્વથી ઊંચું કરી દે છે.
માઈક્રોસોફટે જાહેરાત કરી કે, વર્તમાન ચેરમેન જોન થોમ્સન હવે કંપનીના સ્વતંત્ર ડાયરેકટર
રહેશે. જ્યારે વર્તમાન સીઈઓ સત્યા નડેલા ચેરમેન અને સીઈઓ તરીકે રહેશે. જોને માઈક્રોસોફટના
સહસ્થાપક બિલ ગેટસ પાસેથી ચેરમેનપદ સંભાળ્યું હતું. આમ હૈદરાબાદમાં ભણેલો યુવાન આગળ
વધતાં આજે માઈક્રોસોફટનો ચેરમેન બન્યો છે. નડેલાએ સીઈઓ પદ સંભાળ્યું ત્યારે તેનો વિકાસ
ધીમો પડશે તેવી શંકા ઉઠાવવામાં આવી હતી. પરંતુ નડેલાએ 7 વર્ષમાં સીઈઓ તરીકે શાનદાર
કામ કરી લીન્કડ ઈન, નુઅંશ જેવી કંપનીઓનું અધિગ્રહણ અને નફામાં
વધારા સહિત સારો દેખાવ કર્યો, જેનું આજે પરિણામ મળ્યું છે.
જાણીતા વિશ્વસ્તરીય બિન સરકારી સંગઠન `ઈન્ડિયાસ્પોરા'એ શુક્રવારે
જણાવ્યું હતું કે, દુનિયાભરમાં 1 અબજ ડોલરથી વધુની આવકવાળી એવી
લગભગ 60 વિદેશી કંપનીઓ એવી છે જેમનું નેતૃત્વ કોઈ મૂળ ભારતીયના હાથમાં છે. જેમાં કેટલાક
સીઈઓના પદ ધરાવવા સાથે ચેરમેનનું પદ પણ સંભાળે છે. ગત સપ્તાહે નડેલા આવા બેવડા પદ ધરાવનાર
ભારતીયોમાં સામેલ થાય છે.
અનેક વિદેશી કંપનીઓના ઉચ્ચપદો પર તાજેતરમાં જ ભારતીયો મુકાયા છે. ગત વર્ષે
અરવિંદ કૃષ્ણા આઈબીએમના સીઈઓ બન્યા. એ જ રીતે ફેયરફેક્સનું સીઈઓ અને ચેરમેન એમ બંને
પદ પ્રેમ વત્સ સંભાળે છે. આ સિવાય એડોબ જૂથમાં નારાયણ અને પાલોઓલ્ટોમાં નિકેશ અરોરા બંને ઉચ્ચપદ સંભાળી રહ્યા છે.
વૈશ્વિક સ્તરના ભારતીય મૂળના વ્યવસાયીકોના સંગઠન `ઈન્ડિયાસ્પોરા'ના હેવાલ મુજબ ભારતીય મૂળના 60 સીઈઓ 11 દેશોમાં ઉચ્ચપદે
છે અને 36 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે, સાથે વાર્ષિક
100 અબજ ડોલરની કમાણી કરે છે. ભારતીય મૂળના આધિપત્યવાળી આ કંપનીઓની કુલ બજાર મુડી
4000 અબજ ડોલર છે. માત્ર આઈટી ક્ષેત્ર જ નહીં, બેંકિંગ - ફાઈનાન્સ
ઈલેકટ્રોનિકસ જેવા ક્ષેત્રમાં પણ ભારતીયોનો પ્રભાવ છે. ભારતીય મૂળના સીઈઓ આજના વૈશ્વિક
કારોબારને સફળ રીતે ચલાવવાની સાથે સમાજમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી નવી દિશા આપે છે.
............
સત્યા નડેલા, ચેરમેન-સી.ઈ.ઓ.
માઈક્રોસોફ્ટ
7 વર્ષના શ્રેષ્ઠ દેખાવનું
મળ્યું ઇનામ
ટેકનોલોજીની દુનિયામાં ભારતીયોનો વિશ્વમાં ડંકો વગાડનારાઓમાં નડેલા ટોચના
ક્રમે છે. નડેલાએ એક વાર અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, માઈક્રોસોફ્ટ
જેવી કંપનીનું નેતૃત્વ કરવું એ તેમના સપનાની પણ બહારની વાત હતી. જો કે, ગત અઠવાડિયે સીઈઓની સાથે ચેરમેન પણ જાહેર થયા છે.
નડેલા મૂળ હૈદરાબાદના છે. 1967માં જન્મ. પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદમાં
લીધું. 1992માં માઈક્રોસોફ્ટ કંપનીમાં જોડાયા બાદ નડેલા થોડા સમયમાં જ કંપનીમાં જાણીતું
નામ બની ગયા હતા. 1988માં મનિપાલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ
કોમ્યુનિકેશન ઈજનેરની ડિગ્રી લીધા બાદ તેમણે અમેરિકા જઈ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાંથી
કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી અને 1996માં યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ
ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું હતું. નડેલા છેલ્લા સાત વર્ષથી સીઈઓ છે. તેમના નેતૃત્વમાં
માઈક્રોસોફ્ટ નવી ઊંચાઈએ પહોંચી છે અને હવે તેમને એનું ઈનામ મળ્યું છે.
અરવિંદ કૃષ્ણા, ચેરમેન અને સીઈઓ-આઈબીએમ
દુનિયાની ટોચની આઈટી કંપનીઓમાં સામેલ આઈબીએમએ ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણાને
ગત વર્ષે કંપનીના સીઈઓ બનાવાયા હતા અને ડિસેમ્બરમાં જ તેમને ચેરમેનની વધારાની જવાબદારી
પણ સોંપી દેવામાં આવી હતી.
અરવિંદ કૃષ્ણાએ દેહરાદૂન અને કાનપુરમાંથી અભ્યાસ કર્યો છે. આઈઆઈટી કાનપુરમાંથી
તેમણે ઈજનેરી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. એ પછી યુનિવર્સિટી ઓફ ઈલનોઈઝમાંથી પીએચડી
પણ કર્યું હતું. તેઓ 1990માં આઈબીએમ સાથે જોડાયા હતા.
.........
શાંતનુ નારાયણ ચેરમેન અને સીઇઓ, એડોબ
મૂળ હૈદરાબાદના તેલંગાણાના વતની શાંતનું નારાયણ એડોબ કંપનીમાં જોડાયા બાદ માત્ર 9 વર્ષના ગાળામાં 2007માં કંપનીના
સીઇઓ બન્યા હતા. એ પછી ચેરમેન પદની જવાબદારી
પણ સોંપાઇ હતી. 2019માં તેમને બેરના મેગેઝીને
દુનિયાના શ્રેષ્ઠ સીઇઓનું બિરુદ પણ આપ્યું હતું. શાંતનુ નારાયણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી
ઇલેકટ્રોનિક્સ ઇન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો, ઉપરાંત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી એમબીએની ડિગ્રી
લીધી હતી. જ્યારે બોટલિંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટી ઓહીયોમાંથી કોમ્પ્યુટર સાયન્સમાંથી
માસ્ટર્સ કર્યું છે.
અજય બાંગા, માસ્ટર કાર્ડ-સીઇઓ અને ચેરમેન
મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની અજય બાંગાએ 2010માં આ ક્રેડિટ કાર્ડ કંપની માસ્ટર કાર્ડના સીઇઓનું
પદ સંભાળ્યું હતું. તેમણે પોતાની કારકિર્દી નેસ્લે ગ્રુપથી 1981માં શરૂ કરી હતી. બાદમાં
પેપ્સિકોમાં કામ કર્યું હતું.
હાલમાં બાંગા માસ્ટર કાર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. 1959માં પુણેમાં
જન્મેલા બાંગાએ દિલ્હી યુનિવર્સિટી અને આઇઆઇએમ અમદાવાદમાંથી અભ્યાસ કર્યો હતો.
2009માં માસ્ટર કાર્ડમાં જોડાયા હતા. 2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા
હતા.
.............
સુંદર પિચાઈ, ગૂગલ સીઈઓ
અમેરિકી દિગ્ગજ કંપની ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું નામ સૌ કોઈ જાણે છે.
તે મૂળ તામિલનાડુના ચેન્નઈના વતની છે. 1972માં ચેન્નઈમાં જન્મેલા સુંદર પિચાઈનું મૂળ
નામ સુંદરરાજન છે. એમણે ગૂગલમાં સર્ચ એન્જિન, જાહેરાતો, એપ્લિકેશન, યુટયુબ અને એન્ડ્રોઈડ સિસ્ટમ જેવા મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ સંભાળી સફળતાપૂર્વક
આગળ વધાર્યા છે. પિચાઈ ગૂગલ ઉપરાંત તેની પેરન્ટ કંપની આલ્ફાબેટના પણ સીઈઓ છે.
પિચાઈએ આઈઆઈટી ખડગપુરમાંથી બી.ટેક.નો અભ્યાસ કર્યો હતો. જેમાં સિલ્વર
મેડલ લીધું. ત્યાંથી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ.નો અભ્યાસ કર્યો
બાદમાં પેન્સિલવેનિયા યુનિ.ની વાર્ટન સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું. 2004માં ગૂગલમાં
ગૂગલથી પહેલાં પિચાઈએ એપ્લાઈડ મટીરિયલ્સમાં ઈજનેર તરીકે કામ કર્યું હતું. એ પછી મેકકિન્સમાં
મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નોકરી પણ કરી હતી.
.............
પુનિત રંજન, ડેલોઇટ ટચ તોમાત્સુ-ગ્લોબલ સીઇઓ
હરિયાણાના એક નાનકડા વિસ્તારમાંથી આગળ વધનાર પુનિત રંજન ડેલોઇટ ગ્લોબલમાં
સીઇઓ સુધી પહોંચ્યા છે.
ભારતમાંથી સ્નાતક થયા બાદ તેમણે કેટલાક વર્ષ દિલ્હીમાં નોકરી કરી હતી. બાદમાં રોટરી ફાઉન્ડેશનમાંથી સ્કોલરશિપ મળ્યા બાદ અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે ઓરેગોનની વિલ્મેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ?મેનેજમેન્ટની ડિગ્રી લીધા બાદ ટચ રોઝ કંપનીમાં જોડાયા હતા. જે કંપની બાદમાં 1989માં ડેલાઇટ ગ્રુપમાં ભળી ગઇ હતી.
.........
પ્રેમ વત્સ, ચેરમેન અને સીઇઓ-ફેરફેક્સ
મૂળ હૈદરાબાદમાં 1950માં જન્મેલા પ્રેમ વત્સ કેનેડાના ટોરેન્ટો મહાનગરની કંપની ફેયરફેકસ ફાયનાન્સિયલ સર્વિસીઝના ચેરમેન અને સીઇઓ છે. વત્સ આઇઆઇટી મદ્રાસમાંથી અભ્યાસ પૂર્ણ કરીને કેનેડામાં પોતાના ભાઇ પાસે ચાલ્યા ગયા હતા. જ્યાં યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટેરિયોમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો. 1985માં તેમણે ફાયનાન્સિયલ સર્વિસીઝ પેઢી ફેયરફેકસ ફાયનાન્સિયલ હોલ્ડીંગની શરૂઆત કરી હતી. અને ત્યારથી તેમના ચેરમેન અને સીઇઓ છે.
.........
નિકેશ અરોરા, પાલો ઓલ્ટો નેટવર્કસ-સીઇઓ
ઉત્તરપ્રદેશમાં જન્મેલા નિકેશ અરોરા 2018માં સાઇબર સિક્યોરિટી કંપની પાલો ઓલ્ટો નેટવર્કસના સીઇઓ બન્યા છે. પ્રારંભમાં સંઘર્ષ કરીને આગળ વધનારા નિકેશે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પહેલાં તેમને અનેક કંપનીઓએ નોકરી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો. પાલો કંપની પહેલાં તેઓ સોફટ બેન્ક ઇન્ટરનેટ એન્ડ મીડિયાના સીઇઓ પણ રહી ચૂક્યા છે. અરોરાએ આઇઆઇટી વારાણસીમાંથી ઇલેકટ્રીકલ ઇજનેરની ડિગ્રી લઇને અમેરિકામાં નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે અને બોસ્ટન કોલેજમાંથી ફાઇનાન્સમાં માસ્ટર્સની ડિગ્રી પણ લીધી હતી.
No comments:
Post a Comment