Sunday, 30 January 2022

The significance of the budget lies in the relief on the inflation front......

 બજેટની સૌથી મોટી  આશા


મંગળવારે મહામારીમાં મધ્યમ વર્ગને 

મોંઘવારીની માર પર મળે મલમપટ્ટો

 

અંદાજપત્ર નજીક આવે એટલે ઉદ્યોગો, વેપારીઓ, નોકરિયાતો સહિતની અપેક્ષાઓ વધે, પરંતુ છેલ્લાં  બે વર્ષમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે  ખાન-પાનની જીવનજરૂરી ચીજો અને ગેસ-ઇંધણના ભાવમાં અસહ્ય વધારાનો સામનો કરતા આમઆદમીને રાહત એ મહત્ત્વનો મુદ્દો છે  

 

 

કાલે મંગળવારે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન તેમનું 2019 પછીનું સતત ચોથું અને વડાપ્રધાનપદે મોદીના શપથ લીધા પછીનું દસમું બજેટ રજૂ કરશે. દર વર્ષે બજેટ રજૂ થવાનું હોય તે પહેલાં અપેક્ષાઓની વાતો થાય, નોકરિયાતોની, મહિલાઓની, વેપારીઓની, લઘુ ઉદ્યોગ, મોટા ઉદ્યોગપતિઓની, ફાર્મા-રિયલ એસ્ટેટ એમ અલગ અલગ સેક્ટરની આશા વ્યક્ત થાય.   કદાચ આ વખતે સૌથી મોટી અપેક્ષા આમ આદમીને છે, મધ્યમવર્ગને છે અને તેનાં સબળ કારણો છે. કેટલી ખરી ઉતરી છે, એ તો કાલે ખબર પડી જશે, પરંતુ બીજી બધી અપેક્ષાઓની વાત નથી કરવી, પણ સમય જે માગે છે, એ અત્યારે મોંઘવારીનાં ચક્કરમાં બધી બાજુથી પીસાયેલા મધ્યમ વર્ગની માગણી સૌથી પ્રાથમિકતા માગે છે.

સરકારને રાહત આપવી હોય તો આવક વધવી જોઈએ, પણ અચાનક રશિયા-યુક્રેન સંઘર્ષનાં કારણે ક્રૂડતેલના ભાવમાં મોટો ઉછાળો આવી ગયો. આ ક્રૂડ કાચો માલ છે અને પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ એ સૌથી મોટી આવકનું સાધન છે. બજેટ પહેલાં એક બાજુ આવકમાં કાપ મુકાઈ રહ્યો છે અને રિટેલ ઈન્ફલેશન (છૂટક મોંઘવારી દર) છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટીએ છે. મધ્યમ વર્ગને રાહત આપવાનું દબાણ છે, એ પેટ્રોલ-ડીઝલ પરનો વેરો ઓછો કરીને આપી શકાય, પણ ક્રૂડ ભાવ વધતાં બન્ને બાજુથી દબાણ છે. આવી સ્થિતિ વચ્ચે ઉદ્યોગોનું ધ્યાન રાખવાનું છે, જેને કોરોનાકાળની ત્રીજી લહેર સુધી માર પડી રહ્યો છે. હવે રાહત પેકેજ કેટલું આપી શકાય, નીચા વ્યાજદર સાથેની હળવી નાણાકીય નીતિ લાંબી ચલાવવી કે કેમ એ પ્રશ્ન છે, આમ, આવી અસંતુલિત સ્થિતિ વચ્ચે સંતુલન સાધવાનો નાણાંમંત્રી સામે કદાચ છેલ્લાં થોડાં વર્ષોનો સૌથી મોટો પડકાર છે.

ગરીબ-મધ્યમવર્ગને રાહતનો મુદ્દો મજબૂત એટલા માટે છે કે કોઈ એવી જીવન જરૂરી ચીજ બાકી નથી રહી, જેના ભાવમાં અસામાન્ય ઉછાળો ન દેખાયો હોય. શાકભાજી-ફળથી લઈ, દાળ, કઠોળ લો કે ઘી-તેલના ભાવ સરખાવો, દૂધના ભાવ જુઓ કે ચા-કોફીના ભાવ જુઓ, પેટ્રોલ-ડીઝલના અને રાંધણ ગેસમાં અસામાન્ય વધારાની તો વારંવાર ચર્ચા થાય છે, કોઈ ચીજ અંકુશમાં નથી.

સરકારી આંકડા અને ફુગાવાના સત્તાવાર આંકડા આ વાતની ગવાહી આપે છે. ઓક્ટોબરનો છૂટક મોંઘવારી દર કે સીપીઆઈ (કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેકસ) જોઈએ તો 5.8 ટકા હતો. નવેમ્બરમાં 4.9 ટકા હતો, એ સમયે પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ કેન્દ્ર સરકારે ઘટાડયો હતો. આમ છતાં, આંક એટલો નીચો ન ગયો. છેલ્લે ડિસેમ્બર -2021નો આંકડો આવ્યો 5.9 ટકા, જે છેલ્લા પાંચ મહિનાની સૌથી ઊંચી સપાટી છે. એટલું જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ફુગાવાનો દર સહન કરવાની મર્યાદા `2થી 6' ટકા સુધીમાં છે. હવે જો આનાથી મોંઘવારી દર ઊંચો જાય તો વ્યાજદર વધારો આવી શકે એ નક્કી મનાય છે. બીજીબાજુ, ડબલ્યુપીઆઈ (જથ્થાબંધ ભાવાંક) ડિસેમ્બરમાં વધીને 13.56 ટકા થયો છે. સતત નવમા મહિને બેવડા આંકની ઉપર છે.

માર્ચ-2020થી કોરોના મહામારીએ અર્થતંત્રની કમર ભાંગવાનું શરૂ કર્યું, તેની સૌથી વધુ અસર ભાવવધારાનાં રૂપમાં મધ્યમ વર્ગ પર હવે બે વર્ષે દેખાવા લાગી છે. મહામારીના સમયમાં હજારોની નોકરી ગઈ, નાના ધંધાર્થીઓ બેકાર બન્યા હતા. જેમની નોકરી ન ગઈ એમને પગારકાપનો ફટકો લાગ્યો. માંડ સ્થિતિ થાળે પડતી હતી, ત્યાં ડેલ્ટાની બીજી લહેર આવી અને હવે ઓમિક્રોનની ત્રીજી લહેરની અસર પડી રહી છે. કોવિડ પછીના કાળમાં જીવનજરૂરી ચીજોની કિંમત 20થી 40 ટકા વધી ગઈ છે. હા, રાહત પેકેજના ભાગરૂપે ગરીબોને મફત અનાજ અપાયું છે, પણ મધ્યમ વર્ગની મુશ્કેલી યથાવત રહી.

રાંધણ ગેસના ભાવની આંકડાકીય તુલના કરીએ તો 2014માં ભાજપ સરકાર સત્તામાં આવી?ત્યારથી સાડા પાંચ વર્ષમાં ગેસના ભાવમાં 30.68 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લાં બે વર્ષમાં જ બાટલાદીઠ 43.66 ટકા ભાવ વધ્યા. હવે સબસિડી નથી મળતી. જાન્યુઆરી-2021ના  ગેસના બાટલાનો ભાવ 700 રૂા. હતો, અત્યારે 906 રૂા. છે. કયાંક ગામડાંમાં થોડી માત્રામાં સબસિડી ખાતામાં જમા થાય છે, પરંતુ એય હવે બંધ થવાનું જોખમ છે.

પેટ્રોલનો 2021ના જાન્યુઆરીમાં લિટરે રૂા. 81નો ભાવ હતો, જે નવેમ્બરમાં કર રાહત આપી એ પહેલાં વધીને 106 સુધી પહોંચી ગયો હતો. અત્યારે તોય 95 રૂા. પ્રતિ લિટર છે. ડીઝલમાં પણ એવી જ સ્થિતિ છે. 2021ના જાન્યુઆરીમાં 81 રૂા. ભાવ હતો, જે નવેમ્બરમાં પેટ્રોલ જેટલો જ 105.88 સુધી પહોંચી ગયો અને અત્યારે 89.50 છે. ગત વર્ષે જુલાઈમાં અમૂલ અને પછી તરત મધર ડેરીએ દૂધના ભાવ વધારી દીધા હતા. પેટ્રોલ-ડીઝલની અસર સ્વાભાવિક સમગ્ર અર્થતંત્ર પર પડે છે અને મધ્યમ વર્ગ આ ચક્રમાં પીસાય છે.

બજેટને થોડા દિવસ બાકી રહ્યા હતા, ત્યાં ગત ગુરુવારે વળી સમાચાર આવ્યા કે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ વધીને 90 ડોલરની સપાટીને પાર કરી ગયો. 2014 પછી આવું પહેલી વખત બન્યું છે અને ક્રૂડના હજુ ભાવ વધીને 100થી 110 સુધી જઈ શકે છે. થોડા સમય પહેલાં જ 2જી ડિસેમ્બર-2021ના તો નીચે જઈને 65 ડોલર સુધીનાં તળિયે આવ્યા હતા ત્યાં બે મહિનામાં તીવ્ર ઉછાળો આવ્યો છે. મોંઘવારીનું વિષચક્ર વધારતો આ ક્રૂડનો વધારો બજેટના નિર્ણયો પર અસર કરશે એ નક્કી છે. સરકારની મૂંઝવણ દેખીતી રીતે વધી જશે. એક બાજુ મધ્યમ વર્ગ તેના માસિક ખર્ચના `નવડા મેળવવા'માં પરેશાન છે, ત્યારે સરકાર કઈ રીતે બજેટમાં `નવડા મેળવે' છે એ જોવાનું રહે છે.

નિષ્ણાતોને ઉદ્યોગલક્ષી બજેટની વધુ આશા નથી. ભલે વિકાસદર વધુ ઊંચ લઈ જવો હોય, પણ કરવેરા ઊંચા છે, તેમાં રાહત આપવા દબાણ છે, એ આવકવેરો હોય કે જીએસટી. રાજકોષીય ખાધ પહોળી થઈ રહી છે. બીજી તરફ, હવે જીડીપી નકારાત્મકમાંથી ઝડપી હકારાત્મક થઈ ગયો છે અને ગત વર્ષે 7.2 ટકા નોંધાયો હતો. 2021-22માં 9.2 ટકાના દરે અર્થતંત્ર વિકાસ કરે તેવી આશા વ્યક્ત કરાઈ છે, ત્યારે હવે અપેક્ષા રાખીએ કે ઉદ્યોગલક્ષીને બદલે મધ્યમવર્ગલક્ષી બજેટ આવે અને એમાં આવકવેરા મુક્તિમર્યાદા પાંચ લાખથી વધારાય, કોરોનાકાળમાં સારવાર માટે થયેલા કે થઈ રહેલા ખર્ચને આવકવેરામાંથી મુક્તિ મળે, 80-સી હેઠળ મળતી કરછૂટ દોઢ લાખથી વધીને 3 લાખ થાય, હોમલોનના વ્યાજ પર મળતી કરમુક્તિ વર્તમાનની બે લાખથી વધીને 3 લાખ થાય, હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘણું મોંઘું થઈ ગયું છે, તેની છૂટ 25,000થી વધારીને 50,000 થાય, કોરોનાકાળ પછી વર્ક ફ્રોમ વધ્યાં છે. આવા કેસોમાં નોકરિયાતોને કંપની ઘરખર્ચ ભથ્થું આપે તે માટે સરકાર કોઈ નિયમ લાવે. આવાં પગલાં અને ખાસ તો જીવનજરૂરી ચીજોની કિંમત ઘટાડતાં મહત્ત્વનાં પગલાં લેવાય તો મધ્યમવર્ગ માટે બજેટ સાચા અર્થમાં સાર્થક ઠરશે.

..............





 

Tuesday, 25 January 2022

પત્રકારોની નામના ઘણી, પણ એમની પત્નીઓનો ત્યાગ- સમર્પણ પણ કઇં ઓછા નથી... ૨૪મી લગ્નતિથિએ ખાસ લેખ....

પત્રકારોની મોટી નામના, પણ એમની પત્નીઓનો
 ત્યાગ- સમર્પણ પણ કઇં ઓછા નથી

૨૪મી લગ્નતિથિએ ખાસ લેખ 



૨૫મી જાન્યુઆરી, 1998 મારો લગ્ન દિવસ. આજે તા. ૨૫-૧-૨૦૨૨ના 24 વર્ષ પૂરા કરી 25 વર્ષમાં પ્રવેશ. લગ્નજીવનના ૨૫ વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. અત્યારે કોઈ પ્રવાસન મથકમાં ફરવા નથી નીકળ્યો કે કોઈ મોટી હોટલમાં ઉજવણી નથી થઈ રહી, અખબારમાં ફરજ નિભાવવાની સાથે સાથે આ એક શબ્દો દ્વારા, એક લેખ દ્વારા લગ્નજીવનની ભેટ અપાઇ રહી છે. માત્ર મારા જીવનસંગીની લીના દિવ્યેશ વૈદ્યની વાત નથી, તમામ એવા પત્રકારો-અખબારકર્મીઓની પત્નીની વાતો છે, જે ફરજનિષ્ઠ છે. 
સવારે કે સાંજે વોકિંગમાં તમે ઘણાં દંપતી જોશો, મંદિરમાં દર્શને તમે દંપતીને સાથે જોશો, બજારમાં ખરીદીમાં તમે જોડી સાથે જોશો, લગ્નમાં જમણવાર કે કોઈ સામાજિક પ્રસંગમાં તમે પતિ-પત્ની બંનેને સાથે હાજર જોયા હશે, પત્રકારોની પત્નીઓ પતિ સાથે સાંજના કોઈ પ્રસંગમાં સાથે ઓછા દેખાશે. મોટેભાગે પત્ની એકલી દેખાશે, પત્રકારનું ઠેકાણું ન હોય, લગ્નમાં તો ઘરના છેલ્લા બે-ચાર જણ બાકી હોય ત્યારે પતિદેવ જમવા પધારે એવુંય કયારેક બને. ભલે પોતે જમી લીધું હોય, પણ રાહ જુએ, આવી રીતે ચોવીસ વર્ષમાં અનેક વાર રાહ જોઈ જોઈને ક્યારેય ફરિયાદ ન કરનાર, પરિસ્થિતિને સમજીને ચાલનારી એવી પત્નીને આજે લગ્ન દિવસની શુભેચ્છા.
બીજું, અખબાર કર્મીના સમયના ક્યારેય ઠેકાણા ના હોય, બપોરે જમવાનું બની રહ્યું હોય ત્યારે સવારનો બ્રેકફાસ્ટનો સમય થાય, માગે તો આપી દે.  વહેલી સવારના ક્યારે કામ ના આવે, વહેલા ઊઠે તો પણ છાપું વાંચવાની ચિંતા હોય, શું છે બીજા છાપામાં નવું ? , સવારથી આ છાપું ચાલુ થઈ જાય. છાપાની વાતો અને ફોન ચાલુ થઈ જાય. 
નોકરીના પ્રારંભના દસ વર્ષ સતત નાઈટ ડ્યુટી રહેતી, તો સવારે ઉઠયા પહેલાં સંતાનોને નાહી-ધોઈ તૈયાર કરી સ્કૂલે મોકલી દીધા હોય અને પરિવારની જવાબદારી નિભાવવાની ચાલુ થઈ ગઇ હોય, બીજું, અન્ય માતા-પિતાના પ્રમાણમાં એક પત્રકારના સંતાનનો પિતા કરતાં માતા પાસે વધુ ઉછેર થાય છે. એમાં પણ બહુ નાના બાળકો હોય અને સમય પર સુવા ન દે, રાત્રે બાર વાગે માંડ ઊંઘ આવે ત્યાં રાત્રે એક વાગ્યે ફરી પત્રકાર પતિદેવ નોકરી પૂરી કરી દરવાજો ખખડાવે અને રાતની પહેલી ઉંઘ બગાડવાની થાય.  વળી રાત્રે કંઈ ખાવા પીવાની આદત હોય તો ગેસ ચાલુ કરવો પડે, કંઈક ગરમ બનાવી દેવું પડે. પાછી બીજા દિવસની દૈનિક ફરજ નિભાવવાની તો ચાલુ કરવી જ પડે. પત્રકાર પત્નીઓના આવા ત્યાગ એ મિશાલ છે. 
અને હા, સાંજ પડે એટલે મળવા-હળવાનો સમય. ઘરે કોઇ મહેમાન આવે એટલે આવકાર આપવાનું, બજારમાંથી કાંઈ લેવું પડે એમ હોય તો એકલે હાથે વ્યવસ્થા. પત્રકાર કે માધ્યમો સાથે જોડાયેલો કર્મી ક્યારેય સાંજે ઘરે ન હોય, રવિવારની તો વાત જ મૂકી દ્યો. ધાર્મિક કે સામાજિક કોઇ પણ પ્રસંગ હોય તો બધું રવિવારે નક્કી થાય, લોકો રવિવારે આજુબાજુ ફરવા નીકળે, પત્રકાર પત્ની ઘરે હોય. પ્રથમ ફરજ નોકરી એ વાત બરાબર સમજનાર અને ફરિયાદ ન કરનારી  પત્નીઓ પત્રકાર જેટલી જ ધન્યવાદને પાત્ર છે. ૨૪મી વર્ષગાંઠે આવી તો અનેક ઘણી વાતો છે પણ થોડી ઘણી વાતો કરી અને એક પત્રકાર પત્ની જ નહી, સમસ્ત પત્રકાર પત્નીઓના ત્યાગને વંદન.

Sunday, 23 January 2022

Credit card: Be Cautious....

ક્રેડિટ કાર્ડનો તાલ
`સાવધાની હટી 
તો દુર્ઘટના ઘટી'

 

પાંચથી 50 દિવસની વ્યાજમુક્ત ખરીદીની ઓફર આપીને બેન્કો ચાલાકીથી  તગડી કમાણી કરી લે છે, પરંતુ સામે ગ્રાહકે  તેનાથી વધુ `સ્માર્ટબનવું પડે, નહીં તો `ફાયદા' કરતાં નુકસાન વધુ

 


છેલ્લા થોડા સમયમાં જોયું હશે કે, ખાનગી બેન્કોમાં નફો વધી રહ્યો છે. આ સમયે પ્રશ્ન થાય કે, જાહેર ક્ષેત્રની બેન્કોનું વિલિનીકરણ થાય છે, એનપીએ વધે છે, ક્યાંક ઓછો?નફો કે ખોટ છે. આમ કેમ ? આ બધું ગ્રાહકો પાસેથી લેવાતા છૂપા ખર્ચા અને  લોનનો હપ્તો ચુકાય ત્યારે લેવાતી મોટા દંડની રકમ કે ક્રેડિટ કાર્ડ જેવી વિનામૂલ્યે `કહેવાતી' સવલતો પણ?તેમાંથી થતી પરોક્ષ કમાઇને આભારી છે. આજે ક્રેડિટ કાર્ડનો મુદ્દો ચર્ચવામાં આવ્યો છે. બહુ સાવધાની રાખવા જેવી છે આ સુવિધામાં, એમાં પણ?ખાનગી બેન્કોમાં તો ખાસ. હા, 5 દિવસથી 50 દિવસ સુધીનો વ્યાજમુક્ત ખરીદી કે અન્ય ખર્ચનો સમયગાળો મળે છે એ સાચું પણ, જો નિર્દિષ્ટ નિયમોમાં ચૂક્યા તો ગયા. `લેને કે દેને' જેવા તાલ થઇ જાય એમ છે. સાવધાની હટી તો...!

કાર્ડથી ખરીદીનું પ્રમાણ, ઓનલાઇન ખરીદીનું પ્રમાણ વધતું જાય છે. કાર્ડ જીવનનો હિસ્સો બની ગયા છે. પાકીટમાં  એક નહીં, લોકો બે-ચાર કાર્ડ રાખે?છે. તમારા ખિસ્સામાં નાણાં હોય કે ન હોય, કાર્ડ હોવા જોઇએ બસ ! પહેલાં મોટા શહેરોમાં કાર્ડનું ચલણ હતું. હવે ગામડે ગામડે કાર્ડનો વપરાશ વધ્યો છે. પાછા મોટા શોરૂમમાં `નો કોસ્ટ ઇએમઆઇ' કે શૂન્ય ટકા કે વ્યાજ મુક્ત ઇએમઆઇથી ખરીદી એવા બોર્ડ લાગેલા દેખાશે, પણ બેન્કો ક્યારેય બધી સાચી વાત નહીં કરે, અડધું કહેશે, જેમાં તેને લાભ હોય. તમે રિચાર્જ નહીં કરો તો મોબાઇલ કંપનીમાંથી ફોન આવશે, નવા કાર્ડની ઓફર હશે કે લોન માટે ફોન આવશે, પણ તમારું ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર નહીં ભરાય તો એક એસએમએસથી વધુ નહીં આવે. કારણ કે, તેમાં બેન્કને તગડી કમાણી છે. આમ, `અત્યારે ખરીદો ચૂકવણી પછી'ના સિદ્ધાંતવાળી આ ક્રેડિટ કાર્ડની ચીજ મર્યાદિત ઉપયોગમાં જેટલી સારી છે તેટલી બેજવાબદાર ઉપયોગમાં  ખરાબ પણ છે. બેન્કોના નિયમોની જાણકારી વિના ઉપયોગ કરાય તો ગ્રાહક લોનના ચક્કરમાં દબાઇ પણ જાય એમ છે. બેન્કોથી વધુ ચાલાક તમારે બનવું પડે. કેટલીક ખાસ વાતો અહીં નોંધી છે.

એટીએમમાં રોકડ મળે, પણ

એ દિવસથી જ તગડું વ્યાજ !

ક્રેડિટ કાર્ડનો  સામાન્ય રીતે ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી, પેટ્રોલ ભરાવવા વિગેરેમાં ઉપયોગ થાય છે. એમાં એટીએમ દ્વારા રોકડ પણ મળે છે, પરંતુ એનાથી બચવું. એ જ દિવસથી વ્યાજ શરૂ થઇ જાય છે ને કેટલીક બેન્કો તો 40થી 50 ટકા વાર્ષિક ધોરણે વસૂલી લે છે. આમાં ખરીદીની જેમ કોઇ `ક્રેડિટ સમયગાળો' નથી હોતો, પણ ક્યારેય આ વાત નથી કરાતી કે માત્ર ખરીદીમાં જ વ્યાજમુક્તિ છે.

ચૂકવણી સમયે બે રકમ;

પણ એક વ્યાજવાળી હોય છે !

દરેક કાર્ડ મુજબ ક્રેડિટ સાઇકલ હોય છે અને દર મહિનાની ચૂકવણીની નિશ્ચિત તારીખ નક્કી કરેલી હોય છે. આમ તો, જે બચત ખાતા સાથે ક્રેડિટ કાર્ડ લિન્ક કરેલું હોય તેમાંથી નિયમિત રીતે ઓટોમેટિક ચૂકવણી થઇ જાય એ જ વિકલ્પ સારો, પરંતુ કેટલાક લોકો જાતે ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ સમયે બે રકમ દેખાડવામાં આવે છે. મિનિમમ એમાઉન્ટ ડયુ અને ટોટલ એમાઉન્ટ ડયુ. આમાં લોકો મિનિમમ એટલે કે, લઘુતમ ભરવાની રકમ ભરીને નિશ્ચિંત થઇ જાય છે, પરંતુ એ પછી બાકી રહેતી રકમ વ્યાજપાત્ર બની જાય છે અને એ બેન્ક વસૂલ કરી જ લે છે. બિલ વધતું હોય છે, પરંતુ  બધા ગ્રાહકો આ સ્ટેટમેન્ટ-લેવડ-દેવડ વ્યવહારો ચકાસવાની તસ્દી લેતા હોતા નથી. લેટ પેમેન્ટ ચાર્જ શબ્દ સાથે આ `વસૂલાત' કરી દેવામાં આવે છે.

ફોન કોલ-ઓફરની જાળ ! કાર્ડ `મફત' નથી હોતું

બેન્કો વચ્ચે હરીફાઇ જામેલી છે, હવે ફોનકોલનો મારો વધતો જાય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓને  તેમની ક્રેડિટ કાર્ડની રકમ વપરાશની મર્યાદા વધારવા માટે ફોન કોલ આવતા હોય છે. દા.ત. બે લાખ હોય તો 3 લાખ, સિલ્વરમાંથી ગોલ્ડ અને ગોલ્ડમાંથી પ્લેટીનમ કાર્ડ આપવાની વાત કરે છે. એમાં  સેલ્સના કર્મચારીઓ કાર્ડ વિનામૂલ્યે નવો અપાશે અને વપરાશ મર્યાદા વધશે એવો દાવો કરે છે, પરંતુ આમાં વિનામૂલ્યે મર્યાદા જ વધે છે, નવા કાર્ડના રૂા. 500થી 700 કાપી લે છે. એ ધ્યાન બહાર રહી જાય છે.

ક્રેડિટ કાર્ડની સંખ્યા વધે નહીં !

ક્રેડિટ કાર્ડ પહેલાં એકમાત્ર હતા અને તમામ ખરીદીમાં ઉપયોગ થતો અને હજુ  આમ જ છે, પરંતુ બેન્કોનું આ કમાણીનું સાધન વધુમાં વધુ ફેલાય એ માટે હવે પેટ્રોલ કાર્ડ, ટ્રાવેલ કાર્ડ, શોપિંગ કાર્ડ એમ અલગ નવા નામ સાથે નવા કાર્ડ બજારમાં મૂકવામાં આવ્યા છે. લોકોને રિવોર્ડ પોઇન્ટ વધુ મળશે તેવી ઓફર અપાય છે, પરંતુ આ રિવોર્ડ પોઇન્ટનો કેટલા લોકો સમય પર ઉપયોગ કરી શકે છે ? એ નિશ્ચિત મુદ્દતમાં સમાપ્ત પણ થઇ જાય છે. વળી આવા રિડીમ પોઇન્ટનો કેમ ઉપયોગ કરવો એ પણ બધાને ખબર નથી. આવી ઓફરના ચક્કરમાં પડવું ખતરનાક બની શકે, એટલા જ કાર્ડ રાખવા જેટલાની સમયસર ચૂકવણી ધ્યાનમાં રહે.

કાર્ડમાં રકમની વપરાશની મર્યાદાનો 

ઉપયોગ કેટલે સુધી ?

ક્રેડિટ કાર્ડની મર્યાદા દા.ત. 3 લાખ સુધીની હોય તો તેનો 1 લાખથી વધુ રકમનો ઉપયોગ કટોકટી સિવાય કરવો યોગ્ય નથી. વધુ રકમનો ઉપયોગ એક પ્રકારનું ઋણ માનવામાં આવે છે અને એ સીયુઆર (ક્રેડિટ યુટીલાઇઝેશન રેશિયો) પર ખરાબ અસર કરી સિબિલ સ્કોરને બગાડે છે.

..............




 

Monday, 17 January 2022

The strategy of giving economic defeat to China from British soil. Negotiations for F.T.A. agreement between India and Britain begins.

અંગ્રેજોની દોસ્તીથી ચીનને પછડાટનો વ્યૂહ

 

આજથી બ્રિટન સાથે મુક્ત વ્યાપાર સમજૂતીની દિશામાં સત્તાવાર બેઠકોનો દોર શરૂ થશે અને 2022ના  અંત સુધીમાં સફળતા મળે તો આર્થિક મોરચાનાં  યુદ્ધમાં મોટી રાજકીય અને વ્યૂહાત્મક જીત હશે


ભારતનો સૌથી મોટો દુશ્મન દેશ પાકિસ્તાન હોવાનું જગજાહેર છે, પણ તેનાથી એટલું નથી ગભરાવાનું, અત્યારે ચીન ભારતને પીઠ પાછળ ઘા કરતો દુશ્મન દેશ બની ગયો છે. પહેલાં લડાઇ જમીન પર, પછી સમુદ્ર અને આકાશમાં થઇ. હવે લડાઇનો ત્રીજો મોરચો આર્થિક વ્યૂહ છે. ભારતે ચીનને પછડાટ આપવાની આ મોરચેથી પૂરી તૈયારી કરી છે. આમેય લદ્દાખમાં  ઘૂસણખોરી અને સંઘર્ષની ઘટનાઓ પછી ભારતમાં ચીની માલ બહિષ્કારનું વાતાવરણ ખડું થયું અને ચીનને તેનો ફટકો પણ પડવાથી આવક ઘટી છે. એક બાજુ ભારતે હવે શક્ય મોટાભાગનાં ઉત્પાદનમાં  આત્મનિર્ભરતા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે, તો બીજી તરફ ચીનને આર્થિક મોરચે પછડાટ આપવા અંગ્રેજો સાથે ભાઇબંધી કરવાનું નક્કી કર્યું છે. હા, એ અંગ્રેજો એટલે બ્રિટન, ભલે એમની આગલી પેઢીઓએ ભારત પર બે સદી             સુધી રાજ કરીને `સોને કી ચિડિયા' ગણાતાં ભારતમાં લૂંટ ચલાવી હતી અને અત્યાચાર કર્યા, પણ હવે આ સમયનો તકાજો છે, પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે.

વીતેલા સપ્તાહમાં  બ્રિટનના ઉદ્યોગ અને વાણિજ્યમંત્રી એની મેરી ટ્રેવિલિયને ભારતમાં આવીને ભારતીય સમકક્ષ પીયૂષ ગોયલ સાથે એફટીએ (મુક્ત વ્યાપાર કરાર) પર સમજૂતી માટે ઔપચારિક વાતચીતનો દોર શરૂ કર્યો અને આજે એટલે કે, સોમવારથી સત્તાવાર રીતે  વાટાઘાટનો દોર શરૂ થવા જઇ રહ્યો છે.  ભારત અને બ્રિટનનું  પ્રતિનિધિ મંડળ દર પાંચ અઠવાડિયે મળશે અને  2022ના અંત સુધીમાં એફટીએ એટલે કે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થઇ જવાની આશા છે. યુ.કે. અને ભારત બંને વર્તમાન વ્યાપારને 2030 સુધીમાં બે ગણો કરી દેવાનું લક્ષ્ય રાખે છે. ભારતમાં મોટી વસતી અને બજાર છે, તેના પર બ્રિટનના ઉદ્યોગપતિઓની નજર છે, તો ભારતને તેની `મેઇક ઇન ઇન્ડિયા'ની યોજનાને સફળ બનાવવા વિદેશી ટેકનોલોજી અને ધરતીની જરૂર છે. આ અંગ્રેજોની ધરતી પરથી ચીનને મહાત આપી શકાય છે.

કેટલી સફળતા મળે છે એ તો સમય જ કહેશે, પરંતુ બંને પક્ષો માટે આ સુવર્ણ તક ગણવામાં આવી છે. કારણ કે, એફટીએ સમજૂતી થશે એટલે બંને દેશ  વચ્ચેના વ્યાપાર કાયદામાં છૂટછાટો અપાશે, કસ્ટમ ડયુટી ઘટશે, ઉદ્યોગોને એકબીજાના દેશમાં સરળતાથી ધંધો કરવા ઘણી મુક્તિઓ અપાય તેવી સંભાવના છે. જો આ થયું તો બંને દેશો વચ્ચેનો વ્યાપાર વધશે, મૂડીરોકાણ વધશે, નવી રોજગારી ઊભી થશે અને ક્ષેત્રિય સહકારમાં વધારો થશે. ખાસ તો, આ સફળતા એ ભારતની ચીન પરની રાજકીય તેમજ વ્યૂહાત્મક રીતે મોટી જીત બનશે અને ભારત તેમ કરવા સજ્જ બન્યું છે.

ભારતનું અર્થતંત્ર ઝડપી આગળ વધે છે અને 2050 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની બ્રિટનનેય પાછળ રાખશે એવી ધારણા રખાય છે, ત્યારે બ્રિટન ખુદ પોતાના ઉદ્યોગો માટે ભારતનું બજાર ખોલવા ઉત્સાહી છે. બીજું, બ્રિટનમાં ભારતીય કંપનીઓ લગભગ 95,000 લોકોને રોજગારી આપે છે, તેમાં તાતાનું સૌથી મોટું કામકાજ છે. બ્રિટનને રસ છે કે, ભારતીય સામાન અહીં સસ્તો થાય, તો સામે પક્ષે ભારતમાંથી નિકાસમાં તેજી આવશે. છેલ્લા આંકડા મુજબ 2020-21ના નાણાકીય વર્ષમાં ભારતે બ્રિટનમાં 8.15 અબજ ડોલરની નિકાસ કરી, તો બ્રિટનથી ભારતમાં 4.95 અબજ ડોલરની આયાત થઇ. ભારતનો હાથ ઉપર છે અને નિકાસ વધે તો વધુ ફાયદો છે. એક અંદાજ મુજબ એફટીએ સફળ રહેશે તો 2035 સુધીમાં બંને દેશો વચ્ચેનો વ્યાપાર 28 અબજ પાઉન્ડ સુધી પહોંચી શકે છે. હાલ ઘડી, બંને પક્ષો તરફથી એવી કોઇ માગણી નથી કે, જેનાથી સમજૂતીમાં મડાગાંઠ ઊભી થાય અને એવું જ રહે તો આ સમજૂતી ભારતનાં આર્થિક ક્ષેત્રમાં મોટી છલાંગનું કારણ બનશે એ નક્કી છે.

 

આજે મિત્રતા વધે છે, પરંતુ અંગ્રેજો ભારતમાંથી 45 ટ્રિલિયન ડોલર લૂંટી ગયા હતા


આજે ભલે ભારત તેની રાજકીય અને આર્થિક પ્રગતિની  નવી નીતિ અને સમયની આવશ્યકતા મુજબ બ્રિટનની ધરતી પર તેનો વ્યાપાર મુક્ત રીતે વધારવા માગે છે અને મૂળ ભારતીય વસતી પણ ત્યાં  મોટી સંખ્યામાં વસી ગઇ છે, પરંતુ 200થી વધુ વર્ષની  એ ગુલામીનો કાળ હતો, જ્યારે અંગ્રેજોએ ભારતને લૂંટયું હતું અને ગરીબીની દશામાં ધકેલી દીધું હતું.

ભારત એક સમયે `સોને કી ચિડિયા' કહેવાતું હતું અને તેમાં સચ્ચાઇ પણ હતી. કારણ કે, ભારત દુનિયાના લગભગ 25 ટકા જીડીપી પર અંકુશ ધરાવતું હતું.

ભારતના પ્રસિદ્ધ અર્થશાત્રી ઉત્સા પટનાયકે 2018માં કોલંબિયા યુનિવર્સિટીમાં એક સંશોધનમાં  કર્યું હતું.  લગભગ બે સદીમાં એટલે કે, 1765થી 1938ની વચ્ચે તેમના વ્યાપાર ડેટાના આધારે પટનાયકે નિષ્કર્ષ કાઢયો હતો કે, બ્રિટને ભારતમાંથી લગભગ 45 ટ્રિલિયન ડોલરની (45 લાખ કરોડ ડોલર) લૂંટ કરી હતી, જે રકમ બ્રિટન અને ભારતની વર્તમાન સંયુક્ત જીડીપીનો લગભગ 17 ગણો હિસ્સો છે.

.............. 

Monday, 10 January 2022

Towards Sustainable Development - Corporate Social Responsibility Initiative in Kutch ' - Book published by FOKIA and KUTCH COLLECTOR. A Story behind this Initiative.. !



ઉદ્યોગોને ભૂમિનું ઋણ ચૂકવવા પથદર્શક પુસ્તક 

કચ્છમાંથી કમાતી કંપનીઓએ કઇ રીતે સંકલન સાધીને, ક્યા ક્ષેત્રમાં શું કામ કર્યું છે એ વણી લેતી ફોકિયાએ વહીવટી તંત્રના સહયોગથી તૈયાર કરેલી સતસવીર બુક ગુજરાતમાં નવતર પહેલ : જો કે, સીએસઆર ભંડોળ ન ખર્ચતી કંપનીઓ આગળ આવે અને નફાના બે ટકા કચ્છમાં જ ખર્ચે એ મહત્ત્વનું 



જે ભૂમિનાં સંશાધનોનો ઉપયોગ કરીને કંપની કમાણી કરે છે તેને સામાજિક જવાબદારીના ભાગરૂપે ઋણ ચૂકવે છે અને સરકારે નફાના 2 ટકા આવી સેવાકીય પ્રવૃત્તિ પાછળ ખર્ચવાનો કાયદો  તો 2014માં આપ્યો, પરંતુ આવી રીતે સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી) પ્રવૃત્તિ તો ખાનગી કંપનીઓ કરતી આવી છે. કચ્છ સૂકા અને પછાત મુલક તરીકે જાણીતું હતું, પછી તે ઝડપી ઔદ્યોગિક વિકસતા જિલ્લા તરીકે અને  અત્યારે કુદરતી ઊર્જા ઉત્પાદનના હબ અને બંદરીય વિકાસના દ્વાર તરીકે જાણીતું છે. ભૂકંપ પછીની આ બદલાયેલી સ્થિતિમાં કચ્છમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કરી કમાનારી કંપનીઓ કચ્છ માટે શું કરે છે, ક્યા ક્ષેત્રોમાં કામ કરે છે, કઇ?રીતે તે ઉપયોગી બને છે, કચ્છના લોકોને  કઇ?સેવાની જરૂર છે અને શું થઇ?રહ્યું છે - આ બધી વિગતોને એક   આકર્ષક રીતે -  વિશાળ રંગીન તસવીરોની સજાવટ સાથે પુસ્તકનાં રૂપમાં સમાવી લેવામાં આવી છે, જેનું તાજેતરમાં મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું અને તેના સમાચારો પણ પ્રસિદ્ધ?થયા, પરંતુ આ `પહેલ'ની વિશિષ્ટતા એ છે કે, તે ગુજરાતના કોઇપણ જિલ્લામાં  આ રીતે  થયેલો પ્રથમ પ્રયાસ છે અને કોઇપણ ઔદ્યોગિક જૂથ માટે માત્ર કચ્છમાં જ કામ કરવા જ નહીં, અન્ય સ્થાને પણ?સેવાકાર્ય કરવા માટે પથદર્શક બની શકે એમ છે. 
`ટુવર્ડઝ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ - કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇનિશિએટીવ ઇન કચ્છ' શીર્ષક તળેની આ બુકનું પ્રકાશન કચ્છ કલેક્ટર અને ફોકિયાનું સંયુક્ત છે. સીએસઆર પ્રવૃત્તિ તો દરેક કંપની દ્વારા તેની `િનયત' કે નફા મુજબ કોઇપણ સ્થાને થતી જ હોય છે, પરંતુ જે-તે વિસ્તારની શું જરૂરિયાત છે અને એ જ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિ થાય; એક જ કામ અન્ય કંપનીઓ દ્વારા બેવડાવાના બદલે  સહયોગથી થાય એઁ મહત્ત્વનું છે. 
કચ્છમાં સાચું ઔદ્યોગિકીકરણ 2004-05થી શરૂ?થયું અને છૂટક સેવાકીય પ્રવૃત્તિ શરૂ?થઇ, પરંતુ 2012માં આવી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અને સંશોધનનું વિચારબીજ રોપાયું. આ પછી તમામ સીએસઆર વિભાગોની નિયમિત બેઠકોથી શરૂ?થઇને છેવટે શબ્દદેહનું રૂપ મળ્યું. મોટાં ઔદ્યોગિક જૂથો પોતાની સીએસઆર પ્રવૃત્તિને કોફી ટેબલ રૂપનો આકાર આપે છે, પરંતુ તમામ કંપનીઓની એક જિલ્લાની પ્રવૃત્તિનું સંકલન એ નવતર પહેલ રહી અને કચ્છની આગામી સેવાકીય પ્રવૃત્તિઓની એક માર્ગદર્શિકા બને એમ છે. 
આ પહેલ વિશે ફોકિઆના એમ.ડી. નિમિષ ફડકે સાથે વાત કરતાં તેમનું કહેવું હતું કે, આમ તો પ્રવૃત્તિનાં સંકલનનો વિચાર તો બહુ જૂનો છે. અદાણી ફાઉન્ડેશનના એ સમયના સી.ઇ.ઓ. સુષ્માબેન ઓઝાએ જિલ્લાની સેવાપ્રવૃત્તિઓમાં સંકલન માટે ત્રણ મહિને બેઠકો યોજવાનું સૂચન કર્યું હતું, જે નિયમિત મળતી. કચ્છમાં પશુપાલન વ્યવસાયના વ્યાપને જોતાં ઘાસચારાનાં ઉત્પાદન સહિતના મુખ્ય પ્રશ્ન પર કામ શરૂ?થયું. અદાણી, એગ્રોસેલ અને તાતા પાવર (સીજીપીએલ-મુંદરા)એ કામ ચાલુ કર્યું. 2012માં એગ્રોસેલના એમ.ડી. દીપેશભાઇ શ્રોફે કચ્છના મુખ્ય પ્રશ્ન પાણી અને ઘાસની સ્થિતિ પર સેટેલાઇટ?આધારિત હેવાલ તૈયાર કરવાનું સૂચન કર્યું અને આર્થિક સહયોગ પણ?આપ્યો, જે કચ્છનાં વોટર મેનેજમેન્ટ પર કામ કરવામાં આધારભૂત બન્યો. 
2017માં કચ્છમાં સીએસઆર પ્રવૃત્તિ પર એક સેમિનારનું આયોજન થયું, જેમાં  કચ્છમાં પાણી, ખેતી, પશુપાલનને પ્રોત્સાહન આપીને જ લોકોની આજીવિકાને સહાય આપી શકાય તેવો નિષ્કર્ષ નીકળ્યો. પછી અન્ય ક્ષેત્રોમાં પણ કામ થવા લાગ્યાં, ગતિ આવી અને છેવટે 2019માં આ કામોનાં સંકલન કરીને પુસ્તકનો વિચાર આવ્યો, જેથી બાકીની કે નવી કંપનીઓને કચ્છમાં કામ કરવામાં પ્રેરણા મળે. તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહન અને વહીવટી તંત્રનો સહયોગ મળ્યો અને કામ શરૂ?થયું. 
આ કામ માત્ર વિગતો મગાવવા પૂરતું ન રહ્યું, બલ્કે ફોકિયા, સરકાર સહિતના વિવિધ ઉદ્યોગોનાં બનેલાં પ્રતિનિધિ મંડળે રૂબરૂ મુલાકાત લઇ સંકલન કર્યું છે. કચ્છમાં જે પ્રવૃત્તિ થઇ તેમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ના 17 લક્ષ્યને ધ્યાને લેવાયાં છે અને  બુકમાં પ્રવૃત્તિઓનું સંકલન અને પ્રસિદ્ધિ આ લક્ષ્યો મુજબ જ થઇ છે. પાણી ક્ષેત્રે કચ્છમાં કેટલું નોંધપાત્ર કામ થયું છે એ સંશોધનથી ખબર પડે છે કે, 70 ટકા ગામ `પાણી મુદ્દે સુરક્ષિત' થઇ ચૂકયાં છે.  
પુસ્તકનાં પ્રોગ્રામ ડાયરેકટર તરીકે શ્રી ફડકે અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર તરીકે તત્કાલીન અંજાર નાયબ કલેકટર વી.કે. જોશી રહ્યા હતા. જ્યારે લેખનકાર્ય અનિલ મુલચંદાણીએ અને કન્ટેન્ટમાં સહયોગ ફોકિઆનાં રાધિકા ઠક્કર તેમજ જિગર મકવાણાએ આપ્યો હતો. ડ્રોનની અલભ્ય તસવીરો વિનેશ ઠક્કરની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ કચ્છ કલેકટર અને ગુજરાત સીએસઆર ઓથોરિટીનાં સીઇઓ એમ. થેન્નારસન, કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.એ શુભેચ્છા સંદેશ આપ્યા છે અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓએ મંતવ્યો રજૂ કરીને આ પહેલને બિરદાવી છે. 
કચ્છમાં વિવિધ ઉદ્યોગો દ્વારા થયેલી ઘાસચારા પ્લોટ, પાણી, જળસંચય, આરોગ્ય, શિક્ષણ, રોજગાર તાલીમ, મહિલા સશક્તિકરણ, કુપોષણ, વોટર ડિસેલિનેશન, શૌચાલય નિર્માણ, સ્વચ્છ ઊર્જા, બાયોગેસ ગામડાંમાં પાણીનાં ટાંકા-રસ્તા- સમાજવાડી જેવો માળખાંકીય વિકાસ, માછીમારોની આજીવિકા, દિવ્યાંગોને નોકરી, ટાઉનશિપ-મંદિર સહિતનું સામાજિક માળખું, જૈવવૈવિધ્ય સંરક્ષણ, કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ સહિતની પ્રવૃત્તિઓ કઇ કંપનીઓ દ્વારા, કયાં સ્થળે થઇ એનો સતસવીર ઉલ્લેખ કરાયો છે. 
પુસ્તક પરથી લાગે છે કે કચ્છમાં કામ ઘણું થયું છે, પણ મહત્ત્વનું એ છે કે, સીએસઆર ફંડના 2 ટકા ઉપયોગના કાયદાનું પાલન  બધા જ    ઉદ્યોગો કરે છે ? જે ન કરતા હોય તેમને સક્રિય થવા માટેનાં સૂચન આ પુસ્તકમાંથી મળશે અને બીજું, નફાના આ બે ટકા સમગ્ર ગ્રુપનાં હોય છે, કચ્છના યુનિટમાંથી થતો નફો કોઇ અલગ નથી તારવવામાં આવતો, ઉદ્યોગોએ જાતે એવી પહેલ કરવી જરૂરી છે કે કચ્છનાં એકમનાં કારણે સમગ્ર ગ્રુપની કમાણી વધતી હોય તો અનેક સમસ્યાથી ગ્રસિત કચ્છનાં લોકો માટે કામ કરવું જોઇએ. કચ્છમાં છેલ્લાં 15 વર્ષમાં ઔદ્યોગિક રોકાણ છ ગણું થઇને દોઢ લાખ કરોડની મૂડી આવી છે તો નફો પણ નાનોસૂનો નહીં હોય. બધા ઉદ્યોગો સારું કામ કરે તો આવી પ્રવૃત્તિઓ બેશક વધે !