Tuesday, 26 July 2022

Wind power is not entirely green, As claimed... Kutch's unique ecosystems suffer.

પવન-સૂર્ય ઉર્જાથી વીજ ઉત્પાદન પૂરું કુદરતી તો નથી જ :
કચ્છની આગવી 'ઓપન ઇકોસિસ્ટમ'ને પહોચે છે નુકસાન

 

વિશ્વમાં પર્યાવરણની અત્યંત વિકટ સ્થિતિ વચ્ચે ભારત બધા દેશોની સાથે આક્રમક રીતે આગળ વધે છે. તેમાં પણ ગુજરાત અને કચ્છની અગ્રિમ ભૂમિકા છે. કારણકે પવન અને સુર્ય ઉર્જા ઉત્પાદન માટે કચ્છ હવામાનની રીતે તો અનુકૂળ છે જ સાથે વિશાળ જમીન ઉપલબ્ધ છે. બે દાયકાથી કચ્છમાં પવન અને સૂર્ય ઊર્જા ઉત્પાદન તેમજ તેના સાધનોના ઉત્પાદનના પ્રોજેક્ટ સ્થપાયા છે અને નવા પ્રોજેકટની જાહેરાતો પણ થઈ રહી છે. પણ એ મહત્વનું છે કે પરંપરાગત કે વૈકલ્પિક ઉર્જાના નામે ઓળખાતી આ વીજ ઉત્પાદન પદ્ધતિ ગ્રીન ઉર્જા કહેવાય છે, પણ એ પૂર્ણપણે ગ્રીન કે કુદરતી તો નથી જ. હવે આ પદ્ધતિના ઘણા નુકસાન બહાર આવી રહ્યા છે. પ્રારંભમાં આ પવનચક્કીઓના નવા પ્રોજેક્ટને આવકાર મળતો હતો પરંતુ તેના અસલી વાસ્તવિક પરિણામો દેખાવા લાગ્યા છે. કચ્છને ઘણું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે કચ્છની પોતાની આગવી 'ઓપન નેચરલ ઇકો સિસ્ટમ' છે. ભલે, વરસાદ ઓછો અને ' બિનઉપજાઉ જમીન' કે 'વેસ્ટલેન્ડ' ગણાવીને નવા નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવે છે. પરંતુ કૃષિ અને પશુપાલન આધારિત આ ક્ષેત્રની આ 'વેસ્ટલેન્ડ' ગણાવતી જમીનમાં દેશી સૂકું ઘાસ છે. દેશનું સૌથી મોટું 'કાંટાળુ વન' છે. જે પશુ-પક્ષીઓ માટે અનુકૂળ આરોગ્ય પર્યાવરણ ઊભું કરે છે. અહી માનવી કરતાં પશુઓની વસ્તી વધુ છે.  પણ,  કચ્છના ઘણા માલધારીઓને અત્યારે ચરિયાણ પ્રદેશ છોડવો પડી રહ્યો છે. કચ્છ 'મધ્ય એશિયાઈ ફ્લાય વે'નો પણ ભાગ છે અને લાખો પક્ષીઓનો વસવાટ છે.  જેમાં સેંકડો પ્રજાતિ તો લુપ્તતાના આરે પહોંચી ગઈ છે.

કુદરતી ઊર્જામાં મુખ્યત્વે પવનચક્કી અને સોલાર પેનલો પાથરીને વીજળી ઉત્પાદન કરાય છે. ભલે કોલસાનું બળતણ કે ધુમાડો કાર્બન ઉત્સર્જન નથી થતો, પરંતુ પવનચક્કીના ગેરફાયદા માત્ર ઇકોલોજીકલ જ નહીં પણ સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે પણ ઘણા છે. જે વાસ્તવિક અમલીકરણ પછી હવે દેખાઈ રહ્યા છે.  છેલ્લા એક દાયકામાં જ્યાં જ્યાં પવનચક્કીની અમર્યાદિત સંખ્યા થઈ, તેની આસપાસના ગામોમાંથી આક્રમક વિરોધ બહાર આવતો આપણે જોયો છે. પવનચક્કીમાં ખાસ કરીને પક્ષી જગત, ગૌચર જમીનને સૌથી વધુ જફા પહોંચી છે. પવનચક્કીમાંથી ઉત્પાદિત વીજળીના પરિવહન માટે કચ્છભરમાં ખાસ કરીને માંડવી,  ભચાઉ,  અબડાસા, નખત્રાણા તાલુકાઑ અને કાંઠાળ ક્ષેત્રમાં ટ્રાન્સફોર્મરોનો ખડકલો વધી ગયો છે, જે પક્ષી સૃષ્ટિનો શોથ વાળે છે. રાષ્ટ્રીય પક્ષી મોર કે કોઈ અલભ્ય જાતિનું પક્ષી મૃત્યુ પામે ત્યારે અખબારનું મથાળું બને છે.  પરંતુ કચ્છમાં દર વર્ષે હજારો નાના મોટા પક્ષીઓનો જીવ આ ટ્રાન્સમિશન લાઈનો અને પવનચક્કીના પાંખડા લઈ રહ્યા છે. દરેક કંપનીને સ્થાપના પહેલાં એન્વાયર્નમેંટ એસેસમેંટ પ્રક્રિયામાથી પસાર થવું પડે છે, પરંતુ આ ગ્રીન ઉર્જા પ્રોજેકટોને ઘણી છૂટછાટ છે. પણ નકારાત્મક અસરો દેખાયા બાદ હવે તેની સામે સવાલો ખડા થઈ રહ્યા છે. જેમ કે, બે વાયર વચ્ચે અઢી મીટરનું અંતર રાખવાના નિયમનું કેટલીક કંપનીઓ પાલન નથી કરતી, તેમાં પક્ષી મૃત્યુ દર વધે છે.  

બીજું, કચ્છમાં એક તો ગૌચર જમીન ઓછી છે અને તેમાં આ પવનચક્કીઓના કારણે ઘટાડો થઈ રહ્યો છે.  ગામલોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે પવનચક્કીની કંપનીઓ વેસ્ટલેન્ડ તરીકે જે જમીન મંજૂર કરાવે છે, તે હકીકતમાં ગૌચર છે. સરકારને રજૂઆત કરી તો કહે છે કે નવા પ્રમોલગેશન મુજબ હવે આ જમીન વેસ્ટલેન્ડ છે. પવનચક્કીઓથી અવાજનું પણ પ્રદૂષણ ઉભું થાય છે. કેટલીક પવનચક્કી ઘર કે શાળાઓની નજીક હોવાની પણ એક ફરિયાદ બહાર આવી હતી. જેનાથી એ ઘરના ભાવ ઘટી ગયા છે. મકાનમાલિક વેચી શકતા નથી, અવાજમાં શાળાઓના બાળકો ભણી શકતા નથી. વળી, પવનચક્કીને પસાર કરવી હોય તો રસ્તા મોટા જોઈએ. રસ્તા નાના હોય તો પહોળા કરવા ગાંડા બાવળના નામે મીઠા ઝાડનો પણ સોથ વાળી નખાતો હોવાનીય ફરિયાદો ઉઠી ચૂકી છે.

કચ્છમાં વરસાદ ઓછો, તાપમાન ઊંચું અને જમીન વિશાળ છે, જે સોલાર ઉર્જા માટે અનુકૂળ પરિબળ છે. આથી સંખ્યાબંધ પ્રોજેક્ટ આવી રહ્યા છે. જોકે, સોલાર એનર્જીમાં પણ પૂર્ણ 'ગ્રીન એનર્જી'ના દાવા સામે ઘણા મુદ્દે સવાલ ઉભા થાય છે. કચ્છમાં હજુ પવનચક્કીની જેમ મોટું માળખું ઊભું નથી થયું. પરંતુ સોલારના રાષ્ટ્રીય અને વિશ્વસ્તરીય પ્રોજેક્ટ આવી રહ્યા છે. જેની અસરો ચકાસવી હોય તો બનાસકાંઠાના ચારણકાના દેશના સૌથી મોટા અને દસ વર્ષ પહેલાં ઉભા થઈ ચૂકેલા સોલાર પ્રોજેક્ટનો દાખલો ઉત્તમ છે. એ સાચું છે કે અહીં સૂર્યથી ઉર્જા ઉત્પાદન વધ્યું છે, પરંતુ જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે રોજગારીનોં દાવો કરાયો હતો એવું કાંઈ ન થયું. એક અહેવાલમાં ગામલોકોને ટાંકીને ઉલ્લેખ કરેલો છે કે ૧૦૦૦ જણને રોજગારી મળશે તેઓ દાવો કરાયો હતો. જેની સામે વાસ્તવિક પ્રોજેક્ટ આવ્યા પછી ગામના ૬૦ લોકોને સિક્યુરિટીના કામમાં નોકરી મળી. ટ્રાન્સમિશન લાઈનોથી તો પવનચક્કી જેવું જ નુકસાન છે એ અલગ.

પક્ષીઓનો પ્રશ્ન છે ત્યાં સુધી ૨૦૧૮માં 'પાવર લાઈન મિટીગેશન રિપોર્ટ' જાહેર થયો હતો અને તેમાં પક્ષીની સાઈડવેવ દૃષ્ટિના લીધે પક્ષી વીજલાઈન સાથે અથડાઈને મૃત્યુ પામે છે તેવું તારણ બહાર આવ્યું હતું. જેમાં અલભ્ય 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ'ના પણ જીવ જતા હોવાની આંકડા સાથે નોંધ છે. ૨૦૧૯માં રાજસ્થાનથી કેસ દાખલ થયો હતો કે, રાજસ્થાન અને ગુજરાતમાં વધુ પવનચક્કીઓને મંજૂરી ન મળે. આ પછી એપ્રિલ-૨૦૨૧માં એક કેસમાં સુપ્રીમે હુકમ આપ્યો હતો કે વર્તમાનની લો વોલ્ટેજની લાઈનો જમીનમાં (અંડરગ્રાઉન્ડ) નાખવામાં આવે. આ ચુકાદાને સોલાર-વિન્ડ કંપનીઓના એસોસિએશને પડકાર્યો હતો. ૨૦૧૩માં કચ્છના ખડીર વિસ્તારમાં સુરખાબના રક્ષણ માટે ગેટકોએ આ કામ કરેલું છે. બીજીબાજુ, ખાનગી કંપનીના સૂત્રો આ મામલે નામ ન આપવાની શરતે કહે છે કે વીજલાઈન જમીનમાં લઈ જવી એ ખૂબ જ ખર્ચાળ છે. વળી વરસાદમાં તેનું જોખમ વધી જાય છે. સુપ્રીમે વાયરોને 'ઇન્સ્યુલેટેડ' કરવા એટલે કે વાયરની ફરતે શોક ન લાગે તેવું આવરણ ચડાવવાનો પણ હુકમ કર્યો છે, પરંતુ તેમાં તેમાંય ઘણો ખર્ચ છે. જોકે, જે ગામમાં રોષ વધતો જાય છે તે ગામોમાં કંપનીએ મર્યાદિત પ્રમાણમાં વાયરોને આ રીતે રક્ષિત કર્યા છે. પર્યાવરણવાદીઓ કહે છે કે, વનખાતાની બર્ડગાડ,  રિફ્લેક્ટર્સ લગાડવાની સૂચનાઓનું પણ કમસેકમ પાલન થવું જોઈએ. નહીં તો કચ્છના પક્ષીજગતને ન સુધારી શકાય તેવું નુકસાન પહોંચશે.

ખાસ કરીને જિલ્લાના કાંઠળ વિસ્તારમાં પવનચક્કીઓય ઘણી છે. કેન્દ્ર સરકાર છેલ્લા અંદાજ મુજબ સમગ્ર જિલ્લામાં લગભગ ૨૧૦૦ જેટલી પવનચક્કી લાગી ચૂકી છે અને હજુ વધી રહી છે. પણ, કેન્દ્ર સરકાર કચ્છમાં પરંપરાગત ઉર્જા માળખાને આગળ વધારતાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ ( વિન્ડ-સોલાર) એનર્જી પાર્કને ખાવડા નજીક રણમાં ઉભો કરવાની યોજનામાં આગળ વધી રહી છે. જેની પાછળનો એવો તર્ક સમજાય છે કે ગામલોકોની વસ્તી અને ગૌચર નજીક પવનચક્કીના કારણે ઊભો થયેલો રોષ પણ હળવો થાય અને વિશાળ જમીનનો ઉપયોગ પણ થાય. ભલે, રણમાં માનવ વસ્તી નથી પણ તેની ખુલ્લી કુદરતી-  'ઓપન નેચરલ ઈકોસિસ્ટમ' છે જ. જેને જફા પહોંચવાનું તો જોખમ છે. આ પાર્કની બાજુમાં એશિયાનું સૌથી મોટું સુરખાબ પક્ષીનું પ્રજનન સ્થળ છે, જે ખોરવાશે. વિદેશી મહેમાન સમાન આ પક્ષીઓની હજારો વર્ષ જૂની આ પર્યાવરણીય પરંપરા તૂટી ન પડે એ હવે સરકાર અને ખાનગી કંપનીએ જોવું પડશે અને પર્યાવરણવાદીઓએ વધુ જાગૃતિથી અવાજ ઉઠાવવાનો સમય આવ્યો છે.

Friday, 22 July 2022

GREEN ENERGY IN KUTCH, PART 2 : KICK START FOR NEW INNING...

કચ્છ કુદરતી ઉર્જા 2.0 ; 
હરણફાળ ભરવા કીક સ્ટાર્ટ


કચ્છમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની બીજી ઇનિંગ 'વિઘ્ન દોડ' પછી જાણે 'લાંબી કુદ' બનશે : પર્યાવરણીય અનિવાર્યતાથી ભારત અને ગુજરાત સરકારે ઊચું લક્ષ્ય અંકિત કર્યું છે અને અનુકૂળ પરિબળોથી કચ્છનો તેમાં સિંહફાળો રહેશે નિશ્ચિત છે : લક્ષ્ય સિધ્ધ કરવું હશે તો છેલ્લા બે દાયકામાં કચ્છમાં જેટલી ઉત્પાદન ક્ષમતા સ્થાપિત થઈ તેનાથી પાંચ ગણી ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ઊભી કરવી પડે એમ છે અને એ રણમાં મેગા એનર્જી પાર્કના શિલાન્યાસ પછી રીલાયન્સ, અદાણી અને એનટીપીસી જેવી કંપનીઓની અબજોના મૂડીરોકાણોણી જાહેરાતો થકી ઉજળું ચિત્ર ઊભું કરે જ છે    

 

 

રણ, ડુંગર, દરિયાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ અને તેમાં પણ ઓછો વરસાદ અને સૂસવાટા મારતા પવનો ને સાથે સાથે ઊંચું તાપમાન. આ બધું કુદરતી ઊર્જા દ્વારા વીજળી ઉત્પાદન માટે અનુકૂળ છે.  જેનું ધ્યાન આમ તો માંડવીમાં પ્રાયોગિક ધોરણે પવનચક્કી સ્થપાઇ ત્યારથી ગયું છે, પરંતુ ૨૦૦૧ પછી ખાનગી કંપનીઓનું ઝડપભેર કચ્છમાં આગમન થયું અને રીન્યુએબલ ઉર્જા ક્ષેત્ર ભારતનું હબ ગુજરાત બનવા જઈ રહ્યું છે અને કચ્છનો તેમાં સિંહફાળો છે. મોટેભાગે પવન ઉર્જા તેમજ સૂર્ય આધારિત ઉર્જાના એકમોના આગમનને આમ તો કચ્છમાં બે દાયકા થયા અને છેલ્લા પાંચ-છ વર્ષમાં પવનચક્કી સામે ઉગ્ર બનેલા સ્થાનિક વિરોધ વચ્ચે નવી ક્ષમતા સ્થાપવાની ગતિ મંદ પડી. પણ, બે વર્ષ પહેલાં વડાપ્રધાનના હસ્તે થયેલા પાકિસ્તાનને જોડતા સરહદી વિસ્તારમાં ખાવડા નજીક ૩૦ ગીગાવોટના વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ (પવન અને સોલાર ઉર્જા બંને) પાર્કના શીલાન્યાસ અને ટોચના ખાનગી જૂથોના રોકાણની જાહેરાતે આ ક્ષેત્રે ફરી નવું પરિમાણ ઉમેર્યું છે અને હવે રિન્યુએબલ એનર્જી 0.2, એટલે કે આ બીજી ઇનિંગમાં કચ્છ એક મોટી છલાંગ લગાવવા સજ્જ છે.

વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જ એક મોટી સમસ્યા છે અને પૃથ્વીના પર્યાવરણને બચાવવા કાર્બન ઉત્સર્જન કરતાં વીજ મથકો પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં કામ ચાલી રહ્યું છે ત્યારે ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં 500 ગીગાવોટનું ઊંચું લક્ષ્ય નિર્ધારિત કરી નાખ્યું છે. જેમાં ગુજરાતે પણ તેની ખાસ બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓથી ૨૦૩૦ સુધીમાં ૬૧ ગીગાવટનું લક્ષ્ય મૂકી દીધું છે. ગુજરાતના આ લક્ષ્યમાં અદાણી અને રિલાયન્સ જૂથે અબજોનું રોકાણ કરવાની જાહેરાત કરીને મહત્વનું યોગદાન આપવા તૈયારી બતાવી છે. બીજીબાજુ, કચ્છ હવામાનની સાથે સાથે વિશાળ જમીન ઉપલબ્ધિનું પણ મહત્વનું હકારાત્મક પરિબળ ધરાવે છે. આમ, કચ્છ કુદરતી ઊર્જા ક્ષેત્રે જાણે વિઘ્ન દોટ પછી હવે લાંબી દોટ માટે 'કીક સ્ટાર્ટ'ના તબક્કે ઉભું છે. દેશના કુલ કુદરતી ઉર્જાથી વીજળી ઉત્પાદનમાં ગુજરાતનો હીસ્સો લગભગ ૧૩ ટકા છે અને ગુજરાત સૌથી વધુ ગ્રીન ઉર્જાથી વીજળી ઉત્પાદન કરનારા રાજ્યોમાં દેશમાં ૨૦૧૭ના ગાળામાં છઠ્ઠા ક્રમે હતું તે હવે ઝડપથી આગળ વધીને હવે બીજા ક્રમે આવી ગયું છે, જ્યારે ગુજરાતના કુલ રીન્યુએબ ઉર્જાથી ઉત્પાદનના લગભગ ત્રીજા ભાગનો ફાળો કચ્છ આપે છે.

ગુજરાત એનર્જી એન્ડ પેટ્રોલકેમિકલ્સ વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં માર્ચ-૨૦૨૨ના પૂરા થતા નાણાકીય વર્ષમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૯૨૦૯ મેગાવોટ હતી, સોલારની ૭૧૮૦ મેગાવટ અને અન્ય લગભગ ૨૦૦ મેગાવોટ મળીને ગુજરાતની રીન્યુએબલ માધ્યમથી અંદાજે કુલ ૧૬,૫૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનની છે. જ્યારે ભારતમાં રિન્યુએબલ એનર્જીના માધ્યમથી લગભગ ૧.૫૦ લાખ મેગાવોટથી વધુ પરંપરાગત કે રીન્યુએબલ ઊર્જાના માધ્યમથી વીજળી પેદા થાય છે. કચ્છમાં અત્યારે લગભગ ૭૦૦૦ મેગાવોટથી વધુની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ગોઠવાઈ ચૂકી છે. જેમાં સૂર્ય ઉર્જા ઉત્પાદન ૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. બાકી મહદંશે પવનચક્કી દ્વારા વીજળી પેદા થાય છે. મહત્વનું છે કે ગુજરાત સરકારે ૨૦૩૦ સુધીમાં રિન્યૂએબલના માધ્યમથી જે ૬૧,૪૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, તેમાં ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ મેગાવોટનો હિસ્સો કચ્છ પાસેથી અપેક્ષાનો છે. આમ, આ લક્ષ્ય હાંસિલ કરવું હશે તો કચ્છમાં અત્યારે છે તેનાથી આગામી આઠ વર્ષમાં લગભગ પાંચ ગણી ક્ષમતા વધારવી પડશે. જે છેલ્લા બે-ત્રણ વર્ષોમાં થયેલી જાહેરાતો, જેમ કે, કચ્છમાં વિશ્વનો સૌથી મોટા ઉર્જા પાર્ક અને અદાણી, એનટીપીસી, રિલાયન્સ જેવી કંપનીઓના અબજોના આવી રહેલા રોકાણ પરથી સ્પષ્ટ દેખાય છે.

કચ્છમાં એનર્જી ક્ષેત્રે પાંચ ગણી ક્ષમતા વધશે એમ નવા રોકાણોની જાહેરાત પરથી પણ માની શકાય છે. દેશના ઉપલબ્ધ આંકડા મુજબ ગ્રીન ઉર્જા ક્ષેત્રે રોકાણમાં વર્ષ ૨૦૨૧ દરમિયાન ૧૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો અને વધીને તે ૧૪.૫ ડોલર સુધી પહોંચ્યું છે. આ રોકાણોમાં મુખ્ય હિસ્સો અદાણી અને રિલાયન્સનો છે. ભારતમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા વધવામાં પણ ઝડપ ઘણી છે. વિશ્વમાં ૧૧ ટકાના દરે ગ્રીન એનર્જી ઉત્પાદન વધે છે, જ્યારે ભારતમાં ૧૫.૪ ટકાના દરે વધ્યું છે. રોકાણોની વાત કરવામાં આવે તો રિલાયન્સે જાહેરાત કરી છે કે ભારતમાં ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદન કરશે. જામનગરમાં કંપનીએ કોમ્પલેક્ષનું કામ ચાલુ કરી દીધું, સાથે સાથે સરકાર પાસે કચ્છ, બનાસકાંઠા કે ધોલેરામાં મળીને ૪.૫ લાખ એકર જમીન માગી છે. અદાણી ગ્રૂપ ભારતનું સૌથી મોટું સોલાર સેલ મોડ્યુલર ઉત્પાદક બનીને તેની ક્ષમતા ૧.૫ ગીગાવોટથી વધારીને ૩.૫ ગીગાવટ કરવા માંગે છે. અત્યારે પણ તે મુન્દ્રામાં સોલાર સાધનોનું ઉત્પાદન કરતું વિશાળ કોમ્પ્લેક્સ ધરાવે છે. કચ્છના રણમાં દોઢ લાખ કરોડના રોકાણ સાથે વીઘાકોટ ખાતે હાઈબ્રીડ પાર્કનું કામ માર્ગોના નિર્માણ અને માળખાકીય સુવિધા ઊભી કરવા સાથે ગતિમાં જ છે. જેનો તાજેતરમાં ગુજરાત પાવર કોર્પોરેશને અહેવાલ પણ જારી કર્યો હતો. એનટીપીસી ભારતનો સૌથી મોટો ૪૭૫૦ મેગાવટનો કચ્છમાં ખાવડા નજીક પાર્ક સ્થાપી રહ્યું છે. જેમાં ૨૫૦૦૦ કરોડ રોકશે અને પ્રથમ તબક્કામાં ૧૨૫૫ના સોલાર પીવી પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ બહાર પાડી નાખ્યા છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રીકસીટી કોર્પોરેશન લિમિટેડ પાનધ્રોમાં ૧૫ મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ ઊભો કરી રહ્યું છે અને એ માટે બીડ પણ મંગાવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ બહાર પડી ચૂક્યું છે. અદાણી જૂથે કચ્છ કોપર લિમિટેડની સ્થાપના કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાયક સાધનોના ઉત્પાદનમાં ૬૦૭૧ કરોડના રોકાણની જાહેરાત કરી છે. વધુમાં, આ ગ્રુપે મુન્દ્રામાં ફ્રાન્સની ટોટલ એનર્જી લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે અને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઈડ્રોજન (સ્વચ્છ પાણીમાં પ્રક્રિયાથી વીજળી ઉત્પાદન) સિસ્ટમ ઊભી કરવાની જાહેરાત કરી છે. અત્યારે અદાણી જૂથ બિટ્ટા અને ખીરસરા ખાતે ૨૯૦ મેગાવટની સોલાર અને ૬૩૫ મેગાવોટની મુન્દ્રા, દયાપર, માંડવી ખાતે વિન્ડ ફાર્મથી ઊર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જ્યારે સુઝલોન ગ્રુપ તો ખાનગી ક્ષેત્રમાં કચ્છમાં સૌથી પ્રથમ પગરણ કરનારું જૂથ છે અને કચ્છમાં અલગ અલગ સ્થાનો સહિત મુખ્યત્વે નાની સિંધોડી, જખૌ, માંડવીનો કાંઠાળ  વિસ્તાર મળીને લગભગ ૧૫૦૦ મેગાવટથી વધુની ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ સિવાય આઈનોક્સ, રીન્યુ પાવર, ગામેશા સહિતની કંપનીઓનું પણ અહીં રોકાણ છે અને એ બધી ક્ષમતા વધારવાના તબક્કે છે. આમ, કચ્છમાં છેલ્લા બે દાયકામાં જેટલી વૈકલ્પિક ઉર્જા ક્ષમતા સ્થાપિત થઈ તેનાથી પાંચ ગણી વીજળી ઉત્પાદનની ક્ષમતાનું સરકારનું લક્ષ્ય છે અને તેમાં કંપનીઓ એક પછી એક તબક્કે આગળ વધી રહી છે. આમ, કચ્છની રિન્યુએબલ ક્ષેત્રની બીજી ઇનિંગ 'પાર્ટ-ટુ'ની શરૂઆત થઈ ચૂકી છે અને એક મોટી મોટી હરણફાળ ભરવા માટે કચ્છ સજ્જ છે.

Tuesday, 19 July 2022

Rupee transaction in International Market, Dominance of dollar now, But Rupee start to make place.

આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં રૂપિયો :
"ડોલર રાજા" નું પ્રભુત્વ ઘટતાં સમય 
લાગશે પણ લાંબા ગાળે ફાયદો 



 યુદ્ધ પછીના સમયમાં રશિયા સાથેના ક્રૂડ સહિતની ચીજોમાં વધેલા વ્યાપાર વચ્ચે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વ્યવહારનો રસ્તો ખુલશે :  જેની પાસે બિલકુલ ફોરેક્સ રિઝર્વ નથી એવા શ્રીલંકાને પણ  આરબીઆઈના પગલાંથી મોટો લાભ મળશે




જગત જમાદાર અમેરિકામાં મંદી મંદી આવશે તેવી વાતો થાય છે અને શેરબજારોમાં ડર ઉભો થાય છે પણ તેનું ચલણ ડોલર ગમે તેવી સ્થિતિમાં જગત જમાદાર જ છે.  ડોલર રાજા છે . દુનિયાનો મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ડોલરમાં થાય છે અને અત્યારે તો યુએસ ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની સૌથી વધુ મજબૂતાઈએ ઊંચો છે.  ભારતીય અર્થતંત્ર માળખાગત રીતે મજબૂત ગણાય છે પણ રૂપિયાની નબળાઈએ ભારતીય રિઝર્વ બેંકને ચિંતામાં મૂકી દીધું છે, એક પછી એક પગલાં લઈ રહ્યું છે. જેમાં ગત અઠવાડિયે ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટની મહત્વની જાહેરાત થઈ . આરબીઆઈ એ કહ્યું કે આયાત નિકાસમાં ઇન્વોઇસિંગ અને પેમેન્ટ ( ચુકવણું)  રૂપિયામાં કરવાની મંજૂરી છે.  જે માટે ભારતીય બેંકે મંજૂર લેવી પડશે અને તેમની નિશ્ચિત પદ્ધતિ અપનાવી પડશે.  આ નિર્ણય પછી પ્રાથમિક તબક્કે એવી આશા ઊભી થઈ કે રૂપિયો તો નબળો નહીં , હવે મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની માંગ વધશે.  પરંતુ આ નવી પદ્ધતિ કેટલા દેશો સ્વીકારે છે એ પણ પ્રશ્ન છે.  કારણ કે વિશ્વનો મોટાભાગનો કારોબાર ડોલરમાં છે અને બીજા આંતરરાષ્ટ્રીય ચલણ પણ નબળા પડી રહ્યા છે.  હા,  યુદ્ધ પછી બદલાયેલા સંજોગોમાં  રશિયા સાથે વધેલા વ્યાપારમાં આ નિર્ણયથી ફાયદો થશે અને શ્રીલંકા જેવા દેશ કે જેની પાસે ફોરેકસ રિઝર્વ નથી બચ્યું ,  એ પણ આ નિર્ણયથી લાભ મેળવશે. 
 41 વર્ષનો ટોચનો  મોંઘવારી દર અને મંદરના ભયે  અમેરિકા હવે વ્યાજદર વધારી રહ્યુ છે અને વિશ્વભરમાંથી  ડોલર પાછા ખેંચાઈ રહ્યા છે.  એ સંજોગોમાં ડોલરની માંગ વધતા એ વધુને વધુ મજબૂત બની રહ્યો છે. આ ડોલરની મજબૂતાઈની ભારતમાં વિપરીત અસર પડી રહી છે.  કારણ કે આપણી જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ  આયાત કરી રહ્યા છીએ,  61% ખાદ્યતેલો આયાત કરીએ છીએ,  ઇલેક્ટ્રોનિક ચીજો- મોબાઇલ આયાત કરીએ છીએ... અને પેટ્રોલ- ડિઝલ મોંઘા થાય એટલે લોકો પર મોંઘવારીની વિપરીત અસર પડે.  ડોલર સામે રૂપિયો ગુરુવારે એકસાથે 24 પૈસા નબળો પડીને 79.92 ના સ્તરે પહોંચ્યો હતો. જોકે શુક્રવારે આંશિક સુધારો થઈને 79.88 પર બંધ રહ્યો.  આ ચિંતામાં આરબીઆઇએ વધુ એક ઐતિહાસિક પગલું ભરતા વૈશ્વિક કારોબારમાં રૂપિયાથી લેવડદેવડ કરવાનો  માર્ગ ખોલી નાખ્યો હતો. જોકે આવું પહેલી વાર નથી થયું . અગાઉ ઈરાન પર પ્રતિબંધો હતા ત્યારે ઈરાન સાથે આવી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી.  આ વખતે જે કોઈપણ  કોઈપણ દેશના આયાતકાર નિકાસકાર તૈયારી બતાવે એ તમામ માટે આ વ્યવસ્થા છે.  પરંતુ,  હાલના સંજોગોમાં સૌથી વધુ લાભ રશિયા અને શ્રીલંકા અને તાત્કાલિક અસરથી થશે અને આ પગલું આ દેશોના સાથેના વ્યાપારને ધ્યાનમાં રાખીને જ લેવાયું હોય એમ લાગે છે. 
 વિશ્વમાં ડોલર સામે માત્ર રૂપિયો જ નહીં તમામ ચલણ નબળા પડ્યા છે.  વિશ્વમાં ડોલર સિવાય યુરો, પાઉન્ડ,  યેન  વગેરે માન્ય આંતરરાષ્ટ્રીય ચલણમાં  વ્યાપાર થાય છે.  આ બધા ' ફેમા'  કાયદા હેઠળ ફૂલ્લી કન્વર્ટિબલ (રૂપિયામાં રૂપાંતર કરી શકાય તેવા)  છે . જે  યાદીમાં હવે  ભારતીય રૂપિયો આવી ગયો . પણ,  વૈશ્વિક મંદિની આશંકાએ યુરો ચલણ પણ વેચાઈ રહ્યુ છે અને ડોલર ખરીદાય રહ્યો છે. 
 કોરોના કાળમાં અમેરિકામાં નોટો છપાઈ અને હવે તેણે આ બધું બંધ કર્યું એટલું જ નહીં , ફુગાવો વધતાં  ફેડરલ બેંક હવે વ્યાજદર પણ વધારી રહી છે, અને  હજુ વધારશે. આ સ્થિતિને કારણે વિશ્વભરમાંથી ડોલર પાછા ખેંચાઈ રહ્યા છે.  શેરબજારમાં ઘટાડો થયો છે એ બીજું કાંઈ નહિ.  અમેરિકી ડોલર પાછા ખેંચાય છે. આ સ્થિતિમાં ભારત સહિતના દેશો તેના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરની બગડતી સ્થિતિ માટે ચિંતિત છે. ભારતીય રૂપિયો તો હજુ મધ્યમ તૂટ્યો છે . ઇન્ડોનેશિયા,  ચીન,  મલેશિયાના ચલણ પણ ડોલર સામે તૂટ્યા છે.  જોકે ભારત કરતાં ટકાવારી ઓછી છે. જ્યારે થાઈલેન્ડ, બ્રિટન,  યુરોપિયન દેશો,  રશિયા,  શ્રીલંકાના ચલણની સ્થિતિ તો ભારત કરતાં બદતર છે.  શ્રીલંકાનું ચલણ ડોલર સામે 83 ટકા તૂટી ચૂક્યું છે.  બધા દેશો કહીને કંઈ ઉપાયો કરી રહ્યા છે , તેમાં ભારતીય મધ્યસ્થ બેંકે રૂપિયાનું આંતરરાષ્ટ્રીય વેપારમાં મૂકવાનું આ સીમાચિહ્નરૂપ  પગલું ભર્યું છે.  
આ પધ્ધતિમા ભારતની મંજૂરી મેળવેલી બેંક કસ્ટોડિયન તરીકે કામ કરશે . આરબીઆઈનું લક્ષ ઊંચું છે.  ડોલરને બદલે તે રૂપિયાને વૈશ્વિક સ્વીકાર્ય બનાવવા માંગે છે.  ભારતમાંથી ડોલરનો પ્રવાહ બહાર જતો અટકે અને ફોરેક્સ રિઝર્વ વધે.  જે હવે ૧૫ વર્ષના તળિયે પહોંચી ગયો છે . આ માટે આરબીઆઈએ થોડા સમય પહેલાં વિદેશી ભારતીયો માટે વ્યાજદર છૂટ સહિતના પણ પગલાં લીધા હતા.  પણ આ પગલું રશિયાને વધુ મદદ કરશે , બલ્કે,  એના માટે જ લેવામાં આવ્યું એમ સ્પષ્ટ છે. કારણ કે રશિયાએ યુક્રેન પર હુમલાઓ કર્યા બાદ તેના ચલણ રુબલ તૂટી પડ્યું છે.  યુરોપિયન દેશોએ તેના ચલણ રુબલથી વ્યવહાર કરવા પણ પ્રતિબંધ મૂકી દીધો છે.  બીજીબાજુ,  ભારત કે જેની ક્રૂડ આયાતમાં માત્ર બે ટકા હિસ્સો રશિયા પાસે મંગાવતું હતું.  એ હવે ડિસ્કાઉન્ટ દરે મળતા તેલની ૧.૩ અબજ ડોલરની આયાત કરે છે.  જેની રૂપિયામાં ચૂકવણી હવે થઈ શકશે.  આમ જોઈએ તો પશ્ચિમી દેશોના રૂબલ પર પ્રતિબંધની જાણે હવા નીકળી ગઈ છે.  ડોલરના પ્રભુત્વને થોડી હાનિ થશે. બીજું શ્રીલંકા દેવાળુ ફૂંકી ચૂક્યું છે,  તેની પાસે ડોલરના નામે મિંડુ  છે,  તેની મદદ થશે.  ભૂતાન, નેપાળ સાથે તો રૂપિયાથી વ્યવહાર અગાઉથી ચાલુ જ છે . પણ હવે નવા નિર્ણયથી અન્ય દેશો સાથેના વ્યવહારમાં પણ ફાયદો પહોંચશે. આરબીઆઈના અંદાજ મુજબ રૂપિયાથી લેવડદેવડ શરૂ થતા લગભગ 26 અબજ ડોલર દેશ બહાર નીકળતા બચી શકશે . 
આમ,  આ સારું પગલું છે.  વિશ્વમાં રૂપિયાથી વ્યવહાર વધશે પરંતુ વધુ ફળ તોશલાંબા ગાળે મળશે.  અત્યારે તો ડોલર રાજા છે.  વિશ્વ વ્યાપારમાં રૂપાંતર થતાં સમય લાગશે.




આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેટલમેન્ટ 
પદ્ધતિનો કઈ રીતે થશે અમલ 


ભારતને કંઈ આયાત કરવું હોય તો પહેલાં રૂપિયાને ડોલરમાં રૂપાંતરિત કરવું પડે , એ પછી અમેરિકા હોય તો ઠીક નહીં તો એ ડોલર પછી યુરો કે અન્ય વેચનાર  દેશના ચલણમાં રૂપાંતરિત થાય.  આમ,  બંને પક્ષો વચ્ચે ડોલર આવે છે. વળી , સોદા દરમિયાન ભાવ વધઘટનું જોખમ તો ખરું જ.

 હવે બિલિંગ રૂપિયામાં થશે અને એ માટે સામેના પક્ષે વોસ્ત્રો એકાઉન્ટ ખોલવું પડશે . જેની સાથે વ્યવહાર થવાનો છે એ દેશની બેંક ભારતની ઓથોરાઇઝર ડીલર બેંકમાં ખાતું ખોલશે. ( દા. ત. એસબીઆઈમાં એચએસબીસીનું બેંકનું વસ્ત્રો એકાઉન્ટ હશે).  ભારતીય બેંકમાં વિદેશી કંપનીના નાણાં હશે.  જ્યારે ભારતીય આયાતકાળ ચુકવણી કરવા માંગે ત્યારે એટલા નાણા તેમાં જમા થશે અને ભારતનો નિકાસકાર એ જ રીતે વોસ્ત્રો એકાઉન્ટમાંથી ભારતીય રૂપિયામાં જ નાણા મેળવશે.

Tuesday, 12 July 2022

The price of edible oil goes down. But, it necessary for midal class that it down to the level of a year ago...

ખાદ્યતેલોની કિંમતમાં રૂ. ૧૫નો ઘટાડો નહીં, એક વર્ષ
પહેલાંની કિંમત મળે તો મધ્યમ વર્ગની દિવાળી બને


 ભારત આવશ્યકતાના ૬૨ ટકા ખાદ્યતેલ આયાત કરે છે અને વૈશ્વિક સ્તરે તૂટી ગયેલા ભાવો છતાં સ્થાનિક ઉત્પાદનોની એમઆરપી નહીં ઘટતાં સરકારે શુક્રવારે કડક સૂચના આપી કે લીટરે રૂ. ૧૫નો ઘટાડો કરો ને  શરૂઆત પણ થઈ પરંતુ એક વર્ષમાં ખાદ્યતેલો એટલા મોંઘા થયા છે કે આટલેથી સાચી રાત નહીં મળે :  આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા ભાવ નીચા આવ્યા એ બધો લાભ કંપનીઓ ગ્રાહકોને આપે તો ખરું

 

ભારતમાં મોંઘવારીનો પ્રશ્ન એક પડકાર બનીને ઉભો છે. અત્યારે સાત ટકા આસપાસ છૂટક ફુગાવાનો દર છે અને આરબીઆઈનું લક્ષ્ય છે કે તેને ચારથી પાંચ ટકા સુધી નીચે લઈ જવું. ખાદ્યતેલ જીવન જરૂરિયાતની ચીજમાં આવે છે અને માથે તહેવારોની મોસમ ઉભી છે ત્યારે ભાવ 'નીચા' નહીં આવે તો સરકારને વધુ 'નીચા'જોણું  થશે. આવામાં સરકાર ચીમકી તો આપી છે, પરંતુ કેટલો અર્થ સરે છે એ સવાલ છે.

ભારત તેની ખાદ્યતેલની જરૂરિયાતના ૬૨ ટકા આયાત પર નિર્ભર છે અને સૌથી મોટો આધારભૂત દેશ ઈન્ડોનેશિયાએ તેના દેશમાંથી પામતેલના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આનાથી વિશ્વભરના ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો હતો. ભારત પણ બાકાત નહોતું પરંતુ હવે ઇન્ડોનેશિયાએ તેની નિકાસબંધી સમાપ્ત કરી દીધી છે અને તેની અસરમાં વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવ ગગડી પણ ચૂક્યા છે. છેલ્લા એક મહિનામાં વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના ભાવમાં નદીઠ ૩૦૦થી ૪૫૦ ડોલર સુધીનો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે કેટલાક તેલના ભાવતો અડધાથીય ઘટી ગયા છે, પરંતુ રાહત કંપનીઓને પહોંચી. બજારમાં એમઆરપી તો એ જ રહી. છેવટે શુક્રવારે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલયના 'ખાદ્યતેલ અને જાહેર વિતરણ વિભાગે' બહાર આવીને ચીમકી આપવી પડી કે ખાદ્યતેલના ભાવમાં લીટરે રૂ. ૧૫નો તાત્કાલિક અસરથી ઘટાડો કરો. આ લખાય છે ત્યારે ખાદ્યતેલના ભાવ નીચા વાની હજુ શરૂઆત થઈ છે પરંતુ ભાવ હજુ ગત વર્ષની સરખામણીએ ઊંચા જ છે. ગ્રાહકોને સાચો લાભ રૂ. ૧૫ના ઘટાડાથી નહીં થાય. અલગ અલગ તેલોમાં જેટલો ઘટાડો વૈશ્વિક સ્તરે થયો એ ઘટાડાનો બધો લાભ કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચાડે એ મહત્વનું છે. એ માટે ગ્રાહકે પણ જાગૃત રહેવું પડશે. બીજું, એમઆરપીનો ઘટાડો થાય છે એ તો નવા ઉત્પાદનના પેકિંગ દેખાશે. પરંતુ અત્યારે બજારમાં ઉપલબ્ધ જથ્થાની એમઆરપી ઊંચા ભાવની છે અને તેની કિંમતોમાં ઘટાડો લાગુ કરાય તો એ સાચા અર્થમાં ગ્રાહકોને લાભ કહેવાય.

સત્તાવાર આંકડા મુજબ પાંચ ખાદ્યતેલો મસ્ટર્ડ તેલ, વનસ્પતિ તેલ, સોયાતેલ, સનફ્લાવર તેલ અને પામતેલના છૂટક ભાવમાં છેલ્લા એક મહિનામાં બે થી આઠ ટકાનો ઘટાડો થયો છે. પરંતુ ગત વર્ષના તેલના ભાવ કરતાં આજનો ભાવ હજુ આ ઘટાડા પછીત્રણથી ૨૧ ટકા ઊંચો જ છે. જે આ સાથેના કોષ્ટકમાં પણ દેખાય છે.

વૈશ્વિક બજારમાં તેલ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચતા શુક્રવારે ખાદ્યતેલ એસો.ને સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ' એમઆરપી પર ભાવ ઘટાડો આપો જ. એ માટે ઉત્પાદકો દ્વારા ડિસ્ટ્રીબ્યુટરને અપાતી કિંમતમાં જ ઘટાડો કરવામાં આવે અને એ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં નાટકીય ઘટાડો આવ્યો છતાં સ્થાનિક બજારમાં ચિત્ર કેમ ઉલટું છે'  જોકે આ ચીમકી પછી આશા છે કે તરતમાં બજારમાં તેલના ભાવ નોંધપાત્ર રીતે નીચે આવશે અને લોકોને રાત પહોંચશે.

કેન્દ્રના નિર્દેશ પછી કેટલીક ખાદ્યતેલ કંપનીઓના નિવેદન પણ આવી ગયા છે. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું કે ધારા સોયાબીન તેલ અને ધારા રાઈસ બ્રાન્ડ તેલની કિંમતમાં લીટરે રૂપિયા ૧૪નો ઘટાડો કરવામાં આવ્યો છે. જે આગામી સપ્તાહે બજારમાં દેખાશે. જ્યારે સનફ્લાવરમાં ૧૫થી ૨૦ દિવસમાં ઘટાડાની સંભાવના છે. ફોરચ્યુન બ્રાન્ડે તેલ બનાવતી કંપની અદાણી વિલમારના ચીફ એક્ઝિક્યુટિવ દ્વારા એવું નિવેદન આવ્યું કે, થોડા સપ્તાહ પહેલા લગભગ બધી જ ફોર્ચ્યુન બ્રાન્ડના તેલની એમઆરપી પર ભાવ ઘટાડી નાખવામાં આવ્યા છે. વૈશ્વિક કાચા માલની કિંમતમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને અપાશે.

આમ, સરકારની સૂચના પછી ધીરે ધીરે ખાદ્યતેલોમાં ભાવ ઘટાડો આવ્યો અને હજુ આવશે એ નક્કી છે પરંતુ છેલ્લા એક વર્ષમાં ભાવ વધારો એટલો ઝડપી થયો છે કે પછી એ સ્થિતિમાં લાવવું કંપનીઓ માટે બીજા એક કારણોસર પણ શક્ય બનશે કે નહીં એ પ્રશ્ન છે.  કારણ કે આયાત સસ્તી થઈ પરંતુ રૂપિયાની કિંમતમાં ઘસારો લાગ્યો છે. રૂપિયો ડોલર સામે ઐતિહાસિક વિક્રમી સ્તરે નબળો પડયો છે. આથી વૈશ્વિક કાચા માલની કિંમતમાં જેટલો ઘટાડો થયો એ બધો લાભ કંપનીઓને નથી મળતો. પણ, ગ્રાહકોને તો આ બધી બાબતોથી મતલબ નથી. એમને તો જ્યાં સુધી એક વર્ષ પહેલાંની કિંમત ન મળે ત્યાં સુધી સાચો હાશકારો નહીં મળે. ૧૫ રૂપિયાની કિંમતના સરકારી સૂચના મુજબના ઘટાડાની જગ્યાએ નોંધપાત્ર ઘટાડો આવે અને કમસેકમ એક વર્ષ પહેલાની કિંમત નજીક તેલના ભાવ પહોંચે તો જ મધ્યમ વર્ગની સાચી તહેવાર ઉજવણી અને દિવાળી બનશે

Tuesday, 5 July 2022

India's neighbors in economic crisis, Question of neighborhood....

આર્થિક મંદીમાં પડેલા પડોશી દેશો
 ચિંતા એની કરાય જે આપણી કરે

 

-શ્રીલંકાનો મોંઘવારી દર 29.8 ટકા

 -શ્રીલંકાનો ખાદ્ય ફુગાવો 46.6 ટકા
 -બાંગ્લાદેશમાં ફુગાવો 6.17 ટકા
 -પાકિસ્તાનમાં છૂટક મોંઘવારી 13.4 ટકા 
-નેપાળનું એક્સટર્નલ દેવું 1.85 ટ્રિલિયન રૂપિયા વધ્યું 
-લોકડાઉનથી ચીનની નિકાસ ઘટી
-ભારતની શ્રીલંકાને 3.50 અબજ ડોલરથી વધુની મદદ

 

 ભારતે થોડા સમય પહેલાં નાદાર બનેલા પડોશી શ્રીલંકાને ત્રણ અબજ ડોલરની કિંમતની દવા અને દૂધ પાવડર તેમજ અને ખાદ્ય પદાર્થો મોકલ્યા. એથી પહેલા ઇંધણ ખરીદી માટે 50 કરોડ ડોલરની રકમ લોન પેટે આપવાની જાહેરાત કરી. આવી રીતે નેપાળ સાથે કૃષિ ,વિજ્ઞાનવીજળી ક્ષેત્રે કરાર કરીને પડોશી દેશો સાથે ક્ષેત્રીય સહકાર આગળ વધારવામાં આવે છે . અરેથોડા સમય પહેલાં આર્થિક રીતે ભાંગી ચૂકેલા પાકિસ્તાનને મદદની વાતના એક હેવાલ પ્રસિદ્ધ થયા ! પડોશી ધર્મ સારી વાત છે અને આપણા પડોશી દેશો જો આર્થિક તૂટેલા હશે તો ભારતના વ્યાપારને  પણ અસર પડે તે પણ એટલી જ સાચી વાત છેપરંતુ આવો પડોશી ધર્મ હવે એવા જ દેશો સાથે બજાવવાનો સમય છે કે જે ચીનના પ્રભાવમાં ન હોય. 

 વૈશ્વિક મંદી આવે છે તેની ચર્ચા થાય છે પરંતુ આપણા પડોશી દેશોની હાલત તો અત્યારથી જ ખસ્તાહાલ બની ચૂકી છે . પાકિસ્તાનમાં એપ્રિલનો છૂટક મોંઘવારી દર 13.4 ટકા છે.  શ્રીલંકામાં એપ્રિલનો મોંઘવારી દર 29.4 ટકા હતો અને ખાદ્ય ફુગાવો 46.4 ટકા જેટલો જબર હતો.  બાંગ્લાદેશમાં ફેબ્રુઆરીનો ફુગાવાનો દર 6.17 ટકા છે.  નેપાળ મ્યાનમારની સ્થિતિ પણ સારી નથી.  એમ કહેવાય છે કે કોરોના મહામારી અને પછી રશિયા યુક્રેન યુદ્ધે  તમામ અર્થતંત્રની સ્થિતિ બગાડી નાખી પરંતુ પાકિસ્તાન તો એથી પહેલાં ડામોડળ થઈ ગયું હતું.  હાલમાં પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે નબળો પડવામાં સૌથી ઉપર રહ્યો . પાકિસ્તાનમાં ઇમરાનની સરકાર પડી એમાં પણ આર્થિક નબળાઈ સૌથી મોટું કારણ હતું.  નેપાળમાં તાજેતરમાં રિઝર્વ બેન્કના ગવર્નરને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં પણ આર્થિક નબળાઈ સામેના અપૂરતા પગલાનું કારણ જાહેર થયું.  શ્રીલંકામાં તેની આઝાદી પછીની સૌથી ગંભીર સ્થિતિ છે. જયારે  ભારતમાં પણ મોંઘવારી દર આઠ વર્ષનો સૌથી ઊંચો છે પરંતુ પડોશી દેશો કરતા ઘણી સારી સ્થિતિ છે ત્યારે આસપાસના નબળા-  નાના દેશો ભારત અને ચીન પર મદદની આશાની નજર રાખી બેઠા છે.  પરંતુ એ મહત્વનું છે કે જેની મદદ કરવામાં આવે એ દેશો ચીનની ચાલબાજી સમજે.  ડ્રેગનનો આર્થિક ઘૂસણખોરીનો બદઇરાદો સમજે અને આપણે પણ એવા દેશોની મદદ કરવાની હવે આવશ્યકતા ઉભી થઈ છે કે જેની આંખ ઉઘડી ગઈ હોય અને ભારતના મુદ્દાઓને પણ સ્વીકારવા તૈયાર હોય . 

પડોશી દેશો ખાસ કરીને ખાદ્ય ચીજોઇંધણ અને ખાતરની અછતમાં સપડાયા છે . શ્રીલંકાની વાત કરવામાં આવે તો 7.80 કરોડનું ઋણ ન ચૂકવી શકતાં તેણે તાજેતરમાં નાદારી જાહેર કરી અને ભારતે મદદ કરી, ભારતની રિઝર્વ બેન્કે પણ પગલા લીધા . પરંતુ નોંધનીય છે કે  શ્રીલંકા એ દેશ છે જેમાં ચીને હંબનટોટા મહાબંદર અને એરપોર્ટ ઊભું કર્યું છે ને 99 વર્ષના લિઝમાં લઈ લીધું છે. આ બંદર પર કોઈ આર્થિક ગતિવિધિ પણ નથી થતીમાત્ર ઘૂસણખોરી છે એ એની શ્રીલંકાએ આંખ ઉઘાડવી જરૂરી છે.  નેપાળમાં આર્થિક સંકટ ગંભીર બન્યું છે પરંતુ ભારત માટે સહકાર વધારવા પહેલા ભારતના ભૌગોલિકરાજકીય હિતોનો સ્વીકાર કરવો પડશે.  કેટલીક  અસહમતીઓ આડી આવી ગઈનહીં તો ભારતીય વ્યાપાર વધારીને નેપાળ ઉગરી ગયું હોત.  જેમ બાંગ્લાદેશે કર્યું . બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ છેલ્લા દોઢ વર્ષમાં સારી રીતે આગળ વધી છે તેનું કારણ પરસ્પર હિતોનો સ્વીકાર છે.  ધંધાકીય આગળ વધતાં  છેલ્લે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી ભૂમિ વિવાદનો અંત આણતા ઐતિહાસિક કરાર થયા હતા અને અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ બગડી તેનું કારણ માત્ર કોરોના અને યુદ્ધના યુદ્ધ જ છે

પાકિસ્તાનમાં અત્યારે ખાણીપીણીની ચીજોના ભાવ આસમાને છે.  ઉર્જા ખાદ્ય ચીજો માટે આયાત પર નિર્ભર રહેવું પડે છે.  ચીન અને યુએઈ તેની મદદ કરે છે.  પડોશી ધર્મ બરાબર છે પરંતુ એવા દેશોને મદદનો વિચાર જ અયોગ્ય છે કે જેની આર્થિક સમૃદ્ધિ વધે તો એ નાણા આપણી સામેના શસ્ત્રો ખરીદવામાં જ વપરાવાના છે.  જોકેઆ સંબંધે સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાનની મદદની કોઈ જાહેરાત નથી કરી . 

પડોશી ચીન દુનિયાની બીજા ક્રમની અર્થવ્યવસ્થા છે પણ કોરોના પછીના વારંવારના લોકડાઉનથી એનીય સ્થિતિ સારી  નથી.  લોકડાઉનમાં ફેક્ટરીઓ લાંબો સમય બંધ રહેવાને કારણે તેની નિકાસ નોંધપાત્ર રીતે ઘટી ગઈ.  ભૂતાન - નેપાળ જેવા દેશો "લેન્ડલોક" છેઅને આવા પડોશી દેશો આયાત નિકાસ વ્યાપાર માટે ભારત પર નિર્ભર છે. એમનો વિદેશ વ્યાપાર નબળો પડે એ દેખીતી રીતે ભારતને અસર કરે પરંતુ આવા દેશો પર ચીન પણ પ્રભુત્વ વધારી રહ્યું છે ત્યારે પડોશી દેશોની મદદ કે સહકારના  નિર્ણય મુદ્દે અત્યારે ઘણી ચર્ચા ઊભી થઈ છે અને આ મુદ્દો ઘણો મહત્વનો બની જાય છે.  જોકે અત્યારે ભારતની સ્થિતિ બીજા દેશો કરતાં સારી છે . કૃષિ ઉત્પાદન વધ્યું છેખાદ્ય ભંડાર ભરાયેલો છે એટલું જ નહીં ઘઉં અને ચોખાની તો વિક્રમી નિકાસ કરી છે. માત્ર ઇંધણ ભાવ વધારાનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે જે મોંઘવારી વધારે છે પરંતુ આપણી સારી સ્થિતિને લઈને સહાય એ ભોગે તો ન જ કરાય કે આપણી જ સ્થિરતા  તૂટી પડેસામે  પડોશીઓએ પણ એ સમજવું પડશે કે ચીનની મદદ લાંબા ગાળે તેના અર્થતંત્રને ડુબાડી નાખશે.